ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી અને પાકિસ્તાને જેને ભારતના જાસૂસમાં ખપાવી ફાંસીની સજા આપી છે એ કુલભૂષણ જાધવની માતા અને પત્ની સાથે પાકિસ્તાનમાં કરાયેલા ગેરવર્તને ફરી એક વાર પાકિસ્તાનની અસલિયત લોકો સામે ખુલ્લી કરી દીધી છે. પાકિસ્તાને શું કર્યું તેની વાત મીડિયામાં આવી ગઈ છે તેથી એ વાત ફરી માંડતા નથી પણ આ વર્તન સામે ભારતીયોમાં તો આક્રોશ છે જ પણ સમગ્ર દુનિયા પાકિસ્તાન પર થૂ થૂ કરી રહ્યું છે ને ફિટકાર વરસાવી રહ્યું છે. પાકિસ્તાન પર તેની કેટલી અસર પડશે તે ખબર નથી પણ તેના કારણે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ઈંઈઉં)માં ભારતનો પક્ષ વધુ મજબૂત થયો છે એ કબૂલવું પડે. અલબત્ત પાકિસ્તાન આઈસીજેને કેટલું ગાંઠે છે એ પણ સવાલ તો છે જ.
કુલભૂષણ જાધવનો કિસ્સો પાકિસ્તાનની મેલી મુરાદનો વધુ એક નાદાર નમૂનો છે. આ નાલાયકીની વાત જાણતાં પહેલાં કુલભૂષણ જાધવને પાકિસ્તાને કઈ રીતે ફીટ કરી દીધો તે જાણવું જરી છે. કુલભૂષણ મૂળ મહારાષ્ટ્રીયન પરિવારનો દીદરો છે ને ભણવામાં હોશિયાર હતો. એ ૧૯૮૭માં નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ)માં જોડાયો ને ચાર વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ૧૯૯૧માં ઇન્ડિયન નેવીની એન્જીનિયરિંગ બ્રાંચમાં જોડાયો હતો. પાકિસ્તાનનો દાવો છે કે એ ભારતની જાસૂસી સંસ્થા રીસર્ચ એન્ડ ઇન્ટેલિજન્સ વિંગ (રો)નો એજન્ટ છે. રોના ઇશારે પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવવા તે બલુચિસ્તાન જવા નીકળેલો પણ ઈરાનની સરહદેથી પાકિસ્તાનમાં ઘૂસતી વખતે ઝડપાઈ ગયેલો. પાકિસ્તાનના દાવા પ્રમાણે તે ઝડપાયો ત્યારે તેની પાસેથી નકલી પાસપોર્ટ મળેલો. આ પાસપોર્ટમાં તેનું નામ હુસૈન મુબારક પટેલ ને તે મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું બતાવાયેલું. પાકિસ્તાને એવો દાવો પણ કરેલો કે પાકિસ્તાનથી અલગ થવા માગતા બલોચી અલગતાવાદીઓ સાથે કુલભૂષણના સંપર્કો હતા ને તેમની સાથે મળીને પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનાં કાવતરાં ઘડતો હતો.
કુલભૂષણે ગ્વાદર અને કરાચી બંદરો પર બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડેલું તેવો પણ પાકિસ્તાને દાવો કરેલો. કુલભૂષણ નેવીમાં હતો તેથી નેવલ ફાઈટિંગ ટેક્નિક્સમાં માસ્ટર છે ને તેણે આ બંને બંદરોને ધમરોળવા બોટ્સ પણ ખરીદી લીધેલી તેવી વાતો પણ પાકિસ્તાને કરેલી. ચીન અત્યારે પાકિસ્તાનમાં ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બનાવી રહ્યું છે. આ કોરિડોર બનશે એટલે પાકિસ્તાનમાં દોમ દોમ સાહ્યબી થઈ જશે તેવી ગોળીઓ ચીન ને પાકિસ્તાન બંને પોતાની પ્રજાને ગળાવે છે. પાકિસ્તાનનો દાવો છે કે કુલભૂષણ પાકિસ્તાનમાં આ કોરિડોરમાં ભાંગફોડ કરવા ઘૂસેલો પણ તેના નાપાક ઇરાદાને અંજામ આપે એ પહેલાં પકડાઈ ગયો.
પાકિસ્તાન જુઠાણું ચલાવી રહ્યું છે
પાકિસ્તાને જે વાર્તા કહી છે એ ઘણી બધી રીતે ગળે ઊતરે તેવી નથી. ભારતે સત્તાવાર રીતે કબૂલ્યું છે કે કુલભૂષણ નેવલ ઓફિસર હતો પણ સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેને રો કે બીજી ભારતીય એજન્સી સાથે કંઈ લેવાદેવા નથી. ભારતનો દાવો છે કે, કુલભૂષણે વહેલી નિવૃત્તિ લઈ લીધી હતી ને એ પોતાનો બિઝનેસ કરતો હતો. એ ભારતીય છે પણ ભારતીય જાસૂસ નથી તેવો ભારતનો દાવો છે. ભારતના દાવાને ઈરાન અને બલોચ નેતાઓ તરફથી પણ સમર્થન મળ્યું છે. પાકિસ્તાની મીડિયામાં જ આવેલી વાતો પ્રમાણે ચાબહારને ફિટ કરાયો છે. ઈરાનનું ચાબહાર બહુ મોટા બંદર તરીકે વિકસી રહ્યું છે તેથી ઘણા વિદેશી ત્યાં કામ કરે છે. કુલભૂષણ પણ ચાબહારમાં ભંગારના વેપારી તરીકે કામ કરતો હતો. ચાબહાર પાકિસ્તાનની સહરદથી નજીક છે તેથી પાકિસ્તાનના લશ્કરના પીઠ્ઠુ એવા જૈશુલ આદિલ નામના આતંકવાદી સંગઠનના લોકો તેને ઉઠાવી ગયા. ચાબહારમાં કુલભૂષણ ૨૦૦૩થી રહેતો હતો ને પોતાના પરિવાર સાથે મરાઠીમાં વાત કરતો તેથી તે ભારતીય છે તેની બધાંને ખબર હતી. આ કારણસર જ તેને ઉઠાવાયેલો ને પછી પાકિસ્તાની લશ્કરને સોંપી દેવાયેલો. પાકિસ્તાને વાહવાહી લૂંટવા તેના પર ભારતીય જાસૂસ હોવાનો સિક્કો લગાવી દીધો. પાકિસ્તાને કુલભૂષણના નકલી પાસપોર્ટથી માંડીને બીજા દસ્તાવેજો ઉપજાવી કાઢ્યા હોવાનો દાવો પણ ભારતે કરેલો જ છે ને આ દાવાને નકારી શકાય એમ નથી. લશ્કરી અધિકારીઓ ગમે તે કરી શકે એ જોતાં તેમના માટે કુલભૂષણનો નકલી પાસપોર્ટ બનાવવો કે તેની પાસેથી ફલાણી વસ્તુ મળી છે ને ઢીંકણી ચીજ મળી છે એ બધી ડાબા હાથની વાત છે.
કુલભૂષણ ઈરાનની સરહદેથી પાકિસ્તાનમાં ઘૂસવા મથતો હતો ને પકડાઈ ગયો એવા પાકિસ્તાનના દાવાને ઈરાન તરફથી સમર્થન નથી મળ્યું. ઈરાન-પાકિસ્તાન સરહદેથી એવી ઘૂસણખોરી થઈ હોય તો તેની ખબર ઈરાનને તો હોય જ ને? ઈરાને આ મામલાની તપાસ કરવાની જાહેરાત કરેલી પણ એ તપાસમાં કશું નીકળ્યું નથી.
પાકિસ્તાનના લશ્કરે કુલભૂષણે આ બધું કબૂલ્યું હોવાનો દાવો કર્યો હતો ને તેની કબૂલાતનો એક વીડિયો પણ જાહેર કરેલો. આ વીડિયોમાં કુલભૂષણ એવું કહેતો સંભળાય છે કે તે રોના અનિલ ગુપ્તા નામના અધિકારીના હાથ નીચે તેની કામ કરતો ને ૨૦૧૩માં રોએ તેને નીમેલો. વીડિયોમાં તે એવું પણ કહે છે કે, પોતે ૨૦૨૨માં નિવૃત્ત થશે ને હજુ ભારતીય નેવીનો ઑફિસર છે જ. પહેલી વાત તો એ કે આવા વીડિયો બનાવવા બહુ સરળ છે. તમે કોઈ માણસને પકડીને ટોર્ચર કરો પછી એ પઢાવેલા પોપટની જેમ તમે કહો એ બોલવા તૈયાર થઈ જાય. કુલભૂષણ પણ માણસ જ છે એ જોતાં તેને પણ પાકિસ્તાનીઓએ મારી મારીને આ બધું બોલવા મજબૂર કર્યો હોય એ શક્ય છે. બીજું એ કે કુલભૂષણની કહેવાતી કબૂલાતમાં પણ વાતોનો તાળો મળતો નથી ને મુખ્ય મુદ્દો તો એ જ છે કે કુલભૂષણ ૨૦૧૩થી રો સાથે કામ કરતો હતો તો તેનાં દસ વર્ષ પહેલાંથી એ ચાબહારમાં શું કરતો હતો ? ઇન્ડિયન નેવીના અધિકારી તરીકે એ ચાબહારમાં જાસૂસી કરવા ગયો હોય એ વાત ગળે ઊતરે તેવી નથી.
સરબજીતથી માંડીને કિરપાલસિંહ સુધી
પાકિસ્તાન આ નાટક કેમ કરે છે તે સમજવા જેવું છે. બલોચિસ્તાન મુદ્દે ભારતનું વલણ બહુ સ્પષ્ટ છે. પાકિસ્તાન બલોચિસ્તાનમાં લોકો પર અત્યાચારો કરે છે તેથી લોકો ભડકેલા છે ને પાકિસ્તાનથી અલગ થવા જોરદાર આંદોલન ચાલી રહ્યું છે. બલોચ ખૂંખાર પ્રજા છે ને પાકિસ્તાન તેમને દબાવી શકતું નથી તેથી ધૂંધવાયા કરે છે. બીજી તરફ ભારતે બલોચ પ્રજાના આંદોલનને ખુલ્લો ટેકો આપ્યો છે તેના કારણે પાકિસ્તાનનો ઘૂંધવાટ વધ્યો છે. પાકિસ્તાન ભારતને સીધી રીતે તો કશું કરી શકે તેમ નથી તેથી તેણે કુલભૂષણ જેવા નિર્દોષને પકડીને ભારતને દબાવવા કોશિશ કરી છે. આ રીતે ભારતીયોને ફસાવીને પાકિસ્તાન ભારતને એવો મેસેજ આપવા માગે છે કે, તમે બલોચ પ્રજાને ટેકો આપશો તો બદલામાં અમે ભારતીયોને પતાવી દઈશું. આ પહેલાં તેણે સરબજીતથી માંડીને કિરપાલસિંહ સુધીના આપણા નિર્દોષ લોકોની આ રીતે હત્યા કરી જ છે. કુલભૂષણ જાધવ તેનો નવો શિકાર છે.
ભારતે ૯૩ હજાર સૈનિકોને છોડી મૂક્યા હતા
જાધવનું હવે શું થશે તે ખબર નથી પણ ભારતે પાકિસ્તાન સાથે માનવતા દાખવી અને યુદ્ધના નિયમોનું પાલન કર્યું તેનો બદલો પાકિસ્તાન અવળચંડાઈ કરીને વાળે છે. ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધ વખતે પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોને ભારતે કેદ કરેલા પણ યુદ્ધ સમાપ્ત થયું પછી ભારતે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને તેમને છોડી મૂક્યા. સામે પાકિસ્તાને એવું સૌજન્ય ના દાખવ્યું અને ભારતીય યુદ્ધકેદીઓને નહોતા છોડ્યા. એ યુદ્ધકેદીઓની સંખ્યા લગભગ ૩૦૦૦ જેટલી હતી અને તેમને એ પછીનાં વરસોમાં ભયંકર યાતનાઓ પાકિસ્તાનની જેલોમાં અપાઈ.
આ વાત ૪૬ વર્ષ જૂની છે અને આ પૈકી મોટા ભાગના ભારતીય જવાનો તો યાતનાઓ સહન કરીને ગુજરી ગયા પણ હજુ પાકિસ્તાનની જેલોમાં ૭૨ ભારતીય જવાનો કેદી તરીકે સબડે છે એવું સરબજીતની બહેનની તપાસમાં બહાર આવેલું. આ ઉપરાંત લગભગ અઢીસો જેટલા બીજા ભારતીયો પાકિસ્તાનની જેલોમાં બંધ છે ને તેમને છોડાવવા પણ જરી છે. આ કેદીઓની હાલત ખરાબ છે અને તેમની હાલત પણ સરબજીત, કિરપાલ અને જાધવ જેવી થઈ શકે છે.
ભારતે ૯૩ હજાર પાકિસ્તાની યુદ્ધકેદીઓને છોડી મૂક્યા એ ભારતની મોટી ભૂલ હતી. ભારત તેના બદલામાં પાકિસ્તાનને કાશ્મીર છોડવાની ફરજ પાડી શક્યું હોત ને પહેલાં ભારતીયોને છોડાય પછી જ પાકિસ્તાનીઓને મુક્ત કરાશે તેવી શરત મૂકી શક્યું હોત પણ ભારતે એ ના કર્યું ને હિમાલય જેવડી ભૂલ કરી નાંખી. એ પહેલાં ૧૯૬૫ના યુદ્ધકેદીઓનો મામલો પણ લટકતો હતો ને ભારતે તે પણ ના ઉકેલ્યો.
યુદ્ધકેદીઓના મામલે યુનાઈટેડ નેશન્સે ચોક્કસ નિયમો બનાવ્યા છે ને તેમને પાકિસ્તાન પાળતું નથી. અન્ય દેશોના કેદીઓના મામલે પણ યુનાઈટેડ નેશન્સે નિયમો બનાવેલા જ છે ને તેમાં એક નિયમ કોન્સ્યુલર એક્સેસનો છે. મતલબ કે જે દેશનો કેદી હોય તે દેશનું દૂતાવાસ તેની સાથે સંપર્કમાં રહી શકે. પાકિસ્તાન પહેલેથી આ નિયમ નથી પાળતું ને જાધવના મામલે પણ તે એવુ જ કરે જ છે. પાકિસ્તાનની આ ગુસ્તાખી સામે ભારત લાલ આંખ કરે એ સમય આવી ગયો છે.
મોદી સરકારે જાધવનો કેસ આઈસીજેમાં લઈ જઈ જાધવની ફાંસી રોકાવી
પાકિસ્તાને ભૂતકાળમાં સરબજીત અને શેખ સમીમ જેવા ભારતીયોને જાસૂસમાં ખપાવીને ફાંસીના માંચડે લટકાવી દીધા છે. સરબજીતને ૨૦૧૩માં કોંગ્રેસની સરકાર વખતે લટકાવી દેવાયેલો જ્યારે શેખ શમીમને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે લટકાવી દેવાયેલો. બંને વખતે ભારતના શાસકોએ થૂંક બહુ ઉડાડેલું પણ તેમને બચાવવા કશું નક્કર નહોતું કર્યું. તેમની પાસે પણ ઇન્ટરનેશનલ કોર્ટમાં જવાનો રસ્તો હતો જ પણ એ રસ્તો અપનાવવાનું પણ તેમને નહોતું સૂઝ્યું. નરેન્દ્ર મોદી સરકારે એ રસ્તો અપનાવ્યો તેના કારણે પાકિસ્તાને જાધવને ફાંસીએ લટકાવી દેવાની યોજના હાલ પૂરતી મોકૂફ રાખવી પડી છે. જાધવને ફાંસીની જાહેરાત કરાઈ એ વખતે આખા દેશમાં આક્રોશ ભડક્યો હતો ને આ મામલો સંસદમાં પણ ગાજ્યો હતો. એ વખતે મોદી સરકાર વતી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સંસદમાં ધ્રુજારો કરેલો કે, ભારત જાધવને છોડાવવામાં કોઈ કસર નહીં છોડે ને પાકિસ્તાન સીધી રીતે નહીં માને તો પછી અમારે જાધવને છોડાવવા બીજા રસ્તા પણ અપનાવવા પડશે. આ બીજા રસ્તા કયા હશે તેનો સુષ્માએ ફોડ નહોતો પાડ્યો પણ ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારત ગયું તેના પરથી સ્પષ્ટ છે કે મોદી સરકાર સાવ સરકારી ઢબે જવાબ આપીને આખી વાતનો વીંટો વાળવા નહોતી માગતી. જાધવને ફાંસીની જાહેરાત કરાઈ એ વખતે જ મોદી સરકારે પાકું હોમવર્ક કરી નાંખેલું અને ઇન્ટરનેશનલ કોર્ટમાં તેને પડકારીને જાધવને છોડાવવા નક્કર રસ્તો અપનાવ્યો છે.