આ વખતે આંધ્રપ્રદેશમાં તમામ મંદિરોને પહેલી જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી ન કરવાનો આદેશ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યો. આ આદેશ પ્રસિદ્ધ કરતાં એન્ડોવમેન્ટ્સ વિભાગે કહ્યું છે કે ખ્રિસ્તી નવવર્ષની ઉજવણી એ ‘ભારતીય વૈદિક સંસ્કૃતિ’ નથી. હિન્દુ ધર્મ પરિરક્ષણા ટ્રસ્ટે (HDPT) આ સંદર્ભમાં તમામ મંદિરોને એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. પરિપત્રમાં એચડીપીટી સેક્રેટરી સી વિજય રાઘવચાર્યુલુએ જણાવ્યું છે કે ‘પહેલી જાન્યુઆરીએ શુભેચ્છાની આપ-લે અને તેની તહેવારની જેમ ઉજવણી એ ભારતીય વૈદિક સંસ્કૃતિ નથી. તેલુગુ નવા વર્ષના દિવસ ઉગાડીની ઉજવણી એ બરોબર છે અને તે જ આપણી સાચી સંસ્કૃતિ છે.’ ‘ભારતે ૭૦ વર્ષ અગાઉ સ્વતંત્રતા મેળવી હતી, પરંતુ હજુ આપણે બ્રિટિશરોએ દાખલ કરેલા કેલેન્ડરને જ અનુસરીએ છીએ. ભારતીય સંસ્કૃતિની અવગણના કરીને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિને અનુસરવા માટે લાખો રૂપિયા ખર્ચીને મંદિરોને સમજાવવામાં આવે છે.’ તે યોગ્ય નથી.
મુસ્લિમ સમાજમાં કોઈ શખ્સના મૃત્યુ બાદ સુપુર્દેખાખની અંતિમ ક્રિયા કરતાં પહેલાં નમાઝ પઢવામાં આવે છે. ગોવાના સેન્ટ ઇન્જ વિસ્તારમાં મુસ્લિમોનું સૌથી મોટું કબ્રસ્તાન છે. અહીંના સ્થાનિકોની ફરિયાદ હતી કે, અહીં જનાજાની નમાઝ વખતના લાઉડસ્પીકરોના અવાજની તીવ્રતાએ અમારું જીવવું હરામ કરી નાખ્યું છે. સ્થાનિક પ્રશાસને આ ફરિયાદને તાત્કાલિક ધ્યાનમાં લઈ કબ્રસ્તાનમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવી દીધી છે.
૨૩ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટ પરિસરમાં આવેલ જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં જાણીતા લેખિકા અને ગુજરાત યુનિવર્સિટીનાં અંગ્રેજી વિભાગનાં ભૂતપૂર્વ અધ્યક્ષ અને ‘નવગુજરાત સમય’નાં કટાર લેખિકા ડૉ. રંજના હરીશ દ્વારા લિખિત પુસ્તક અપરાજિતાનું લોકાર્પણ યોજાયું હતું. આ પુસ્તકમાં શ્રીમતી રંજના હરીશે ‘નવગુજરાત સમય’માં ‘અંતરમનની આરસી’ નામની કૉલમમાં લખેલા નારીવાદી લેખોનો સંગ્રહ છે. પુસ્તકની સમીક્ષા કરતા પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનાં સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝના ડાયરેક્ટર ડૉ. નિગમ દવેએ જણાવ્યું હતું કે, આ પુસ્તકનાં નામ જેવું જ આમાં જે મહિલાઓ વિશે વાત કરાઈ છે. તેમનું જીવન છે. આ બધી જ સ્ત્રીઓ અપરાજિતા છે. પુસ્તકમાં સિમોન દીબુવા, માયા એન્જેલો, અગાથા કિસ્ટી, વિની મડેલાથી માડી મહાશ્ર્વેતાદેવીની વાતો છે. આ પ્રસંગે ‘નવગુજરાત સમય’ના તંત્રી અજય ઉમટ, નવજીવનના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ નવગુજરાત સમયનાં આસિસ્ટંટ એડિટર બેલા ઠાકર, પુસ્તકનાં સંપાદક પ્રફુલ છાપિયા, જાણીતા આર્કટિક અને લેખિકા એસ્થર ડેવિડ સહિતનાં મહાનુભાવોએ હાજરી આપી હતી.
શ્રીલંકામાં ધર્મપરિવર્તન રોકશે નંદીધ્વજ
શ્રીલંકાના ચિદંબરમપુરમ્ નામના ટાપુ પર રહેતા ૩૩૦૦ હિન્દુ પરિવારોમાંથી ૧૦૦ જેટલા હિન્દુ પરિવારોનું ઈસાઈ મિશનરીઓ દ્વારા ધર્મ-પરિવર્તન કરાતાં હિન્દુઓમાં ખળભળાટ મચી ગયો છે. ઈસાઈ મિશનરીઓની આ ધર્માંધ ચાલ સામે અહીંનાં હિન્દુ સંગઠનોએ અહીંનાં તમામ હિન્દુ ઘરો પર નંદીધ્વજ ફરકાવવાનું શરુ કરી દીધું છે. અહીંનાં છોટુકુલ્લમ્ માર્ગ પર ૬૦ ફૂટ ઊંચો નંદીધ્વજ ફરકાવી ચેતવણી આપી છે કે, આ પવિત્ર શિવભૂમિ છે. અહીં અન્ય ધર્મીઓ દ્વારા હિન્દુઓનું ધર્માંતરણ થયું તો તેનાં ગંભીર પરિણામો આવશે. વિદેશોમાંથી હિન્દુઓના આ અભિયાનને સમર્થન મળી રહ્યું છે.
રા. સ્વ. સંઘના વરિષ્ઠ સ્વયંસેવક જગદીશ શાસ્ત્રીજીનું ટોરેન્ટોમાં નિધન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મા. શ્રી જગદીશ શાસ્ત્રીજીનું ૯૬ વર્ષની વયે કેનેડાના ટોરેન્ટો શહેરમાં નિધન થયું છે. સદ્ગત જગદીશ શાસ્ત્રીજી ૧૯૪૭માં ભારત બહાર રા. સ્વ. સંઘની પહેલ-વહેલી શાખા શરુ કરનારાઓમાંના એક હતા. કેનેડાના ટોરેન્ટોમાં રા. સ્વ. સંઘ વિશ્ર્વવિભાગમાં પણ તેઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. ઈશ્ર્વર સદ્ગતના આત્માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના.
પાકિસ્તાની પત્રકારનો દાવો બાબરીધ્વંસ બાદ પાકમાં ૧૦૦ મંદિર ધ્વંસ કરાયાં
૬ ડિસેમ્બર, ૧૯૯૨માં ભારતમાં રામભક્તો દ્વારા કથિત બાબરી મસ્જિદના વિવાદિત માળખાને ધ્વંસ કર્યાના પડઘા ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ પડ્યા હતા. પાકિસ્તાનમાં આ ઘટના બાદ ૧૦૦થી વધુ મંદિરો ધ્વંસ કરવામાં આવ્યાં હતાં. પાકિસ્તાનના તસવીર પત્રકાર શિરાજ હસને આ મંદિરોની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. આ મંદિરોમાં ૧૮૪૭માં વિભાજન વખતથી હિન્દુ શરણાર્થીઓ રહેતા હતા. હસને પોતાના ટ્વીટ પર લખ્યું છે કે, અમે આ ખંડેર સમાન બની ગયેલાં મંદિરોમાં રહેતા લોકો સાથે વાતચીત કરી છે. તે લોકોના મનમાં આજે પણ ૧૯૯૨ના ભયાનક વાતાવરણનો ડર છે. તેઓએ મને કહ્યું અમે એ લોકો પાસે રહેમની ભીખ માંગી, પગમાં પડ્યા, પરંતુ તેઓ ન માન્યા.