સેવાભાવ

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૭

એક સંત સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માગતા હતા. તેઓએ એક વિદ્યાલય ખોલ્યું. આ પાછળ તેમનો આશય હતો કે તે વિદ્યાલયમાંથી જે પણ વિદ્યાર્થી બહાર નીકળે તે સમાજના વિકાસમાં સહાયક બને. એક દિવસ તેઓએ પોતાના વિદ્યાલયમાં વાદ-વિવાદનું આયોજન કર્યું. સ્પર્ધાનો વિષય હતો ‘સેવાની સાચી ભાવના’. સ્પર્ધાના દિવસે નક્કી થયેલા સમયે તમામ વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા. સ્પર્ધા શરૂ થઈ. તમામ સ્પર્ધકોએ સેવા પર શાનદાર ભાષણ કર્યાં. એક વિદ્યાર્થીએ સેવા માટે સંસાધનોને મહત્ત્વનાં ગણાવ્યાં અને કહ્યું કે કોઈ સેવા ત્યારે જ કરી શકે જ્યારે તેની પાસે જરૂરી સંસાધનો હોય. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું સેવા માટે સંસાધન નહીં સાચી ભાવના હોવી જરી છે, પરંતુ જ્યારે પરિણામનો સમય આવ્યો ત્યારે સંતે એવા વિદ્યાર્થીની પસંદગી કરી જે વિદ્યાર્થી મંચ પર આવ્યો જ ન હતો. પરિણામે અન્ય વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવતાં કહ્યું કે તમે એવા વિદ્યાર્થીને વિજેતા જાહેર કેવી રીતે કરી શકો જે સ્પર્ધામાં આવ્યો જ નથી ? સંતે જવાબ આપ્યો, ‘સ્પર્ધા તો એક બહાનું માત્ર હતું. હકીકતમાં હું એ જાણવા માંગતો હતો કે, તમારામાંથી સેવાભાવને કોણે સૌથી વધુ આત્મસાત્ કર્યો છે. માટે જ મેં સ્પર્ધાના સ્થળના દરવાજે એક ઘાયલ બિલાડી રાખી દીધી હતી, પરંતુ તમારામાંથી કોઈએ તેના તરફ ધ્યાન ન આપ્યું. આ એક માત્ર વિદ્યાર્થી હતો, જેણે ત્યાં રોકાઈને એ બિલાડીનો ઉપચાર કર્યો અને તેને સુરક્ષિત સ્થાને મૂકી પણ આવ્યો અને તેના કારણે જ તે યોગ્ય સમયે મંચ પર આવી શક્યો નહીં. માટે સેવાભાવ આચરણ અને વર્તનમાં હોવો જોઈએ.’