સ્વામી વિવેકાનંદની આ વાતો આજના યુવાનો માની લે તો તેમને સફળ થતા કોઈ નહિ રોકી શકે

    ૧૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 

ભારત સ્વતંત્ર થયું તેના 50 વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલા એક પ્રવચનમાં સ્વામીજીએ વિશ્ર્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘યુવાશક્તિ પર મારો અપાર વિશ્ર્વાસ છે. યુવાનો એમનાં પરાક્રમોથી વિશ્ર્વ આખાને બદલી નાંખશે.’

 
લક્ષ નિર્ધાર
 
સ્વામી વિવેકાનંદના મતે વ્યક્તિનો ખરેખર જન્મ લક્ષ્યની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતીગાતી, હસતીબોલતી લાશ જ છે.’ જ્યારે વ્યક્તિ પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.
આમ, લક્ષ-નિર્ધાર જ જીવનકર્મ છે. એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્ર્ચિત બની જશે.
 
આત્મવિશ્ર્વાસ
 
જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્ર્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્ર્વાસ વ્યક્ત કરવાનું જણાવે છે. ‘પહેલાં કહેવાતું હતું કે, ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્ર્વાસ નથી એ નાસ્તિક છે.’ આપણે આપણી શક્તિઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે. જો યુવાનો દ્ઢ નિર્ધાર કરે તો તેમના માટે કશું જ અશક્ય નથી. સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મક નકારાત્મક બધી જ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શક્તિને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
 
સમર્પણ
 
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. અધ્યવસાયી આત્મા કહે છે કે, હું સાગરને પી જઈશ એ છીપ્ની જેમ જે સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જ્યાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા સમર્પણભાવની જરૂર છે.’ આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ, પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભશૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિતભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.
 
સંગઠન
 
વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યક્તિગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થયાં છે, પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફ્ટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરિટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્ર્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એ જ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુન:જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપ્ના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.
 
જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો. સ્વામીજીના બતાવેલા આ યુવાયંત્રો, લક્ષ્ય-નિર્ધાર, આત્મવિશ્ર્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્ર્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં. આમેય ભારત આજે વિશ્ર્વમાં સૌથી યુવાન દેશ છે. ફક્ત વસતીના રૂપમાં પણ આપણે વિશ્ર્વમાં સૌથી વધુ યુવાન તો છીએ જ, પરંતુ સુશિક્ષિત રોજગાર સક્ષમ યુવાનોની સંખ્યામાં પણ આજે ભારત મોખરે છે.