રાહુલ ટ્રેજિક હીરો છે
ફ્રાન્સના અંતિમ રાજવી લુઈ (સોળમા)ના વ્યક્તિત્વ સાથે આશ્ર્ચર્યજનક સામ્યતા ધરાવતા રાહુલ ગાંધી સાચા અર્થમાં ભારતીય રાજકારણના ‘ટ્રેજિક હીરો’ છે. સતત પરાજયોના પર્યાય બની ચૂકેલા શ્રી રાહુલજી તેમના મૃત:પ્રાય બની ચૂકેલા પક્ષમાં પ્રાણસંચાર કરવા માટે વીરતાપૂર્ણ પગલાં લેવાને બદલે જેવી છે તેવી સ્થિતિને જ વળગી રહેવાની માનસિકતા ધરાવે છે. કોંગ્રેસના આ પૂર્ણકાલીન નેતા ખંડ સમયના રાજકારણીની ભૂમિકા ભજવતા રહે છે. કોંગ્રેસના આ સર્વોચ્ચ નેતાને મળવું એ પક્ષના વરિષ્ઠ નેતાઓ માટે પણ અભિમન્યુના સાત કોઠા ભેદવાથી પણ અઘરું કામ ગણાય છે. માત્ર પોતાના બે-ચાર મળતિયા વચ્ચે ઘેરાયેલા રહેતા હોવાથી રાહુલજીમાં દીર્ઘદૃષ્ટિનો સદંતર અભાવ જોવા મળે છે, કેમ કે તેમના આ હજુરિયા - મળતિયાઓ રાહુલજીને રાજકીય વાસ્તિવક્તાઓથી જોજનો દૂર રાખતા હોય છે. દેશભરમાં સમસ્યા ઉદ્ભવે ત્યારે તેઓ વિદેશોમાં કે મોસાળ જતા રહે છે. આમ ફ્રાન્સના અંતિમ શાસક અને કોંગ્રેસના આ સર્વોચ્ચ નેતા વચ્ચે અદ્ભુત સામ્યતા જોવા મળે છ !!
અમોઘ શસ્ત્ર તથા કોંગ્રેસ નિષ્ફળ
વર્ષ ૨૦૧૪માં પક્ષ ઉપાધ્યક્ષ રહેલા શ્રી રાહુલજીના કોંગ્રેસ પક્ષનાં દેશનાં ૧૩ રાજ્યોમાં શાસન હતું જ્યારે ભાજપ પાસે સ્વબળે અથવા તો ભાગીદારીમાં કુલ મળીને તેનાથી લગભગ અર્ધી સંખ્યામાં એટલે કે માત્ર ૭ રાજ્યોમાં શાસન હતું. આજે ગુજરાતમાં ૨૨ વર્ષથી એકહથ્થુ શાસન કરી રહેલા ભાજપને પરાસ્ત કરવા સત્તાવિરોધી જુવાળ (Anti-incumbency) જેવું અમોઘ શસ્ત્ર ધરાવતી હોવા છતાં કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ રહી, એટલું જ નહીં, હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થઈ. પરિણામે આજે ભાજપ ૭માંથી વધીને ૧૯ રાજ્યોમાં શાસન કરે છે, જ્યારે રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ આટલા મોટા વિશાળ દેશનાં ૪ રાજ્યો પૂરતી જ સીમિત થઈ ગઈ છે. તેમાંય, કોંગ્રેસ શાસિત એકમાત્ર મોટા રાજ્ય કર્ણાટકમાં આ વર્ષે જ ચૂંટણીમાં યોજાઈ રહી છે. શ્રી રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસનો ચૂંટણી-ઇતિહાસ જ કર્ણાટકનાં પરિણામોનાં એંધાણ આપી દે છે!
પરિણામના દિવસે રાહુલ ફિલ્મ જોતા હતા
વાસ્તવિકતાથી જોજનો દૂર રહેતા શ્રી રાહુલજી ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકા પછી ૨૪ કલાક મૌન રહ્યા હતા !! ૨૪ કલાક પછી કોંગ્રેસના આ ‘લુઈ (૧૬માં)’એ ઘોષણા કરી કે ગુજરાતમાં કોંગ્રેસનો નૈતિક વિજય થયો છે !! પરિણામો જાહેર થયાં તે દિવસે રાહુલજી સાંજ સુધી ‘સ્ટાર વોર્સ’ ફિલ્મ જોઈ રહ્યા હતા તેવા પ્રસારિત થયેલા અહેવાલો વચ્ચે શ્રી મોદી અને શ્રી અમિત શાહ તેમના કાર્યકર્તાઓને અભિનંદન આપવા ક્યારનાય પહોંચી ગયા હતા !!
અનિર્ણાયકતાની સ્થિતિથી ગ્રસ્ત શ્રી રાહુલજીએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં દેશના ૩૫ વર્ષથી ઓછી વયના મતદાતાઓએ ખોબલે ખોબલે શ્રી મોદીના નામને મત આપ્યા હતા. આ એવા મતદારો હતા જેમનામાં કોઈ જ રાજકીય પરિપક્વતા કે પાર્શ્ર્વભૂમિકા ન હતી. ગ્રામ્ય અને નગરોમાં રહેતું આ યુવાધન આજે પણ ‘મોદી બ્રાંડ’થી અભિભૂત છે જે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાનાં ચૂંટણી પરિણામોથી સિદ્ધ થયું છે. રાજકીય વિચારના સંદર્ભમાં આજે પણ હાંસિયામાં રહેલા આ યુવા મતદારો વર્ષ ૨૦૧૯ની સંસદની ચૂંટણીમાં પણ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તે સત્ય શ્રી રાહુલજીએ ધ્યાનમાં લેવું જોઈએ. કેમ કે આ યુવા મતદારો તો જે તેમનાં સ્વપ્નો-આકાંક્ષાઓની વાત કરશે તેને જ મત આપવાના છે. શ્રી મોદી આ સત્ય સારી રીતે જાણે છે, જ્યારે બે-ચાર હજૂરિયાઓ વચ્ચે ઘેરાયેલા રહેતા શ્રી રાહુલજી આટલા વિક્રમજનક પરાજયો પછી પણ આ રાજકીય વાસ્તવિકતા પચાવી શક્યા નથી. વર્ષ ૨૦૧૪માં શ્રી મણિશંકર ઐયરે તુચ્છકારથી ‘પેલો ચાવાળો’ કહીને જેમનું અપમાન કર્યું હતું, કોંગ્રેસ તથા અન્ય પક્ષોના નેતાઓ અને તેમના પીઠ્ઠુ ગણાતા વિશ્ર્લેષકો તો શ્રી મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં ‘નવા નિશાળિયા’ કહેનારા લોકો વંશીય અને શ્રીમંત ઘરોના નબીરાઓના રાજકારણના જ પક્ષધરો હતા તે વાત પણ યુવા મતદારો જાણી ગયા હતા.
રાહુલનો ચહેરો કેનેડાના પ્રધાનમંત્રીને મળતો આવે છે
કોંગ્રેસના લગભગ સાતત્યપૂર્ણ રીતે ઉપરાછાપરી પરાજયો માટે પંકાયેલા શ્રી રાહુલજીના મળતિયાઓ હવે વધુ એક (અત્યંત હાસ્યાસ્પદ) દાવ ખેલી રહ્યા છે. વંશવાદને વરેલી આ હજૂરિયા મંડળી હવે શ્રી રાહુલજીના ‘ઉદય’ માટે એવું ગતકડું ચલાવી રહ્યા છે કે તેઓ શ્રી જસ્ટીન ટુડ્રો જેવું વ્યક્તિત્વ ધરાવે છે. (અત્રે એ જણાવવું આવશ્યક ગણાશે કે શ્રી જસ્ટીન ટ્રુડો વર્ષ ૨૦૧૫થી કેનેડાના પ્રધાનમંત્રી છે) હા, એવું જરૂર કહી શકાય કે શ્રી ગાંધીનો ચહેરો કંઈક અંશે કેનેડાના પ્રધાનમંત્રી સાથે મળતો આવે છે, બસ એટલું જ સામ્ય છે ! બાકી કાર્યપદ્ધતિ કે વૈચારિક ક્ષમતાની દૃષ્ટિએ તો બંને ઉત્તર-દક્ષિણ જેવા વિરુદ્ધ ધ્રુવો છે. અહીં સ્પષ્ટતા કરવાની ક્યાં કંઈ આવશ્યકતા છે ? વર્ષ ૨૦૧૪ પછી કોંગ્રેસને મળી રહેલા સતત પરાજયોને કારણે હવે તો તેના સાથી પક્ષો તો શું પક્ષના નેતાઓ પણ ચૂંટણી સમયે તેમને દૂર રાખવા કટિબદ્ધ હોય છે. આ પરાજયને કારણે તેમના સાથી પક્ષોના અને કોંગ્રેસના નેતાઓ પણ તેમને ભારરૂપ ગણવા માંડ્યા છે. વંશીય રાજકારણને આગળ ધપાવનારા શ્રી રાહુલજી યુવા મતદારોને કેટલા આકર્ષી શકે છે તે પ્રશ્ર્નનો ઉત્તર પણ સાવ સરળ અને સ્વયં સ્પષ્ટ છે. હજુ પણ જો શ્રી રાહુલજી ભારતના યુવા મતદારોના માનસને પારખવામાં નિષ્ફળ જશે તો વર્ષ ૨૦૧૯ની ચૂંટણીઓમાં તેઓ કોંગ્રેસી સલ્તનતના બહાદુરશાહ ઝફર પુરવાર થશે તેમાં લેશમાત્ર શંકા નથી.
* * *
(‘ઓર્ગેનાઈઝર’માં પ્રકાશિત લેખનો જગદીશ આણેરાવ દ્વારા ભાવાનુવાદ)