વિયેતનામના આ પિતા-પુત્રે સનાતન ધર્મને બચાવવા ઝુંબેશ આદરી છે

    ૦૮-મે-૨૦૧૮

વિયેતનામમાં એક સમયે હિન્દુ ધર્મની બોલબાલા હતી. પણ સમય સાથે ઘણાં બધાં પરિવર્તનો પણ આવ્યાં છે. કેટલુંક બચી ગયું છે, તો ઘણું બધું વિસરાઈ પણ ગયું છે.
ચંપા સમુદાય ૨૦૦૦ વર્ષના ઇતિહાસ સાથે આજે પણ ટકી રહ્યો છે. પણ હવે અહીં હિન્દુ ધર્મ નામશેષ થઈ જાય તેવો ખતરો છે. એક સમયે ચંપા ક્ષેત્ર સમૃદ્ધ હિન્દુ રાજ્ય હતું અને હિન્દુ ધર્મનો ગઢ હતો.
ચંપામાં આજેય કેટલાંક પ્રાચીન મંદિરો બચ્યાં છે, જે સાક્ષી પૂરે છે કે એક સમયે અહીં હિન્દુ ધર્મની બોલબાલા હતી. સ્થાનિક ચમ સમુદાયનું શાસન બીજી સદીથી ૧૮મી સદી સુધી ચાલ્યું હતું. ચમ સમુદાયમાં સૌથી વધુ વસ્તી હિન્દુઓની હતી. બાદમાં તેમાંથી ઘણા બધાએ બૌદ્ધ અથવા ઇસ્લામ ધર્મ અપનાવી લીધો. અહીંનો હિન્દુ સમાજ હવે સંકોચાઈને નાનો થઈ ગયો છે.
મી નિયેપ ગામ એકદમ નાનું છે અને અહીંના મુખ્ય હાઈવેથી થોડું અંદર છે. બપોરનો સમય છે અને સૂરજ માથા પર છે. એક યુવાન તેમના ઘરની બહાર કૂર્તો પહેરીને અને માથે કપડું બાંધીને ઊભો છે અને ફોન પર વાત કરી રહ્યો છે. તેમની ભાષા વિયેતનામી કરતાં થોડી જુદી છે.
આ વિસ્તારમાં વારસાગત રીતે પશુપાલન કરતા આવેલા ઇનરા જાકા અને તેમના પિતા ઇનરા સારા જે આજે પણ હિન્દુ પરંપરાને અનુસરે છે. આ પિતા-પુત્ર હિન્દુ ધર્મને બહારની દુનિયાની અસરોથી બચાવવા માગે છે, એટલું જ નહીં, ચમ સંસ્કૃતિને જીવંત રાખવા માટે તેમણે કરેલા પ્રયાસોના કારણે આ સમુદાયના ખોવાઈ ગયેલા સાહિત્ય અને કલાને તેમણે ફરીથી શોધી કાઢ્યાં છે.
ઇનરા સારી નવલકથાઓ લખે છે અને ચમ ભાષાના સારા કવિ છે. તેમણે ખૂબ મહેનત કરીને ચમ સાહિત્યના જૂના કવિઓની રચનાઓ એકઠી કરીને તેનો સંગ્રહ પ્રગટ કર્યો છે.
બાળપણમાં પોતાના સમુદાયના સુવર્ણયુગ વિશેની વાતો તેમણે સાંભળી હતી. તેમાં કેટલીક વાસ્તવિકતા હતી, કેટલીક કલ્પના હતી. તેઓ કહે છે, ‘મારા બાળપણમાં મારા શિક્ષકો અને મારા પરિવારના વડીલોએ મને દંતકથાઓ અને અમારું જીવન કેવું હતું. તે વિશે જણાવ્યું હતું.’ હું મોટો થવા લાગ્યો તેમ તેમ મારા મનમાં કલ્પના અને ઇતિહાસ બંને એકસાથે ચાલતાં રહ્યાં હતાં.’
ચમ સમુદાયના સાહિત્યને જીવંત રાખવા માટે મથી રહેલા આ પિતાનો પુત્ર હિન્દુ ધર્મને બચાવવા માટે કોશિશ કરી રહ્યા છે. પોતાના પ્રયાસોના ભાગરૂપે તેઓ ચાર વખત ભારતનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે વિશ્ર્વ હિન્દુ સંમેલનમાં પણ ભાગ લીધો હતો. ઇનરા જાકા કહે છે કે, ભારતમાંથી પ્રેરણા લઈને અહીંના લોકોને હિન્દુ ધર્મ વિશે જાણકારી આપવાની કોશિશ કરું છું. અહીંનો હિન્દુ ધર્મ ભારતથી એકદમ અલગ છે.
હિન્દુ ધર્મની કઈ પરંપરા અને રીતિ-રિવાજ હજી પણ તેમના સમાજમાં ટકી રહ્યાં છે તેવા સવાલના જવાબમાં તે કહે છે કે, અમે અમારાં માતા-પિતા અને દાદા-દાદી પાસેથી સાંભળ્યું હતું કે અમે વિશાળ શિલાઓનું લિંગ આકારના મોટા પથ્થરોનું પૂજન કરતાં હતાં. આજે પણ અમે શિવભક્ત છીએ. અમારાં મંદિરો શિવમંદિર જ છે. ચમ સમુદાયની વસતિ લગભગ ૧ લાખ ૭૦ હજાર જેટલી છે, જે ત્રણ પ્રાંતોમાં ફેલાયેલી છે. તેમાંથી હિન્દુઓની સંખ્યા એક લાખથી વધારે છે.
ચંપા ક્ષેત્રમાં ચાર જ મંદિરો બચ્યાં છે. તેમાંથી બેમાં આજે પણ પૂજા થાય છે. રામાયણ, ભગવદ્ગીતા કે મહાભારત તમે વાંચ્યા છે ખરા ? તેવા સવાલના જવાબમાં ઇનરા જાકા કહે છે, ‘અમારા સમુદાયમાં હવે આ ધાર્મિક પુસ્તકો રહ્યાં નથી.’ તમે એવું કહી શકો કે અમે તે પહેલાંથી જ ગુમાવી દીધાં છે. અમારા પૂજારીઓ પાસે પણ આ ગ્રંથો નથી. અમારા સમુદાયની નવી પેઢી હિન્દુ ધર્મની બાબતમાં ખાસ કશું જાણતી નથી.
વિયેતનામી હિન્દુઓના પૂર્વજ
એક જમાનામાં દક્ષિણ વિયેતનામના હો ચી મિન્હ જેવાં શહેરોમાં હિન્દુઓની ઘણી બધી વસતી હતી. હજી પણ આ શહેરોમાં થોડી વસતી વધી છે. કેટલાક ખૂબ જૂના રહેવાસીઓ છે, જ્યારે કેટલાંક જૂથોમાં હવે અનેક જાતિ-સમૂહોનું મિશ્રણ થયું છે. ૧૮મી સદીમાં બનેલા એક મંદિરની દેખભાળ કરનારા મુતૈય્યા અડધા ભારતીય છે, અડધા વિયેતનામી છે. તેમના પૂર્વજો તામિલનાડુથી આવીને અહીં વસ્યા હતા. અહીં જ તેમણે લગ્ન કર્યાં હતાં. તેઓ હિન્દુ ધર્મ સાથે જોડાયેલા રહ્યા હતા. મુતૈય્યા કહે છે, ‘મારા પિતાએ મને શીખવ્યું હતું કે કઈ રીતે ભગવાનની પૂજા કરવી. તેમણે મને શ્ર્લોક પણ શીખવ્યા હતા. આ મંદિર વિશે મને બધી જ ખબર છે.’ આ શહેરમાં બીજાં પણ બે મંદિરો છે, જ્યાં ભારતથી આવેલા લોકો પૂજા કરે છે. તેમાંથી ઘણા લોકોએ ચમ હિન્દુઓ વિશે સાંભળ્યું છે. ત્યાંનાં પ્રાચીન મંદિરો વિશે પણ જાણે છે. પણ તેમણે તેની મુલાકાત વધારે તો પ્રવાસીઓ તરીકે જ લીધેલી છે. ચમ સમુદાય પોતાના ધર્મ અને સંસ્કૃતિની જાળવણી કરવા માટે મથી રહ્યો છે. જો કે અહીંનાં પ્રાચીન મંદિરો હવે ખંડેર થઈ ગયાં છે. આ મંદિરો હવે પર્યટકો માટે માત્ર એક આકર્ષણ બનીને રહી ગયાં છે.