રોહિંગ્યા ચાર સદીથી મ્યાનમાર(બર્મા)માં ગુલામ તરીકે વસેલા છે. હાલ વસ્તી માત્ર ૪.૫%, છતાંય ગરીબાઈ, નિરક્ષરતા, નશીલી દવાઓનો વ્યાપાર, નાગરિક અધિકારો મેળવવામાં ય નિષ્ફળ પ્રજા, ભલે બધા સરખા ન હોય, પરંતુ એ જ મજહબ, પ્રકૃતિ, વાતાવરણમાં ઉછરેલ સમાજ અંતે ઓછાવત્તા અંશે એક જ રાહ પર ચાલે. ૨૦૧૨માં તેમાંના કેટલાક દ્વારા બૌદ્ધ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર, ‘હરાકા અલ યાકિન’ નામના આતંકવાદી સંગઠનની સ્થાપના, રખાઈન પ્રાંતમાં પોલીસ ચોકી પર તેમના દ્વારા હુમલો, જેમાં પોલીસ તથા સૈનિકો માર્યા ગયા. આવી અનેક ઘટનાઓ વર્ષ-પ્રતિવર્ષ અને છાશવારે બનતાં મ્યાનમારમાં તેમના પર કડક લશ્કરી કાર્યવાહી થતાં, લાગ જોઈને ભાગેલા રોહિંગ્યા, ૮૦ હજારથી વધુ બાંગ્લાદેશમાં શરણાર્થી છે. ભારતમાં ગેરકાયદેસર, આસામ, પશ્ર્ચિમ બંગાળ વિગેરે રાજ્યોમાં ઘૂસી ગયેલાઓની સંખ્યા પણ આશ્ર્ચર્યજનક ૪૦ હજાર જેટલી છે.
ભારતની સુરક્ષા સંસ્થાઓના મતે તેમાંના કેટલાક પાકિસ્તાનની આઈ.એસ., આઈ.એસ.આઈ.એસ. સંસ્થા સાથે સંબંધ ધરાવે છે, તો કેટલાક જમ્મુ - કાશ્મીર, હૈદરાબાદ તથા મેવાત(હરિયાણા)ના શંકાસ્પદ લોકો સાથે સંપર્કમાં છે. મ્યાનમારમાં અલગ દેશ માટે પ્રવૃત્તિ ચલાવતા આ લોકો અંગે સહાનુભૂતિ અને તેમના ‘અઠે મક્કા’ના ઈરાદાઓય ત્યારે સ્પષ્ટ થાય જ્યારે ભારતના જમિયત ઉલેમા, જમાતે ઈસ્લામી, ઑલ ઈન્ડિયા મુશાઈલ બૉર્ડ જેવા સંગઠનો તેમને ભારતમાં રાખવા આગ્રહ, દબાણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અંતર્ગત દલીલબાજી શરૂ કરે, અલબત્ત તે કાયદાઓ પર ભારતની કોઈ સહમતી ન હોય. કદાચ તે સહમતી હોય તો પણ ભારતે પોતાની સુરક્ષા નેવે મૂકીને કોઈને શરણાર્થી સ્વીકારવાના હોય ?
સીરિયામાંથી ભાગેલ મુસ્લિમોને કોઈ મુસ્લિમ દેશે સ્વિકાર્યા નથી. જર્મની, ફ્રાન્સ જેવાએ તેમને છાવણીઓ ઊભી કરી આપી તો ત્યાંના નાગરિકોને બૉંબ ધડાકામાં મરવું પડ્યું. અમેરિકા સહિતના અન્ય દેશોએ પાંચ વર્ષની મુદતે, છાશ ફૂંકી ફૂંકીને પીશું તેમ કહી ઓછામાં ઓછા લોકો, અનેક જાતની ચકાસણી પછી જ સ્વીકારાશે તેવી રજૂઆતો યુનોમાં કરી.
રાજકારણને ભલે "આર્ટ ઑફ ધ પૉસિબલ કહેવાતું હોય. મમતા દીદી ક્યારેય મમતાબીબી કહેવડાવવાનું તો પસંદ નહીં જ કરે ને ? ભારતે હજુ ગેરકાયદે ઘૂસેલ કરોડો બાંગ્લાદેશીઓને પાછા મોકલવાના છે. આસામ તથા અન્ય રાજ્યોમાં તેની કાર્યવાહી ચાલુ જ છે. બે-પાંચ વર્ષ, અનૈતિક મતો મેળવી શાસન કરવાના અભરખા અને આવેશમાં, ઘૂસણખોરોને શરણાર્થી અને પછી મતદાર બનાવાય ખરા? એ જ જોરે ચૂંટણીઓ જીતવાનું નામ માનવતાવાદી વિચારધારા કહેવાય ? બાંગ્લાદેશમાં ફૂડ પૅકેટ્સ મોકલી બાળકો - મહિલાઓ શરણાર્થીઓ માટે ભારત સરકાર શું ઓછું કરી રહી છે ? મોહમ્મદ સલીમુલ્લાહ તથા મોહમ્મદ શકિર જે દિલ્હીના કૅમ્પમાં ? રહે છે અને પ્રશાંત ભૂષણ તેમના વકીલ બન્યા છે ! જો માનવ અધિકારોનું ઉલ્લંઘન આવા કાયદાઓની પૂરતી સમજ હોય તો રોહિંગ્યાઓની મ્યાનમાર પ્રત્યેની ફરજ અને વર્તણુંક અંગેની કેટલી સમજ છે ?