કોઈપણ દેશમાં બેન્ક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સરકાર પણ બેન્કોની સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખતી હોય છે. બેન્કના વિશે સાંભળતાં જ આપણને સૌથી પહેલાં પૈસા-રૂપિયાનો જ વિચાર આવતો હોય છે, પરંતુ જો તમને એવું સાંભળતા મળે કે કોઈ બેન્કમાં તાળું વાસેલું જ નથી. તો તમને નવાઈ તો લાગશે જ ! મહારાષ્ટ્રમાં એક એવી બેન્ક છે, જેને તાળું મારવામાં આવતું નથી. આ બેન્ક માટે આરબીઆઈએ પણ પોતાના નિયમ બદલવા પડ્યા છે. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના શનિ શિંગણાપુર ગામમાં યુકો બેન્ક આવેલી છે, જેને તાળાં મરાતાં નથી. આ બેન્ક દેશની પહેલી એવી બેન્ક છે, જ્યાં કામ પૂરું થયા પછી પણ તાળું મારવામાં આવતું નથી. ૨૦૧૧ પહેલાં આ ગામમાં કોઈ બેન્ક ન હતી, કારણ કે ગામના લોકોએ સરકારને અરજી કરી હતી કે અહીંયાં એવી બેન્ક બનાવવામાં આવે જેમાં તાળું મારવામાં આવે નહીં. આરબીઆઈ આ વાત માનવા તૈયાર ન હતી. જો કે યુકો બેન્ક આ વાત માનવા તૈયાર થઈ ગઈ. શરૂઆતમાં તો બેન્કના અધિકારીઓને પણ ડર રહેતો હતો, પરંતુ કર્મચારીઓની ડ્યુટી એવી રીતે રાખવામાં આવતી હતી કે બેન્ક સુરક્ષિત રહે. જો કે બાદમાં તો કર્મચારીઓ પણ હટાવી લેવામાં આવ્યા અને તાળું પણ મારવામાં આવતું નથી.