સ્મરણાંજલિ : પ. પૂ. શ્રી ગુરુજીએ શ્યામાપ્રસાદ મુખર્જીને કાશ્મીર ન જવા માટે સંદેશ મોકલ્યો હતો

    29-Jun-2018
કુલ દૃશ્યો |

 

 
 
૨૩મી જૂન, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન નિમિત્તે...
 
પ્રખર ચિંતક અને જનસંઘના સ્થાપક મા. શ્રી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ષડયંત્રનો ભોગ બની ૨૩મી જૂન, ૧૯૫૩ના દિને કાશ્મીરની ભૂમિ પર શહીદી વહોરી. તેમની અણધારી વિદાય બાદ પ. પૂ. શ્રી ગુરુજીએ ૨૬ જૂન, ૧૯૫૬ના પાંચજન્ય સાપ્તાહિકમાં તેમની સ્મૃતિમાં એક લેખ લખેલો. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિન ૨૩મી જૂન ગત અઠવાડિયે જ ગયો. તે નિમિત્તે પૂ. ગુરુજીનો એ લેખ શ્રદ્ધાંજલિ રૂપે પ્રસ્તુત છે...
 
આજથી લગભગ સોળ વર્ષ પહેલાં નાગપુરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સાથે સદ્ભાગ્યે મારી મુલાકાત થઈ હતી. ડૉ. મુખર્જીની નમ્રતા અને પોતાનાથી ભિન્ન મતને પણ સહાનુભૂતિપૂર્વક સાંભળવાની પાત્રતા વગેરે ગુણોથી હું ખૂબ જ પ્રભાવિત થયો... મે, ૧૯૪૦ની આ મુલાકાત પછી તેમની સાથે ઘણી વાર મુલાકાત થઈ અને જનજીવન સાથે સંબંધિત જુદા જુદા મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર અમારી ચર્ચા થઈ, પ્રામાણિકતાથી તેમણે અનુભવ્યું કે કોઈ પણ રાજનૈતિક પક્ષ દેશમાં રહેતા અહિંદુ વર્ગની ઉપેક્ષા તથા બહિષ્કાર કરી ન શકે. તેઓએ હિન્દુ મહાસભામાંથી રાજીનામું આપી દીધું. છતાં પણ મેં અનુભવ કર્યો કે તેમના હૃદયમાં હિન્દુ મહાસભાના પ્રેરણાસ્રોત, અડગ દેશભક્ત, સ્વાતંત્ર્યવીર બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકર પ્રત્યે અગાધ આદર છે.
 
 
મંત્રીપદનો ત્યાગ કર્યો
 
હવે અહીંથી તેમના જીવનનો અંતિમ ભાગ શરૂ થાય છે. જ્યારે આપણા જ કરોડો દેશબાંધવો પૂર્વ બંગાળમાં અવર્ણનીય, અમાનવીય અત્યાચારોથી પીડિત થયા, પોતાના ઘરમાંથી હાંકી કઢાયા અને તેમને ભારતમાં આશ્રય શોધવો પડ્યો ત્યારે તેઓએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું...
 
તે સમયે જેટલા પણ રાજકીય પક્ષો હતા તેમાંથી એક પણ તેમને પસંદ ન પડ્યો. કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવાદના માર્ગેથી ભટકીને સાંપ્રદાયિક તુષ્ટિકરણની નીતિની તરફ વળી રહ્યો હતો. તેમની દૃષ્ટિએ કોંગ્રેસ પક્ષ દેશના દુર્ભાગ્ય અને અપમાનનું કારણ બની ગયો હતો..... દેશ-વિદેશની પરિસ્થિતિ પ્રમાણે એક નવો પક્ષ સ્થાપી શકવાની કેટલી સંભાવના છે તે દૃષ્ટિથી તેમણે પોતાની ચારે બાજુ નિરીક્ષણ શરૂ કર્યું.
 
ભારતીય જનસંઘની સ્થાપના
 
એ જ દિવસોમાં એક સજ્જન, જેઓ મારા જૂના સહયોગી હતા અને દિન-પ્રતિદિન જેમની વિશેષ રુચિ રાજનૈતિક કાર્યોમાં વધી રહી હતી તેમની સાથે નજીકના સંપર્કમાં ડૉ. મુખર્જી આવ્યા. શક્ય છે કે ડૉ. મુખર્જીને એ બાબતે મારો સહયોગ અને મદદ મેળવવાની ઇચ્છા થઈ હોય. પરિણામે અમારી બંનેની ઘણી વાર મુલાકાતો થઈ અને એ વિષયમાં ચર્ચાઓ પણ થઈ. સ્વાભાવિકપણે મેં તેઓને ચેતવ્યા કે સંઘને રાજનીતિમાં ઘસેડવામાં ન આવે. સંઘ કોઈ પણ રાજકીય પક્ષનો અનુચર નહીં બને. રાષ્ટ્રના સર્વાંગી સાંસ્કૃતિક પુનર્જીવનના કાર્યમાં લાગેલું કોઈ પણ સંગઠન ત્યાં સુધી જ સફળતા પ્રાપ્ત કરી શકે છે, જ્યાં સુધી તે રાજકીય પક્ષોની દાસી બની કામ ન કરે. એ ભૂમિકા તેમને સાચી લાગી અને તેમાં તેમણે પોતાની સંમતિ પણ દર્શાવી. તેઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે નવા પક્ષે પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડશે અને તે કોઈનો ગુલામ નહીં હોય.
 
હિન્દુ રાષ્ટ્ર ઉપર દૃઢ નિષ્ઠા
 
એવી આધારભૂત માન્યતાઓ ઉપર સંઘ અને પ્રસ્તાવિત નવા પક્ષના પરસ્પરના સંબંધ નક્કી થવા ઉપરાંત પ્રસ્તાવિત પક્ષની નિષ્ઠા કયા આદર્શો પર આધારિત હોય તેનો વિચાર પણ કરવાનો હોય. સંઘનું તો એક નિશ્ર્ચિત લક્ષ્ય અને કાર્યપદ્ધતિ છે. માટે જો આ સંગઠનના કોઈ સ્વયંસેવકનો સહયોગ જોઈતો હશે તો તે ત્યારે જ મળશે જ્યારે એમ લાગશે કે આદર્શવાદના આધાર પર પક્ષની અલગ જ રાજનૈતિક પ્રતિમા છે.
 
તેમના દ્વારા એક પત્રકાર પરિષદમાં અપાયેલું વક્તવ્ય કે હિન્દુરાષ્ટ્ર પર નિષ્ઠા રાખવાને કારણે હિન્દુ મહાસભા સાંપ્રદાયિક છે, તરફ તેમનું ધ્યાન દોરતાં મેં કહ્યું કે, ‘સંઘ પણ હિન્દુ મહાસભાથી વધારે નહીં તો પણ તેના જેટલો જ વિશ્ર્વાસ ધરાવે છે કે ભારતીય રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર છે, તો શું તેઓ સંઘને પણ પોતાનાથી દૂર રાખવા ઇચ્છશે ? એવા સંજોગોમાં ન તો મારી સહાનુભૂતિની અપેક્ષા રાખી શકશે કે ન તો મારા સહયોગીઓના સહયોગની, જેઓ હિન્દુરાષ્ટ્ર માટે દૃઢ નિષ્ઠા ધરાવનાર અને તેને માટે કામ કરનારા છે.’
 
હિન્દુ રાષ્ટ્રની પરિભાષા
 
તેઓએ સ્વીકાર્યું કે આ ટિપ્પણી તેમણે અસાવધપણે કરી હતી. તેઓએ હિન્દુરાષ્ટ્રના આદર્શ સાથે સંપૂર્ણ સહમતી દર્શાવતાં જણાવ્યું, આપણા બંધારણ દ્વારા ભારતીય રાષ્ટ્રીયતાનું યોગ્ય આકલન અને પ્રતિપાદન નથી થયું. તેઓએ એનો પણ સ્વીકાર કર્યો કે હિન્દુ રાષ્ટ્રને તેનું પૂર્વ ગૌરવ પ્રાપ્ત કરાવી આપવાનું લક્ષ્ય આધુનિક જનતાંત્રિક રાજ્યની સંકલ્પનાનું વિરોધી નથી, કારણ કે હિન્દુ રાષ્ટ્ર દેશના બધા જ લોકોને પૂર્ણ નાગરિક સ્વતંત્રતા અને રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનું એકસરખું આશ્ર્વાસન આપે છે. તે એવું આશ્ર્વાસન અહિન્દુ સંપ્રદાયોને પણ આપે છે, શરત એ છે કે તે રાષ્ટ્રદ્રોહી કામ ન કરે. ષડયંત્ર દ્વારા રાષ્ટ્રને તેના સર્વોચ્ચ ગૌરવના અધિષ્ઠાનથી હટાવવાની તથા માત્ર સત્તા પચાવી પાડવાની આકાંક્ષા ન રાખે. તેઓએ પોતાના નવા રાજકીય પક્ષના ઉદ્દેશો અને નીતિઓમાં એ તથ્ય સ્પષ્ટ કરવાની ઉત્કટ ઇચ્છા દર્શાવી હતી.
 
જ્યારે આમાં સહમત થયા ત્યારે મેં આપણા નિષ્ઠાવાન અને કસોટીમાં પાર ઊતરેલા સહયોગીઓને પસંદ કર્યા, જેઓ નિ:સ્વાર્થી અને દૃઢનિશ્ર્ચયી હતા તથા નવા પક્ષનો ભાર પોતાને ખભે લઈ શકે એમ હતા. તેમનામાં વિસ્તૃત નક્કર પાયા પર નવા રાજકીય પક્ષને અખિલ ભારતીય પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા મેળવી આપવાની યોગ્યતા હતી. આ પ્રમાણે ડૉ. મુખર્જી ભારતીય જનસંઘની સ્થાપનાના રૂપમાં પોતાની આકાંક્ષા પૂરી કરી શક્યા.
 
સંઘ-જનસંઘ સંબંધ
 
ડૉ. મુખર્જીને ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓનો સમૂહ સોંપ્યા બાદ આપણી પોતાની નિષ્ઠા મુજબ મેં મને પોતાને જનસંઘની આગળની ગતિવિધિઓથી સંપૂર્ણપણે દૂર રાખ્યો અને સંઘ દ્વારા આપણા હિન્દુઓને સંગઠિત કરવાના સાંસ્કૃતિક દૈનિક કાર્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું તેમ છતાં પ્રસંગોપાત્ત અમે બંને જ્યારે પણ મળતા ત્યારે તેઓ જનસંઘની પ્રગતિ અને તેના આગામી કાર્યક્રમ અથવા આંદોલનની માહિતી આપતા હતા. હું પણ સંઘકાર્યમાં તેમની મદદ અને સહયોગ લેતો હતો અને તેઓ પણ જ્યાં જરૂર લાગે ત્યાં અમારા કાર્યકર્તાઓને ખુલ્લેઆમ સંપૂર્ણ સહયોગ આપતા હતા.
 
તેમને જ કારણે કાશ્મીર સંપૂર્ણ નહીં તો પણ જે આપણી તરફ છે તે ભાગ આપણી માતૃભૂમિમાં જ રહી શક્યો અને જનસંઘને અક્ષય કીર્તિ પ્રાપ્ત થઈ.
 
જાહેરક્ષેત્રમાં નજીક આવનારાઓમાં માત્ર ઔપચારિક મિત્રતા રહે છે, પરંતુ અમે બંને ઔપચારિકતા પાર કરી દિન-પ્રતિદિન સ્નેહના બંધનમાં દૃઢપણે બંધાતા ગયા. અમે અમારા પોતપોતાના સંગઠન અને કાર્યક્ષેત્રની દૃષ્ટિથી મહત્ત્વપૂર્ણ પગલાં પરસ્પરના વિચાર-વિનિમય વગર લેતા ન હતા. એમ કરતી વખતે અમે એ બાબતનો પણ ખ્યાલ રાખતા હતા કે એકબીજાના કામમાં હસ્તક્ષેપ ન થાય, બંને સંગઠનોના પરસ્પર સંબંધના વિષયમાં ભ્રમ ઉત્પન્ન ન થાય તથા એકબીજા પર માત કરવાનો પ્રયત્ન ન થાય.
ફક્ત એક જ વાર એક નજીકના મિત્રને નાતે મારી સાથે વિચારવિમર્શ કર્યા વગર પોતાના સ્વયંના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો. દુર્ભાગ્યે તે એમને માટે પ્રાણઘાતક સાબિત થયો.
ન જાણે કેમ મને તે સમયે આશંકા થઈ કે ડૉ. મુખર્જી ત્યાં ન જાય. જો તેઓ જશે તો પાછા નહીં આવે. તેઓ ત્યાં ન જાય તેવો સંદેશ પહોંચાડવાનો પણ મેં પ્રયાસ કર્યો. પરંતુ વિધિનું વિધાન કંઈક જુદું જ હતું. પરિણામ એ આવ્યું કે મારો એક આધાર ચાલ્યો ગયો અને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના ‚પમાં ભવિષ્યની જે મહાન આકાંક્ષાઓ સાકાર થઈ રહી હતી તે ભાંગીને ભૂકો થઈ ગઈ.
પ્રખર વિરોધ વચ્ચે એક નવો પક્ષ રચવો કોઈ સરળ કામ નથી. અજ્ઞાનીઓએ મજાક ઉડાવી, દુષ્ટોએ તમામ પ્રકારના આક્ષેપો કર્યા તેમ છતાં તે દિવ્યાત્મા મહામાનવ નિંદાસ્તુતિની અવહેલના કરતા રહી પોતાના ખભા ઉપર નવા પક્ષની ધજા લઈને ઉત્તરોત્તર વિજય અને લોકપ્રિયતા તરફ દૃઢતાથી વધતા ગયા. હવે આપણે જોઈએ છીએ કે જનસંઘ અનેક મુશ્કેલીઓ હોવા છતાં દૃઢતાથી આગળ વધતો રહ્યો છે.
ડૉ. મુખર્જીના આકર્ષક પ્રભાવશાળી વ્યક્તિત્વ, નેતૃત્વના ગુણ, દેશની રાજકીય સમસ્યાઓને સંતુલિત, શાંત ચિત્તથી સમજવાની વિરલ અંતદૃષ્ટિને કારણે ભ્રાતૃભાવ, એક ધ્યેય અને એક પક્ષના સૂત્રમાં બંધાયેલા સેંકડો કાર્યકર્તાઓ કામ કરવા માટે આગળ વધ્યા. હવે તેને સાકાર કરવાનું કામ તેમની પાછળ જે અનુયાયીઓ રહી ગયા છે તેમનું છે.
તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા. તેમનો અભાવ મને ખૂબ જ દુ:ખદ લાગે છે મને પોતાને સાંત્વન આપવા માટે અતિ આદરણીય અને પ્રિય મહાન મિત્રના સંબંધમાં મેં કેટલાંક સંસ્મરણો લખ્યાં છે. તેમનું શરીર હવે રહ્યું નથી, પરંતુ તેમની કીર્તિ કાળજયી છે.