HSBC બેન્કની જીનીવા બ્રાન્ચમાંથી ગત વર્ષે સ્વીસ લીક્સ નામે ખૂલેલા દસ્તાવેજોમાંથી અંદાજીત ૧૧૯૫ ભારતીયોના નામ હતાં જ. ટેક્ષ બચાવવામાં સ્વર્ગસમી આંતરરાષ્ટ્રીય કંપનીઓ જે બેન્કીંગ, ટેક્ષના કાયદાઓ તથા મુડીરોકાણથી અધિક્તમ ફાયદો જેવી બાબતોમાં નિષ્ણાંત છે. તે ટેક્ષ બચાવવા માટે, રીયલ એસ્ટેટની વિદેશોમાં ખરીદી માટે, પરદેશમાં એસ્ક્રો એકાઉન્ટ્સ (નિલંબિત ખાતાઓ) ખોલાવવા માટે, પ્રાઈવેટ પ્લેન/યોટ વગેરેની ખરીદીમાં મદદ માટે કે વિદેશી નાણાંકીય પેપર્સ દ્વારા કરોડોની હેરાફેરી કરવાની સેવાઓ પૂરી પાડે છે. ૧૮૦ દેશોને આવરી લેતા પેરેડાઈઝ પેપર્સમાં સૌથી વધુ ખાતેદારોની સંખ્યામાં ઉતરતા ક્રમે ભારતનો ૧૯મો નંબર છે તથા ૭૧૪ નબીરાઓ પ્રકાશિત થયા છે !
બર્મુડા ટાપુની કંપની એપલબાય તથા સીંગાપોરની એસિયાસીટી જેવી સંસ્થાઓએ, દુનિયાના આવા ૧૯ ટેક્ષ છાવરવા માટેના સ્વર્ગ સમા ક્ષેત્રોમાં કામ કર્યું છે. એપલબાય ૧૧૯ વર્ષ જૂની કંપની, ભારતમાં બ્રાંચ નહીં, પરંતુ તેના અધિકારીઓ મુંબઈ-દિલ્હી આવી ગયા છે તથા ઇન્ટરનલ રિપોર્ટસમાં અહીંના વકીલ સંસ્થાઓ, કાયદાકીય નિષ્ણાંતો તથા બેન્કો જેમની વિદેશોમાં શાખાઓ છે - તેની સાથે ઝડપથી સંબંધો બાંધવાની હીમાયત કરી છે. અલબત્ત, જે કંપનીઓનું ડ્યુ ડિલીજન્સ ન થયું હોય છતાં તેમને સેવાઓ અપાઈ હોય તેમના દ્વારા મની લોન્ડરિંગ કે તેમના ઉપર પોતાના દેશમાં ક્રિમીનલ પ્રોસીજર થયા હોય તે બાબતે કંપનીની નબળાઈ ધ્યાનમાં લઈ તે ચોકસાઈ વધુ કરે તેવી હિમાયત પણ નજરે ચઢે છે.
ભારતની આંતરરાષ્ટ્રીય શાખમાં હમણાં જ ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પરત્વે ૩૬ અંક કુદી ૧૦૦મા નંબરે આવવાથી મોટો વધારો થયો છે. મુંબઈ-દિલ્હીનાં બિઝનેસ એન્વાયરનમેન્ટમાં આ જબરજસ્ત સુધારો એપલબાય જેવી કંપનીઓને મદદ ન કરી જાય તે જોવાની સાહસિક ફરજ પણ રેગ્યુલેટર્સની ઊભી થશે જ, કેટલીયે શેલ કંપનીઓ ઉભી કરવામાં/આપવામાં માહિર આવી વિદેશી નાણાંકીય સેવા સંસ્થાઓ ચાલુ કંપની, મોટા નાણાંકીય વ્યવહારવાળી તથા બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ સાથે વિદેશમાં રેડીમેઈડ એસેટ તરીકે આવી, અહીંના કાળા બજારીયાઓને ખૂબ મદદ કરે છે.
મોરેશિયસમાં નોંધાયેલ અનેક વિદેશી કંપનીઓ ભારતમાં, ખાસ કરીને શેર માર્કેટમાં રોકાણ કરે છે. દ્વિરાષ્ટ્રીય સંધી અંતર્ગત આપણે આ મેળવતા હોવા છતાં, ટેક્ષ ચોરી ઘટાડવા અંગેના નિયમોની બન્ને દેશો છેલ્લા ચાર વર્ષથી ચર્ચાઓ કરતા અને ભારતના નિર્ણયો આકરા થતાં, મોરેશિયસ આફ્રિકા ઉપખંડમાં ૧૯ સંધિઓ ઉપર સહી કરી છે. જેથી બીજો એક રૂટ સરળ થઈ શકે.
‘છીંડે ચડ્યો તે ચોર’ ઉક્તિ પ્રમાણે જેટલાં નામ પ્રકાશિત થયા તે બધા જ કદાચ મની લોન્ડરીંગ, ટેક્ષ ચોરી વગેરેમાં સંડોવાયા ન હોય તેવું માનીએ તો પણ બધા જ પ્રકાશિત નામો કરોડાધીપતીઓના જ છે. ભારતનાં કાયદાઓ અંતર્ગત, ટેક્ષ ભર્યા પછી, વધતા નાણાંમાંથી વ્યાપાર/અસ્ક્યામતો (જરૂરી) ખરીદવા તેમણે કોઈની સહાય લીધી હોય તે અલગ બાબત છે, પરંતુ ભારતમાં વ્યાપાર, ધંધા, સેવાઓ વગેરેની તકો જોતાં તેમણે બહાર નાણાં લઈ જવા તે જ આઘાત/આશ્ર્ચર્યજનક છે. કોઈ માલદાર પોતાના નાણાં બિનઉપયોગી ફસાયેલાં રહે તેવું ન ઇચ્છતો હોવાથી, અહીંથી કાયદાનો દ્રોહ કરીને વિદેશ ગયેલ નાણાં એ દેશદ્રોહથી ઓછું ન લેખાય. અને વ્યક્તિઓ/કોર્પોરેટ્સ છે ગણ્યા-ગાંઠ્યા, ૧૨૫ કરોડમાં ૧૨૫૦૦ યે નહીં, અને તે આપણા કાયદાઓને ગાંઠતા નથી. શું આ નાણાં રૂ. ૯.૩૫ લાખ કરોડના NPAથી પણ વધારે હશે જ ? NPAની અસ્ક્યામતો વેચવા જાય તો અનેક ક્ધસીડરનેશન્સ વાગોળતાં ૪૦%થી વધુ પૈસા મળતા નથી. વિજય માલ્યાનાં માત્ર ૭૦૦૦ કરોડ નહી, બીજા અંદાજિત રૂ. ૧૦,૦૦૦ કરોડ જે USL દ્વારા માફ કરાયા છે તેમાં પણ મની લોન્ડરિંગ બહાર આવ્યું છે.
સરકારી એજન્સીઓ પેરેડાઈઝ પેપર્સમાંથી કેટલા પેરેડાઈઝ (સ્વર્ગ) ભારત લાવી શકશે ? કેટલા સમયગાળામાં ? કોઈ ચમરબંધીની શેહ રાખ્યા વગર ગમે તે ઉદ્યોજક, અધિકારી, સર્વિસ પ્રોવાઈડર કે રાજકીય પાર્ટીમાં ‘સેવક’ તરીકે કામ કરતા હોય તેમની ય કાયદો એક નજરે જ ‘ઝાંખી’ કરશે ?