સુરક્ષા : સબમરીન કલવરી હિંદ મહાસાગરનું સુરક્ષા-કવચ

    ૨૩-ડિસેમ્બર-૨૦૧૭
 
૧૭ વર્ષ જેટલી રાહ જોયા બાદ ૧૪ ડિસેમ્બરે ભારતને દરિયામાં સૌથી ઘાતક અસ્ત્ર મળ્યું છે. ભારતની સમુદ્રી સીમામાં ચીન-પાકિસ્તાનની ઘૂસણખોરીને જવાબ દેવા માટે ભારતીય નૌસેના પાસે હવે ખૂબ લાંબા સમય સુધી દરિયામાં રહી પેટ્રોલિંગ કરવા સક્ષમ સબમરીન INS કલવરી છે. ગયા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧,૫૬૪ ટનની આ અદ્યતન સબમરીન દેશને અર્પણ કરવામાં આવી છે. આ તકે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યાં હતાં. આ દિવસે મુંબઈ ખાતે વહેલી સવારે આ સ્કોર્પીયન ક્લાસ સબમરીન દેશને અર્પણ કરવામાં આવી હતી.
આ છે મહત્ત્વ
 
ગુજરાતથી પં. બંગાળ સુધી ૭૫૧૬ કિલોમીટરમાં ફેલાયેલી ભારતની સમુદ્રી સરહદ પર દુશ્મનો હંમેશાં ઘાત લગાવીને બેઠા હોય છે. અરબ સાગરમાં પાકિસ્તાનથી ખતરો છે તો હિંદ મહાસાગરમાં ચીનથી ખતરો છે. દુશ્મન દેશ અહીંથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. આ ખતરા સામે રક્ષણ મેળવવા ભારત પોતાની સમુદ્રી શક્તિ વધારી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ભારત પાસે ૨૬ જેટલી સબમરીન હશે, જેના ભાગરૂપે આઈએનએસ કલવરી તૈયાર થઈ ગઈ છે, જેનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થયો છે.
INS કલવરીની કેટલીક વિશેષતાઓ 
  • ડિઝલ-ઇલેક્ટ્રોનિક આ સબમરીન ફ્રેન્ચ નેવલ ડિફેન્સ અને એનર્જી કંપની DCNS દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
  • આ સબમરીનનું ૧૫૬૪ ટન વજન છે. તેની લંબાઈ ૬૭.૫ મીટર અને પહોળાઈ ૪૦ ફૂટની છે. તેમાં ૨૧ જેટલી ટોરપિડો ટ્યૂબ લગાવાઈ છે અને સમુદ્રમાં ૩૭ કિ.મી.ની ઝડપે ચાલી શકે છે.
  • આ સબમરીન સ્કોર્પિયન ક્લાસની છે. આ પરિયોજના ફ્રાંસના સહયોગથી આગળ વધી છે. હિંદ મહાસાગરમાં જોવા મળતી ઊંડા પાણીની સૌથી ઘાતક માછલી ટાઈગર શાર્કના નામ કલવરી પરથી આ નામ રાખવામાં આવ્યું છે.
  • ૧૯૬૭માં પહેલી સબમરીન INS કલવરી નૌસેનામાં સામેલ થઈ હતી, જેને ૩૧ મે ૧૯૯૬માં નિવૃત્ત કરવામાં આવી હતી. આ સબમરીનના કમાન્ડિંગ ઓફિસર કે. એસ. સુબ્રમણ્યમ હતા.
  • સબમરીનની ખાસિયત તેનું સ્ટીલ ફીચર છે. તેની એડવાન્સ એકોસ્ટિક સાયલન્સ ટેક્નિક અને લો રેડીએટ નોઈસ લેવલના કારણે દુશ્મન તેને દરિયાના પેટાળમાં શોધી શકતો નથી અને તેના કારણે તે આબાદ રીતે દુશ્મનની નજીક પહોંચીને પણ વાર કરી શકે છે.
  • આ સાથે જ સબમરીનમાં પરમાણુ હથિયાર લઈ જવાની અને વાર કરવાની ક્ષમતા છે. તેમજ ૨૦ નોટ્સની સ્પીડ સાથે દરિયામાં દોડતી આ સબમરીન સી સ્કિમિંગ જખ-૩૯ એક્ઝોસેટ મિસાઈલ અને સરફેસ તથા અન્ડરવોટર ટોરપીડોથી સજ્જ છે.
  • ભારતે ફ્રાન્સ સાથે કરેલા કોન્ટ્રાક્ટ પ્રમાણે આવી ૬ સબમરીન ભારતને મળવાની હતી જે પૈકી આ પહેલી સબમરીન છે. જ્યારે તેની અન્ય સાથી સબમરીન INS ખંડેરી ૨૦૧૮માં, INS કરંજ ૨૦૧૯માં અને બાકીની અન્ય સબમરીન ૨૦૨૦ના અંતમાં નૌસેનામાં સામેલ થશે.
  • આધુનિક ફિચર્સ ધરાવતી આ સબમરીન દુશ્મન દ્વારા છોડાયેલ મિસાઈલ કે અન્ય હથિયાર પર તરત હુમલો કરી શકે છે. અનેક ઘાતક હથિયારો લગાવાયાં છે. મહત્ત્વની વાત એ છે કે તે જરા પણ અવાજ કરતી નથી. આનો આકાર હાઈડ્રો-ડાયનામિક છે.
  • જરા પણ અવાજ કર્યા વગર ૩૦૦ કિલોમીટર દૂર દુશ્મન પર આ સબમરીન હુમલો કરી શકે છે.
  • આઈએનનેસ કલવરીમાં જે કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની લંબાઈ ૬૦ કિલોમીટરની છે.
આ સબમરીન વિશેષ પ્રકારની ધાતુમાંથી બનાવાઈ છે, જે ઊંચા તાપમાનને પણ સહન કરી શકે છે. તેની આધુનિક ટેક્નિકના કારણે તે મહાસાગરોમાં પણ ઊંડે સુધી ડૂબકી મારી શકે છે. હાલ, ભારત પાસે પોતાની નેવીમાં માત્ર ૧૩ જેટલી પરંપરાગત સબમરીન છે, જેમાંથી અડધી બંધ હાલાતમાં છે એવા સમયે આ સબમરીન ભારતીય નૌસેનાને મળવાથી નૌસેનાની શક્તિમાં વધારો થયો છે.
આ ઉપરાંત આઈએનનેસ ખાંદેરી સબમરીનનું પરીક્ષણ પણ હાલ ચાલી રહ્યું છે. તેને પણ ટૂંક સમયમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવશે.
૨૦૩૦ સુધીમાં ભારત પાસે હશે ૨૪ આધુનિક સબમરીન
 
સબમરીન બનાવવાના આ પ્રોગ્રામને પ્રોજેક્ટ - ૭૫ નામ આપવામાં આવ્યું છે. આ પ્લાનીંગ ૩૦ વર્ષનું છે, જેને વર્ષ ૧૯૯૯માં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ મંજૂરી આપી હતી. પ્રોજેક્ટ - ૭૫ અને પ્રોજેક્ટ - ૭૫(૧) અંતર્ગત કુલ ૬ સબમરીન બનાવવામાં આવશે. આની સાથે ૧૨ બીજી સબમરીન બનાવવાનું કામ પણ ચાલુ છે, એટલે આવનારા સમયમાં ભારત પાસે ૨૪ જેટલી ખતરનાક આધુનિક સબમરીન હશે, જે તેની શક્તિમાં વધારો કરશે.
અમે હિંદ મહાસાગરમાં અમારાં વૈશ્ર્વિક, સામરિક અને આર્થિક હિતોની રક્ષા માટે પૂર્ણરૂપે સતર્ક છીએ - નરેન્દ્ર મોદી
 
આ સબમરીનને દેશને સમર્પિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દરેક દેશવાસી માટે આજનો દિવસ ઐતિહાસિક ઉપલબ્ધિનો દિવસ છે. તેમણે સંરક્ષણક્ષેત્રે સ્ટ્રેટેજિકલી મહત્ત્વના આ પ્રોજેક્ટમાં સહયોગી બનવા માટે ફ્રાંસનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ પાર્ટનરશિપ વિશ્ર્વની શાંતિ તથા લોકતાંત્રિક શક્તિઓ શું કરી શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ૨૧મી સદી એશિયાની છે અને ૨૧મી સદીના વિકાસનો રસ્તો હિંદ મહાસાગરમાંથી જ છે ત્યારે આ અમારી ખાસ નીતિ છે. તેને હું એક ખાસ નામ આપું છું. S.A.G.A.R. એટલે કે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન’.
અમે હિંદ મહાસાગરમાં અમારા વૈશ્ર્વિક, સામરિક અને આર્થિક હિતોની રક્ષા માટે પૂર્ણરૂપે સતર્ક છીએ. ભારતની મૉડર્ન અને મલ્ટિ-ડાઈમેન્શનલ નૌસેના સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સ્થાયિત્વનો ભાર ઉપાડવા માટે સક્ષમ છે. આ ક્ષેત્રમાં દરિયાઈ માર્ગે આવતી દરેક ચેલેન્જ જેનો સામનો ફક્ત ભારત જ નહીં આ વિસ્તારના દરેક નાના-મોટા રાષ્ટ્રોને કરવો પડી રહ્યો છે તેવા આતંકવાદ, પાઈરેટ્સ, ડ્રગ્સ અને હથિયારોની ગેરકાયદે પ્રવૃત્તિઓ, ગેરકાયદે માછીમારી જેવી દરેક સમસ્યાના નિવારણ માટે ભારત પોતાની ભૂમિકા કોઈપણ સ્તરે નિભાવવા કટિબદ્ધ છે.
તેમણે જણાવ્યું કે INS કલવરી દરમિયાન ભારતીય કંપનીઓ અને ઉદ્યોગોને નવી સ્કીલ શીખવા મળી છે. આપણા એન્જિનિયર્સ અને ઉદ્યોગો માટે આ સમગ્ર સમય એક ટેલેન્ટ ટ્રેઝરનો રહ્યો છે. આ સ્કિલસેટ આપણા દેશની સંપત્તિ પુરવાર થશે.