ઓખીની ગુજરાતમાં અસર શરૂ, રાજ્યભરમાંપવન સાથે વરસાદ

    ૦૫-ડિસેમ્બર-૨૦૧૭

 
દક્ષિણ ગુજરાતમાં ધમરોળીને ગુજરાત તરફ આગળ વધી રહેલું ‘વાવાઝોડાની અસર ગઈ રાતથી જ શરૂ થઈ છે. ઓખી વાવાઝોડાની અસર સ્વરૂપ ગઇકાલ રાતથી ગુજરાતમાં વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યુ છે. રાજ્યભરમાં ઠેરઠેર આછો પાતળો વરસાદ થયો છે. તો વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૬ ડિસેમ્બરે ગુજરાતમાં પ્રવેશ કરશે. જોકે તેની ગતિ ત્યાં સુધી મંદ પડી જવાથી ચિંતાનું કોઈ કારણ નથી પણ છતાં તંત્ર દ્વારા સાવધાનીના યોગ્ય પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે.
 
સાઈક્લોનિક સિસ્ટમની અસર
 
થોડા દિવસ પહેલા કેરલ પાસે અરેબિયન સમુદ્રમાં સિવીઅર સાઈક્લોનિક સિસ્ટમ એક્ટીવ થઈ છે. આ સિસ્ટમ શરૂઆતમાં મજબૂત હતી પણ ધીરે ધીરે તે નબળી પડી ગઈ છે અને ગુજરાત સુધી પહોંચી છે. પરિણામે ગઈ કાલ રાત્રે ગુજરાતમાં અચાનક હવામાન બદલાઈ ગયું હતુ અને અનેક જગ્યાએ રાત્રે વરસાદ પણ પડ્યો હતો.
 

 
 
ઓખી વાવાઝોડાનો રૂટ
 
કોલંબો, કન્યાકુમારી, તિરૂવનંત્પુરમ, કોજીકોડ, કોચ્ચી, મુંબઈ, લક્ષદ્વીપ, ગુજરાત
પ્રભાવિત જિલ્લા ખડે પગે…
 
‘ઓખી’ વાવાઝોડાની સંભાવના સંદર્ભના હવામાન વિભાગના અનુમાનો અને સૂચનાઓ સંદર્ભે રાજ્ય સરકારે પ્રભાવિત જિલ્લાને જાણ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લાના કલેકટરોને સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે.
 
માછીમારોને ઘરે રહેવા સૂચના
 
જિલ્લાઓના કલેકટરશ્રીઓને વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી કોઇપણ માછીમારને માછીમારી કે અન્ય હેતુ માટે દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ દરિયાકાંઠે ન જાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. ઉતરાંત વાવાઝોડાની સંભાવનાવાળા વિસ્તારોમાં આવતી નગરપાલિકા, મહાનગરપાલિકાના સંબંધિત જવાબદાર અધિકારીઓ સાથેની ટીમો તૈયાર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.