અજાતશત્રુ અને બાલાકિ

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૧૬


પ્રાચીન સમયની વાત છે. બલાકા નામે એક ઋષિ હતા. તેમનો પુત્ર બાલાકિ વિદ્યાજ્ઞાન મેળવીને મોટો પંડિત બની ગયો. તેને પોતાની પંડિતાઈનું અભિમાન આવી ગયું. પોતાની વિદ્વત્તાનો ડંકો વગાડવા તે દિગ્વિજય કરવા નીકળ્યો.

ફરતો ફરતો તે વિદ્વાનોની નગરી કાશીમાં પહોંચ્યો, અહીં રાજા અજાતશત્રુ પોતાનો દરબાર ભરીને બેઠા હતા. બાલાકિ સભામાં આવ્યો. રાજાએ તેનો આદર-સત્કાર કર્યો અને પૂછ્યું "ઋષિવર, કયા હેતુથી આપને મારે ત્યાં આવવાનું થયું ?

બાલાકિએ અભિમાનથી કહ્યું, "હું તને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપવા માટે આવ્યો છું.

રાજાએ કહ્યું, "એ તો મારાં અહોભાગ્ય છે. આવા શુભ સંકલ્પ માટે હું તમને એક હજાર ગાયોનું દાન કરું છું. લોકો દાન માટે જનક રાજા પાસે જાય છે, પરંતુ હું એવું દાન કરીશ કે લોકો જનકને પણ ભૂલી જાય અને મારી પાસે આવે. બાલાકિને થયું મારા જ્ઞાનની કદર કરનાર કોઈ મળ્યો ખરો. હજુ તો મેં બ્રહ્મજ્ઞાન આપ્યું નથી તો પણ તે હજાર ગાયો આપવા તૈયાર થઈ ગયો. જો હું તેને આ વિદ્યા શીખવીશ તો તે મને લાખો ગાયો આપશે.

તેણે રાજાને કહ્યું, "સૂર્યમાં જે પુરુષ છે તે બ્રહ્મ છે. હું તેની ઉપાસના કરું છું. અજાતશત્રુએ કહ્યું, "એના વિશે મને જ્ઞાન આપવાની જ‚ર નથી. સર્વ પ્રાણીઓના પાલક તરીકે હું પણ તેની ઉપાસના કરું છું. જે માણસ આ રીતે સૂર્યની ઉપાસના કરે છે તે મહાન રાજા બને છે. પરંતુ મારે એ જાણવું છે કે બ્રહ્મ શાને લીધે છે? બાલાકિએ કહ્યું, "હે રાજન, ચંદ્રની અંદર જે પુરુષ છે તેને પણ હું બ્રહ્મ તરીકે ઉપાસું છું.

અજાતશત્રુએ કહ્યું, "તેને વિશે પણ મને કંઈ કહેવાની જ‚ર નથી. હું તેને રાજા ઓમ્ તરીકે ઉપાસું છું. જે માણસ સતત ચંદ્રની ઉપાસના કરે છે તેને સોમરસ મળે છે, તેને અન્ન માટે ક્યારેય દુ:ખ વેઠવું પડતું નથી. પણ મારે એટલું જ જાણવું છે કે બ્રહ્મ એટલે શું ?

બાલાકિએ કહ્યું, "હે રાજન, આકાશમાં જે પુરુષ છે તેની હું બ્રહ્મ તરીકે ઉપાસના કરું છું.

અજાતશત્રુએ કહ્યું, "તેનેે હું પણ ઉપાસું છું પણ બ્રહ્મ માત્ર એટલો જ

છે ? બાલાકિએ કહ્યું, "હે રાજન, વાયુમાં જે પુરુષ છે તેને હું બ્રહ્મ તરીકે ઉપાસું છું.

અજાતશત્રુએ કહ્યું, "હું પણ તેને ઉપાસું છું પણ શું તે જ બ્રહ્મ છે ?

બાલાકિએ કહ્યું, "હું જળમાં જે પુરુષ છે તેને બ્રહ્મ તરીકે ઉપાસું છું.

રાજાએ કહ્યું, "હું પણ તેને ઉપાસું છું પણ શું તે જ બ્રહ્મ છે ? બાલાકિએ કહ્યું, "પૃથ્વીમાં જે પુરુષ છે તેને હું બ્રહ્મ તરીકે ઉપાસું છું. રાજાએ કહ્યું, "હું પણ તેની ઉપાસના કરું છું. શું તે જ બ્રહ્મ

છે ? બાલાકિએ કહ્યું, "અગ્નિમાં જે પુરુષ છે તેને હું બ્રહ્મ તરીકે ઉપાસું છું.

રાજાએ કહ્યું, "હું પણ તેને ઉપાસું છું પણ બ્રહ્મ એટલે શું ?

બાલાકિએ કહ્યું, "હે રાજન, દેહમાં જે પુરુષ છે તેને હું બ્રહ્મ તરીકે ઉપાસું છું. રાજાએ કહ્યું, "હું પણ તેની જ ઉપાસના કરું છું પણ મારે તો બ્રહ્મ વિશે જાણવું છે.

હવે બાલાકિ આગળ કઈ બોલી શક્યો નહીં.

અજાતશત્રુએ પૂછ્યું, "પૂરું થયું ? બ્રહ્મ શું આટલો જ છે ?

બાલાકિને ખ્યાલ આવી ગયો કે રાજા સામાન્ય માનવી નથી પણ મહાજ્ઞાની છે. પોતે જેટલા બ્રહ્મનાં ‚પ ઓળખાવ્યાં તે વિશે રાજા સારી રીતે જાણતો હતો. એનાથી વધારે તો હું પણ આગળ કંઈ જાણતો નથી. બાલાકિનો ગર્વ ઊતરી ગયો.

એણે રાજાને કહ્યું, "રાજન્, હવે તો તમે જ મને બ્રહ્મનું જ્ઞાન આપો. હું તમારો શિષ્ય બનવા તૈયાર છું.

અજાતશત્રુએ કહ્યું, "હું ક્ષત્રિય ને તમે બ્રાહ્મણ તેથી વાસ્તવમાં તો ક્ષત્રિયે બ્રાહ્મણ પાસે જ્ઞાન મેળવવું જોઈએ. પરંતુ તમે વિવેક કરીને મારા શિષ્ય બનવા તૈયાર થયા છો તેથી હું પ્રસન્ન થયો છું. હું તમને બ્રહ્મજ્ઞાન જ‚ર આપીશ.

રાજા બાલાકિનો હાથ પકડીને તેને સભાની બહાર લઈ ગયો, કારણ કે સૌના દેખતાં આવું ગહન બ્રહ્મજ્ઞાન આપવું યોગ્ય નહોતું.

રાજા બાલાકિને ઊંઘતા માણસ પાસે લઈ ગયો અને ઊંઘતા માણસનું નામ દઈને બૂમો પાડવા લાગ્યો. પેલો ઊંઘતો હતો તેથી કશો જવાબ ન મળ્યો. પેલા માણસને ઊંઘમાંથી જગાડીને પૂછ્યું તો તરત જ તેણે પોતાનું નામ કહ્યું.

રાજાએ પૂછ્યું, "જ્યારે આ માણસ ઊંઘમાં હતો ત્યારે પોતાના નામને જાણનાર એ માણસ ક્યાં હતો અને જ્યારે જાગ્યો ત્યારે નામ ક્યાંથી યાદ આવ્યું ?

બાલાકિએ વિનમ્રતાથી કહ્યું, "મને તેની કોઈ ખબર નથી.

રાજાએ કહ્યું, "જ્યારે માણસ ઊંઘમાં હોય છે ત્યારે તેની બધી ઇન્દ્રિયોની શક્તિ તથા બુદ્ધિને લઈને તેનો અંતરાત્મા હૃદયના આકાશમાં વિરાજે છે. જેમ કોઈ રાજા પોતાના રસાલા સાથે રાજ્યમાં જ્યાં જવું હોય ત્યાં જાય છે તેમ એ અંતરાત્મા મન, ઇન્દ્રિયો અને બુદ્ધિને લઈને સ્થૂળ શરીરથી લઈ બ્રહ્મ સુધી જ્યાં જવું હોય ત્યાં જાય છે. એ અંતરાત્મા જ સર્વ દિવ્યતા અને જ્ઞાનનું મૂળ છે. તે જ બ્રહ્મજ્ઞાન છે.

ગર્વથી મુક્ત બનેલા બાલાકિને બ્રહ્મવિદ્યાનું રહસ્ય મળી ગયું. તે હરખાતો પોતાને ઘેર ગયો. હવે તે વિનયી અને વિવેકી બની ગયો. પોતાની વિદ્વત્તાનું અભિમાન ઓગળી ગયું.

 

 


મારી માતાએ મહાભારતની કથાઓ દ્વારા મને વર્તમાન ભારતની ઓળખ કરાવી

દરેક માતા એક અચ્છી કથાકાર છે એવું મારું માનવું છે, કેમ કે મારી માતાએ બાળપણમાં જે મહાભારતની વાર્તાઓ સાર-બોધ, મનોરંજન, અભિનય સાથે કહી, તે મને સદા યાદ રહી ગઈ. એની એવી અસર થઈ છે કે હું જ્યારે મોટો થયો અને મને કંઈક લખવાનું મન થયું ત્યારે હું ‘મહાભારતની કથાઓ’ લખીને જ રહ્યો.

એ કથાઓને સફળતા મળી, એનું શ્રેય હું મારી માતાને આપું છું. એ બધી વાતો લખી છે મેં, પણ એ લખાવી છે મારી માતાએ. દરેક શબ્દ વખતે તે જ મારી પાછળ રહેતી.

મહાભારતની કથામાં મહિલાઓનાં એટલાં વિવિધ સ્વ‚પોનું વર્ણન છે કે, જેનો કોઈ પાર નથી. મને લાગતું કે, એ બધી જ મહિલાઓ એકાકાર સ્વ‚રૂપે મારી માતામાં તો નથી સમાઈ ગઈ ને ?

માતા બીજું કંઈ નહિ કરે અને બાળકને નવડાવતી ધોવડાવતી વખતે, ખવડાવતી વખતે, રમાડતી વખતે અને હા, સુવડાવતી વખતે બાળકને ગમી જાય એવી ઘણી બધી વાર્તાઓ કહે, તો પણ તે બાળકને જિંદગીભરનું જ્ઞાન આપી દેશે. એ માટે માતાએ અમીર કે સાધનસંપન્ન હોવાની જ‚ર નથી. પ્રત્યેક માતા પાસે એ સામગ્રી તો છે જ.

મારી માતાએ મને બીજી કળા વારસામાં સંગીતની આપી. ભજન, કીર્તન, તે જમાનાની કવિતાઓ, ધાર્મિક, ચારિત્ર્યભર્યાં નાટ્યગીતો ગાઈને મને સંગીતમય બનાવી દીધો. હું મારી માતાના સંગીતનું વાજિંત્ર જ બની રહ્યો.

જેની પાસે માતાની કથાવાર્તા અને સંગીત છે, તે કદી એકાકી નથી. તેમાંય મહાભારતની કથાઓ સાંભળીને જે બાળક મોટું થાય છે તે ‘રાજા’ બની રહે છે.

ચક્રવર્તી રાજગોપાલાચારી ઉર્ફે રાજાજી ભારતના પહેલા ગવર્નર જનરલ હતા. તેઓ એકદમ સ્પષ્ટવક્તા અને વિનોદી હોવા સાથે આકરા પણ હતા. વખત આવે ગાંધીજીને પણ બે શબ્દો તે કહી શકતા.

પ્રશ્ર્નમંચ - ૨૪૩ ભાગ લો અને જીતો ઇનામો

૧.    ‘અય મેરે વતન કે લોગોં’ ગીતના કવિ કોણ છે ?

૨.    ફ્રાન્સ ભારતને કયા વિમાન આપવાનું છે ?

૩.    ગુજરાતના કયા લોકકલાકારને હમણાં પદ્મશ્રી ઍવોર્ડ મળ્યો ?

૪.    હમણાં કયા રાજ્ય પાસે નૌકા સેનાનું પ્રદર્શન યોજાયું ?

૫.    વીરતા પુરસ્કાર મેળવનાર બાળકો કઈ પરેડમાં ભાગ લે છે ?

૬.    સિંહના દાંત ગણતા બાળકનું નામ શું ?

૭.    આઠેય અંગ જેના વાંકા હતા તે ઋષિ કોણ હતા ?

૮.    મહેંદીના પાનનો રંગ કેવો હોય છે ?

૯.    ગુજરાતી ફિલ્મ અને રંગમંચની કઈ અભિનેત્રીનું અવસાન થયું ?

૧૦.   તાના રીરીની સમાધિઓ ક્યાં આવેલી છે ?