ઋષિ ગૃત્સમદની સમયસૂચકતા

    ૧૮-માર્ચ-૨૦૧૬


મહારાજ પૃથુએ પૃથ્વીને ધન-ધાન્યની ઊપજથી માનવીનું જીવન સરળ બનાવી દીધું. પૃથ્વી પર રહેતાં બધાં પ્રાણીઓ માટે ધરતી સુજલામ્-સુફ્લામ્ બની ગઈ. એ પછી પૃથ્વી પર રાજ્યની સ્થાપના થઈ, તેની ખુશાલીમાં પૃથુએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યંુ.
બધા ઋષિઓ અને દેવોએ આ યજ્ઞમાં ભાગ લીધો. યજ્ઞની સફળતા જોઈને અસુરોના પેટમાં તેલ રેડાયું. અસૂરો ઇચ્છતા હતા કે યજ્ઞથી સ્વર્ગના દેવ ઈન્દ્રની પ્રતિષ્ઠા વધે નહીં. તેમણે વિચાર્યંુ કે જો ઈન્દ્રને જ મારી નાખવામાં આવે કે તેનું અપહરણ કરવામાં આવે તો બાકીના દેવતાઓ પણ યજ્ઞ અધૂરો છોડીને જતા રહેશે અને પૃથુરાજા પર પણ કલંક લાગશે કે તે ઈન્દ્રનું રક્ષણ કરી શક્યો નહીં, તેમજ યજ્ઞ પણ અધૂરો રહેશે.
યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ઈન્દ્ર સહિત બધા દેવતાઓ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા હતા. યજ્ઞના મુખ્ય પુરોહિત ગૃત્સમદ ઋષિ હતા. મંત્રોનું પઠન કરતાં તેમના ધ્યાનમાં આવ્યું કે વાતાવરણમાં કોઈ એવાં તત્ત્વો છે, જે યજ્ઞમાં અડચણ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમણે સમાધિમાં જોયું તો દેખાયું કે કેટલાક અસુરો ઈન્દ્રની ઈર્ષ્યાને લઈને યજ્ઞમાં અવરોધ પેદા કરી રહ્યા છે, તેઓ ઈન્દ્રને મારીને કે તેનું અપહરણ કરીને યજ્ઞને નષ્ટ કરી દેશે.
તેમણે ઈન્દ્રને કહ્યું, "તમે ચિંતા કર્યા વિના યજ્ઞમાં ભાગ લો. હું થોડીવારમાં આવું છું. તેમણે યજ્ઞની પૂજાનો ભાર બીજા ઋષિને સોંપ્યો. ઊભા થતાં જ તેમણે ઈન્દ્રનું ‚પ ધારણ કરી લીધું.
અસુરોને લાગ્યું કે ઈન્દ્ર જઈ રહ્યો છે, તેમણે ઈન્દ્રના ‚પમાં રહેલા ગૃત્સમદનો પીછો કર્યો. ગૃત્સમદે ભાગવાનું શ‚ કર્યંુ. અસુરોએ વિચાર્યંુ ઈન્દ્રે આપણને જોઈ લીધા છે, તેથી તે ઝડપથી ભાગી રહ્યા છે. અસુરોએ તેનો પીછો કર્યો, પરંતુ ગૃત્સમદ ખૂબ જોરથી દોડતા રહ્યા. અસુરો થાકીને લોથપોથ થઈ ગયા. ગૃત્સમદને લાગ્યું કે અસુરો હવે પૂરેપૂરા થાકી ગયા છે એટલે તેઓ પણ થાક ખાવા નીચે બેસી ગયા અને તપના બળથી પાછા પોતાના મૂળ‚પમાં આવી ગયા.
અસુરોએ ઈન્દ્રની જગ્યાએ ગૃત્સમદને જોયા એટલે તેઓ ચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, "અમારી આગળ તો ઈન્દ્ર દોડી રહ્યા હતા. તમે કોણ છો ?
ગૃત્સમદે કહ્યું, "હું વનવાસી ઋષિ છું. ઈન્દ્ર અહીં ક્યાંથી હોય ? ઈન્દ્ર તો પૃથુ રાજાના ત્યાં યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ તો દેવોના દેવ મહાપરાક્રમી દેવતા છે, તેમના દ્વારા જ કલ્યાણકારી કામો થાય છે ? ઈન્દ્રનું તમારે શું કામ છે ?
અસુરોએ કહ્યું, "અમે તેનું અપહરણ કરીને મારી નાખીશું, તેને યજ્ઞમાં ભાગ નહીં લેવા દઈએ.
ગૃત્સમદે કહ્યું, "તમને તમારી શક્તિનું એટલું બધું અભિમાન હોય તો જાઓ ઈન્દ્ર યજ્ઞમાં બેઠા છે અને હવે તો યજ્ઞ પણ પૂરો થવા આવ્યો હશે,
ચાલો, હું પણ યજ્ઞસ્થળ સુધી તમારી સાથે આવું છું.
ગૃત્સમદ અસુરો સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં ઈન્દ્રદેવ અને બીજા દેવતાઓના શક્તિ અને પરાક્રમની એટલી બધી પ્રશંસા કરવા લાગ્યા કે અસુરોનું મનોબળ તૂટી ગયું.
યજ્ઞસ્થળ પર પહોંચ્યા પછી તેમણે ઈન્દ્ર તરફ ઇશારો કરતાં કહ્યું કે જુઓ પેલી યજ્ઞવેદી પર ઈન્દ્ર બેઠા છે.
પછી ઈન્દ્રને પોકારીને કહ્યું, "જુઓ, આ અસુરો તમને મારવા માટે આવ્યા છે.
ઈન્દ્રે જોયું તો ઋષિ ગૃત્સમદ અસુરોની પાસે ઊભા હતા. ઈન્દ્રે મોકો જોઈને પોતાની ગદા ઉઠાવી અસુરો પર પ્રહાર કર્યો. અસુરો દોડી દોડીને થાકેલા હતા અને તેમનું મનોબળ પણ તૂટી ગયું હતું. તેઓ ઈન્દ્રના પ્રહારનો સામનો કરી શક્યા નહીં અને ત્યાં જ ઢળી પડ્યા.
ઈન્દ્રે ગૃત્સમદ ઋષિને પૂછ્યું, "યજ્ઞમાંથી આપ ક્યાં ચાલ્યા ગયા હતા ? ગૃત્સમદે કહ્યું, "પ્રજાના કલ્યાણ માટેનો આ યજ્ઞ સારી રીતે પૂરો થાય અને તેમાં વિઘ્ન નાખનારા અસૂરો પણ માર્યા જાય એટલે અસૂરોને ભ્રમમાં નાખવા તમારું ‚પ ધારણ કરી હું અહીંથી ચાલ્યો ગયો, તેઓ મારી પાછળ દોડીને થાકી ગયા, નિર્બળ બની ગયા એટલે એમને અહીં લઈ આવ્યો, જેથી તમે તેનો સરળતાથી સંહાર કરો અને યજ્ઞ પણ પૂરો થાય.
ઈન્દ્ર રાજાએ ગૃત્સમદ ઋષિને નત મસ્તક પ્રણામ કર્યા અને તેમની સમયસૂચકતા અને કુશળતાની પ્રશંસા કરી.

બાળપ્રેરક પ્રસંગ : કર્તવ્યપાલન


લાયલપુર (હવે પાકિસ્તાનમાં) કૉટન મિલ્સના દરવાજે એક દૂબળો-પાતળો પ્રૌઢ વ્યક્તિ આવીને ઊભો રહ્યો. અંદર કર્મચારી સફાઈ કરી રહ્યા હતા. તેમણે વિચાર્યંુ કદાચ આ વ્યક્તિ અંદર આવવાનો છે. ખબર નહિ કોણ છે ? તે કડકાઈથી બોલ્યો : "ભલા માણસ, ક્યાં ઘૂસી રહ્યો છે ? જોતો નથી સફાઈ થઈ રહી છે ? તે પ્રૌઢ વ્યક્તિ પાછો ફરીને ચાલ્યો ગયો. મિલમાલિક દ્વારા નિરીક્ષણ થવાનું હતું. થોડી જ વારમાં હલચલ થઈ અને અવાજ આવવા લાગ્યો. "લાલાજી આવી ગયા, લાલાજી આવી ગયા શેઠજીએ સફેદ ઝભ્ભો અને ચૂડીદાર પાયજામો પહેર્યો હતો. સફાઈ કર્મચારી પણ ઉત્સુકતાથી બહાર નીકળ્યો. લાલાજીને જોતાં જ એના પગ નીચેની જમીન સરકી ગઈ. માલિક તે જ સજ્જન હતો, જેને થોડી વાર પહેલાં આ કર્મચારીએ મિલના દરવાજેથી બહાર ભગાવ્યો હતો. તે કાંપી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે મારી નોકરી હવે ગઈ. લાલાજીએ તેની તરફ જોયું અને હસ્યા. ત્યાં તે લાલાજીના પગે પડીને માફી માંગવા દોડ્યો, લાલાજીએ તેની મન:સ્થિતિ જાણી લીધી. સફાઈ કર્મચારીને તેમણે ગળે લગાવ્યો અને બોલ્યા : "હું તારાથી નાખુશ નથી, ખૂબ પ્રસન્ન છું. તેં તારા કર્તવ્યનું પાલન કર્યંુ છે.
કોઈ બીજો માલિક કે અધિકારી હોત તો કર્મચારીને તુરંત જ કાયમ માટે રજા આપી દેવામાં આવી હોત, પરંતુ કર્તવ્યપાલન કરનારા સફાઈ કર્મચારીને તેમણે સન્માનિત કર્યો.
મિલના આ માલિક હતા ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના ખ્યાતનામ અને માનવતાના પ્રતીકસમા લાલા શ્રીરામ. તેમણે મેટ્રિક પાસ કર્યા બાદ ૨૫ ‚પિયે માસિકથી પોતાના મહેનતકશ જીવનનો પ્રારંભ કર્યો હતો અને એંસી વર્ષની ઉંમર સુધી પહોંચતાં તેઓ ૫૮ કરોડ ‚પિયાની સંપત્તિ ધરાવનારા ઉદ્યોગજૂથના કુશળ સંચાલક અને માલિક બન્યા હતા. ડિ.સી.એ. તથા અન્ય કેટલાય ઉદ્યોગ દેશને તેમની દેન છે. લગની, સહાય અને નિષ્ઠાથી ભવિષ્ય ઘડનારા લાલા શ્રીરામ એક સારા માનવી તરીકે જીવ્યા અને કર્તવ્યપાલન કરનારાઓને તેમણે ગળે લગાવ્યા.

પ્રશ્ર્નમંચ - ૨૪૭


નીચેની કહેવત પૂરી કરો
(૧) અક્કરમીનો ............. કાણો.
(૨) દૂધનો દાઝ્યો ............ ફૂંકીને પીવે.
(૩) બોલે તેનાં .................. વેચાય.
(૪) ભાગ્યશાળીને .................... રળે.
(૫) જે કર ઝુલાવે પારણું તે ............... પર શાસન કરે.
(૬) સાપને ઘેર ............ પરોણો.
(૭) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો .............. થાય.
(૮) રાત થોડીને ................. ઝાઝા.
(૯) ડાહી સાસરે ન જાય અને ................... ને શિખામણ આપે.
(૧૦) જેવા વડ તેવા ટેટા ને ................ તેવા બેટા.