આપણા રક્ષામંત્રી કહે છે સર્જિકલ સ્ટ્રાઈકની સફળતા પાછળ છે “સંઘ”શક્તિ…

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૬


ગુજરાતના અમદાવાદમાં ‘સેના કો જાનીયે’ કાર્યક્રમમાં પહોંચેલા રક્ષામંત્રી મનોહર પારિકરે સર્જિકલ સ્ટ્રાઈકનો શ્રેય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ટ્રેનિંગને આપ્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીના રાજ્યથી છે જ્યારે રક્ષા મંત્રી માર્શલ રેસના રાજ્ય ગોવાથી એવામાં સર્જિકલ સ્ટ્રાઈક પાછળ સંઘની  ટ્રેનિંગ છે.

રક્ષા મંત્રીએ કહ્યું ઉરી હુમલા બાદ સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી પર ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી કરવામાં આવી હતી. પારિકરે કહ્યું ઘણા લોકો પુરાવા રજૂ કર્યા વિના માનતા નથી. જો કે વિપક્ષ દ્વારા રક્ષામંત્રીના આ નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે. પૂર્વ ગૃહ મંત્રી અને કૉંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ કહ્યું આ પ્રકારના નિવેદનોથી સેનાનું મનોબળ તૂટે છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ નિરમા યુનિવર્સિટી દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં રક્ષામંત્રી પારિકરે વિદ્યાર્થીઓને એક ખાસ ડેમો પણ આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે કઈ રીતે સરહદ પર જવાનો દેશની રક્ષા કરે છે.