પાણીની તંગીનો ઉકેલ - બોલો, બારેમાસ 24 કલાક શુદ્ધ પાણી જોઈએ છે ? જવાબ હા હોય તો આ રહ્યો ઉપાય…

    ૨૨-માર્ચ-૨૦૧૮

 
 
તમારા ગામમાં, શહેરમાં, નગરમાં, વિસ્તારમાં પાણીની તંગી છે ? બોલો, બારેમાસ 24 કલાક શુદ્ધ પાણી જોઈએ છે ? જવાબ હા હોય તો પહોંચી જાવ કુદરત પાસે. કુદરત આપણને દર વર્ષે વરસાદ રૂપે પાણીનો ખૂટે નહિ તેટલો ખજાનો આપે છે. બસ, આપણે તેનો સંગ્રહ કરવાનો છે. આ મજાકની વાત નથી હો ! અનેક ગામોએ આ પહેલ કરી છે અને પાણીની સમસ્યાથી હંમેશાં માટે છુટકારો મેળવ્યો છે. આ રહ્યાં આદર્શ ઉદાહરણો...
 
એવું ગામ જ્યાં ઘેર ઘેર વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા છે
 
રણકાંઠાના ગ્રામજનો માટે પાણીના ટીપાંનું પણ મૂલ્ય હોય છે. કચ્છના રણને અડીને ભારત-પાકિસ્તાન સરહદે આવેલ પાટણ જિલ્લાનું ‘એવાલ’ ગામ પાણીની અછત અનુભવતા તમામ ગ્રામજનો અને શહેરીજનોને પ્રેરણા પૂરી પાડે તેવું છે. 633ની જનસંખ્યા ધરાવતા આ ગામમાં માત્ર 149 મકાનો જ છે. વરસાદ અહીં ઓછો પડે છે, ભૂગર્ભજળ નીચાં છે અને ગામમાં એક જ જર્જરિત કૂવો છે. એક જમાનામાં ગામમાં પાણીની ભયંકર અછત હતી, આજે ગામ પાણીમાં રમી રહ્યું છે. એવું તો આ ગામે શું કર્યું ? તેમણે બીજું કંઈ નહિ પણ વરસાદી પાણીનો સંગ્રહ કર્યો. ગામમાં દરેક મકાનમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા છે. મકાન પર વરસતું વરસાદી પાણી એક જગ્યાએ ભેગું થાય છે. પાઈપલાઈન દ્વારા તે પાણી મકાનની બાજુમાં બનાવેલી ફિલ્ટર ટાંકી સુધી પહોંચે છે અને ત્યાંથી તે પાણી પાંચ કે દસ હજાર લિટરની બનાવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પહોંચે છે. ગામમાં આવી હવાચુસ્ત 77 ટાંકીઓ છે. ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અહીં સંગ્રહ થાય છે અને ગામલોકો આખું વર્ષ આરામથી આ શુદ્ધ અને સાત્ત્વિક પાણીનો વપરાશ કરે છે.
 

 
જ્યાં વરસાદનું ટીપે ટીપું સંગ્રહાય છે
 
અમરેલીથી આઠ કિલોમીટરના અંતરે આવેલું ઈશ્ર્વરીયા ગામ. ગામની વસ્તી તો 2000 લોકોની આસપાસ છે પણ શિક્ષણનું પ્રમાણ 80 ટકા ઉપર છે. ગામમાં પીવાના પાણીનો કોઈ આધારભૂત સ્રોત નથી. ભૂગર્ભજળ 90 ફૂટ ઊંડું છે અને તેની ગુણવત્તા પણ નીચી કક્ષાની છે. પાણીની સમસ્યાથી કંટાળીને એક દિવસ ગ્રામજનો એક નિર્ણય લે છે. ગામના દરેક મકાનમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આજે ગામના દરેક મકાનમાં આ વ્યવસ્થા છે. દરેક મકાનમાં 1000 લીટરની અન્ડરગ્રાઉન્ડ ટાંકી છે. જ્યાં વરસાદનું પાણી સંગ્રહાય છે. ગામલોકોને પાણીની સમસ્યા લઈ હવે કોર્પોરેશન, નગરપાલિકા કે સરકારી અધિકારીઓ પાસે જવું પડતું નથી. હેંડપંપ ચાલુ કરો એટલે 24 કલાક શુદ્ધ પાણી ગામલોકોને મળી રહે છે.
 
લોકો સંગઠિત થયા અને પાણીની સમસ્યા દૂર થઈ
 
વરસાદી પાણીના સંગ્રહમાં મધ્યપ્રદેશનું દેવાસ શહેર એક બીજું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક દાયકા અગાઉ દેવાસ પાણીના ભીષણ સંકટમાં ફસાયેલું હતું. લોકો પાણી માટે મારામારી કરતા, આ સંકટે જ 1999માં ગામલોકોને વરસાદી પાણીના સંગ્રહની પ્રેરણા આપી. ‘ભૂગર્ભજળ સંવર્ધન મિશન’ નામનું એક અભિયાન શહેરમાં ચલાવાયું. લોકોએ સાથે મળીને કામ કર્યું. શહેરમાં એક હજાર કરતાં વધારે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરવામાં આવ્યું, જેના થકી કુલ મળીને આજે એક લાખ પંદર હજાર ક્યુબિક મીટર (એક ક્યુબિક મીટર = 1000 લીટર) પાણી ભૂગર્ભ જળભંડારમાં ઉતારવું શક્ય બન્યું. પરિણામ એ આવ્યું કે શહેરમાં ભૂગર્ભજળ ઘટતું અટકી ગયું.
 
ડાંગમાં 3567 ભૂગર્ભ ટાંકા
 
ગુજરાતના વનસંપત્તિ અને સમૃદ્ધિ ધરાવતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં ઢાળવાળા ડુંગર અને ખડકાળ ભૌગોલિક વિસ્તાર હોવાને કારણે જમીનની પાણી સંગ્રહ કરવાની શક્તિ ખૂબ ઓછી છે, જેના કારણે ઉનાળા દરમિયાન ગ્રામવિસ્તારમાં પાણીની તંગી રહે છે. પુષ્કળ વરસાદ છતાં પાણીની તંગી ? આ તો કેવું? આથી પાણીની આ તંગીને નિવારવા માટે ગુજરાત પાણી પુરવઠા વિભાગ આહવા (ડાંગ) દ્વારા એક કાર્યક્રમ ઘડાયો. નક્કી કરવામાં આવ્યું કે ગ્રામજનો માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને લોકોને આ સંદર્ભે જાગ્રત કરવા. પાણી પુરવઠા વિભાગે 3567 આદિજાતિ લાભાર્થીઓને તેમના ઘરની છત પર જે વરસાદી પાણી પડતું હતું તેનો સંગ્રહ કરવા તેમના જ ઘરઆંગણે ભૂગર્ભ ટાંકા બનાવી આપ્યા. ઘરની વ્યક્તિ પ્રમાણે 10,000, 12,000, 15,000 લીટરના આ ટાંકા બનાવવામાં આવ્યા છે. ચોમાસું જોરદાર હોય કે ન હોય આ ગામમાં હવે પાણીની અછત વર્તાતી નથી...
* * *
 
આવા પ્રેરણારૂપ ઉદાહરણો વિશ્ર્વમાં અનેક છે
 
પાણીની વિકરાળ સમસ્યાને ભૂગર્ભ ટાંકા કે તળાવ કે વરસાદી પાણીનો સંગ્રહ કરી દૂર કરનારાં પ્રેરણારૂપ ઉદાહરણો વિશ્ર્વમાં અનેક છે. જળ એજ જીવન છે. કુદરતે આપણને જીવન અને તેને જીવવા માટે સગવડો આપી જ છે. પાણી પણ તે આપે જ છે. બસ આપણે તેને સાચવવાનું છે. ક્યાંક ને ક્યાંક જળ વ્યવસ્થાપ્નમાં આપણે કાચા પડીએ છીએ. તેને ઠીકઠાક કરીએ તો જળસંકટ રહેશે નહીં.
 
પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી હોવા છતાં
 
પાણીનું ગણિત પણ સમજવા જેવું છે. પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી હોવા છતા જગતના મનુષ્યોને પીવાના પાણી માટે તડપવું પડે છે. પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી હોવા છતાં તેમાંથી પીવા લાયક પાણી તો માત્ર 3 ટકા જેટલું જ છે. એમાં પણ મોટા ભાગનું પાણી ઘન સ્વરૂપમાં ગ્લેશિયરોમાં બંધાયેલું છે. પૃથ્વી પર માત્ર 0.5 ટકા જેટલું પીવાલાયક પાણી મનુષ્યોના ભાગે આવે છે. એમાં પણ આ પીવાલાયક પાણી 40 ટકા વસ્તીને જ મળે છે બાકીની 60 ટકા વસ્તી તો ગંદું પાણી જ પીવે છે.
 
આ આંકડા ચિંતા જનક છે.
 
સંયુક્ત રાષ્ટ્રસંઘનો આંકડો જોઈએ તો વર્ષ 1990માં વિશ્ર્વને માથાદીઠ 9,225 ક્યુબિક મીટર પાણી મળતું હતું જે હવે 2025 સુધીમાં ઘટીને 5825 ક્યુબિક મીટર થઈ જવાનું છે. ભારતની વાત કરીએ તો 1990માં માથાદીઠ 2151 ક્યુબિક મીટર પાણી મળતું હતું જે ઘટીને 2025 સુધીમાં 1448 ક્યુબિક મીટર થઈ જવાનું છે. સમગ્ર ભારતમાં 1980થી 1999 સુધી ભૂગર્ભજળ સપાટીમાં ચાર મીટરનો ઘટાડો થયો હોય એવા દેશના 137 જિલ્લાઓમાં ગુજરાતના પણ 7 જિલ્લાઓ છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે 1 મીટર ભૂગર્ભજળ નીચાં જઈ રહ્યાં છે.
 
ત્રીજું વિશ્ર્વયુદ્ધ પેટ્રોલ, તેલ માટે નહિ પણ પાણી માટે
 
દુનિયાના તમામ બૌદ્ધિકો અને વિશેષજ્ઞોનું સ્પષ્ટ માનવું છે કે ત્રીજું વિશ્ર્વયુદ્ધ પેટ્રોલ, તેલ માટે નહિ પણ પાણી માટે ખેલાશે અને ચોથું વિશ્ર્વયુદ્ધ પથ્થરોથી લડાશે. એટલે કે ત્રીજા વિશ્ર્વયુદ્ધના કારણે પૃથ્વી ખતમ થઈ જશે અને પૃથ્વી પર માત્ર પથ્થરો જ રહેશે ! અને આ માટે જવાબદાર હશે પાણી !
 
ત્રીજું વિશ્ર્વયુદ્ધ અટકાવવું હોય તો વરસાદના એકેએક ટીપાંને ઝીલી લેવું પડશે. તેમાંથી જોઈએ એટલું પાણી વાપરી, શક્ય હોય તેટલું પાણી આપણે ધરતીના તળિયે ઉતારવું પડશે. આજે આપણા દેશમાં વરસાદનું પાણી ગટરમાં વહી જાય છે. જમીનના પેટાળમાં તેને ઉતારવાની જગ્યાએ દરિયામાં વહી જાય છે. કુદરત દર વર્ષે આપણને પીવાલાયક પુષ્કળ પાણી આપે છે પણ આપણું પાણી ભરવાનું પાત્ર ટૂંકું પડે છે. પરિણામે ક્યાંક પૂર જેવી તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થાય છે.

ગુજરાતને કુદરત માગ કરતાં અનેકગણું પાણી આપે છે
 
તમને ખબર છે ? એક અંદાજ પ્રમાણે ગુજરાતની ધરતી પર દર ચોમાસે સરેરાશ 1,30,000 મિલિયન ઘનમીટર વરસાદી પાણી પડે છે. ગુજરાત રાજ્યની પીવાના ઘરવપરાશના શુદ્ધ પાણીની વાર્ષિક જરૂરિયાત માત્ર 2000 મિલિયન ઘનમીટરની જ છે. આખા રાજ્યની કુલ શુદ્ધ-અશુદ્ધ પાણીની માગ પણ 30,000 મિલિયન ઘનમીટર છે. કુદરત માગ કરતાં અનેકગણું પાણી આપે છે છતાં ગુજરાતમાં અનેક વિસ્તારમાં પાણીની તંગી ઉદ્ભવે છે ! શું આ દિશામાં આપણે આગળ વિચારવું ન જોઈએ ? સરકાર તો આ દિશામાં યોગ્ય પગલાં ભરી જ રહી છે પણ એક જાગ્રત નાગરિક તરીકે આપણે જ ઘરના આંગણે વરસાદી પાણીનો સંગ્રહ ન કરી શકીએ ?
 

 
 
આપણી ફરજ છે કે ધરતીને તેનું પાણી પાછું આપીએ
 
પણ આપણે એવું કરતા નથી. ઊલટાનું પાણીનો મોજથી વપરાશ કરીએ છીએ અને પાણી ખૂટી જાય તો ધરતીમાં કાણું પાડી બોર દ્વારા ભૂગર્ભનું પાણી ચાલુ કરી રહ્યાં છીએ. એવું કહેવાય છે કે ધરતી પાસેથી જેટલું આપણે લીધું હોય તે પાછું આપવું જોઈએ પણ આવું કંઈ થતું હોય તેમ લાગતું નથી ! વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં થતા કુલ વરસાદનું 31 ટકા પાણી ભૂગર્ભમાં ઊતરવું જોઈએ, પરંતુ આવું થતું નથી. એક સંશોધન મુજબ માત્ર 13 ટકા જ વરસાદનું પાણી જમીનમાં ઊતરી રહ્યું છે અને એ પણ મનુષ્યોના પ્રયત્નોથી નહીં. આપણે તો માત્ર ધરતીમાંથી પાણી બહાર જ કાઢ્યું છે. વર્ષ 1960માં આપણા દેશમાં 10 લાખ કૂવાઓ હતા, પરંતુ આજે તેની સંખ્યા 2 કરોડ 60 લાખથી 3 કરોડની વચ્ચે થઈ ગઈ છે. આપણા દેશમાં 60 ટકા લોકોને પીવાનું પાણી ભૂગર્ભમાંથી મળે છે. હવે આવા સમયે આપણી ફરજ છે કે ધરતીને તેનું પાણી પાછું આપીએ.
 
અમેરિકા પણ પાણી બચાવે છે…
 
પાણીનો પુષ્કળ બગાડ કરતી આપણી આજની લાઇફસ્ટાઇલ પણ બદલવા જેવી ખરી ! જ્યાં એક ડોલ પાણીથી કામ ચાલી શકે તેમ હોય ત્યાં આપણે 15 ડોલ પાણીનો વપરાશ સંકોચ વગર કરી નાખીએ છીએ.
અમેરિકા જેવા વિકસિત દેશમાં ખાડા અને સાંકડા નાળાની પદ્ધતિ અપ્નાવી વરસાદી પાણીને માનવ સર્જિત કૃત્રિમ ટાંકાઓમાં એકત્ર કરાય છે અને પછી તેને ધીમે ધીમે અને ક્રમશ: ભૂગર્ભમાં ઝમવા દેવાય છે. જેથી ભૂગર્ભ જળસપાટી ઊંચી આવે છે. અનેક દેશોમાં હવે પાણીના પરંપરાગત ઉપયોગને બદલે આધુનિક પાણી બચાવતી પદ્ધતિઓ જેવી કે હવાના દબાણની મદદથી ચાલતા શાવર, ફલશ અને વોશિંગ મશીન તથા પાણીનો પ્રવાહ મર્યાદિત કરતાં નળ વગેરેનો ઉપયોગ કરાય છે.
 
જર્મનીની આ વાત જાણશો તો ચોંકી જશો…
 
જર્મનીમાં મેજ ઉપર પડેલો એક પ્યાલો પાણી નવ વ્યક્તિઓના પેટમાંથી પસાર થયેલો મનાય છે. એટલે ત્યાં નવ વખત એકનું એક પાણી પુન:ઉપયોગમાં લેવાય છે. એટલે કે માત્ર વરસાદ દ્વારા મળતા પાણીનો સંગ્રહ કરવો જ પૂરતો નથી. પીવાલાયક પાણીના બચાવ માટે પણ પાણી કઈ રીતે વપરાશમાં લેવાય છે તે પણ બહુ અગત્યનું છે. આ માટે વપરાયેલા ગંદા પાણીનો પુન:ઉપયોગ કરી શકાય, જેમકે ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી નદીમાં પરત ઠલવાય તો ત્યાં ભૂગર્ભજળ રિચાર્જ થતાં નદીકિનારે વસતા લોકો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં.
આવી કૃત્રિમ રીચાર્જ ટેકનિકનો ઉપયોગ કરી પાણીસંચયમાં જર્મની મોખરે છે. વિકસિત દેશોમાં તો રસ્તાઓ એવી રીતે બાંધવામાં આવે છે કે જેથી ચોમાસા દરમિયાન રસ્તાની બંને બાજુએ બાંધવામાં આવેલી ખાસ ગટરોમાં વરસાદી પાણીનો પ્રવાહ વહે અને ધસમસતું પાણી વેડફાઈ ન જાય, પરંતુ સંગ્રહિત થાય. આ પદ્ધતિના કારણે એક તો રસ્તા ઉપર પાણી જમા ન થાય. પાણી એકત્ર થતાં ભૂગર્ભ જળસપાટી ઊંચી આવે અને અંતે નજીકનાં સ્થળોએ આવેલા કૂવાઓમાં પાણીની સારી એવી આવક થાય.
 
ઇટાલી જેવા દેશમાં તો ન્હાવા માટે વપરાતું પાણી એક અલગ ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરવામાં આવે છે, જેમાં તેને શુદ્ધીકરણ પ્લાન્ટમાંથી શુદ્ધ કરી જાજરૂમાં સાફ કરવા માટે ફરી વાપરવામાં આવે છે. ઇઝરાયલમાં ભૂગર્ભજળ સ્તરને ઊંચું લાવવા માટે ટપક પદ્ધતિથી સિંચાઈ, અનુશ્રવણ તળાવો વગેરે જેવી પાણી બચાવતી આધુનિક વપરાશ પદ્ધતિઓ અપ્નાવવામાં આવે છે.
 
જળસંકટથી ડરવાનું નથી પણ….
 
જળસંકટથી ડરી જઈને શું આપણે માથે હાથ મૂકીને બેસી રહેવાનું ? ના. આપણી આજ અને આવતીકાલ સલામત રહે એટલે તેનો ઉકેલ શોધવો જ જોઈએ. તેને માટે ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જેમાં સૌથી વધુ અસરકારક છે વરસાદી પાણીનો સંગ્રહ. તેનાથી આપણને જ ફાયદો છે, કારણ કે જમીનની અંદર જે પાણી જશે તેનો ઉપયોગ અંતે તો આપણે અને આપણા પરિવારે જ કરવાનો છે.
 
ઇઝરાયલ, સિંગાપોર, ચીન, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ઘણું કામ ચાલી રહ્યું છે. સવાલ એ છે કે ભારતમાં તેને શા માટે પ્રોત્સાહિત કે પ્રેરિત કરી શકાય નહીં ? આપણે ત્યાં પણ આવા જ પ્રોત્સાહનની જરૂર છે, જેવી વિદેશોમાં છે. બસ માત્ર શરૂઆત કરવાની જરૂર છે. અનેક વિકસિત દેશોમાંતો બાળકોને પ્રાથમિક ધોરણથી જ ‘પાણી બચાવો’ના પાઠ ભણાવવામાં આવે છે. શું ભારતમાં આવું ના થઈ શકે ? શું દાઢી કરતી વખતે આપણે નળ બંધ ન રાખી શકીએ ? શું મોઢું ધોતી વખતે આપણે નળ બંધ ન રાખી શકીએ ? જ્યાં એક ડોલનો ઉપયોગ થતો હોય ત્યાં એક કરતાં વધારે ડોલ પાણીનો વપરાશ કરવો શું યોગ્ય છે ? આપણા જવાનો આ સંદર્ભે આપણને ઘણું શીખવે છે. તમે જોયું હશે કે તેઓ માત્ર એક ટબમાં સેવિંગ્સનું કામ પતાવી દે છે. આજે જરૂર છે જાગ્રત નાગરિક અને ઇચ્છા શક્તિ ધરાવતી સરકારની જે પાણી બચાવી શકે. આ ઈચ્છા આપણે નાગરિક તરીકે તો દેખાડવાની જ છે, બોલો દેખાડશો ને ! પાણીની તંગી નિવારવા નાગરિક તરીકે આપણે આવા અનેક કાર્યો કરવા પડશે. તો ચાલો પાણી બચાવીએ.... જીવન બચાવીએ..
 

 
 
સંગ્રહ આ રીતે કરો
 
ધાબા-છાપરાના પાણીને હેન્ડપંપ, બોરવેલ કે કૂવાના માધ્યમથી ભૂગર્ભમાં નાંખી શકાય છે. વરસાદી પાણીના સંગ્રહની સૌથી સરળ બે રીત છે. એક, ધાબા-છાપરાના વરસાદી પાણીને ખાડા મારફતે સીધું જમીનમાં ઉતારવામાં આવે. બીજું, ધાબા-છાપરાના વરસાદી પાણીનો કોઈ ટાંકી કે સમ્પવેલમાં સંગ્રહ કરીને સીધો ઉપયોગ કરવામાં આવે. એક હજાર ફૂટનું ધાબું ધરાવતાં નાનાં મકાનોમાં આ પદ્ધતિ અત્યંત ઉપયોગી છે. વરસાદની એક સિઝનમાં આ નાનકડા ધાબા મારફતે લગભગ એક લાખ લિટર પાણી જમીનની અંદર ઉતારી શકાય છે. તેના માટે સૌથી પહેલાં જમીનમાં 3થી 5 ફૂટ પહોળો અને 6થી 10 ફૂટ ઊંડો ખાડો ખોદવાનો હોય છે. ખોદકામ બાદ તેમાં સૌથી નીચે મોટો પથ્થર (કાંકરા), વચ્ચે મધ્યમ આકારના પથ્થર અને સૌથી ઉપર ઝીણી રેતી નાંખવામાં આવે છે. આ સિસ્ટમ ફિલ્ટર (ગાળણ)નું કામ કરે છે. ધાબામાંથી એક પાઈપ મારફતે પાણી આ ખાડામાં ઉતારવામાં આવે છે. ખાડામાંથી પાણી ધીમે ધીમે ગળાઈને જમીનની અંદર જતું રહે છે. આ જ રીતે ફિલ્ટરની મદદથી પાણીને ટાંકીમાં પણ એકઠું કરી શકાય છે.
 
 - હિતેશ સોંડાગર