બે મહિના પહેલાં અમારા સંયુક્ત પરિવાર-સ્નેહીમિત્રો સાથે આંદામાન-નિકોબાર દ્વીપસમૂહની - કહો ને સ્વરાજ-સંઘર્ષની એ મહાતીર્થ યાત્રાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હિંદ મહાસાગરમાં ભારતીય દ્વીપકલ્પના અગ્નિખૂણામાં આવેલા એ દ્વીપસમૂહોની કુલ સંખ્યા તો ૩૦૦ થવા જાય છે. પરંતુ મુખ્યત્વે આંદામાન-નિકોબાર ટાપુઓ તરીકે આપણા વિદ્યાર્થીઓને ભૂગોળમાં શીખવવામાં આવે છે. પરંતુ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજની વિજયવાહિની સૈન્ય ટુકડીઓએ જ્યારે આંદામાન-નિકોબાર ટાપુઓને કબજે કર્યા ત્યારે, નેતાજી સુભાષબાબુએ એ બંને દ્વીપ-સમૂહને ‘સ્વરાજ દ્વીપ’ અને ‘શહીદ દ્વીપ’ નામાભિધાનથી સર્વપ્રથમ ગૌરવાન્વિત કર્યા હતા ! મારું એ સૌભાગ્ય રહ્યું કે, આંદામાન-નિકોબાર વિશે, ભલે મેં પહેલાં ધોરણમાં પ્રાથમિક માહિતી મેળવેલી, પરંતુ ૧૯૬૬માં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી વેળાએ, અમારા એક શિક્ષકે વર્ગખંડમાં સમાજશાસ્ત્ર વિષય શીખવતાં, આંદામાન-નિકોબાર એ ‘સ્વરાજદ્વીપ’ - ‘શહીદદ્વીપ’ છે અને ભારતીય સ્વાતંત્ર્ય-સંગ્રામમાં અંગ્રેજોના જુલ્મી શાસન અને પરાધીનતા વિરુદ્ધના એ અપૂર્વ સંગ્રામમાં - જેને કાળા પાણીની આજીવન કેદ તરીકે નામીચી જગ્યા તરીકે ઓળખવામાં આવતી રહી છે. તેની સાથે કેવા કેવા સ્વાતંત્ર્યવીરોનું નામ સુવર્ણાક્ષરે જોડાયેલું છે ? પછી એ સ્વાતંત્ર્યવીર સાવરકર હોય કે ભાઈ પરમાનંદ, શ્રી અરવિંદના ભાઈ બારીન્દ્ર ઘોષ હોય કે, સ્વામી વિવેકાનંદજીના ભાઈ ભૂપેન્દ્ર દત્ત હોય કે પછી ખુદ વિનાયક રાવ સાવરકરજીના ભાઈ ગણેશ સાવરકર હોય. એ સહુ સ્વાતંત્ર્ય-વીરોને કારણે આજે સ્વરાજના ૭૧મા વર્ષે આપણે સ્વરાજ-શાસનની મુક્ત હવા માણી રહ્યા છીએ ! અને ખાસ કરી જ્યારે સ્વરાજના સાત દાયકા દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય-સંગ્રામને એક-બે પરિવાર આસપાસ જોડી દેવાનો કુપ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે ૧૮૫૭ની ૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૯૦૫માં સાત સાગર પાર લંડનના ઇન્ડિયા હાઉસમાં રહીને સ્વાતંત્ર્યવીર સાવરકરજીએ અંગ્રેજોએ સિપાઈઓનો બળવો કહીને તેને બદનામ કરીને, તેને નિર્દયતાથી કચડી નાખવાનો દુષ્પ્રયાસ કરેલો. તેની સામે વિશ્ર્વમંચ ઉપર ‘૧૮૫૭નો ભારતીય સ્વાતંત્ર્ય-સંગ્રામ’ એ પુસ્તક પ્રગટ કરીને, સાવરકરજીએ અંગ્રેજ કુશાસનને જબરજસ્ત લપડાક આપેલી. અંગ્રેજ હકૂમતે પ્રસ્તુત પુસ્તક ઉપર પ્રતિબંધ લાદવા છતાંય, એ પુસ્તકની નકલો સરદારસિંહજી રાણા વગેરેનાં મહા પ્રયાસો થકી, ભારતમાં ચોરી છૂપીથી પહોંચી ગયેલું ! એ પુસ્તક વાંચીને તે સમયની ભારતીય તરુણાઈએ અપૂર્વ પ્રેરણા પ્રાપ્ત કરેલી.
આ રીતે ઉપર જણાવવા પ્રમાણે આંદામાન સાથે સ્વાતંત્ર્યવીર સાવરકરની અમીટ છાપની પ્રેરક વાત અમારા સ્વદેશભક્તિથી છલકાતા શિક્ષક શ્રી હર્ષદભાઈ યાજ્ઞિક સાહેબે સર્વપ્રથમ વર્ગખંડમાં અમો વિદ્યાર્થીગણને જણાવેલી ! બસ, ત્યારથી આંદામાન-નિકોબાર ‘સ્વરાજદ્વીપ’ ‘શહીદ દ્વીપ’ મહાતીર્થની યાત્રાએ જવાનું મનોમન વિચારેલું. જેની પરિપૂર્તિ પાંચ દાયકાઓ પછી પરિપૂર્ણ થતાં થઈ તેનું ગૌરવ છે.
આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ પ્રાકૃતિક શોભામાં અદ્વિતીય છે. તો હિંદ મહાસાગરમાં ચીનની વધતી જતી દખલ જોતાં તેનું લશ્કરી વ્યૂહાત્મક મહત્ત્વ પણ અનન્ય છે ! ચેન્નઈથી બે કલાકના એર-ડિસ્ટન્સથી વિમાનમાર્ગે, આંદામાન ટાપુ ઉપર આવેલ સ્વાતંત્ર્યવીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચતાં જ એ પાવક-પ્રેરક ધરતીની માટીનો સંસ્પર્શ થતાં જ ‘ઇસ મિટ્ટી સે તિલક કરો, યહ ધરતી હૈ બલિદાન કી... વંદેમાતરમ્’ પ્રદીપજીની કાવ્યપંક્તિઓ મનોમન સ્ફુરી આવે !
આંદામાનમાં મોટા ભાગે બંગાળી પરિવારોની વસ્તી છે. જેને ઇન્દિરાજીના શાસનકાળમાં વસાવવામાં આવેલા. તેમાં મોટાભાગના હિન્દુ બંગાળીઓ છે. આ ઉપરાંત અહીંની સ્થાનિક જનજાતિઓના લોકોની વસતી પણ અહીં છે. પર્યટકો માટે નિકોબાર ટાપુ વર્જિત છે. આ ટાપુ ઉપર અગણ્યકાળથી પ્રાચીન જનજાતિ વસે છે. તેમની ભાષા-ભૂષા-સંસ્કૃતિ સચવાઈ રહે તેની સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. આ ટાપુ ઉપરના અંતરિયાળ વિસ્તારમાં તો નિર્વસ્ત્ર જનજાતિસમૂહ પણ વસે છે તેવું જાણવા મળ્યું છે.
કુટિલ અંગ્રેજોએ આંદામાનના પોર્ટબ્લેરમાં દેશભક્ત ભારતીય સ્વાતંત્ર્યવીરો માટે ‘કાળાપાણી’ માટેનું આદર્શ સ્થળ (!) શોધી કાઢ્યું ! - ભારતની મુખ્ય ભૂમિથી સેંકડો કિ.મી. દૂર આવેલા આ સ્થળે ‘સેલ્યુલર જેલ’ ઊભી કરીને, વિશ્ર્વના ઇતિહાસમાં ક્રૂરતા ત્રાસદી-છાવણીમાં આ જેલને ફેરવી નાખવામાં આવેલી. આ જેલમાં સાવરકરજી સહિતના અનેક કેદીઓને જે અસહ્ય યાતનાઓ-અમાનવીય ઉત્પીડન અને મનોવેજ્ઞાનિક ત્રાસદી આપવામાં આવેલી એ જોતાં અંગ્રેજ શાસનને વિશ્ર્વના ક્રૂરતમ કુશાસકો તરીકે ઇતિહાસમાં સ્થાન મળવું જોઈએ, કારણ કે અંગ્રેજો તેમના ઘરઆંગણે તો લોકશાહીની, નાગરિક-સ્વાતંત્ર્યની, માનવ અધિકારોની મોટી મોટી ડંફાસ મારતા રહ્યા છે, પરંતુ બ્રિટિશ શાસને તેમનાં ભારત સહિતનાં સંસ્થોનામાં જે જુલ્મ વરસાવ્યો છે, તે લોકશાહી ઇતિહાસનું કલંકિત પ્રકરણ છે !
આંદામાન-નિકોબાર દ્વીપસમૂહનાં મોટા ભાગનાં સ્થળોનાં નામો અંગ્રેજો સાથે સાંકળવામાં આવેલાં છે. અગાઉ જણાવવા પ્રમાણે આશરે નાના-મોટા ૩૦૦ ટાપુઓના આ ક્ષેત્રના પ્રત્યેક ટાપુઓનાં નામો, સેલ્યુલર જેલમાં, આ ભારતમાતાની પરાધીનતાની જંજીરો તોડવા સર્વ સ્વાર્પણ કરનાર એ મહાન સ્વાતંત્ર્યવીરોના નામોને તમામ દ્વીપો સાથે જોડવાં જોઈએ. સ્વરાજ તો ૧૯૪૭માં આપણે મેળવ્યું. પરંતુ આંદામાન-નિકોબાર ટાપુ પર જઈને, એ સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાસુમન અર્પિત કરવાનું સર્વપ્રથમ શ્રેય, સ્વરાજના ત્રણ દાયકાઓ પછી, પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈને ફાળે જાય છે ! એની નોંધ લેતાં એક તરફ અસહ્ય દર્દ અને બીજી તરફ પ્રસન્નતાનો ભાવ જાગે છે !
આંદામાનની મુલાકાત બાદ કેટલાક સૂચનો
(૧) પોર્ટબ્લેર પર આવેલ સેલ્યુલર જેલ પરિસરમાં એક અદ્યતન સંશોધન કેન્દ્ર થવું જોઈએ, જેના આધાર ઉપર, સમગ્ર સેલ્યુલર જેલનો દસ્તાવેજી ઇતિહાસ - જે દટાયેલો પડ્યો છે, તેને પુનર્જીવિત કરવો જોઈએ.
(૨) સેલ્યુલર જેલ પરિસરની કુલ સાત વીંગ અને વચ્ચેના વોચ ટાવર પરિસરમાં અનેક ઇમારતો તૂટીફૂટી હાલતમાં છે, તેનો ર્જીણોદ્વાર થવો જોઈએ.
(૩) પ્રત્યેક ઇમારતમાં, કઈ કઈ કોટડીઓમાં કયા સ્વાતંત્ર્ય-સૈનિકોને રાખવામાં આવેલા? તેનો વિગતે ઇતિહાસ આલેખતી પ્રદર્શની પણ તૈયાર થવી જોઈએ.
(૪) જેમ ઉનાળાનું વેકેશન પડતાં જ આપણે સહુ કાશ્મીર-આબુ-સીમલા-દાર્જિંલિંગ વગેરે પર્યટનસ્થળોએ જઈએ છીએ એ જ રીતે ‘આંદામાન નિકોબાર’ સ્વરાજદ્વીપ- શહીદદ્વીપની સ્વાતંત્ર્ય સંઘર્ષની મહાતીર્થ યાત્રાનું પણ મોટા પાયા ઉપર આયોજન શાળા-કૉલેજોમાં અને નાગરિક સમાજમાં થવું જોઈએ.
(૫) આપણી ઊગતી-ઊછરતી નવી પેઢીને અલભ્ય ટીવી ચેનલો-મોબાઈલ યુગની પાશ્ર્ચાત્ય વિકૃતિઓથી બચાવવા અને દેશ જનતાને ‘નિર્ભયા કાંડ’ જેવા શર્મનાક બનાવોથી બચાવવાનો સાચો, સારો અને સરળ ઉપાય છે. ‘સ્વરાજદ્વીપ-શહીદદ્વીપ’ની મહાતીર્થ યાત્રા દ્વારા ભારતીય તરુણાઈને પુન: ભારતમાતા પ્રત્યે પૂર્ણ સમર્પિત કરવાનું એક વ્યાપક અભિયાન એ માટે અનિવાર્ય છે.
અંતમાં પાંચ દાયકાઓ ઉપર વર્ગખંડમાં સાંભળેલા મારા શ્રદ્ધેય ગુરુવર્યના શબ્દોનું પુન: સ્મરણ કરતાં લખવું રહ્યું કે : ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર અંગ્રેજોની કેદમાંથી નાસી છૂટ્યા.’ જે રીતે બ્રિટનથી ભારત આવતી સ્ટીમરમાંથી ફ્રાન્સના સમુદ્રકિનારા નજીક ઘૂઘવતા દરિયામાં ઐતિહાસિક છલાંગ લગાવેલી. એ હનુમંત કૃત્ય - સ્વાતંત્ર્યની સીતાની શોધમાં સાગર ઉલ્લંઘીને લંકા પહોંચેલ હનુમાનજીની અર્વાચીન પ્રતિમૂર્તિ સમાન છે !
સ્વાતંત્ર્ય-લક્ષ્મીનો જય હો !
વંદેમાતરમ્ !