જેના પરથી આપણી સંસદની ડિઝાઈન તૈયાર થઈ એ મંદિર ભારતમાં આવેલું છે. જુવો તસવીરકથા

    ૧૮-એપ્રિલ-૨૦૧૮

 
 
મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં એક ઐતિહાસિક મંદિર આવેલું છે જેનું નામ છે ઇકોત્તરસો મહાદેવ મંદિર. આ મંદિર ઇકંતેશ્વર મહાદેવના નામે પણ ઓળખાય છે. આ ઉપરાત અહિં ૬૪ યોગીનીદેવીની મૂર્તિ હોવાથી તેને ચોંસઠ યોગીની મંદિર પણ કહેવાય છે. આ મંદિર જોવામાં જેટલું રોચક છે એટલી જ તેની ઐતિહાસિકતા પણ રોચક છે.
 

 
 
મુરૈના જિલ્લાના મિતાવલી ગામના પઢાવલી વિસ્તારની એક ટેકરી પર આવેલ આ મંદિર હાલ હેરિટેજ સાઈડ છે અને આર્કોઓજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના હસ્તક છે. માત્ર હસ્તક છે પણ તેનું ધ્યાન અહિં ક્યારેય પડયુ નથી તેવું આ મંદિરને જોઇને લાગે છે.
 

 
 
મહત્વની વાત એ છે કે આ મંદિર તાંત્રિક અનુષ્ઠન માટે જાણીતું હતું. આ મંદિરને તાંત્રિક વિશ્વવિધ્યાલય પણ કહેવાય છે. જો કે અહિં કોઇ આચાર્ય, શિક્ષક કે વિદ્યાર્થી હાજર હોતા નથી. પણ અહિં શીખવા, જાણવા, જોવા અનેક લોકો આવે છે અને તેમાં વિદેશીઓની સંખ્યા વધું હોય છે.
 

 
 
એવું કહેવાય છે કે આ મંદિર ૧૨૦૦ વર્ષ જૂનું છે. જેને પ્રતિહાર વંશના રાજાઓએ બનાવ્યું હતું. જૂના દસ્તાવેજોમાં અનેક જ્ગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે ૧૩૨૩માં મહારાજા દેવપાલે આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં ૧૦૧ સ્તંભ છે અને ૬૪ ખંડ છે. દરેક ખંડમાં એક શિવલીંગ છે. અને સાથે દેવી યોગીનીની મૂર્તી પણ હતી. આ હતી એટલા માટે કે આ મૂર્તિઓ આજે દિલ્લીનાં સંગ્રાહલયમાં પડી છે. આ ૬૪ યોગીનીઓના કારણે જ આ મંદિરને ૬૪ યોગીની મંદિર કહેવાય છે. મંદિરનાં મુખ્ય પટાંગણમાં પણ એક મોટું શિવલીંગ છે.
 

 
 
મહત્વની વાત એ છે કે અહિં અનેકવાર વિદેશી લોકો પૂજા કરતા જોવા મળે છે. ગૂગલ દેવતાનું સાચું માનીયે તો ભારતમાં આવા ચાર જ ચોસઠ યોગીની મંદિર છે. બે ઓરિસ્સામાં તથા બે મધ્યપ્રદેશમાં.
 

 
 
સંસદભવનની ડિઝાઈન આ મંદિર પરથી તૈયાર થઈ…
 
આ મંદિર જોશો તો તમને તરત ભારતીય સંસદ યાદ આવશે. અને આવે પણ કેમ નહિ આ મંદિર એવું જ છે. આપણે પહેલા સંસદ જોઇ એટલે આ મંદિર સંસદ જેવું લાગે છે તેવું કહીએ પણ હકિકતમાં આ મંદિર પહેલા બન્યુ છે અને સંસદ આ મંદિરની ડિઝાઈન પરથી બન્યું છે. આ મંદિર ગોળાકારમા બનાવાયું છે. જેની ચારે બાજું નાના નાના દેવાલયો છે. જેમાં શિવલીંગ છે. એવું કહેવાય છે કે અંગ્રેજ આર્કિટેક સર હરબર્ટ બેકર આ મંદિરનું સ્થાપત્ય જોઇને અભિભૂત થઈ ગયા હતા અને આ મંદિરના આધારે જ તેણે ભારતની સંસદની પરિકલ્પના કરી હતી.
 

 
 
કેવી રીતે પહોંચાય આ મંદિરે?
 
ગ્વાલિયર તો જાણીતું નામ છે. બસ પહેલા તમારે ગ્વાલીયર પહોંચવાનું છે. અહિંથી આ મંદિર માત્ર ૪૦ કિમીના અંતરે છે. ગ્વાલિયરથી મુરૈના રોડ ઉપર પ્રાઈવેટ વાહનમાં જાવ વચ્ચે પઢાવલી આવે. આ પઢાવલીની એક ઊંચી ટેકરી પર આ મંદિર આવેલું છે.