એમનો કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે...’ મળ્યો અને વંચાઈ ગયો. એકવાર સીતાંશુભાઈ સાથે કાવ્યચર્ચા કરતા હતા. ત્યારે એમને કાવ્યના ન્યુક્લીયસને પકડવાનું ભાવકે કરવાનું છે, કવિથી જુદા પડીને પણ આ ભાવકૌવત કેળવવા જેવું છે. મને આખા કાવ્યસંગ્રહમાં જે મઝા આવી છે તે તેનાં તાજાં કલ્પનોની તો ખરી જ પણ આપણું અછાંદસ કાવ્ય પણ એક નવી પુખ્તતા પામે છે તેનો આનંદ છે. પેલા ન્યુક્લીયસની વાત પહેલાં કરીએ, જેમ કાવ્યનું પોત કે વ્યક્તિત્વ હોય છે એમ કાવ્યસંગ્રહનું પણ હોય જ છે. આ ‘કરમ-સંજોગે મળિયાં આપણાં આંગણાં જોડાજોડ રે... (કાનજી તારી મા કહેશે, પણ અમે કાનુડો કહેશું રે...) જેવું નથી, અહીં તો એનો વિશ્ર્વકર્મા સૂક્ષ્મ રીતે આપણી સાથે કાવ્ય વાંચતો હોય છે. કાવ્યપડોશ કે કાવ્યવિન્યાસની એક સૌંદર્યાનુભૂતિ હોય છે જ. કવિની ચેતના આખા કાવ્યસંગ્રહમાં કેવી રીતે વિસ્તરી રહી છે તેનો ઝબકાર-અજવાળું પાને પાને પથરાયેલું છે. પણ એનું વિભૂતિતત્ત્વ કે વિશ્ર્વપદર્શન જેવી અદા જેમ ગીતામાં છેક દશ-અગિયારમા અધ્યાયમાં પ્રગટે છે તેવું જ ચમત્કૃતિભર્યંુ કાવ્ય મને ‘તારો પ્રતિસ્પર્ધી...’માં દેખાય છે. કવિ આ કાવ્યની શઆત ગૌમુખમાં ‘હાથ’ ગુમાવ્યાની ખૂબ જ અસ્તિત્વવાદની અદાના વિધાનથી કરે છે. કવિ આપણને પાછળ ખેંચી જાય છે. પછી એમના પિતા-પિતામહની પરંપરા અને હૃષીકેશના ગંગાસ્નાનની સપાટીઘટના કહેતાં કહેતાં કવિ જે ડૂબકી મારે છે તે લક્ષણા-વ્યંજનાના પ્રદેશમાં ભાવકને ભીજવતાં ભીંજવતાં મનુષ્યનાં સહસ્રકોટિ રન્ધ્રે રન્ધ્રમાં જાગે છે. અહીં એક વિભૂતિદર્શનમાં રત અર્જુનને જાણે વિશ્ર્વપદર્શન કરાવતા કૃષ્ણ જાગ્યા હોય તેમ જળમાં કમરભેર ઊભેલા કવિ સહસ્રબાહુ બને છે, અને દિવ્યદર્શન થાય છે, અને કવિ ઉદ્ઘોષણા કરે છે, "તારો પ્રતિસ્પર્ધી ! કવિ... આ કવિનું દર્શન, સેલ્ફ રીયલાઈઝેશન મને ખૂબ ગમ્યું છે. પોતાને કયા જળમાં ઊભા રાખીને આ આત્મશોધ કરવાની છે એની ભાવમુદ્રા પામવા ભાવકે મથવાનું છે અને એ રીતે કવિતા સાવ ‘કાન્તા-સામ્મિત-સંવાદ’ની વહેવારુ ચેષ્ટાથી ઉમાશંકર-પ્રબોધિત આત્માના કલાકક્ષથી ઉચ્ચરે છે અને એટલે એને કાવ્યસંગ્રહનું મધ્યબિન્દુ કે નાભિકેન્દ્ર પકડીને હું ફરીથી કવિ જયદેવની સાથે આભયાત્રાએ નીકળું છું.
કવિ બીજા જ સંગ્રહને વ્હાલ કરીને રજૂ કરે છે તે કથન વાંચીને રાજી થવાય છે. કાવ્યની સંખ્યા કરતાં તેના સત્ત્વની પ્રતિષ્ઠા કરવી તેવી તેમની કાવ્યનિષ્ઠાની પણ નોંધ લેવી જોઈએ. માગશરની અમાવાસ્યામાં કવિ કેવું સરસ ચિત્ર આપે છે...
આકાશનાં
લાખ્ખો, કરોડો
અબ્બજો કાણાં
ચમકતા બરફથી પુરાઈ ગયાં છે.
જનાંતિક માટે લખાયેલ કાવ્યગુચ્છમાં ‘પુત્રની વિદેશી દોસ્તને પ્રથમવાર ફોન પર મળ્યા પછી...’વાળા કાવ્યમાં રોકાઈ જવાની ઇચ્છા થઈ આવે છે. કલ્પન અને ચમત્કૃતિ સહેજ આગળના પ્રદેશમાં લઈ જાય તે કવિતાની સિદ્ધિ છે, દા.ત.
તારા શબ્દોનો
રણકાર
આથમતી જતી
ધૂંધળાશમાં
સોનેરી પતંગિયું બની
કાનના અંધારમાં
ઝળહળે છે...
આ પંક્તિઓમાં રણકાર-આથમતી-ધૂંધળાશ અને સોનેરી-અંધાર-ઝળહળે એવા ક્રમિક-ઉત્ક્રાંત ભાવહિલોળા જગાવવાની ક્ષમતા ધરાવતી શબ્દસંગતિ આપણા સમયની નવ્ય સંવેદનાઓને પ્રગટાવે છે. સ્તનસૂક્ત પહેલાં મુકાયેલું ‘કેવેફી વાંચતા જાગેલું સ્મરણ’ સૂચક છે. ઉઘાડની પંક્તિએ જ ‘દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો...’ એમાં એક સાથે બે સ્થળોને કાવ્યસમય-સારણીમાં બતાવીને કવિહૃદયમાં અને નસોમાં અને મસ્તકમાં થતી ધમાલોનો આવેગ અને ઉદ્વેગ સહેજ જુદી રીતે કરી આપે છે.
કવિએ પૃથ્વી કાવ્યો હટકે લખ્યાં છે. એમાં છલકતું સાક્ષીતત્ત્વ જ એમને કાવ્યસંગ્રહની અગાશીમાં (પાછળના કવર પર મૂકી આપે છે...) કવિના ‘હાલકડોલક અરીસામાંથી ઊંચકાતું આ પૃથ્વીપુષ્પ’ કવિની આંતરચેતનામાં પડેલી યજુર્વેદની સંહિતાનો એક પ્રકારનો શબ્દાવતાર છે, કાવ્યપરિણતિ છે.
આ કાવ્યસંગ્રહ બદલાતા સમયની બેધારી સંવેદનાનું આલેખન છે અને એટલે કવિ કહે છે -
કબૂતરની કપાયેલી પાંખ જેવી
હથેળી
ગુંચાળા પિલ્લા પર ચત્તીપાટ.
પિલ્લું માંડ માંડ થોડું ઊકલ્યું ત્યાં...
‘કા...ઈ...પો...ચ...’
આ કઈ ગૂંચ છે જ્યાં કવિએ કાઈપોચ ઉચ્ચારવું પડે છે.
આ કાવ્યસંગ્રહ અનેક રીતે જુદો પડવાનો છે. એમાં કવિપ્રતિભા અને પ્રયોગો તો છે જ, પણ અછાંદસ કવિતાના વિષયવૈવિધ્યને કવિએ ગુજરાતી ભાવક પાસે રજૂ કર્યંુ છે.
છેલ્લે ફરી એકવાર પે’લું પૃથ્વીકાવ્ય કહેવાની ઇચ્છા થઈ આવે છે.
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ફૂટે તો ?
આ પ્રશ્ર્નના અનેક ઉત્તરો હશે, હું તો કહીશ, તો કવિ... થઈ જાય આકાશની ઓળખાણ... જ્યાં બીજરેખા હલેસાં વિના તરતી રહે...
***
(કવિ જયદેવ શુક્લના કાવ્યસંગ્રહની ભાવઓળખ)