‘આજે આપણો દેશ સુરક્ષિતતા અનુભવે છે તેનું શ્રેય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા દેશભક્તોના સંગઠનને ફાળે જાય છે. અખંડતાની સુરક્ષા સંવર્ધન માટે ભારતનું બંધારણ, ભારતની લોકશાહી વ્યવસ્થા, ભારતનાં સશસ્ત્ર દળો ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા રાષ્ટ્રપ્રેમી સમર્પિત શિસ્તબદ્ધ સંગઠનોને કારણે જ આજે દેશવાસીઓ પોતાને સુરક્ષિત અનુભવે છે.’
આ શબ્દો છે - ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ પદ્મભૂષણ શ્રી કે. ટી. થોમસના. ગત ૩૧ ઑક્ટોબરને દિવસે કેરળના કોટ્ટાયમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં ત્યારે તેમણે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં આ ભાવ વ્યક્ત કર્યો હતો.
ન્યાયમૂર્તિશ્રીએ રા.સ્વ.સંઘના સંગઠનાત્મક કામની પ્રશંસા કરતાંએમ પણ કહ્યું કે, "૧૯૭૫માં જ્યારે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી રાજની આપખુદશાહી લાદી ત્યારે લોકશાહી, નાગરિક અધિકારો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની રક્ષા માટેના એ મહાન નાગરિક સંઘર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિસ્તબદ્ધ કેળવાયેલા, સમર્પિત સ્વયંસેવકોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. સંઘ તેમના સ્વયંસેવકોને અનુશાસન, દેશભક્ત અને શારીરિક શિક્ષણ દ્વારા સ્વરક્ષાના પાઠ ભણાવે છે. સંઘની કુશળ રણનીતિ અને વ્યાપક સંગઠનશક્તિની વાત ઇન્દિરાજી સુધી પણ પહોંચી હતી. તેથી જ ઇન્દિરાજીને તેમણે લાદેલી કટોકટીની આપખુદશાહી હટાવીને લોકશાહી ચૂંટણીઓ જાહેર કરવાની ફરજ પડી હતી. આ રીતે સંઘ-સ્વયંસેવકોને તેમની દૈનિક શાખાઓમાં જે શારીરિક-બૌદ્ધિક શિક્ષણ આપવામાં આવે છે તેને કારણે જ તેઓ સમાજ અને રાષ્ટ્ર ઉપર થનાર કોઈ પણ આક્રમણનો મુકાબલો કરવામાં સક્ષમ સિદ્ધ થઈ રહે તેમ છે.
તેમણે એમ પણ કહ્યું કે, ‘ભારતના બંધારણમાં મૂળભૂત રીતે સેક્યુલરિઝમ’ - પંથનિરપેક્ષતા અંગે કોઈ ઉલ્લેખ નથી. આ રીતે ભારતીય બંધારણ સેક્યુલરિઝમને પરિભાષિત કરતું નથી. ભારતીય સંદર્ભમાં સેક્યુલરિઝમને ધર્મથી અલગ રાખી શકાય તેમ નથી. કારણ કે, ભારત એ ધર્મપ્રાણ દેશ હોઈ, સેક્યુલરિઝમ શબ્દનો અર્થ ‘ધર્મનિરપેક્ષતા અંગે કોઈ ઉલ્લેખ નથી. આ રીતે ભારતીય બંધારણ સેક્યુલરિઝમને પરિભાષિત કરતું નથી. ભારતીય સંદર્ભમાં સેક્યુલરિઝમને ધર્મથી અલગ રાખી શકાય તેમ નથી કારણ કે, ભારત એ ધર્મપ્રાણ દેશ હોઈ, સેક્યુલરિઝમ શબ્દનો અર્થ ‘ધર્મ નિરપેક્ષતા’ને બદલે ‘પંથનિરપક્ષેતા’ કરવો રહ્યો. ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયો, તેમની રક્ષા માટે ‘સેક્યુલરિઝમ’નો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં સેક્યુલરિઝમનો અર્થ થાય છે : દેશના પ્રત્યેક નાગરિકનું સન્માન. આ રીતે ભાષા-ભૂષા, પ્રાંત, નાત, જાત, સંપ્રદાય, પૂજા-પદ્ધતિ, મઝહબના ભેદભાવ સિવાય દેશના પ્રત્યેક વ્યક્તિની અન્ય કોઈ પણ પ્રભાવ, કામકાજ કે ભેદભાવ સિવાય સુરક્ષા અને સન્માન થવું રહ્યું.’
ન્યાયમૂર્તિ શ્રી થોમસે એમ પણ જણાવ્યું કે : ભારત દેશના સંદર્ભ ‘હિન્દુ’ શબ્દ ઉચ્ચારવાથી ધર્મ શબ્દની સમજ ઊભી કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ‘હિન્દુ’ શબ્દપ્રયોગ કરવાથી ભારતીય સંસ્કૃતિની અનુભૂતિ થઈ આવે છે. આ રીતે ‘હિન્દુ’ શબ્દ સંસ્કૃતિનો પર્યાય છે. આ રીતે હિન્દુ શબ્દનો સાચો પ્રયોગ સહુ માટે પ્રેરક બની રહેતો, પરંતુ હાલના સંજોગોના ‘હિન્દુ’ શબ્દનો અર્થ આર.એસ.એસ.-બી.જે.પી.ના સંદર્ભમાં (ખોટી રીતે) અલગ અર્થમાં પ્રયોજાય છે..!’
૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા રાષ્ટ્ર પ્રત્યે પૂર્ણ સમર્પિત-દેશભક્ત સંગઠનનો પ્રાદુર્ભાવ થયો ત્યારથી જ દેશનાં અરાષ્ટ્રીય પરિબળો દ્વારા તેની વિરુદ્ધ પાયા વિનાના આક્ષેપો કરીને સંઘ વિરુદ્ધ અને સંઘના જન્મદાતા અંગે અનાપ-શનાપ ઉચ્ચારણો થતાં રહે છે. આઝાદી પછી પણ કોંગ્રેસ, ડાબેરી માર્ક્સવાદીઓ, કથિત બૌદ્ધિક-કર્મશીલ-સેક્યુલર મંડળી પણ સંઘ વિરુદ્ધ અનર્ગળ અપપ્રચારની આંધી સર્જી રહ્યા છે. તેમાંયે મે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદી શક્તિઓના થયેલ વિજય પછી તો, આ સેક્યુલર જમાતના સનેપાતે માઝા મૂકી છે. આવા માહોલમાં ભારતની સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ પૂર્વ ન્યાયમૂર્તિ - એક સંનિષ્ઠ ખ્રિસ્તી મહોદય શ્રી કે. ટી. થોમસ દ્વારા જે શાણપણભરી વાણી ઉચ્ચારાઈ છે એની પાછળ રહેલી રાષ્ટ્રહિતની લાગણી, નિર્ભિકતા, નિખાલસતા અને પ્રતિબદ્ધતા કાબિલેદાદ છે. ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયને ગેરમાર્ગે દોરીને, ગભરાવીને કોંગ્રેસ-ડાબેરીઓ વગેરે જે રીતે રાષ્ટ્ર અને જનતંત્રના ભોગે તેમનું ‘વોટબેન્ક’ પોલિટિકસ ખેલી રહ્યા છે ત્યારે, ન્યાયમૂર્તિ શ્રી થોમસના આવા પ્રેરક ઉદ્ગારો, નરવી-નીતરી સમજ સાથે સમાજ-રાષ્ટ્રજીવન માટે શિશિરમાં નવ-વસંતની તાજગી-ઉષ્માની અનુભૂતિ કરાવનાર બની રહે તેમ છે.