ચૂંટણીપર્વમાં યુવાનો અને મતદાનનું મહત્ત્વ

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭
 
 
લોકશાહીનું મહાપર્વ ચૂંટણી હાથવેંતમાં છે. યુવાનો આ મહાપર્વમાં પોતાનું યોગદાન આપીને પોતાનું ભવિષ્ય નિશ્ર્ચિત કરી શકે છે.
 
આપણો મત શું કરી શકે ?
 
આપણો મત મજબૂત, ભરોસાવાળી સરકાર આપી શકે. આંતરિક અને બાહ્ય દુશ્મનોથી સુરક્ષા આપી શકે. સારું - સુલભ શિક્ષણ આપી શકે. સારા શિક્ષકો આપી શકે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા આપી શકે. મહિલા - દીકરીને સુરક્ષા આપી શકે. સ્વાસ્થ્ય-સુવિધા સુલભ કરી શકે. સસ્તા દરે વિપુલ પ્રમાણમાં વીજળી આપી શકે. સારાં રસ્તાં વાહનો, ભવનો આપી શકે. ખેડૂતોને સગવડો આપીને કૃષિ-ઉત્પાદન વધારી શકે. રોજી-રોટીની તકો વધારી શકે. પાણી, અન્ન અને રહેઠાણ આપી શકે. વૃદ્ધોને હૂંફ, સુવિધા આપી શકે. સંસ્કૃતિની રક્ષા કરી શકે. શાશ્ર્વત મૂલ્યોનું જતન કરી શકે. આ દેશમાં રહેવાનું આકર્ષણ અને ગૌરવ વધારી શકે.
 
મતદાનમાં ઉદાસીનતા - ભયસ્થાનો; સાવધાન !
 
ચૂંટણી વખતે અર્જુન-વૃત્તિથી એટલે કે ઉદાસીનતાથી સાવધાન રહેવાની જરૂર હોય છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના મતનું મૂલ્ય સમજે જ છે એવું હંમેશા બનતું હોતું નથી. અનેક કારણોસર મતદાનમાં ઢીલ અને ઉદાસીનતા જોવા મળે છે.
કેટલાક લોકો માનતા હોય છે કે -
  •  ‘હું મત આપું કે ન આપું, તેનાથી શો ફેર પડવાનો છે ?’
  •  ‘બધા પક્ષો સરખા જ હોય છે - મત આપવાનો શો અર્થ છે ?’
  •  ‘બધા ચૂંટાયા પછી ભૂલી જ જતા હોય છે ! શા માટે મત આપવા જવું ?’
  •  ‘મત આપવા જવાની ઇચ્છા તો છે - પરંતુ તે દિવસે મારે અગત્યનું કામ છે, તેથી નહીં જવાય.’
  •  ‘બહુ જ કંટાળો આવે છે’
  •  ‘મારું નામ મતદારયાદીમાં હતું જ નહીં. શું કરું ?’
  •  ‘મતદાર ઓળખપત્ર જ છેલ્લી ઘડીએ જડ્યું નહીં. શું કરું ?’
અન્ય ભયસ્થાનો
 
  • નિરક્ષરતાના પરિણામે અસંખ્ય મતદારોને સારી વ્યક્તિ કોણ છે? સારો પક્ષ કયો છે ?... જેવી બાબતોની સમજ કે વિવેક હોતાં જ નથી. તેમાંના મોટા ભાગના જે પૈસા વહેંચે તે કહે ત્યાં સિક્કો મારી આવે છે.
  • જેમની પાસે સારા-ખરાબનો વિવેક છે તેવા લોકો પણ તે વિવેકનો ઉપયોગ કર્યા વગર સગાંઓને, સગાંઓના કહેવાથી, પોતાની જાતિમાં... મત આપે છે. જેલમાં બેઠેલા પણ ચૂંટાઈને આવેલાના કિસ્સાઓ નોંધાયા છે.
  • અન્ય પ્રલોભનો અને લાલચમાં પણ મતદાન વખતે વિવેકભાન રહેતું નથી.
જાગૃતિ - એકમાત્ર ઉપાય :
 
મતદાન અંગેના અજ્ઞાન અને ખોટી સમજનો એક માત્ર ઉપાય છે - તે અંગેની જાગૃતિ.
વિઘ્નો ઘણાં છે - પરંતુ બને તેટલા પ્રયત્નોથી અને લોકજાગરણથી લોકોમાં મતના મહત્ત્વની જાગૃતિની જરૂર છે. વ્યક્તિગત ધોરણે અને સામૂહિક ધોરણે તે થઈ શકે.
પ્રત્યેકને સભાનતા થાય કે -
  • મારો મત મૂલ્યવાન છે અને હું કોઈ પણ સંજોગોમાં મતદાન જ‚ર કરીશ.
  • હું મારા મતનું મૂલ્ય સમજીને યોગ્ય ઉમેદવારને અને યોગ્ય પક્ષના ઉમેદવારને જ મત આપીશ.
  • હું બીજાને વિવેકપૂર્વકનો મત આપવા પ્રવૃત્ત કરીશ અને મદદ કરીશ.
  • હું મત આપતા પહેલાંની બધી જ પૂર્વતૈયારી કરીશ અને કરાવીશ, કારણ કે -
  •  મતદાનનું પુણ્ય તીર્થયાત્રાના પુણ્ય જેટલું જ છે.
  •  મતદાન એ પણ રાષ્ટ્રસેવાનો એક પ્રકાર જ છે.
  •  મતદાન એ શ્રેષ્ઠ દાન.
  •  મતદાન લોકશાહીને જીવંત રાખે છે.
મત આપનાર એક વર્ગ એવોય છે જે અગાઉથી બહુ વિચારતો નથી. મતદાન સમયે ઉતાવળે નિર્ણય લઈ લે છે. અથવા "કોઈને મત દેવા જેવા નથી એવો નિર્ણય છેલ્લી ઘડીએ લઈ લે. ’NOTA’ !
જવાબદારીપૂર્વક મતદાન કરવાની આપણી પવિત્ર ફરજ છે. આપણા પર કોઈનાં વાણી, વ્યક્તિત્વ, ખોટાં વચનો કે લોભામણી,
છેતરામણી બાબતોનો જરા સરખો કુપ્રભાવ ના પડે એ માટે સચેત રહીએ. આપણે પુખ્ત મતદારો છીએ. આપણા મતનું મૂલ્ય જરાય ઓછું ના આંકીએ !
યુવાનો Master Key
 

 
 
દેશના સમગ્ર ઘડતરમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો છે. ભારતની સ્વતંત્રતાની લડતમાં, નવનિર્માણના આંદોલનમાં, જે. પી. આંદોલનમાં યુવાનો મોખરે રહ્યા છે. આજના યુવાનો એ આજનું અને આવતીકાલનું ભારત છે.
 
તેથી ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્ત્વની છે... ભારતના સદ્ભાગ્યે તેમનું સંખ્યાબળ પણ મોટું છે. સુકાન તેમના હાથમાં છે.
 
યુવાનોનું જમા પાસું બહુ મોટું છે. તેઓ નિર્દોષ છે, સ્થાપિત હિતોથી મુક્ત હોય છે. આધુનિક બદલાવના પ્રવાહમાં હોય છે, સાથોસાથ ઉત્સાહી, પ્રયોગશીલ અને સાહસિક હોય છે.
 
યુવાનો જો સારી કૉલેજ, શ્રેષ્ઠ અભ્યાસક્રમ, સ્માર્ટ મોબાઈલ, આધુનિક મોટર સાયકલ, લેટેસ્ટ લેપટોપ, મેચિંગ કપડાં, સાત્ત્વિક અને સ્વાદિષ્ટ ભોજન આપતા રેસ્ટોરન્ટ, વફાદાર મિત્રોની પસંદગી કરી શકતા હોય તો ચૂંટણી વખતે સારા ઉમેદવાર કે પક્ષની પસંદગી કેમ ના કરી શકે ? કરી જ શકે. કદાચ મોટેરાંઓ કરતાં પણ સારી કરી શકે. જો તેઓ નવરાત્રિમાં દાંડિયાની રમઝટ માણી શકતા હોય તો ચૂંટણીની રમઝટ પણ તેટલા જ ઉત્સાહથી માણી શકે.
 
તેઓ કૉલેજની ચૂંટણીમાં ગુલાલના રંગે રંગાઈ શકતા હોય તો રાજ્યની કે દેશની ચૂંટણીમાં ગુલાલના રંગે રંગાવામાં તેમને શો વાંધો હોય ? આજે સમગ્ર દેશમાં જ નહીં, પણ વિશ્ર્વમાં ગુજરાત એ ગૌરવવંતુ અને પ્રતિષ્ઠાવાળું રાજ્ય છે. એ પ્રતિષ્ઠાનો વારસો યુવાનોએ જવાબદાર, પ્રમાણિક અને મહેનતુ ઉમેદવારો ચૂંટી કાઢવાના છે. અને તેમના થકી રાજ્યના સુશાસનની ગતિ ઔર વધારવાની છે.
 
યુવાનો સારી પેઠે સમજે છે કે ગુજરાત કે ભારતનો ચહેરો જો બદલવો હશે તો ચૂંટણીનો ચહેરો બદલવો પડશે. યુવાનો જ્ઞાતિ, જાતિના ભ્રમમાં નહીં ફસાય, સગાવાદમાં અંધ નહીં બને. યુવાનોને ખબર છે કે એક ખોટો મત આવનારા ભવિષ્ય માટે કેવા જોખમકારક પરિણામો લાવતો હોય છે. તેથી યુવાનો સમજીને જ મત આપશે. શ્રેષ્ઠ ઉમેદવારને પસંદ કરવામાં ગુજરાતના યુવાનો ઊણા નહીં ઊતરે અને અવસર નહીં ચૂકે તેવો વિશ્ર્વાસ છે. યુવાનો માસ્ટર કી છે, આ માસ્ટર કી થી ગુજરાતના વિકાસના દ્વાર ખુલશે.
 
યુવાનો પર દૃઢ વિશ્ર્વાસ ધરાવનાર સ્વામી વિવેકાનંદજીને ગુજરાતના યુવાનોને ઉત્તિષ્ટ જાગ્રત કદાચ મતદાન કરવા માટે જ કહી રહ્યા છે.