તમે લગ્ન તો ઘણાં જોયાં હશે પરંતુ શું ક્યારેય એવું જોયું છે જેમાં બાળકો જ મા-બાપને વિદાય આપતાં હોય ? મેરઠમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દીકરીઓએ પોતાની જ માનું કન્યાદાન કર્યું હતું. આ મહિલાના પતિનું અવસાન ૧૫ વર્ષ પહેલાં થયું હતું. દીકરાએ માતાને ન રાખતાં દીકરીઓએ આ નિર્ણય લીધો હતો. પતિના મૃત્યુ પછી મહેનત-મજૂરી કરીને આ મહિલાએ એક દીકરા અને બે દીકરીઓને મોટી કરી હતી. દીકરીઓને ધૂમધામથી સાસરે વિદાય કરવામાં આવી હતી. દીકરો ખોટી સંગતમાં પડી ગયો હતો. મા સાથે હંમેશા તે મારઝૂડ કરતો હતો. તેણે પોતાની માને મારપીટ કરીને ઘરની બહાર કાઢી મૂકી હતી. મા અપમાનિત થતી હતી જેથી દીકરીઓને લાગી આવ્યું અને કન્યાદાન કરવાનો નિર્ણય કર્યો હતો.