વિનાયક દામોદર સાવરકર એટલે ભારત માતાની આઝાદી માટે લડનાર સ્વાતંત્ર્યવીરોમાંના અગ્રીમ હરોળનાં સ્વાતંત્ર્યવીર. હિન્દુસ્તાનની સંપૂર્ણ આઝાદીના શમણાં સાવરકર નાની ઉંમરથી જ સેવતા હતા. ક્રાંતિકારી કાર્યો માટે તેમને ડબલ જનમટીપની સજા થઈ. ‘વરં જનહિંત ધ્યેયમ્ કેવલા ન જનસ્તુતિ’ આ વીર સાવરકરના જીવનનું પ્રેરક તત્ત્વ હતુ. જિંદગીનાં અંતિમ ક્ષણ સુધી તેમણે આ તત્ત્વનું પાલન કર્યું. નિરપેક્ષ ભાવનાથી સાવરકરે તેમનું આખુયે જીવન દેશ માટે જ સમર્પિત કર્યું હતું. વીર સાવરકરનો ગુજરાત સાથે પણ સંબંધ હતો. તેમનાં પ્રેરક વિચાર અને ગુજરાત સાથેના સંબંધ વિશે વિશેષ માહિતી તેમની જન્મજયંતિ નિમિત્તે પ્રસ્તુત છે....
૧. અમદાવાદમાં ૧૯૧૧માં ૧૩મી નવેમ્બરે લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંકાયો. સાવરકરના ભાઈ નારાયણરાવ સાવરકર તેમાં પ્રવૃત્ત હતા.
૨. જે રીતે લંડનના ‘ઇન્ડિયા હાઉસ’માં ૧૮૫૭ની ૧૦મી મેનો સ્વાતંત્ર્ય સંગ્રામ દિન ઉજવાયેલો તે જ રીતે અમદાવાદમાં પણ ૧૯૨૭ની ૧૦મી મેએ વ્યાયામશાળામાં એ દિવસ ઊજવવામાં આવ્યો હતો. તેમાં રણછોડ પટેલ, રોહિત મહેતા, અશોક ઠાકોર, મંજુલાલ દેસાઈ વગેરે સામેલ થયા હતા.
૩. અમદાવાદમાં ૧૯૦૯માં વાઈસરોય પર બોમ્બ ફેંકાયો. ૧૯૩૩માં વિદેશી કાપડની દુકાનો ઉડાવી દેવા માટેની બોમ્બની સામગ્રી પકડાઈ. ૧૯૨૯માં એક દરજીને ત્યાંથી બોમ્બ પકડાયા. આ ત્રણેમાં લંડનની સાવરકર પ્રવૃત્તિ પ્રેરણા આપતી હતી.
૪. ગુજરાતી ક્રાંતિકાર નરસિંહભાઈ ઇશ્ર્વરભાઈ પટેલે ક્રાંતિસાહિત્યનો ધોધમાર પ્રચાર કરેલો. વડોદરાના કેશવરાવ દેશપાંડેના સહયોગથી નરસિંહભાઈએ બોમ્બની સામગ્રીની વિદ્યા માટેના પુસ્તકો લખ્યાં, છપાવ્યાં ને વિતરિત કર્યાં. તેમના પર સાવરકરજીના ક્રાંતિવાદની ભારે અસર હતી. ‘૧૮૫૭નો મુક્તિસંગ્રામ’ પુસ્તક માટે તેમણે જહેમત ઊઠાવેલી.
૫. વડોદરાના રાજવીનો સાવરકર અને ‘ઇન્ડિયા હાઉસ’ના ક્રાંતિકારોની સાથે સંપર્ક રહ્યો હતો. આવી જ રીતે કંથારિયાના રાજવી સરદારસિંહ રાણાએ પેરિસ જઈને સૌરાષ્ટ્રના કેટલાક રજવાડાઓની સાથે સંપર્ક રાખીને ‘ઇન્ડિયા હાઉસ’ની પ્રવૃત્તિથી વાકેફગાર રાખ્યા હતા. આમાં લાઠીના સુખ્યાત કવિ સુરસિંહજી તખ્તસિંહજી ‘કલાપી’નો પણ સમાવેશ થાય છે.
૬. સાવરકરનો માર્સેલ્સ-ભૂસકો અને જન્મટીપની સજા, બંનેએ ગુજરાતી તરુણોનાં ચિત્તમાં પ્રચંડ જોશ સર્જી દીધેલું. ઝવેરચંદ મેઘાણી અને કક્કલભાઈ કોઠારીએ સાવરકરનાં આ પરાક્રમોને અંકિત ગીતો પણ રચ્યાં. ‘મારી જન્મટીપ’નો અનુવાદ, ‘૧૮૫૭નો સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ’નો અનુવાદ અને ન. ચિ. કેળકરનાં ‘સાવરકર ચરિત’નો ગુજરાતમાં ઘણાં સમય પહેલાં જ પ્રચાર-પ્રસાર થયો હતો.
૭. ગુજરાતના સુખ્યાત સંત શ્રી મોટા પર સાવરકરનો અદ્ભુત પ્રભાવ હતો. તેમણે મૃત્યુ પૂર્વે કરેલાં વસિયતનામામાં ખાસ જણાવેલું કે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે તરણ-સ્પર્ધામાં યોજવી અને તેનું નામ ‘વીર સાવરકર તરણ-સ્પર્ધા’ રાખવું. કારણ કે એ દેશભક્ત નાયકે માર્સેલ્સના બંદરે યાદગાર તરણ દ્વારા બ્રિટિશરોને ફફડાવી નાખ્યા હતા.’ શ્રી મોટા જ્યાં સુધી જીવતા હતા ત્યા સુધી તો ‘સાવરકર તરણ સ્પર્ધા’ નામ રહ્યું પણ શ્રીમોટાનાં અવસાન પછી કોંગ્રેસ સરકારે ‘સાવરકર’ નામનો છેદ ઊડાડી દીધો !
જો કે પાછળથી ભાજપ સરકારે સાવરકરના નામની તરણ સ્પર્ધા ચાલુ રાખી છે.
આમ વીર સાવરકરનાં વિચારોએ ગુજરાતમાં પણ સ્વાતંત્ર્યની લડતમાં લડવૈયાઓનું જોશ વધારવાનું પ્રેરક કાર્ય કર્યું હતું.