પોતાને બુદ્ધિવાદી અને સુધારાવાદી ગણાવતા સમાજવાદીઓ અંધશ્રદ્ધાથી ડરીને નોઈડા જતા
ખચકાય છે જ્યારે અંધશ્રધ્ધાળુ, વહેમી અને જૂનવાણી કહીને બુદ્ધિવાદીઓ જેને વગોવે છે
તેવા પ્રખર હિન્દુ સંન્યાસી અને મુખ્યમંત્રી નોઈડા જઈ અંધશ્રદ્ધાને તોડી આવ્યા
દેશના સૌથી મોટા રાજ્યની આર્થિક રાજધાની ગણાતું નોઈડા શહેર છેલ્લાં ૨૫ વર્ષથી પોતાના મુખ્યમંત્રીની રાહ જોઈ રહ્યું છે. ભલભલા સમાજવાદીઓ અને પોતાને બૌદ્ધિક ગણાવતા પક્ષના રાજનેતાઓમાં પણ આ શહેરનો એટલો ડર છે કે ત્યાં જવાનું ટાળતા રહ્યા છે. આની પાછળનું કારણ છે અઢી દાયકાથી ચાલી આવતી એક અંધશ્રદ્ધા.
ઉત્તર પ્રદેશના રાજકારણમાં એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે રાજ્યના મુખ્યમંત્રી રહેતાં જે નેતા નોઈડાનો પ્રવાસ કરે છે તેની સરકાર પડી ભાંગે છે અથવા મુખ્યમંત્રીની ગાદી છીનવાઈ જાય છે. આ અંધવિશ્ર્વાસ એટલો તો દૃઢ બની ચૂક્યો છે કે, અહીંના તમામ પક્ષો સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ વીડિયો કોન્ફરન્સ થકી જ કરે છે.
- આ અંધવિશ્ર્વાસની શરૂઆત ૨૩ જૂન, ૧૯૮૮માં થઈ ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વીર બહાદુરસિંહ નોઈડા ગયા હતા. પરંતુ તેમના નોઈડા પ્રવાસથી પરત ફર્યા બાદ બીજા જ દિવસે તેઓને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડ્યું.
- ૧૯૮૯માં તત્કાલીન મુખ્યમંત્રી એન.ડી. તિવારી એક બગીચાનું ઉદ્ઘાટન કરવા નોઈડા ગયા હતા. ત્યાર બાદ તેમની સરકારનું પણ પતન થયું.
- ૧૯૯૫માં મુલાયમસિંહ યાદવે નોઈડાનો પ્રવાસ કર્યો અને તેમની ખુરશી ગઈ.
- ગૌતમ બુદ્ધનગર જિલ્લાની દીકરી હોવાનું કહેનાર માયાવતીએ ૧૯૯૭માં પોતાના ગૃહજનપદ નોઈડાનો પ્રવાસ કર્યો ત્યાર બાદ સત્તાએ જાણે કે માયાવતી સાથે રીસામણાં લીધાં હતાં. જો કે લાંબા સમય બાદ પુન: સત્તામાં આવેલ માયાવતીએ અંધવિશ્ર્વાસ તોડવા ૨૦૧૧માં નોઈડાનો પ્રવાસ કર્યો, પરંતુ ત્યાર બાદની વિધાનસભાની ચૂંટણીમાં તેઓની ભૂંડી હાર થઈ.
- ૧૯૯૯માં કલ્યાણસિંહ પણ પ્રચાર કરવા નોઈડા આવ્યા અને ફરીથી તેમની સરકાર જ ન બની.
- ૨૦૦૦માં તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશ ગુપ્તા નોઈડા ગયા કે તરત જ તેમની ખુરશી છીનવાઈ.
- ૨૦૦૨માં રાજનાથજી જ્યારે અહીંના મુખ્યમંત્રી બન્યા તેઓ પણ તેમના કાર્યકાળ દરમિયાન નોઈડા જવાથી બચતા રહ્યા હતા. તેઓએ પણ અનેક સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન નોઈડાની જગ્યાએ લખનઉ અને દિલ્હીથી જ કરતા હતા.
- ૨૦૦૩થી ૨૦૦૭ દરમિયાન મુલાયમસિંહ યાદવ અહીં મુખ્યમંત્રી પદે રહ્યા, પરંતુ આ દરમિયાન તેઓ ક્યારેય નોઈડા ગયા નથી.
- ૨૦૦૬માં નોઈડામાં થયેલ નિઠારી-કાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા, તેમ છતાં તે તે વખતના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ નોઈડા ફરક્યા પણ ન હતા.
- અહીંના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ પાંચ વર્ષના પોતાના કાર્યકાળમાં એક વખત પણ નોઈડા ગયા ન હતા. કહેવાતા આ સમાજવાદી નેતા નોઈડાને લઈ અંધશ્રદ્ધા અને સત્તા જવાના ડરનો ખોફ હતો.
છેલ્લા અઢી દાયકાથી ચાલી આવતી અંધશ્રદ્ધાની પરંપરા તોડવાની હિમ્મત જ્યારે પોતાને કથિત સેક્યુલર બૌદ્ધિક અને આધુનિક સમાજવાદીઓએ પણ બતાવી નથી ત્યારે જે પક્ષને આ જ લોકો પરંપરાવાદી, અંધશ્રદ્ધાવાળો ગણાવી ઉતારી પાડવાની રાજનીતિ કરે છે તે જ ભગવા પક્ષનાં ભગવાધારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડાનો પ્રવાસ કરી નોઈડા પરના કલંકને પડકાર આપવાનું અને સમાજને અંધશ્રદ્ધામાંથી દૂર કરવાનું હિંમતભર્યું પગલું ભર્યું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ નોઈડા જઈ મજેન્ટા મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરી આવ્યા.
આ કૃત્ય હિન્દુ ધર્મને અંધશ્રદ્ધાળુ ગણી ઉતારી પાડતા કથિત બૌદ્ધિકોને આપેલો જવાબ છે. હવે પ્રશ્ર્ન એ થાય છે કે શું હવે આ બુદ્ધિવાદીઓ, કર્મશીલો હિન્દુ ધર્મ પ્રત્યેની તેમની માનસિક્તા બદલશે ખરા ?