અસફળ થયા તો શું થયું? અનેક તકો તમારી રાહ જોઇ રહી છે!

    ૧૪-નવેમ્બર-૨૦૧૮   

 
 

ખુશીનો મંત્ર

દિવાળીના દિવસો હતા. કુંભારવાડામાં ચાર દીપ એકબીજા સાથે વાતે વળગ્યા હતા. પ્રથમ દીપ બોલ્યો, હું હંમેશાથી સુંદર આકર્ષક ઘડો બનવા માંગતો હતો. પરંતુ જોને, નસીબે મને નાનુંઅમથું કોડિયું બનાવી દીધો. બીજો દીપક બોલ્યો, મારી ઇચ્છા મોટી સુંદર મૂર્તિ બનીને કોઈ અમીરના ઘરની શાન બનવાની હતી, પરંતુ હાયરે નસીબ, જોને, આ કોડિયાઓના ઢગલામાં પડ્યો છું. ત્રીજાએ નિસાસો નાખતાં કહ્યું, મને તો પહેલેથી જ પૈસાનો ખૂબ જ મોહ હતો. એટલે ઇચ્છતો હતો કે મને ગલ્લો બનાવી દે પણ આ કુંભારડાએ મને નાનુંઅમથું કોડિયું બનાવી દીધો.
 
ચોથા દીપકે તમામની વાત સાંભળી શાંતિથી કહ્યું, હવે હું તમને રહસ્યની વાત જણાવું છું. જીવનમાં સપનાં જોવાં સારી વાત છે. તેને પૂર્ણ કરવા મહેનત કરીએ એ પણ સારી વાત છે. પરંતુ દુર્ભાગ્યવશ એમાં સફળ ન થવાય તો નસીબને દોષ આપી દુ:ખી રહ્યા કરવું એ મૂર્ખામી છે. જો આપણે એક બાબતમાં અસફળ થઈ ગયા તો જીવનમાં અનેક અવસરો મળવાના જ છે. એક ગયો તો અન્ય અનેક આવવાના પણ છે. હવે જુઓ, આપણું પર્વ દિવાળી આવશે. લોકો આપણને હોંશે હોંશે ખરીદશે. આપણને મંદિરોમાં જગ્યા મળશે. ન જાણે કેટકેટલાંય ઘરોની આપણે શોભા વધારીશું.
 
માટે મિત્રો, જ્યાં પણ રહો, જેવી પરિસ્થિતિમાં રહો ત્યાં ખુશ રહેવાનું શીખી લો. દ્વેષમુક્ત બનો. ખુદ ઝળહળીને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવો. નાચો-ગાઓ અને ખુશી-ખુશી દિવાળી મનાવો.