પુરુષોત્તમ માસની વ્રતકથા
દિવ્ય નગરીમાં સુભટ નામે એક બ્રાહ્મણ તેની પત્ની દેવકી સાથે સુખેથી રહેતો હતો. પણ સંતાન ન હોવાથી પતિ-પત્ની બંને વાંઝિયાપણાના દુ:ખથી પીડાતાં હતાં. તેમનાથી ગામમાં તથા સુભટની યજમાનગીરીમાં પણ આ દુ:ખ સહેવાતું નહોતું. લોકો મેણાં મારતા હતા. તેમની ઉંમર થઈ ગઈ હતી. તેથી તેમને સંતાન થવાની સંભાવના બિલકુલ નહોતી.
એવામાં અધિક પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો. ગામના સૌ કોઈ નદીએ સ્નાન કરી કથા-વાર્તા સાંભળવા લાગ્યા. સુભટ તો આ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ જાણતા હતા. તમને આ વ્રતના ફળની પણ જાણકારી હતી. સુભટને આ વ્રતમાં તેમના દુ:ખના નિવારણનો ઉકેલ અસંભવ તથા અંધશ્રદ્ધાવાળો જણાતો હતો પણ તેમની પત્ની દેવકી ખૂબ જ શ્રદ્ધાળુ હતી. દેવકીને ભગવાન પુરુષોત્તમની ભક્તિ પર અપાર શ્રદ્ધા તથા વિશ્ર્વાસ હતો. તેથી પતિ સુભટને આ વ્રત શરૂ કરવા સૂચવ્યું.
અધિક માસના પહેલા દિવસથી પતિ-પત્ની નદીએ ન્હાવા જવા લાગ્યાં. ભોંયપથારી પર સૂતાં હતાં. વળી બંને મોટી ઉંમરવાળાં હોવાથી એક જ ટંક જમતાં હતાં.
એક દિવસ દેવકી, સુભટને કહેવા લાગી - ‘હે સ્વામી ! ભગવાને એક દીકરો દીધો હોત તોય સારું હતું. દીકરાની વહુ ઘરનું સંભાળત જેથી આપણે સુખેથી વ્રત કરત. વ્રતના બધા જ નિયમોનું આરામથી પાલન થાત અને પુરુષોત્તમનાં ગુણગાન સાંભળવા મળત.’
આ સાંભળી સુભટ હસીને કહેવા લાગ્યો - ‘દીકરો હોય તો વહુ આવે ને !’
આ સાંભળી દેવી બોલી - ‘દીકરાવાળા વહુ લાવે એમાં શી નવાઈ છે. વગર દીકરે વહુ લાવો તો તમે બ્રાહ્મણ સાચા. હે નાથ ! પરગામ જઈ કોઈ સારી બ્રાહ્મણ ક્ધયા શોધો. ક્ધયાના પિતાને કહેજો કે અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે. ભણીને પાછો આવશે ત્યારે ચોથો ફેરો ફેરવશું.’
સુભટના ગળે વાત ઊતરી તો નહીં પણ દેવકીની હઠ અને તેનું ઘરકામનું દુ:ખ તેનાથી જોવાતું નહોતું. તેથી તે દીકરાની વહુ શોધવા તૈયાર થયો.
સુભટ વહુની શોધમાં ભ્રમણ કરવા નીકળ્યો. એક ગામમાં બ્રાહ્મણને ત્યાં ઉતારો કર્યો. આ બ્રાહ્મણને એક સુંદર પાળી ક્ધયા હતી. આ જોઈ સુભટે ક્ધયાના પિતા સન્મુખ વાત મૂકી - ‘હે ભૂદેવ ! મારો પુત્ર ઘણો તેજસ્વી છે, ચારે વેદમાં પારંગત છે. અઢારે પુરાણો તેને મોઢે છે. બધાં જ શાસ્ત્રોમાં કુશળ છે. હાલ એ કાશીએ ભણવા ગયો છે. તમારું મન માનતું હોય તો મારા પુત્ર સાથે તમારી ક્ધયાનાં લગ્ન કરો.’
સુભટની રજૂઆતથી બ્રાહ્મણ વિચારમાં પડી ગયો. તેને થયું મુરતિયો જોયા વિના ક્ધયા દેવાય નહીં, પણ આવો હોશિયાર જમાઈ દીવો લઈને શોધવા જતાં મળશે નહીં. અંતે બ્રાહ્મણે સુભટને કહ્યું, ‘ભૂદેવ ! વાત તો તમારી સાચી. ક્ધયા દેવાની મારી ના નથી, પણ ઘડિયાં લગ્ન લેવાં હોય તો ક્ધયાને કોની સાથે પરણાવવાની ?’
સુભટને થયું કે વહુ લાવવાનો દેવકીનો પ્રસ્તાવ - હઠ પૂર્ણ થાય તેમ છે. તેણે યુક્તિ રચીને બ્રાહ્મણને કહ્યું કે, ‘હે બ્રહ્મદેવ ! હું મારા પુત્રની પોથી લઈને આવ્યો છું. તમતમારે ત્રણ ફેરા એની સાથે ફેરવી દો. પુત્ર ભણીને પાછો આવશે. ત્યારે ચોથો ફેરો લેશે.’
ક્ધયાના પિતાને ગળે વાત ઊતરી ગઈ. પુત્રીને પોથી સાથે ત્રણ ફેરા ફેરવાવ્યા અને સુભટની સાથે વિદાય આપી.
સુભટ વહુને લઈ ઘરે આવ્યો. દેવકીના આનંદનો પાર ન રહ્યો. દીકરાની વહુ સમજુ હતી. તેણે ઘરનું બધું કામ ઉપાડી લીધું. દેવકીને નિરાંત થઈ. પુરુષોત્તમ માસનું વ્રત ખૂબ જ શ્રદ્ધાથી કરવા માંડ્યું. એક ઓરડામાં વ્રતકથાનું પૂજન તથા કથાશ્રવણ થવા લાગ્યાં. આ ઓરડામાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી.
એક દિવસ સુભટ તથા દેવકી નહાવા ગયાં હતાં ત્યારે પાડોશણ દેવતા-(રસોડા માટે અગ્નિ) લેવા આવી. ઘરમાં સુંદર વહુને જોઈ પાડોશણે પૂછ્યું - ‘બાઈ ! તું કોણ છે ? ક્યાંથી આવી ?’
વહુ બોલી - ‘આ ઘરની વહુ છું. નાસી ભાગીને નથી આવી. પરણીને આવી છું.’ આ સાંભળી પાડોશણ તો આભી થઈ ગઈ. તેણે કહ્યું - ‘આ તો વાંઝિયાનું ઘર છે. ડોસા-ડોસીને દીકરો જ છે ક્યાં ?’
આ વેણ સાંભળી વહુ તો હીબકે હીબકે રડવા લાગી. એટલામાં સાસુ-સસરા નદીએ નાહીને પાછાં આવ્યાં. વહુને રડતી જોઈ પૂછ્યું કે - ‘વહુ શાથી રડે છે ?’ વહુએ સમગ્ર ઘટના સંભળાવી. સાસુએ કહ્યું - ‘દીકરી, પાડોશી તો છે જ એવા. કોઈની વાત કાને ધરીશ નહીં. અમારો દીકરો પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં કાશીથી ભણીને આવશે ત્યારે તું તેની સાથે ચોથો ફેરો ફરજે. તમે બંને સુખથી ઘરસંસાર માંડજો.’ દેવકીએ વહુને શાંત પાડતાં કહ્યું કે, હે વહુ! તમે આ અમારા જિંદગીની કમાઈના સાત ઓરડા છે તેમાંથી છ ઓરડા ખોલજો પણ સાતમો ઓરડો ખોલશો નહીં. તે પૂજાનો ઓરડો છે. વહુ શાંત પડે છે. તેણે બીજા દિવસે સાસુ-સસરા નહાવા ગયાં ત્યારે ઓરડા ખોલવા માંડ્યા. પહેલામાં ધનના ઢગલા, બીજામાં હીરા-ઝવેરાત, ત્રીજામાં ઘરેણાં. આમ છ ઓરડા ખોલ્યા. વહુથી રહેવાયું નહીં. તેને થયું કે લાવ ! સાતમો ઓરડો ખોલું. વહુ સાતમો ઓરડો ખોલે છે. તેના આશ્ર્ચર્યનો પાર ન રહ્યો. જોયું તો ઝગમગતા પ્રકાશિત ઓરડામાં જનોઈધારી, કપાળે ચંદન લગાડેલ પીતાંબર પહેરેલ, ખભે રેશમી કાપડ નાખેલ, યુવાન પોથી વાંચી રહ્યો છે. આખા ઓરડામાં ધૂપની સુગંધ છે. વહુની તો આંખો અંજાઈ ગઈ. આ દિવ્ય યુવાન પુરુષે ક્ધયાને નિહાળી કહ્યું, ‘તમે પાછાં જાવ ! મારાં માતા-પિતાનું વ્રત તૂટશે અને મારો અભ્યાસ અધૂરો રહેશે. આ માસ પૂર્ણ થયે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ.’
વહુએ તો હરખાઈને ઓરડો બંધ કરી દીધો. બમણા ઉમંગથી ઘરકામ કરવા લાગી.
આમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. એટલે વહુ સાસુને કહેવા લાગી - ‘હવે ચોથો ફેરો ફેરવો.’
સુભટ અને દેવકી ગભરાયાં. દીકરો તો છે નહીં. વહુને શું જવાબ આપશું ? બંનેએ મનોમન ઝેર ઘોળવાનો વિચાર કર્યો.
બંનેને ગુમસુમ જોઈ વહુ બોલી, તમે કેમ ગભરાઓ છો - ‘હું હમણાં જ તમારા દીકરાને બોલાવી લાવું છું.’
વહુની વાત સાંભળી સુભટ અને દેવકીને આશ્ર્ચર્ય થયું. ચોક્કસ વહુનું ચસકી ગયું છે. સાસુ-સસરા તથા વહુના આ વાદ-વિવાદથી પાડોશી તથા ગામના લોકો એકઠા થયા. સમગ્ર વાત ચોરે ને ચૌટે પહોંચી. સૌને લાગ્યું કે, ચોક્કસ આજે કંઈ અનર્થ થવાનો છે, પણ સૌના આશ્ર્ચર્યની વચ્ચે વહુ સાતમા ઓરડા આગળ જઈ પતિને આહ્વાન કરે છે. - ‘સાંભળો છો ? બહાર આવો ! પુરુષોત્તમ માસ પૂર્ણ થયો છે. હવે ચોથો ફેરો ફરી આપણાં લગ્ન પૂર્ણ કરો.’ ઓરડાનો દરવાજો ખૂલે છે. દિવ્ય પુરુષ-યુવાન બહાર આવે છે. ક્ધયા સાથે ચોથો ફેરો ફરે છે. દેવકીથી ન રહેવાયું. હે મારા નાથ પુરુષોત્તમ ભગવાન ! આપે મારા દીકરા થઈ મારી લાજ રાખી છે. પ્રભુ, આપની લીલા અપરંપાર છે. ગામના સૌને ભગવાન પુરુષોત્તમનાં દર્શન થયાં. ભગવાન પુરુષોતમનો જયજયકાર થયો. બોલો ! પુરુષોત્તમ ભગવાન કી જય. ભગવાન ભક્તની શ્રદ્ધાને આધીન હોય છે. શ્રદ્ધા હોય તો પુરુષોત્તમ ભગવાન જેમ દેવકીને ફળ્યા તેમ સૌને પણ ફળે.
પુરુષોત્તમ માસમાં નિત્ય પ્રાત: કાળે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ -
પ્રાતર્નમામિ તમસ: પરમર્કવર્ણમ્
પૂર્ણ સનાતન પદં પુરુષોત્તમાખ્યમ્
યસ્મિન્નિદં જગદશેષમશેષમૂર્તો
રજ્જવાં ભુજંગમ્ ઈવ પ્રતિભાસિતં વૈ ॥
અજ્ઞાનરૂપ અંધકારથી પર સૂર્ય સમાન પ્રકાશિત પૂર્ણ પુરુષોત્તમ નામથી કહેવાતા સનાતન (અવિનાશી) સ્વરૂપને હું પ્રાત:કાળે નમું છું. જેઓ સમસ્ત બ્રહ્માંડરૂપે પ્રકટ થયા છે અને જેમની અંદર આખું જગત દોરડીમાં સર્પની પેઠે (ન હોવા છતાં) ભાસી રહ્યું છે.