આસ્તિકતા એ અસ્તિત્વનો અર્ક છે, અસ્તિત્વના અંતરતમ સ્તર પર લહેરાતા કો’ક સુગંધી વમળવલયનું પુષ્પ છે, એ સ્થૂળ દેહે ક્યાંક ભક્તિ કે જ્ઞાનના પ્રગટ પુરુષાર્થોમાં દેખાય છે. આસ્તિકતા એ વિચારપીઠિકા તો છે જ, પણ એ અંતતોગત્વા મનુષ્યની ઊર્ધ્વગામી અવસ્થા પણ છે. એટલે આસ્તિકતા એ સમજવાના વિષય કરતાં જીવવાની અવસ્થા વધુ છે. આસ્તિકતા મનુષ્યને એના જીવનના બોજ અને સંઘર્ષોમાંથી હળવાશ આપે છે. જીવન અને જગતનો અર્થ સમજાતાં બન્નેના સંબંધો વિશે આનંદદાયક સ્પષ્ટતાઓ પ્રાપ્ત થાય છે, પરિણામે કર્મ, ભક્તિ કે જ્ઞાન - એમ કોઈ પણ માર્ગ સ્વીકાર્યો હોય તેના સુંદર ઊર્ધ્વગમનની પ્રતીતિ થવા માંડે છે.
સામે પક્ષે લોકો ભૂલથી વિજ્ઞાનની પ્રગતિ થવાથી એક પ્રકારની માન્યતામાં આવી જાય છે કે ‘આ જગતમાં હવે ઈશ્ર્વરની જરૂર નથી.’ નિત્સેએ ‘ઈશ્ર્વરનું મૃત્યુ થયું છે.’ એવું જાહેર કરીને બળવો પોકારેલો કે બટર્રાન્ડ રસેલ જેવાઓને નાસ્તિકતાની વકીલાત કરવી પડેલી તેને સહેજ ધીરજથી તપાસવા જેવો વિષય છે. વિજ્ઞાન આસ્તિકતા કે ઈશ્ર્વરના અસ્તિત્ત્વની વિરુદ્ધ છે તેવી અભણ દલીલના વાદળ પણ અહીંતહીં દેખાય છે...
પણ મને વિસ્મયમાં મઝા આવે છે, આસ્તિકતા આપણને એ વિસ્મયતા આંજી આપે છે. એક નાનકડા નાટકનો નિર્માતા પણ નેપથ્યમાં સંતાઈ જાય છે, તો આ જગતના નિર્માતાને શોધવાની મથામણ પોતે જ એક સંતર્પક પ્રક્રિયા છે, એક મસ્તીભરી સ્થિતિ છે. જો કે આની સામે દલીલ તો એવી થાય છે કે આ જગતને નિર્માતાની જ ક્યાં જર છે ? પૉલ ડાયસન નામના આંતરરાષ્ટ્રીય વિદ્વાને સરસ અભ્યાસ કરીને જણાવ્યું છે કે જગતનાં તત્ત્વદર્શનોએ છ પ્રકારની થિયરી ઊભી કરી છે. એક, આત્મા સત્ય છે અને જગત મિથ્યા છે તેવો ‘આદર્શવાદ’, બે, ‘આત્મા જ વિશ્ર્વ છે તેવો ‘સર્વદેવવાદ’. ત્રણ, ઈશ્ર્વર કારણ છે અને વિશ્ર્વ કાર્ય છે તેવો ‘સૃષ્ટિવિજ્ઞાનવાદ’. ચાર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્ર્વર જગતનું પાલન અને સંહાર કરે છે તેવો ‘ઈશ્ર્વરવાદ’. પ્રકૃતિ જ વિશ્ર્વનું સર્જન અને સંહાર કરે છે તેથી ઈશ્ર્વર બિનજરૂરી છે તેવો ‘નિરીશ્ર્વરવાદ’. છ, ઈશ્ર્વરને એક પુરુષવિશેષ માનીને તેની પૂજા-અર્ચના કરવી તેવો ‘દેવવાદ’. આ વાદ અને વિવાદની તો મોટી ચર્ચાસભાઓ યોજી જ શકાય પણ મારું કલમકર્મ તો પે’લા વિસ્મયને જાળવી રાખવાનું છે, મને વિહ્વળ કરી મૂકતી પરિસ્થિતિમાં અચાનક કો’ક એવી ભણક આવે છે એ ભણકનો સ્પર્શ મારી મૂડી છે, એ અણસાર મારા ગીતનું ગર્ભકાવ્ય છે, કોઈ મોટા ભક્તની અદા નથી, પણ મંજુલ ધ્વનિએ વાગતી કોઈ ઘંટડી છેક અંદર સુધી અજવાળું ફેલાવે તેવી કંપનશીલતા ધરાવતા કાનની માલિકીનો આનંદ છે. સવારે ઝાકળ જોઈને રોકાઈ જાય તેવા પગ છે, સવારની રૂપેરી અજવાળાનું ગાડું આવે ત્યારે શામળિયો આવ્યો એવી નરસિંહભીની ભાવપ્રવાહિતા અનુભવી શકાય છે, બપોરના તડકામાં કોઈ મજૂર પરિવારની ઝાડ નીચે સાચવી રાખેલી ઊંઘની ઝેરોક્ષ જેવી અનુભૂતિને અકબંધ રાખવા માટે મારી આસ્તિકતાને સતેજ રાખી છે. કો’ક સાંજે નાનાં બાળકો સાથે નાચી ઊઠવાની સહજતા અને સરળતા જ સાચી મિલકત છે તેવી માન્યતા આજે પણ અકબંધ છે. શિયાળાની રાતે બરફના ચોસલા જેવી ચાંદનીને જોવા બે મિનિટ પણ રોકાઈને મ્લાન ચંદ્ર સાથે વાત કરી લેવાની કોમળ-ઉષ્મા મારા શિયાળાની યાદગાર ક્ષણો હોય છે. બિલકુલ થાકેલા હોઈએ અને કોઈ ઇન્ટરનેટના લેખમાં રોકાઈ જવું પડે ત્યારે નવા યુગના ગ્લોબલ ગેઝેટ જેવી આંખોમાં એક નવયૌવનના આહ્લાદને જાળવવો અને ઉછેરવો તે મારી આસ્તિકતાની ઓળખ છે. હું અહોભાવથી ભરાઈ જાઉં છું ત્યારે પ્રાર્થનાના આર્દ્ર સ્વરોમાં ડૂબી જવાનું પસંદ કરું છું, મને લાગે છે કવિતાનું સરનામું કો’ક આવી ક્ષણોની આસપાસ હોય છે.