ફિટ રહેવા જેને યોગીઓ, આખ્ખું બોલિવૂડ કરે છે તે તમે કરો છો કે નહિ?

    ૧૨-ઓક્ટોબર-૨૦૧૬

સૂર્ય નમસ્કારના આસનો “વોર્મ અપ” એટલે કે  "હળવો વ્યાયામ" અને આસનો વચ્ચે એક સુંદર કડી જેવા છે અને જયારે તમારું પેટ ભરેલું ના હોય તેવા વખતે ગમે ત્યારે તે કરી શકો છો. છતાં, સૂર્ય નમસ્કાર માટે સવારનો સમય શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શરીરને  ફરીથી ઊર્જાન્વિત અને મનને તારોતાજા કરે છે, દિવસના બધા કામ કરવા આપણને તૈયાર કરે છે.જો બપોરે કરવામાં આવે તો તે શરીરમાં ત્વરિત ઊર્જાનો સંચાર કરે છે અને જો સંધ્યા ટાણે કરવામાં આવે તો તમારો થાક દૂર કરે છે.  જો ઝડપથી કરવામાં આવે તો સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે  એક ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે.
સૂર્ય નમસ્કારના આસનો ઊર્જા આપે છે,ધ્યાન કરતાં હોઈએ તેવું લાગે છે અને વિશ્રામ આપે છે. તેઓ શરીરને સહેલાઈથી વળી શકે તેવું બનાવે છે તથા રુધિરાભિસરણ સુધારે છે.બહેતર રુધીરાભીસરણને લીધે વાળ ધોળા થતાં,ખરતાં તથા ખોડો થતા અટકે છે તથા વાળના વિકાસને એકંદરે સુધારે છે.રુધિરાભિસરણ બહેતર  થતા અગત્યના આંતરિક અંગો  વધારે કાર્યાન્વિત થાય છે તથા શરીરના ત્રિદોષ –વાત,કફ અનેં પિત્તને સમતુલીત કરે છે.
એવું કહેવાય છે કે તંદુરસ્તીમાં સુધારો લાવવા માટે  મહિનાઓ સુધી કરેલા આહાર નિયંત્રણથી  જે નથી થઇ શકતું તે સુધારો સૂર્ય નમસ્કારના અભ્યાસ દ્વારા સહેલાઇથી મેળવી શકાય છે.  સ્વાસ્થ્ય પ્રત્યે   જાગૃત સ્ત્રીઓ માટે તે આશિર્વાદ છે કારણ કે તે માત્ર વધારાની કેલરી બાળવામાં જ સહાય કરે છે એવું નથી પરંતુ પેટના સ્નાયુઓને કુદરતી રીતે ખેંચાણ આપીને શરીરને સુડોળ  રાખવાનો સરળ અને સોંઘો માર્ગ છે. સૂર્ય નમસ્કારના કેટલાક આસનો ધીમું કામ કરતી ગ્રંથી,જેવી કે થાયરોઈડને (જેની આપણા વજન પર મોટી અસર છે) ઉત્તેજિત કરીને અંતઃસ્ત્રાવનું ઉત્પાદન વધારી પેટ પરની વધારાની ચરબીને ઘટાડવામાં  મદદ કરે છે. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી સ્ત્રીઓમાં ઋતુચક્રની અનિયમિતતાનું નિયંત્રણ થાય છે અને બાળકનો પ્રસવ પણ સરળતાથી થવાની ખાતરી મળે છે. આ ઉપરાંત, તે તમારા ચહેરા પરની ચમક પાછી લાવવામાં,કરચલી પડવાની શરૂઆત રોકવામાં અને તેને યુવાન તથા ચમકીલો બનાવવામાં સહાય કરે છે.


આપણા પ્રાચીન ઋષીઓ કહેતા કે જૂદા જૂદા ભગવાન આપણા શરીરના જૂદા જૂદા અંગોનું સંચાલન કરે છે. નાભિ એટલે કે સૂર્યચક્ર સૂર્ય સાથે સંકળાયેલું છે એવું કહેવાય છે. આથી જ યોગીઓ સવારે સૂર્ય નમસ્કાર કરવાની ભલામણ કરે છે કે જયારે વિટામીન ડી થી ભરપૂર સૂર્યના કિરણો સૂર્યચક્ર પર પડી શકે. સૂર્ય નમસ્કાર અને ધ્યાન નિયમિત કરવાથી સૂર્યચક્ર બદામના કદથી મોટું થઈને હથેળીના જેટલું  મોટું થાય છે. સૂર્યચક્રનું આવું વિસ્તરણ, કે જે બીજા મગજ તરીકે પણ ઓળખાય છે, તે આપણી સ્ફૂરણા શક્તિઓનો વિકાસ કરે છે અને આપણને વધુ સ્પષ્ટ તથા કેન્દ્રિત બનાવે છે. જ્યારે બીજી બાજુએ સૂર્યચક્રનું સંકુચિત થવું નિરાશા અને બીજા નકારાત્મક વલણો આણે છે.