ભૂત-પ્રેત હકીકત છે કે કલ્પના એ અલગ-અલગ વિચાર હોઈ શકે છે, પરંતુ ભૂતોની આખી ગેંગ પંજાબમાં રહે છે અને પંજાબ સરકાર તેઓને કાયદેસર પેન્શન પણ આપે છે. જો કે આ પેન્શન આત્મા લેવા આવે છે કે પછી ક્યાંક બીજે ચવાઈ જાય છે એ તપાસનો વિષય છે. પંજાબના ૧૯.૮૦ લાખ લોકો દર મહિને પેન્શનનો લાભ ઉઠાવે છે. તેમાં ૬૫,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. છતાં તેમના નામે પેન્શન લેવાય છે. આ ગોટાળાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પંજાબ સરકારે તમામ પેન્શનધારીઓનું રિવેરિફિકેશન શરૂ કર્યું. તેમાં બહાર આવ્યું છે કે ૨,૪૫,૯૩૫ લોકો નકલી પેન્શન મેળવે છે. તેમાંથી ૪૫,૧૨૮ લોકોનું સરનામું જ ખોટું છે. જે ૪૨,૪૩૭ યુવા પણ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ ઉઠાવે છે અને ૧૦,૧૯૯ લોકો ખરેખર અમીર છે, છતાં પણ પેન્શન લે છે અને આ બધો ખેલ માત્ર સરકાર દ્વારા અપાતી પેન્શનની માત્ર ૫૦૦ રૂપરડી માટે ચાલી રહ્યો છે.