લેખક, સંકલન : ગજાનંદ સી. શાસ્ત્રી
પ્રકાશક : ગૌરવ પબ્લિકેશન
પૃષ્ઠ : ૪૦૦
મૂલ્ય : રૂા. ૧૦૦/-
સંપર્ક : (૦૭૯) ૨૫૫૦૧૦૩૫
મહાશક્તિ જગતજનની જગદંબાનાં સ્વપો અને તેમની લીલાઓનું સરળ અને સુંદર શૈલીમાં વર્ણન કરતું આ પુસ્તક એક ધાર્મિક પુસ્તક છે. મહાત્મા વેદવ્યાસે જે ૧૮ પુરાણોની રચના કરી તે પૈકી ‘દેવી ભાગવત’ નામનું પુરાણ સૌથી શ્રેષ્ઠ છે. વેદવ્યાસે રાજા જનમેજયને આ પુરાણ સંભળાવ્યું હતું, જેથી તક્ષક નાગના ડંશથી દુર્ગતિ પામેલા રાજા પરીક્ષિતનો ઉદ્ધાર થયો હતો.
દેવી ભાગવતમાં બાર સ્કંધ અને ૧૮,૦૦૦ શ્ર્લોકો છે. તેમાં નિર્ગુણ યોગગમ્ય, તુરિયા શક્તિ મહામાયા ભગવતી જગદંબા તથા તેમની ત્રણેય શક્તિઓ - સાત્ત્વિકી, રાજસી તથા તામસીનું સંચાલન કરનાર સરસ્વતી, મહાલક્ષ્મી તથા મહાકાળીની લીલાઓનું સુંદર વર્ણન છે.
પુસ્તકમાં દેવી ભાગવતનો મહિમા પુરાણનો ઇતિહાસ, શ્રીકૃષ્ણ તથા પ્રસેનની કથા, અગસ્ત્ય-સ્કંદ સંવાદ, સુદ્યુમ્નને પુરુષત્વ-પ્રાપ્તિની કથા, દુર્દમના પુત્રની મનુ બનવાની કથા તથા શ્રીમદ્ દેવી ભાગવત પુરાણની સિદ્ધિઓ તથા બાર સ્કંધનો સમાવેશ થાય છે.
હિન્દુ સંસ્કૃતિ તથા ધાર્મિક વિધિવિધાન પાછળના મર્મને દર્શાવતું આ પુસ્તક રસપ્રદ છે.