નોબેલ પારિતોષિક વિજેતા અંગ્રેજ લેખક જ્યોર્જ ઓર્વેલ ‘એનિમલ ફાર્મ’ નામની નવલકથાને કારણે વિશ્ર્વપ્રસિદ્ધ થયા હતા. આ રૂપક કથામાં એક વાડીમાં રહેતાં પશુઓની વાત છે. પશુઓના પાત્ર દ્વારા તત્કાલીન સોવિએટ સંઘ (USSR)- રશિયામાં સામ્યવાદી શાસકો દ્વારા ચલાવાતી હિંસા-દમન-શોષણની કથા પ્રસ્તુત થઈ છે. નેપોલિયન નામનું ભૂંડ રશિયન તાનાશાહ ક્રુશ્ર્ચેવ કે સ્ટેલિનની ભૂમિકા ભજવે છે. નેપોલિયન તેના વિરોધીઓની રહસ્યમય રીતે હત્યા કરાવીને વાડીનાં પશુઓને સતત આતંક અને ભયના વાતાવરણમાં રાખતો હોય છે. બોક્સર નામનો અશ્ર્વ નેપોલિયનનો પડ્યો બોલ ઝીલીને ગધ્ધાવૈતરું કરતો હોય છે ! પોતાના આવા અતિ વિશ્ર્વાસુ અનુયાયીની પણ નેપોલિયન ક્રૂર હત્યા કરાવે છે. ભારતમાં નક્સલવાદના પ્રણેતા ગણી શકાય તેવા કનુ સાન્યાલના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા જીવનચરિત્રને વાંચતાં આપણને પ્રતીતિ થાય છે કે સામ્યવાદી પરંપરામાં ‘બોક્સર’નું પાત્ર એ સનાતન સત્ય છે. અત્યંત કષ્ટજનક સ્થિતિમાં મૃત્યુ પામનારા આ નક્સલવાદ-સામ્યવાદના પ્રખર અનુયાયી કનુ સાન્યાલે તેમના જીવનકાળમાં હિંસક સામ્યવાદી માંધાતાઓ માટે ‘બોક્સર’-અશ્ર્વની જ ભૂમિકા ભજવી હતી.
સામ્યવાદના કટ્ટર વિરોધી હતા : કનુ સાન્યાલ
પત્રકાર બપ્પાદિત્ય પોલ દ્વારા લિખિત ‘પહલા નક્સલી કનુ સાન્યાલ કી અધિકૃત જીવની’ પુસ્તકમાં કનુ સાન્યાલે પોતે જ સામ્યવાદી-નક્સલી પંથ વિશે અનેક ઘટસ્ફોટ કર્યા છે. લેખક સાથે થયેલા શ્રેણીબદ્ધ સંવાદોમાં કનુ સાન્યાલે કરેલા ઘટસ્ફોટથી કટ્ટર સામ્યવાદીઓ પણ ચકરાવે ચઢ્યા છે.
સૌને આશ્ર્ચર્ય પમાડે તેવો ઘટસ્ફોટ એ છે કે તે પોતે યુવાવસ્થામાં તો સામ્યવાદના પ્રખર વિરોધી હતા. જ્યારે ‘સામ્યવાદી’ ગણાવાની આંધળી ઘેલછા વ્યાપી હતી ત્યારે યુવા સાન્યાલ સામ્યવાદીઓનો તીવ્ર વિરોધ એટલા માટે કરતા હતા કે એ ગેંગ નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે અત્યંત ઘસાતું બોલતી હતી. (ઉલ્લેખનીય છે કે સામ્યવાદીઓ નેતાજીને જાપાનના શાસકોના ‘પાળેલા કૂતરા/ગધેડા’ જેવા શબ્દપ્રયોગ કરવામાં, તેવા વ્યંગ્યચિત્રો પ્રસિદ્ધ કરવામાં ગર્વ અનુભવતા હતા.) પરંતુ રહસ્યમય રીતે આ જ કનુ સ્વાતંત્ર્ય પછી એ જ સામ્યવાદીઓના કટ્ટર સમર્થક બની ગયા હતા ! આ અંગે તેઓ કહે છે કે સ્વતંત્ર ભારતમાં સામ્યવાદી પક્ષ ઉપર પ્રતિબંધ મુકાયો તેના વિરોધમાં તે કોંગ્રેસ વિરોધી અને સામ્યવાદના સમર્થક બની ગયા! તેમનો આ ઘટસ્ફોટ ગળે ઊતરે તેવો એટલા માટે નથી લાગતો કે જે 'Right to Protest'ના સુત્રને કારણે તેઓ કટ્ટર સામ્યવાદી બન્યા તે સૂત્રને કારણે જ સામ્યવાદીઓએ તેમનો ભોગ લીધો હતો!
સામ્યવાદીઓએ ભારત પ્રશાસન સામે જ સશસ્ત્ર હિંસાચાર આરંભ્યો હતો તેના કારણે તેના ઉપર પ્રતિબંધ મુકાયો હતો એ તો ઐતિહાસિક સત્ય છે. કનુ સાન્યાલ પણ દેશ સામેની સશસ્ત્ર હિંસામાં સહભાગી બન્યા હતા. સામ્યવાદી હિંસાનું એક માત્ર કારણ એ હતું કે ૧૯૪૭માં મળેલી સ્વતંત્રતા તેમને સ્વીકાર્ય ન હતી. આથી હિંસાચારના માર્ગથી તેઓ ભારતને સાચી સ્વતંત્રતા અપાવવા માંગતા હતા. આવું પવિત્ર કાર્ય કરવા માટે ગૃહમંત્રી સરદાર પટેલે એ પક્ષ ઉપર પ્રતિબંધ લાદ્યો અને હિંસક સામ્યવાદીઓને કારાવાસમાં ધકેલી દીધા ત્યારે એ હિંસાનો અંત આવ્યો હતો. સરદાર પટેલના આ પગલાનો પ્રબળ વિરોધ કોણે કર્યો હશે તે કહેવાની ક્યાં આવશ્યકતા છે ? પરંતુ લોહપુરુષના આવા લોખંડી પગલાં સામે એ નેતા કબૂતર ઉડાડ્યા વિના બીજું કશું જ કરી શકે તેમ ન હતા !
સામ્યવાદના પ્રત્યે નહે સરકારનું કુણુ વલણ
૧૯૪૮માં પં. નહેરુની સરકારે રા. સ્વ. સંઘ ઉપર થોપી બેસાડેલો પ્રતિબંધ દૂર થયા પછી શ્રીમતી એડવિના માઉન્ટબેટને પં. નહેરુને એક પત્રમાં પૂછ્યું હતું કે ‘જ્યારે તમારી સરકારે રા. સ્વ. સંઘના હજારો કાર્યકર્તાઓને કારાવાસમાંથી મુક્ત કર્યા છે તો પેલા સામ્યવાદીઓ કેમ હજી અંદર સબડે છે?’ આ પત્રના ઉત્તરમાં પંડિત નહેરુએ સ્પષ્ટ કર્યું હતું કે ‘એ બધા સામ્યવાદીઓ મારા શાસન સામે જ સશસ્ત્ર હિંસા આચરી રહ્યા છે, સર્વત્ર વિનાશ વેરી રહ્યા છે, કહોને કે તેઓ દેશની સામે જ યુદ્ધે ચઢ્યા છે !!’ (પં. નહેરુના આ આશ્ર્ચર્યજનક શબ્દોને તેમના ‘ખુરશીમોહ’ સાથે સાંકળવા નહીં.)
સામ્યવાદી હિંસાચારમાં સહભાગી થઈને સાન્યાલ એ પાઠ શીખ્યા કે તેમ 'Right to Protest'ના બંધારણીય સૂત્રને અનુસરીને ગમે તેવી હિંસા કરો તો પણ સરકારે તમારી વિરુદ્ધમાં કોઈ જ પગલાં ભરવાં ન જોઈએ. એટલે કે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એટલે જ હિંસાચાર એ તેમના જીવનનો ધ્યેયમંત્ર બની ગયો. પ્રધાનમંત્રી પં. નહેરુએ શ્રીમતી એડવિનાને લખેલા અન્ય એક પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, તેમને ‘સામ્યવાદીઓ પ્રત્યે કૂણી લાગણી છે.’ જો કે આપણું સદ્ભાગ્ય હતું કે લોહપુરુષ સરદાર પટેલ જીવિત હતા ત્યાં સુધી પં. નહેરુની એ કૂણી લાગણી પત્રોમાં જ ધરબાઈ રહી હતી ! ડિસેમ્બર ૧૯૫૦માં દીર્ઘદ્રષ્ટા પટેલની ચિર વિદાય પછી ગણતરીના જ દિવસોમાં પં. નહેરુની કૂણી લાગણી જાહેરમાં પ્રગટ થઈ હતી અને બધા જ હિંસાચારી સામ્યવાદીઓ કારાવાસમાંથી બહાર આવ્યા હતા અને પં. નહેરુની કૂણી લાગણીને કારણે જ દેશના વિવિધ ભાગોમાં સામ્યવાદી આતંક ફૂલ્યોફાલ્યો હતો જે આજે દેશના ૧૫થી પણ વધુ રાજ્યમાં નક્સલવાદી આતંક બનીને પ્રસરી ચૂક્યો છે. (કોંગ્રેસે લોહપુરુષ સરદાર પટેલની કરેલી અવગણનાને પં. નહેરુની ‘કૂણી લાગણી’ સાથે જોડવી નહીં !)
હિંસાને જ વિરોધ કરવાના સાધન તરીકે સ્વીકારીને ચાલનારા કનુ સાન્યાલ માટે ચીનના દમનકારી શાસક માઓત્સે તુંગ શ્રેષ્ઠ આદર્શ હતા. પં. નહેરુ અને માઓ વચ્ચેના નક્સલી આતંકના અનેક અપરાધોમાં દોષિત એવા કનુ સંન્યાલને શ્રીમતી ગાંધીની સરકારે ૧૯૭૯માં કારાવાસમાંથી મુક્ત કર્યા હતા ! આ ઘટનાથી એવું ફલિત કરવાનો પ્રયત્ન ન કરવો કે કોંગ્રેસ હિંસાચારને પ્રોત્સાહન આપે છે ! સામ્યવાદી હિંસાને જે ઘટનાથી નક્સલવાદ એ કુખ્યાત નામ મળ્યું. તે પં. બંગાળની નક્સલબારી કત્લેઆમમાં કનુ સાન્યાલની મુખ્ય ભૂમિકા હતી તે ભૂલવું ન જોઈએ. કનુ સાન્યાલે આ બધાં જ તથ્યો લેખક બપ્પાદિત્ય સમક્ષ કર્યા છે !
ચીની સરમુખત્યાર માઓ તથા તેની વિચારધારા (?)ને જ સર્વસ્વ માનનારા કનુ તથા તેની નક્સલી ગેંગને લોકતંત્રમાં લેશમાત્ર વિશ્ર્વાસ ન હતો. નક્સલી આતંકીઓ બુદ્ધિજીવીઓ આજે પણ કહે છે કે ભારતના લોકતંત્રને કારણે મૂડીવાદને પ્રોત્સાહન મળે છે અને ગરીબોનું શોષણ થાય છે. તેથી આવા શાસનતંત્રને હિંસા દ્વારા ખદેડી મૂકવું જોઈએ અને તેના વિકલ્પે ચીનમાં માઓત્સે તુંગ પ્રેરિત સામ્યવાદી શાસન ભારતમાં સ્થપાવું જોઈએ. માઓના આંધળા ભક્ત બનેલા કનુ સાન્યાલે ૧૯૬૪માં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષની બેઠકમાં પક્ષના અગ્રણીઓ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને તેનું એક માત્ર કારણ એ હતું કે પક્ષની બેઠકના સ્થાને માઓત્સે તુંગનો ફોટો મૂકવામાં આવ્યો ન હતો !! આ ઘટના પછી કનુ સાન્યાલને ભારતના સામ્યવાદીઓ ઉપરથી વિશ્ર્વાસ સંપૂર્ણપણે ઊઠી ગયો હતો !! માઓત્સે તુંગના આવા આંધળા ભક્તની કરુણતા તો એ હતી કે ૧૯૬૭માં જ્યારે તે ચીનમાં ગયા ત્યારે એ ચેલાને ગુરુ સાથે ફોટો લેવાની પણ અનુમતિ ચીનની સામ્યવાદી સરકારે આપી ન હતી. બિચારા કનુ સાન્યાલે માઓના પૂતળા સાથે પોતાના ફોટા પડાવ્યા પણ એ ભડવીર ‘દ્રાક્ષ ખાટી છે’ એવું ક્યારેય ન બોલ્યા. (‘એનિમલ ફાર્મ’માં બોક્સરનું ઘોષ વાક્ય છે કે Nepoleon is always right - અહીં નેપોલિયન એ એક ભૂંડ છે એ યોગાનુયોગ જ છે !) નક્સલવાદી આતંકીઓ માઓવાદી ગણાય છે, તેનું કારણ પણ સ્પષ્ટ છે કે માઓના શાસનકાળમાં ૬ કરોડ લોકો (હા, પૂરા છ કરોડ !) એવી જ રીતે ‘મૃત્યુ’ પામ્યા હતા જે રીતે ‘એનિમલ ફાર્મ’માં બોક્સર મૃત્યુ પામે છે. ચીનમાં માઓવાદને કારણે ‘મૃત્યુ’ પામેલા છ કરોડ લોકો શોષિતો-ખેડૂતો જ હતા, જેમના અધિકારોની રક્ષા માટે જ સામ્યવાદનો જન્મ થયો હતો. માઓ સરકાર આ પરિશ્રમી કિસાનોએ પકવેલું અનાજ હડપ કરી જતી હતી, અનાજ પકવનારા જ અન્નના એક એક દાણા માટે તરસતા હતા. આ રીતે દેશને પોતે પકવેલું અન્ન સમર્પિત કરીને એ શોષિતો-કિસાનો મૃત્યુ પામ્યા હતા ! Right to Protest એ સૂત્રને અનુસરનારાઓ પણ ચીનમાં મૃત્યુ પામ્યા હતા. સ્વતંત્ર ભારતમાં પં. નહેરુના શાસનકાળમાં પણ શોષિતો-કિસાનો આવી રીતે મૃત્યુ પામ્યા ન હતા. પં. નહેરુના સુપુત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ તો કટોકટીના લોકશાહી પર્વમાં તો લાખો રાજકીય વિરોધીઓને જેલમાં પૂરી દીધા હતા. (ત્યારે Right to Protest વાતો કરનારાઓ કાં તો જેલમાં હતા કાં તો મનમોહનસિંગ મોડમાં હતા !)
સામ્યવાદ ચીન માટે શ્રેષ્ઠ છે, ભારત માટે નહિં
કનુ સાન્યાલે કરેલી હિંસાના સમર્થનની વાતોથી આશ્ર્ચર્ય એ થાય છે કે છાશવારે લોકતંત્રના સોગંદ લેનારા સામ્યવાદીઓ બુદ્ધિજીવીઓ કયા મોઢે નક્સલવાદી હિંસાનું જાહેરમાં સમર્થન કરે છે ? નક્સવાદના પ્રવર્તક કનુ સાન્યાલના આ જીવનચરિત્રમાં થયેલા હિંસક ઘટસ્ફોટને કારણે અંગત જીવનમાં હિંસાચારનું સમર્થન નહીં કરનારા સામ્યવાદી લોકો પણ ચકરાવે ચઢ્યા છે, કેમ કે તેમને લાગી રહ્યું છે કે લોકતંત્ર અને નક્સલવાદ એ બંનેનું સમર્થન કરવું એટલે લોટ ફાકવો અને હસવું એ બે ક્રિયાઓ સાથે કરવા જેવું છે ! કનુ સાન્યાલને પણ જીવનના અંતિમ દિવસોમાં આ સત્ય સમજાઈ ગયું હોય તેમ આ પુસ્તકમાં દેખાઈ આવે છે. એનિમલ ફાર્મમાં બોક્સરના થયેલા કરુણાંતની જેમ જ કનુ સાન્યાલના અંતિમ દિવસો પણ અત્યંત વિષાદપૂર્ણ હતા. સામ્યવાદ-નક્સલવાદ એ ચીન માટે જ શ્રેષ્ઠ છે, ભારત માટે નહીં એ સત્ય કનુ સાન્યાલ તેમના વિષાદમય દિવસોમાં જાણી ચૂક્યા હતા. જીવનભર આચરેલી હિંસાનો તેમને જાણે કે પશ્ર્ચાત્તાપ થઈ રહ્યો હતો. તેમ તેમના અંતિમ દિવસો અત્યંત વિષાદમય રહ્યા હતા.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના ‘વિષાદગ્રસ્ત’ અર્જુન, ૧૮મા અધ્યાયમાં રણટંકાર કરતાં કહે છે કે, હવે તેનો અજ્ઞાનપી મોહ નષ્ટ થયો છે, તેના સર્વ ભ્રમ, ભ્રાંતિ, સંદેહ દૂર થઈ ગયાં છે. કનુ સાન્યાલના આ જીવનચરિત્ર ઉપરથી પણ એવી પ્રતીતિ થાય છે કે જાણે પોતાના વિષાદમય અંતિમ દિવસોમાં કનુ સાન્યાલ કહી રહ્યા હોય કે ‘નષ્ટો મોહ: સ્મૃર્તિલબ્ધા:’ પરંતુ તેમના માટે તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું, પરંતુ નક્સલી આતંક અને આતંકીઓનું જાહેરમાં સમર્થન કરનારા સામ્યવાદીઓ, કથિત બુદ્ધિજીવીઓ કે ‘સ્વામી-ફાધર’ની યુતિના સભ્યોનો ‘મોહ’ આજે પણ દૂર નથી થયો અને લોકતંત્રની દુહાઈ દેનારાઓ આજે પણ હિંસા અને આતંકીઓનું ખુલ્લેઆમ સમર્થન કરે છે તે આપણા દેશનું દુર્ભાગ્ય જ ગણી શકાય.
* * *
લેખક : માખનલાલ ચતુર્વેદી યુનિ.ના પ્રાધ્યાપક છે.
(‘ઓર્ગેનાઈઝર’માં પ્રકાશિત લેખનો જગદીશ આણેરાવ દ્વારા ભાવાનુવાદ)