સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવત ૨૫ જાન્યુઆરીએ રિલિઝ થઈ,તેની સાથે અક્ષયકુમારની ફિલ્મ ‘પેડમૅન’ પણ રિલિઝ થવાની હતી. ભણશાલીની વિનંતીને માન આપીને અક્ષયકુમારે પેડમૅન ફિલ્મની રિલિઝ પાછી ઠેલવીને ૯ ફેબ્રુઆરી કરી. પેડમૅન આમ પણ ચર્ચામાં છે. ઘણા લોકો એવું માને છે કે, સ્પાઈડરમૅન, સુપરમૅન, બૅટમૅનની જેમ પેડમૅન કોઈ પાત્ર હશે પણ એવું નથી. આ વિષય અલગ જ છે, ફિલ્મ પણ ઑફબિટ છે. મહિલાઓને માસિક પિરિયડમાં ઉપયોગમાં આવતા સેનેટરી પેડની વાત આ ફિલ્મમાં છે. સેનેટરી પેડ ક્ષેત્રમાં ક્રાંતિકારી શોધ કરનાર વ્યક્તિના જીવન પર આ ફિલ્મ બની છે. એ વ્યક્તિ છે અરુણાચલમ્ મુરુગનાથમ્. પેડમેન ફિલ્મમાં અક્ષયકુમાર મુરુગનાથમ્ની ભૂમિકા ભજવે છે. અરુણાચલમ્ મુરુગનાથમ્ની લાઇફ પર ફિલ્મ બની તો સવાલ એ થાય કે એમણે સેનેટરી પેડમાં એવી શું ક્રાંતિ કરી ? આવો જાણીએ.
દક્ષિણ ભારતના તમિળનાડુના કોઈમ્બતૂરમાં ૧૯૬૨માં જન્મેલા અરુણાચલમ્ મુરુગનાથમ્ના પિતા એસ. અરુણાચલમ્ વણાટકામ કરતા. મુરુગનાથમ્ની ઉંમર નાની હતી ત્યારે અકસ્માતમાં પિતાનું અવસાન થયું. તેમના માતા એ. વનિતાએ ખેતમજૂરી કરી ઘર ચલાવ્યું. અતિગરીબ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું ત્યારે મુરુગનાથમે ૧૪ વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી અને અલગ અલગ જગ્યાએ કામ શરૂ કર્યું. કારખાનાના મજૂરોને ટિફિન પહોંચાડવાનું કામ કર્યું. કારખાનાના મશીનમાં ટુલ ઑપરેટર, વેલ્ડર તરીકે કામ કર્યું. થોડો સમય ખેતમજૂરી પણ કરી. આ રીતે ઘરમાં મદદરૂપ બન્યા.
કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે. ૧૯૯૮માં શાંથા નામની યુવતી સાથે મુરુગનાથમ્નાં લગ્ન થયાં. એક દિવસ મુરુગનાથમે જોયું કે તેની પત્ની માસિક પિરિયડ માટે કપડાંના ડૂચા અને અખબારોના પાનાં ભેગાં કરી રહી હતી. આ જોઈને તેને આઘાત લાગ્યો. તેણે પત્નીને પૂછ્યું તો શાંથાએ કહ્યું કે, બજારમાં મળતા સેનેટરી પેડ ખૂબ મોંઘા છે. આપણને ન પરવડે. આ વાત અરુણાચલમ્ મુરુગનાથમ્ને ખૂંચી. તેણે સસ્તા પેડ બનાવવા મનમાં ગાંઠ વાળી, તેણે પ્રાયોગિક ધોરણે હાથેથી રૂ વગરના પેડ બનાવ્યા પણ તેની પત્ની અને બહેનોએ તેનો અસ્વીકાર કર્યો. મુરુગનાથમ્ને એમ થયું કે આ વિસ્તારની ખાસ કરીને ગામડાંના વિસ્તારની મહિલાઓમાં સેનેટરી પેડ માટે જાગૃતિ ઓછી છે, તેથી તેણે મહિલાઓને કેવા પેડ ફાવશે, તે જાણવા ગામડે ગામડે જઈને મહિલાઓ સાથે ચર્ચા ચાલુ કરી, પણ મહિલાઓ આ પ્રકારની વાત કરતાં શરમાતી.
મુરુગનાથમે પેડ બનાવવાના અલગ અલગ પ્રકારે પ્રયોગ કર્યા. એકવાર તો પોતે તેમાં મૂત્ર કરીને ટેસ્ટ કર્યો, પણ મૂત્રની માત્રા વધારે હોવાથી આ પેડ તેમણે મેડિકલ કૉલેજની વિદ્યાર્થિનીઓને મફતમાં આપ્યા અને કહ્યું કે, આ પેડ યુઝ કરી લો, પછી પાછા આપજો. આ રીતે અભ્યાસ કર્યા બાદ સતત બે વર્ષ સુધી સંશોધન કર્યું. તેણે પેડ બનાવવા સેલ્યુલોઈઝ ફાઈબરનો ઉપયોગ કર્યો અને પાઈન ટ્રી (દેવદારના વૃક્ષ)ના થડની છાલના લાકડાંના ગરનું મિશ્રણ કર્યું. ફાઈબરના કારણે પેડને શેઈપ આપી શકાયો. દેવદારના લાકડાના ગર માટે મુંબઈમાં સપ્લાયર શોધ્યા. પેડ બનાવી શકાય તે માટે અરુણાચલમ્ મુરુગનાથમે ખાસ મશીન બનાવ્યું, જે ૬૫ હજારમાં તૈયાર થયું. આ મશીનમાં ગ્રીન્ડ, ડી-ફાયબ્રેટ, પ્રેસ કરવું, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્ટરીલાઈઝ્ડ (જંતુરહિત) કરવું, એવી તમામ પ્રક્રિયા થઈ શકે.
મુરુગનાથમે પોતે બનાવેલા સેનેટરી પેડની માહિતી ગામડે ગામડે પહોંચાડવાનું ચાલુ કર્યું. કપડાં કે છાપાંના બદલે પેડ વાપરવા મહિલાઓને જાગૃત કરી, તેમણે બનાવેલા પેડ બજારમાં મળતાં બ્રાન્ડેડ પેડ કરતાં ત્રણગણા ઓછા ખર્ચમાં પડતા હતા. ૨૦૦૬માં ચેન્નાઈના આઈ. આઈ. ટી.માં ડેમો કર્યો અને સૂચનો માગ્યાં. આ રીતે તેમણે પેડનું ધીમેધીમે ઉત્પાદન ચાલુ કર્યું. તેમની પેડ બનાવવાના મશીનની શોધને ‘નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન ગ્રાસટ્સ ટેક્નોલોજિકલ ઈનોવેશન ઍવૉર્ડ’ મળ્યો, તેનાથી તેમનો આત્મવિશ્ર્વાસ વધ્યો અને ફંડ ઊભું કરવાનું ચાલુ કર્યું. તેમને ફંડ સારું મળ્યું અને તેમાંથી કોઈમ્બતૂરમાં જયાશ્રી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપી, જેમાં તેમણે સંખ્યાબંધ પેડનું ઉત્પાદન કરી સસ્તા દરથી ભારતનાં ગામડાંઓની મહિલાઓ સુધી પહોંચાડવાનું ચાલુ કર્યું. એનાથી પણ આગળ, પેડ બનાવવાનાં મશીનો પણ તેમણે ગામડાંઓમાં મહિલા મંડળીઓને પહોંચાડ્યાં અને અનેક મહિલાઓ મશીનનો ઉપયોગ કરીને પેડ બનાવીને વેચતી થઈ. અનેક મહિલાઓ પગભર બની.
આ ક્રાંતિ બદલ તેમને ઠેરઠેરથી લેક્ચર માટે આમંત્રણો મળવા લાગ્યાં. આઈ. આઈ. ટી. મુંબઈ, આઈ. આઈ. એમ. અમદાવાદ, આઈ. આઈ. એમ. બેંગલોર અને હાર્વર્ડમાંથી પણ તેમને નિમંત્રણ મળેલું અને લેક્ચર પણ આપ્યાં છે. ભારત સરકારે અરુણાચલમ્ મુરુગનાથમ્ને પદ્મશ્રીથી નવાજ્યા છે. આર. બાલ્કીએ તેમના જીવન પરથી પેડમૅન ફિલ્મ બનાવી છે, જેમાં મુરુગનાથમ્ની ભૂમિકા અક્ષયકુમારે ભજવી છે. જસ્ટ ગો ફૉર ઈટ ઑન ૯ ફેબ્રુઆરી...