મને ટિકિટમાં નહીં પાર્ટી ફંડમાં રસ છે !

    ૦૬-ડિસેમ્બર-૨૦૧૭

 
 
હાલમાં સુરતથી કોંગ્રેસના એક ન ધારેલા અને સામાન્ય લાગતા દાવેદારને ધારાસભાની ટિકિટ મળી ગઈ. લોકોનાં ટોળાં એમને અભિનંદન આપવા ગયાં, કેટલાકે ફૂલમાળા આપી તો કેટલાકે શાબ્દિક અભિનંદન કર્યાં. એવામાં કોઈકે આ નેતાને પૂછ્યું કે યાર, તેં તો ટિકિટ માંગી પણ નહોતી તો તને કઈ રીતે મળી ? તો આ નેતા બોલ્યા કે જો ભાઈ, એ તો ખબર નથી પણ મને ટિકિટ મળ્યાનો આનંદ નથી પણ પેલા પાર્ટી ફંડમાંથી જે ૫૦ લાખ આવવાના છે એનો આનંદ છે. કોંગ્રેસે મને ટિકિટ આપીને મારું જીવન સફળ કરી દીધું. કેમ કે મને પાર્ટી ફંડમાંથી જે પૈસા મળશે એમાંથી અર્ધાની હું ફિક્સ ડિપોઝિટ કરીશ. અર્ધા પૈસા હું વેપારમાં નાખીશ ને બાકીની જિંદગી શાંતિથી જીવીશ, નેતાનો આવો જવાબ સાંભળી પેલા ભાઈએ પૂછ્યું કે તો રાજકારણનું શું ? તો નેતા બોલ્યા કે જો, રાજકારણ તો આજે ને કાલે ચાલ્યા જ કરશે, જેને વોટ આપવાના છે એ તો આપશે જ, જે નથી આપવાના એમને ગમે તેટલા પૈસા ખર્ચ્યુ તો પણ એ નથી જ આપવાના તો પછી મારે શું કામ મારો સમય અને પૈસા વેડફવાના ? ચાન્સ મળ્યો છે અને ફંડ મળે તો મારી બાકીની જિંદગીને સુરક્ષિત ના કરી લઉં ?