ખેર, એ વિશે ફરી ક્યારેક વિગતે વાત કરીશું, પણ હાલ આ મુદ્દે ચર્ચાનું કારણ તમિલનાડુના તુથુકુડીસ્થિત વેદાન્તા જૂથના પ્લાન્ટના વિરોધમાં ગયા અઠવાડિયે થયેલા દેખાવો અને હિંસા છે. તુથુકુડીની હિંસાએ આ દેશને વધુ એક વખત તેની કેટલીક નબળાઈઓ જેવી કે, ઉદ્યોગ અને રાજકારણની સાંઠગાંઠ, રાજકારણ અને વહીવટીતંત્રના ભ્રષ્ટાચાર, આ ત્રણની સાંઠગાંઠ અને ભ્રષ્ટાચારને કારણે પર્યાવરણને થતું પારાવાર નુકસાન વગેરે તરફ ધ્યાન દોર્યું છે. ભારતની આ એવી નબળાઈઓ છે જે તેને જાપાન, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર સહિતના વિકસિત દેશોની હરોળમાં આવતાં રોકે છે.
પર્યાવરણ પ્રત્યે બેદરકાર રહેવું અથવા કુદરતની વ્યવસ્થા ખોરવાઈ જાય તેની ચિંતા ન કરવી એ ખરેખર તો અપરાધ ગણાવો જોઈએ, પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં અને વિદેશમાં વારંવાર એક બાબત ગૌરવપૂર્વક કહે છે કે, ભારતની પરંપરાગત મૂળભૂત જીવનશૈલી કુદરતની સાથે સંકલન કરીને ચાલવાની છે. પર્યાવરણ પ્રત્યેની દરકાર ભારતીયોની જીવનશૈલી સાથે જ વણાયેલી છે તેવું વડાપ્રધાન મોદી વારંવાર કહેતા હોવા છતાં હજુ ક્યાંક ક્યાંક તેનું ઉલ્લંઘન થતું હોવાનું જોવા મળે છે.
તુથુકુડીનું તેનું સૌથી જ્વલંત ઉદાહરણ છે. આ પ્લાન્ટ છેક ૯૦ના દાયકામાં ત્યાં સ્થાપાયો હતો અને ત્યારે પણ જાગૃત નાગરિકોએ તેનો વિરોધ કર્યો હતો. આ અંગે જે અહેવાલો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે વેદાન્તાના આ કોપર પ્લાન્ટને ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્ય સરકાર ફગાવી દઈ ચૂકી હતી તેમ છતાં તે સમયની તમિલનાડુ સરકારે મંજૂરી આપી હતી. સાંઠગાંઠ અને ભ્રષ્ટાચાર વિના આવું શક્ય જ નથી. પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી ત્યારથી તેની સામે વિરોધ થઈ રહ્યો છે. પરંતુ કોઈએ વાત સાંભળી નહીં. આ વખતે પણ સ્થાનિક નાગરિકો છેલ્લા એક મહિનાથી પ્લાન્ટના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા અને તે બંધ કરવાની માગણી કરી રહ્યા હતા પરંતુ સરકાર કે તંત્ર કોઈએ વાત સાંભળી નહીં.
ભારતમાં જનઆંદોલનની એક તાસીર રહી છે, કે થોડા દિવસ આવું આંદોલન ચાલે પછી તેમાં અસામાજિક તત્ત્વો ભળી જતાં હોય છે અને એવા લોકોની ચઢવણીને કારણે આંદોલન કરી રહેલા લોકો ઉશ્કેરાઈને હિંસક બની જતા હોય છે. તુથુકુડીમાં એ જ થયું. આંદોલન અને વાટાઘાટ ચાલુ હતી એ દરમિયાન કેટલાંક તત્ત્વોએ ચઢવણી કરી, જેને કારણે ઉશ્કેરાયેલા લોકોએ વહીવટીતંત્રના સ્થાનિક અધિકારીઓ તેમજ પોલીસ ઉપર હુમલો કરી દીધો અને તેના જવાબમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો, જેમાં ૧૩ નાગરિકો મૃત્યુ પામ્યા છે.
ભારતમાં આ રીતે પર્યાવરણની જાળવણી માટે અથવા કહો કે પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે જનઆંદોલન થયાં હોય તેનો ઘણો લાંબો ઇતિહાસ છે, પરંતુ આજે અહીં કેટલાક નોંધપાત્ર આંદોલનની માહિતી મેળવીએ.
ત્યાર પછી લગભગ ૩૦૦ વર્ષ પછી ૧૯૭૩માં આવું જ એક આંદોલન ઉત્તરાખંડના તેહરી-ગઢવાલ (તે સમયના ઉત્તરપ્રદેશ)માં થયું હતું. સુપ્રસિદ્ધ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા તથા ગૌરાદેવી અને સુદેશાદેવીના નેતૃત્વ હેઠળ સૂચિત ડેમના વિરોધમાં વૃક્ષોને વળગી પડીને આંદોલન શરૂ કર્યું જે આખા ભારતમાં ચીપકો આંદોલન તરીકે જાણીતું બન્યું હતું.
૧૯૮૨માં બિહારના સિંગભૂમ જિલ્લામાં જંગલ બચાવો આંદોલન પણ આવું જ એક નોંધપાત્ર આંદોલન છે. એ આંદોલન સિંગભૂમના આદિવાસીઓએ જ કર્યું હતું કેમકે તે સમયની સરકારે ત્યાંનાં કુદરતી વૃક્ષોને દૂર કરીને તેને સ્થાને સાગનાં વૃક્ષો ઉગાડવાનો નિર્ણય લીધો હતો. સાગનાં વૃક્ષોના લાકડામાંથી ઘણી ઊંચી આવક થાય એ સાચું પરંતુ તેને કારણે જે કુદરતી જંગલ હતું જે ત્યાંના આદિવાસીઓ માટે આવશ્યક હતું એ દૂર કરવાની હિલચાલ અયોગ્ય હતી જેની સામે આંદોલન શરૂ થયું હતું, જેને પગલે ત્યાં પણ સરકારે પીછેહઠ કરવી પડી હતી.
ટૂંકમાં, મૂળ મુદ્દો એ છે કે સરકાર, વહીવટીતંત્ર અને ઉદ્યોગકારો વનરાજી અને વન્ય જીવનને નફો કમાવાની ચીજ ગણતા હોય છે, પરંતુ તેને કારણે લાંબાગાળે પ્રદૂષણથી આ ધરતીને કેટલું નુકસાન થઈ શકે છે અને માનવજાત માટે કેટલું જોખમી નીવડી શકે છે તેની ચિંતા કરતા નથી. એવા સમયે સ્વાભાવિક રીતે જ કાં તો પ્રજાના પ્રતિનિધિઓએ અથવા અસરગ્રસ્ત પ્રજાએ પોતે મેદાનમાં ઊતરવું પડે છે. દેશના સ્વાસ્થ્ય માટે આ સ્થિતિ સારી નથી. વર્તમાન સમયના રાજકારણીઓ તેમજ ભાવિ પેઢીના રાજકારણીઓએ આ દિશામાં ગંભીરતાપૂર્વક વિચારવું પડશે.