અમદાવાદનું અદ્ભુત કાઈટ મ્યુઝિયમ...એક વાર તો જોવા જેવુ છે હો!

    ૧૩-જાન્યુઆરી-૨૦૧૮

 
‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્ર્વફલક પર પતંગના શોખને ઉત્સવમાં પરિવર્તિત કરી વિશ્ર્વભરમાં ફેલાયેલા પતંગરસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ-સંસ્કૃતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્તાવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્ર્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય’ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ટાગોર હોલના સાંનિધ્યમાં આવેલ સંસ્કાર કેન્દ્રમાં પતંગનું આ જોવાલાયક સંગ્રહાલય આવેલું છે. મુલાકાતીઓ અહીં સોમવાર સિવાય સવારે ૧૦થી રાત્રિના ૮ દરમિયાન ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે.
૧૯૮૫માં ભાનુ શાહ નામના પતંગપ્રેમીએ સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે પતંગ મ્યુઝિયમ બનાવવા માટે મહત્ત્વનો સહકાર આપ્યો હતો. ગુજરાતમાં આ એક માત્ર પતંગ સંગ્રહાલય છે. આ મ્યુઝિયમમાં એવા પતંગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે જે વિશ્ર્વભરમાં દુર્લભ માનવામાં આવે છે.
 

 
 
 ભારતમાં આ પ્રકારનું મ્યુઝિયમ બન્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી અને વિશ્ર્વમાં ચીનના પતંગ મ્યુઝિયમ બાદ આ મ્યુઝિયમને બીજા નંબરનું સન્માન આપવામાં આવે છે.
 
કાગળના ૪૦૦ ટુકડાઓમાંથી બનેલા પતંગનું પણ સવિશેષ આકર્ષણ મુલાકાતીઓમાં રહે છે. આ સિવાય પતંગનો ઇતિહાસ પણ રોચક રીતે મ્યુઝિયમમાં કંડારાયો છે.
 
મજાની વાત એ છે કે મ્યુઝિયમની મુલાકાત ગુજરાત કરતાં વિદેશીઓ વધુ લે છે. પ્રતિવર્ષ દેશી મુલાકાતીઓ કરતાં વિદેશી લોકોની સંખ્યા વધુ હોય છે.
 
આ મ્યુઝિયમની મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ ગણાય છે. એમાં પણ જાન્યુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલ દરમિયાન આ મ્યુઝિયમમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો નોંધાય છે.