રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ. પૂ. સરસંઘચાલકજી ડૉ. મોહનજી ભાગવત તાજેતરમાં પાણીપતનાં પ્રવાસે હતા. આ દરમિયાન તેઓ અહીંની એસ.ડી.વિદ્યામંદિર શાળામાં બપોરે સ્વયંસેવકો સાથે ભોજન કરી ભોજનખંડમાંથી નીકળ્યા કે તરત જ એક બાળ સ્વયંસેવક તેમની પાસે નોટબૂક પર તેમના હસ્તાક્ષર લેવા દોડી આવ્યો. ત્યારે પ.પૂ.સરસંઘચાલકજીએ બાળ સ્વયંસેવકને સમજાવતા કહ્યું કે, હસ્તાક્ષર આપવા એ સંઘની પરંપરા નથી. તે સંઘના મુખ્ય સ્વયંસેવક છે. તેવામાં પોતે જ જો એ પરંપરા તોડશે તો તે બીજા સ્વયંસેવકોને શું શીખવશે? જો તેઓ આવું કરશે તો સંઘમાં નવી પરંપરા શરૂ થઈ જશે, જે સંઘની પદ્ધતિ મુજબ નથી. તેમણે બાળ સ્વયંસેવકને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું કે, ‘જો તમારી ઇચ્છા મારા હસ્તાક્ષર લેવાની જ હોય તો તેના માટે મને એક પત્ર લખો. તમારા જવાબમાં હું જે પત્ર લખીશ તેમાં હું હસ્તાક્ષર પણ કરીશ. આમ થવાથી તમારી ઇચ્છા પણ પૂર્ણ થઈ જશે અને સંઘની પરંપરા પણ નહીં તૂટે.’
આ જવાબથી બાળ સ્વયંસેવક સંતુષ્ટ થયો. સાથે સાથે આ ઘટના થકી ભાગવતજીએ સ્વયંસેવકો માટે એક અનોખી પ્રેરણા પૂરી પાડી.