બતાઓ તુમ્હારા અસલી મકસદ ક્યા હે ?

    ૧૬-મે-૨૦૧૮

 
કિસ્સો #૧
 
૮ જુલાઈ, ૨૦૧૭ની રાત્રે મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે કેટલાક લોકો અવર-જવર કરવાના માર્ગમાં જ નમાઝ પઢવા લાગ્યા. ત્યાં તહેનાત સીઆઈએસએફના જવાનોએ એ લોકોને બીજાને નડતર‚રૂપ ન થવા અને નમાઝ માટે બનાવવામાં આવેલા વિશેષ ‚રૂમમાં જવાનું કહેવાને બદલે અન્ય સેંકડો પ્રવાસીઓને મુશ્કેલી પડવા દીધી. એક વ્યક્તિએ આ બાબતનો વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી.
 

 
 
કિસ્સો #૨
 
એ જ રીતે જુલાઈ, ૨૦૧૫માં એક સાંજે કોલકાતાના હાવરા બ્રિજના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ત્યાંની સરકારી બસના એક મુસ્લિમ ડ્રાઇવરે બરાબર બ્રિજની વચ્ચોવચ બસ ઊભી રાખી દઈને નમાઝ પઢવાનું શરૂ કરી દીધું. કોલકાતાની અને તેમાંય હાવરા બ્રિજની જેમણે મુલાકાત લીધી હશે તેમને ખ્યાલ હશે કે સાંજના સમયે ત્યાં ટ્રાફિકની સ્થિતિ કેવી હોય છે ! અને છતાં એ મુસ્લિમ ડ્રાઇવરે હજારો લોકોના સમયની, હજારો વાહનોમાં બળતા પેટ્રોલ-ડીઝલની કોઈ વાતની ચિંતા કર્યા વિના નમાઝ પઢી.
 

 
 
તો મુસ્લિમ સમુદાયને ભારે ખોટું લાગી જાય છે!?
 
ભારતના મુસ્લિમોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓ બધી વાતમાં પવિત્ર કુરાનનો હવાલો આપી દઈને એવાં તમામ કૃત્યો કરે છે જેનાથી બીજા સમુદાયોને મુશ્કેલી થાય. પછી બીજા સમુદાય તેમનો વિરોધ કરે અથવા સરકાર કે વહીવટીતંત્ર કાયદાનું પાલન કરવાનું કહે તો મુસ્લિમ સમુદાયને ભારે ખોટું લાગી જાય છે અને પછી જે કંઈ ઘટનાઓ બને તેને દેશ અને દુનિયા જોતી હોય છે. આ વાતનું તાજું ઉદાહરણ હરિયાણાના ગુરુગ્રામમાં નમાઝ પઢવા અંગેનું છે. તાજું એટલા માટે કે છેલ્લા ૧૫ દિવસથી આપણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ટીંગાડેલી ઝીણાની તસવીરના વિવાદમાંથી બહાર નીકળ્યા નથી કેમ કે ત્યાંના મુસ્લિમો એ તસવીર હઠાવવા તૈયાર નથી.
 

 
 
અલ્લા એ નમાઝ કબૂલ રાખતા નથી.
 
ખેર, આજે નમાઝ વિવાદની વાત કરીએ. જે પાક (અર્થાત્ પવિત્ર, સાચા) મુસલમાનો છે તેઓ વારંવાર કહી રહ્યા છે કે જાહેર સ્થળોએ, અન્ય લોકોને અવરોધ‚રૂપ થાય એ રીતે નમાઝ પઢવાની હોતી જ નથી, અલ્લા એ નમાઝ કબૂલ રાખતા નથી. મેં મારા અહીંના મુસ્લિમ મિત્રો સાથે વાત કરીને એ જાણવા પ્રયાસ કર્યો કે, શું પાકિસ્તાનમાં પણ આવી સ્થિતિ છે જ્યાં જાહેરમાં, બીજા લોકોને મુશ્કેલી પડે એ રીતે નમાઝ પઢવામાં આવતી હોય ? એ મિત્રોએ કહ્યું કે ના, ભારતના મુસ્લિમોની જેમ પાકિસ્તાન તો શું, દુનિયામાં બીજે ક્યાંય જાહેર રસ્તા પર, રેલવે ટ્રેક પર, અન્ય સરકારી જગ્યાઓ પર નમાઝ થતી નથી. તેમ છતાં માની લો કે એક સમયે પાકિસ્તાનમાં આવાં બધાં સ્થળે નમાઝ થતી હોય તો પણ શું... એ ધર્મના આધારે ઇસ્લામિક દેશ છે તો ત્યાં થાય, પણ એમાં ભારતને શું ? શું ભારતે પોતાને ધર્મનિરપેક્ષ દેશ જાહેર કર્યો છે એ તેનો વાંક છે ?
 

 
 
અન્ય સમુદાયોને મુશ્કેલી થાય તો પણ જાહેર રસ્તાઓ, સરકારી જમીનો ઉપર જ નમાઝ પઢવી છે !?
 
આ વખતે વિવાદની જ્યાંથી શરૂઆત થઈ તે હરિયાણાના ગુરુગ્રામની વાસ્તવિકતા જાણવા-સમજવા જેવી છે. ગુરુગ્રામમાં મુસ્લિમો ૧૦૦ કરતાં વધુ સ્થળે જાહેર જગ્યાઓ રોકીને, અનેક લોકોને અવરોધ થાય એ રીતે નમાઝ પઢતા હતા જેની સામે સ્થાનિક નાગરિકોએ વાંધો ઉઠાવ્યો અને ત્યારબાદ મુખ્યપ્રધાને નિવેદન કરવું પડ્યું. એ પછી મુસ્લિમોએ એવું બહાનું કાઢ્યું કે તેમની પાસે પૂરતી મસ્જિદો નથી અને અનેક મસ્જિદો ખંડેર બની ગઈ છે અને કેટલીક મસ્જિદોમાં અન્ય લોકોએ કબજો કરી લીધો છે, તેથી બધાએ જાહેર રસ્તાઓ પર નમાઝ પઢવી પડે છે. આ બહાના પછી તંત્રએ તપાસ કરતાં હકીકત એ બહાર આવી કે, વકફ બોર્ડ તેમજ મસ્જિદોની ૮૦ ટકા જગ્યાઓ પર ગેરકાયદે કબજો છે અને પાછો એ કબજો મુસ્લિમોએ જ કરેલો છે. આ અંગેનો વિગતવાર અહેવાલ (https://hindi.new18.com/news/nation/namaz-controversy-gurgaon-administration-report-over-waqf-board-haryana-allegations-hindu-muslim-1373897.html) પણ પ્રકાશિત થયો છે. આનો અર્થ એ થયો કે મુસ્લિમ સંગઠનો, વકફ બોર્ડ તેમજ મસ્જિદોના મૌલવીઓ તેમની પાસે જે જગ્યા ઉપલબ્ધ છે તેને સાફસૂફ અને વ્યવસ્થિત કરીને ત્યાં નમાઝ પઢાવવા તૈયાર નથી, પરંતુ અન્ય સમુદાયોને મુશ્કેલી થાય તો પણ જાહેર રસ્તાઓ, સરકારી જમીનો ઉપર જ નમાઝ પઢવી છે !?
 

 
 
લોકોને નડતર‚રૂપ થવાનો મતલબ શો છે ?
 
નમાઝ એ એવી ધાર્મિક વિધિ છે જે વ્યક્તિગત છે. વ્યક્તિ અને અલ્લા વચ્ચેના સંવાદનો સેતુ છે, તો પછી જાહેરમાં બીજા લોકોને નડતર‚રૂપ થવાનો મતલબ શો છે ? મસ્જિદો ઉપર ચાર દિશામાં લગાવવામાં આવતાં લાઉડસ્પીકર અને તેને કારણે અનેક બિન-મુસ્લિમોને થતી મુશ્કેલીના વિવાદમાંથી હજુ કોઈ ઉકેલ મળ્યો નથી, કેમ કે એ મુદ્દામાં પણ મુસ્લિમોએ અતિશય જડ વલણ અખત્યાર કરીને લાઉડસ્પીકર બંધ કરવાની તૈયારી દર્શાવી નથી.
 
૧૯મી સદી સુધી લાઉડસ્પીકર વિના નમાઝ થઈ શકતી હતી તો પછી હવે…?
 
લાઉડસ્પીકરની શોધ છેક ૧૮૭૬-૭૭માં થઈ. ઇસ્લામનો ઈતિહાસ ૧૪૦૦-૧૫૦૦ વર્ષનો છે. આમ ઈસુની ૫મી સદીથી છેક ૧૯મી સદી સુધી લાઉડસ્પીકર વિના નમાઝ થઈ શકતી હતી તો પછી હવે અને તે પણ ભારતમાં અને તે પણ દરેક મસ્જિદ ઉપર અને તે પણ ચાર દિશામાં લાઉડસ્પીકર ગોઠવીને દિવસમાં પાંચ વખત અન્ય તમામ સમુદાયોને પણ એ બધું સાંભળવા ફરજ પાડવાનું ઔચિત્ય કોઈ તાર્કિક રીતે સમજાવી શકે તેમ છે ?
 
સેક્યુલારિઝમ કસોટીની એરણ ઉપર છે
 
ભારતના મુસ્લિમોના આવા વલણને કારણે હવે તો સેક્યુલારિઝમ પણ કસોટી ઉપર છે. સાવ નાની નજીવી બાબતે હિન્દુવાદી નેતાઓ ઉપર એક સાથે હિંસક બનીને તૂટી પડતા કોંગ્રેસ-ડાબેરી જેવા સેક્યુલર પક્ષો, કેટલાક ચોક્કસ ટીવી અને અખબારી સેક્યુલર મીડિયા તેમજ કેટલીક ચોક્કસ પ્રકારની બોલિવૂડ સેલિબ્રિટી આ બધાનું સેક્યુલારિઝમ હવે કસોટી ઉપર છે. આ સેક્યુલરવાદીઓ ઇચ્છતા હોય કે આ દેશમાં શાંતિ રહે તો તેમણે મુસ્લિમોને તેમના જડ વલણમાંથી સાચી દિશા તરફ વાળવા પડશે. સહિષ્ણુતા કદી એક તરફી ન હોઈ શકે. સેક્યુલરવાદીઓને એ ખ્યાલ હોવો જોઈએ કે આ એ જ દેશ છે જેણે દુનિયાભરના તમામ સમુદાયોને ખુલ્લા મને આવકાર્યા છે અને દરેકને પોતાના ધર્મનું પાલન કરવાની, તેમને વિકસિત થવાની પૂરી સ્વતંત્રતા આપી છે અને એવા બીજા કોઈ સમુદાય સાથે કદી ભારતીય હિન્દુઓને વાંધો પડ્યો નથી. તો પછી માત્ર મુસ્લિમો સાથે વારંવાર આવું શા માટે થાય છે ?
 
અને તેઓ હિંસક બની જાય છે....
 
આ આખા મામલામાં કોંગ્રેસ અને ડાબેરીઓનો વાંક પણ ઓછો નથી. છેક ૧૯૪૭થી જુદી જુદી રીતે આ બધું થઈ રહ્યું છે છતાં કોંગ્રેસ અને ડાબેરીઓને મુસ્લિમોમાં માત્ર મત દેખાયા અને તેથી કદી તેમને વાળ્યા નહીં, બલ્કે દરેક નાના-મોટા વિવાદ વખતે મુસ્લિમોનો બચાવ કર્યો અને માત્ર હિન્દુઓને જવાબદાર ઠેરવ્યા. કોંગ્રેસ અને ડાબેરીઓની એ નીતિનું આજે પરિણામ એ આવ્યું છે કે રાષ્ટ્રવાદી સરકાર મુસ્લિમો સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોને સમાન ગણવા પ્રયાસ કરે છે તો મુસ્લિમોને એ પસંદ નથી આવતું અને તેઓ હિંસક બની જાય છે.
 

 
 
દેશના હિતમાં મુસ્લિમોને સમજાવવા પડશે,
 
અહીં માત્ર સેક્યુલરવાદીઓ જ નહીં પરંતુ કહેવાતા મુસ્લિમ અગ્રણીઓની માનવતા પણ કસોટીની એરણ ઉપર છે. આખો દિવસ દરેક બાબતમાં સંઘ અને ભાજપને જવાબદાર ઠેરવીને સમગ્ર હિન્દુ સમાજને આરોપીના પિંજરામાં ઊભા રાખી દેતા મુસ્લિમ અગ્રણીઓએ પણ જાહેરમાં નમાઝ અને લાઉડસ્પીકરના મુદ્દે દેશના હિતમાં આગળ આવીને જિદ્દી તેમજ કટ્ટરવાદી મુસ્લિમોને સમજાવવા પડશે, વાળવા પડશે.
 
૯૦ કરોડ જેટલા હિન્દુ છે, છતાં તેઓ ધાર્મિક વિધિ માટે કોઈને નડતરરૂપ બનતા નથી.
 
ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો વસ્તીનો છે. મુસ્લિમોને નમાઝ માટે દિવસે દિવસે જો જગ્યા ઓછી પડતી હોય તો તેનો સીધો અર્થ એ છે કે તેમની વસ્તી પ્રમાણમાં ઘણી વધારે વધી રહી છે. ૧૩૦ કરોડના આ દેશમાં ૯૦ કરોડ જેટલા હિન્દુ છે, તેમાંથી ૯૯.૯૯ ટકા ધાર્મિક છે, તેમ છતાં તેઓ ધાર્મિક વિધિ માટે કોઈને નડતરરૂપ બનતા નથી. ક્યારેક કોઈ તહેવાર હોય ત્યારે ભીડ કે ઘોંઘાટ લાગે, પરંતુ એ થોડા કલાક કે એકાદ દિવસ પૂરતી વાત હોય છે. તેની સામે મુસ્લિમો દર શુક્રવારે દેશમાં અનેક જગ્યાએ જાહેર રસ્તા, રેલવે ટ્રેક, એરપોર્ટ બધે નમાઝ પઢતા રહેશે તો આ સ્થિતિ આપણને ક્યાં લઈ જશે ? આ દેશ અને દેશના બહુમતી નાગરિકો દરેકની ધાર્મિક ભાવનાનો આદર કરે છે, પરંતુ સાથે દરેકે એ સમજવું પડશે કે બીજાને નડતરરૂપ બનીને પરાણે આદરભાવ રાખવા તમે કોઈને મજબૂર કરી શકો નહીં. કદી કોઈ તાળી એક હાથે વાગતી નથી...
 
 
- અલકેશ પટેલ