નૈરોબીના વાદળછાયા વાતાવરણમાં ગત માર્ચ - ૨૦૧૮માં નહીં ઠંડી કે નહીં ગરમીની મિશ્ર મોસમના મધ્યબિંદુ પર પ્રેમયજ્ઞ રુપી પૂ. મોરારીબાપુની નવ દિવસીય રામકથાનો પ્રારંભ થયો હતો. આ જ રીતે થોડાં વર્ષો પહેલા નૈરોબીમાં કથા થઈ હતી. આ ઐતિહાસિક રામકથામાં સમગ્ર વિશ્ર્વમાંથી ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. એ રીતે બાપુના વૈશ્ર્વિક વિચારો વૈશ્ર્વિક ફલક પર વિસ્તર્યા હતા. નૈરોબીની ધરતી પર પગ મૂકતાં જ બાપુએ યજમાન કૌશિકભાઈને પૂછ્યું હતું કે ‘અહીં કોઈ એવો વિસ્તાર ખરો કે જ્યાં લોકોને અન્ન મળતું ન હોય ? લોકો ભૂખ્યા સૂવે તો આપણને રોટલા કેમ ભાવે ?’ યજમાને કહ્યું કે હા, એવા કેટલાક વિસ્તારો ખરા. આ વાત બાપુને ડિસ્ટર્બ કરી ગઈ અને કથાના પ્રારંભે એમણે કેન્યાના વંચિતો માટે હાકલ કરી અને માત્ર એક જ મિનિટમાં એક કરોડ જેટલી રકમ એકઠી થઈ ગઈ હતી. નવ દિવસમાં આ રકમ પાંચ કરોડની આસપાસ આવીને અટકી હતી. પૂ. બાપુથી પ્રેરાઈ ભૂખ્યાજનો માટેની મુવમેન્ટ કેન્યા સરકારે પણ શરુ કરી હતી. સરકારે આ વિચાર બદલ બાપુનો આભાર માન્યો હતો. આ સમાચાર દરેક ન્યૂઝ પેપરના હેડીંગ બન્યા હતા. વંચિતોની વાર્તામાં સુખદ અંત લાવવા તલગાજરડી વ્યાસપીઠે મનોરથની કાળી કામળી પાથરી અને સહયોગનું સપ્તધનુષ્ય સર્જાયું. આમ પણ કાળા રંગમાં બધા રંગો એકરુપ થઈ જાય છે. પૂ. બાપુએ કહ્યું કે ‘ત્રણે ભુવન મારો દેશ છે. વ્યાસપીઠ વિશ્ર્વપ્રવાસી છે અને વિશ્ર્વનિવાસી છે. વ્યાસપીઠની વાત રાજપીઠ સુધી પહોંચે એનો હૈયે હરખ હોય જ.’ ગાંધીબાપુ બાદ આફ્રિકામાં કોઈ મીડિયાએ આટલું કવરેજ આપ્યું હોય એમાં મોરારીબાપુ આવે છે. ગાંધીબાપુ બાદ ભારતભરમાં બીજું કોઈ નામ મૂકવું હોય તો મોરારિબાપુનું આવે. જેની નિષ્ઠા માટે કોઈને લેશમાત્ર શંકા ન હોય. એકે આઝાદી અપાવી, બીજા આબાદી તરફ લઈ જઈ રહ્યા છે. એક મહિનામાં નવ દિવસની કથા ઉપરાંત પંદરથી વીસ કાર્યક્રમ અને બાપુનાં અન્ય રોકાણો તો ખરાં જ. આ યુવાન ડોસલામાં સ્ફૂર્તિનો મહાસાગર ભર્યો છે.
અમે તો અહીંથી જશું,
પરંતુ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે.
ખબર નથી શું કરી ગયા
પણ કરી ગયા એ કમાલ રહેશે.
- મકરંદ દવે
બ્રિટીશની ગુલામીમાંથી ૧૨ ડિસેમ્બર, ૧૯૬૪ના દિવસે કેન્યાને આઝાદી મળી. નૈરોબી કેન્યાનું જ પાટનગર છે એવું નથી. દરેક પ્રકૃતિપ્રેમીનું પાટનગર છે. દસ લાખની વસ્તી ધરાવતું આ નગર ૩૦ મે, ૧૮૯૯ના રોજ સ્થપાયું હતું. ઊંચાઈ પર આવેલું હોવાથી હિલસ્ટેશન જેવી અનુભૂતિ થાય છે. એના ઢાળ-ઢોળાવો ‘દોડવું’તું ને ઢાળ મળ્યો જેવા છે. હરિયાળીના હસ્તાક્ષર બધે જોવા મળે છે. કેન્યા પર સૂર્યનું સામ્રાજ્ય છે પણ નૈરોબી અપવાદ છે. બારેમાસ ચાંદનીની શીતળતા અનુભવાય છે. નૈરોબીનું હાર્ટ એટલે નેશનલ પાર્ક. આ નેશનલ પાર્ક ૧૨,૦૦૦ ચોરસ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલો છે. અનેક પ્રાણીઓનું નિવાસસ્થાન. દસ ફૂટના અંતરે ટહેલતા સિંહનું દિલધડક દૃશ્ય આંખની આરપાર નીકળી જાય છે.
મનની સ્વચ્છતાનું અભિયાન રામકથા દ્વારા નૈરોબી નામે નગરમાં આરંભાયું હતું. પૂ. બાપુએ અહીં ૯ દિવસ કથા કરી. પ્રવાહી પરંપરા પ્રમાણે પ્રથમ દિવસે કથાનું માહાત્મ્ય આપવાનું હોય, બાપુએ માનવતાનું માહાત્મ્ય ગાયું હતું. કચ્છના દાદા મેકરણ જેમ કાળી કામળીવાળા બાપુએ આ કાર્ય ઉપાડ્યું છે. બાપુએ કહ્યું કે ‘ભારતના લોકો જ્યાં જાય છે ત્યાં આપીને, ત્યાગીને આવે છે એવી વૈશ્ર્વિક લેવલે છાપ ઊભી કરવી છે.’ તાજેતરમાં સાવરકુંડલાની કથામાં દર્દીઓ માટે બાપુએ ઝોળી ફેલાવી અને કરોડો પિયા એકઠા થયા હતા. દરેક કથામાં સામાજિક નિસ્બતનું બહુ મોટું કામ થઈ રહ્યું છે. કેન્યાના રાજમાતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. એમણે કહ્યું હતું કે બાપુની પ્રતિભા સંમોહિત કરે તેવી છે. એક કલાક તેમની કથા સાંભળી. લોકોના ચહેરાના પ્રતિભાવ પરથી લાગતું હતું કે ભાષા નહોતી સમજાતી તો પણ તેઓ કથામાં રમમાણ થઈ ગયાં છે. બાપુની વાતો પર હસતાં કેન્યાનાં રાજમાતાને જોઈ બાપુએ કહ્યું હતું કે ‘સંવેદનાને ભાષાઅવરોધ નડતો નથી. હસતો રાજનેતા રાષ્ટ્ર માટે કલ્યાણકારી છે. હવે મારે હસે નહીં એને કથા આપવી નથી.’ હાસ્ય એ હોઠનું ઘરેણું છે. જેની પાસે આ ઘરેણું નથી એ પૈસાદાર હોવા છતાં ગરીબ છે. નૈરોબીમાં ફેન (પંખા) બહુ ઓછા જોવા મળે છે. પણ બાપુના ફેન (ચાહક) ખૂબ છે, એ પ્રથમ દિવસની વિશાળ જનમેદની પરથી સાબિત થયું.
ભારતમાંથી વિધવિધ ક્ષેત્રની ૨૦૦થી પણ વધુ પ્રતિભાને આમંત્રણ આપ્યું હતું. યોગેશભાઈ શાસ્ત્રી, આણદાબાવા આશ્રમ, જામનગરના દેવપ્રસાદ બાપુ, દ્વારકેશલાલજી, સંતરામ મંદિરના સંતો પ્રથમ વાર વિદેશની ધરતીપર પધાર્યા હતા. રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ સર્વશ્રી ભીખુદાન ગઢવી, જીતુભાઈ દ્વારકાવાળા, યોગેશ ગઢવી, માયાભાઈ આહીર, સુખદેવ ધામેલીયા, તુષાર શુક્લ, હરદ્વાર ગોસ્વામી ઇત્યાદિ કલાકારોની રસભર રંગત દુબારાનો દરબાર સર્જતી હતી. ખૂણામાં રહીને પોતાની કલાને અજવાળતાં ભારતના કલાકારોમાંથી મોટાભાગનાએ પહેલીવાર વિદેશપ્રવાસ કર્યો હતો. બોટાદનું મહાકાળી ભવાઈ મંડળ વર્ષોથી પેઢી દરપેઢી ભવાઈને સમર્પિત સંસ્થા છે. પહેલીવાર આટલું મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળ્યું હતું. એ પણ ફાઈવસ્ટાર ફેસીલિટી સાથે... આવી જ રીતે આગના કરતબ બતાવનાર, શંખ ફૂંકનાર, રાજસ્થાનના મીર કલાકારો ઇત્યાદિ... સાવ છેવાડાના માણસ સુધી બાપુની નજર પહોંચે છે. સૌ કલાકારોએ ગળગળા થઈ કહ્યું કે અમારું આ આજીવન મધમીઠું સંભારણું છે.
વિભીષણને કેન્દ્રમાં રાખીને નવ દિવસ કથા ચાલી હતી. વિભીષણ આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય છે. જેનું સંશોધન હજી થવાનું બાકી છે. દ્વાપર, ત્રેતા, સતયુગ, અને કળયુગમાં વિભીષણ એની નિષ્ઠાને કારણે યાદ રહેશે. કેન્યાનો એક અર્થ નિર્દોષતા થાય છે. વિભીષણમાં પણ નિર્દોષતા છે. નામ બિભીષન જેહિ જગ જાના, બીશ્નૂ ભગત વિજ્ઞાન નિધાના વિભીષણની ભૂમિ પણ કેન્યા માફક ફળદ્રુપ છે. કેન્યામાં તુલસીનાં ઘેધૂર વન છે. એના પર બાળકને પણ બેસાડી દ્યો તો ય પડે નહીં.
ગુજરાતી કે હિન્દી ન સમજી શકે એમના લાભાર્થે નગીનદાસ સંઘવી દરેક દિવસનો સંક્ષિપ્ત કથાસાર અંગ્રેજી ભાષામાં ભાવપૂર્ણ રીતે રજૂ કરતા હતા. કથાના બીજા દિવસે બાપુએ કહ્યું કે કેટલાક લોકો શિલિંગ ઓછા થાય એટલે સીલીંગ તૂટી હોય એવા ભયભીત થાય છે. આવા લોકો માલમસ્ત હોય છે. કેટલાક લોકો બધી પરિસ્થિતિમાં સમાન હોય એ કમાલમસ્ત હોય છે. એકવીસમી સદીમાં ધર્મનું નવું અર્થઘટન જરી છે. થોડું દિલનું ડાયવર્ઝન લેવું પડશે. રામકાર્ય કરવું હોય તો હરિના હસ્તાક્ષર લઈ જડ નિયમો તોડવા પડે. એક સુખદ અનુભવ ધ એલિફન્ટ ઓરફન્સ જોવા ગયા ત્યાં થયો હતો. વ્યવસ્થાપક નીગ્રોએ રામકથામાં આવ્યા હોવાથી અમારી ટિકિટ ન લીધી. કથાઓમાં મોટાભાગે વડીલો જ દેખાતા હોય છે પણ બાપુની કથામાં યુવાનોની બહુ મોટી સંખ્યા જોવા મળી હતી. જે યુવાનો મોબાઈલ સાથે માઈન્ડ પણ વાઈબ્રેટીંગ મોડ પર મૂકી એન્ડ્રોઈડ કથાને માણતા હતા. વિશેષણોનાં વનમાં ભટક્યા વગર અનુભૂતિના આકાશમાં વિહરશો તો કથાની કસ્તૂરી પામી શકો.
કથા સ્વર્ગ આપવા માટે નથી પણ જીવનને સ્વર્ગ જેવું બનાવવા માટે છે. સાહિત્યને પુસ્તકથી મસ્તક સુધી વિસ્તારવામાં બાપુનો બહુ મોટો ફાળો છે. કવિ કાગળ પર લખે પણ બાપુ આગળ ઉપર લખે છે. સાહિત્યકારોના હૃદયમાં બાપુ છે અને બાપુના હૃદયમાં સાહિત્યકારો છે. હોટેલ પર નીગ્રો વેઈટરને ટીપ આપી તો માથાના શિવલિંગ પર શિલિંગ ચડાવી પરત કરતાં કહ્યું કે ‘રામકથા અમારા દેશ માટે આટલું મોટું સેવા સદાવ્રતનું કાર્ય કરે છે તો અમે તમારી નાનકડી સેવા ન કરી શકીએ ?’ અને એણે સ્વાહીલીમાં સ્માઈલ આપ્યું. સ્વાહીલી ભાષાનું ‘જામ્બો’ અને ગુજરાતી ભાષાનું જામો પડી ગયો, મને તો એક જ લાગી રહ્યું હતું. કેન્યા જવું હોય તો પોલીયોના ડોઝ અને વેક્ષિનેશન ફરજિયાત છે. નૈરોબીથી પરત આવતાં એવું લાગ્યું કે વ્હાલનું વેક્ષિનેશન અને દિલના ડોઝ લીધા છે. છેલ્લા પાંત્રીસ વર્ષથી બાપુની દરેક કથામાં શ્રોતા તરીકે અચૂક હાજર રહેતા ગોંડલના પ્રતાપગિરિ ગોસ્વામી કહે છે કે ‘દરેક કથાથી જીવનનો એક નવો મંત્ર લાધે છે. આ વખતે ‘ઇગ્નોરાય નમ:’ મંત્ર મળ્યો છે.’ કથાશ્રવણથી અનેકના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. જીવનનું નવું ભાથું બાંધે છે. અંતિમ દિવસે શ્રોતાઓની આંખમાં એક અનોખી ચમક હતી, જેમાં હજારો સૂર્યનું અજવાળું હતું...
ધૈર્ય કેરા બુટ્ટાઓ,
પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની,
પ્રાણના પટોળા પર,
દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યા.
- શૂન્ય પાલનપુરી