એક ગરીબ કોળી કન્યા ગામ-તુલસી વ્રત કરે છે અને પછી શું થાય છે ?

    ૨૨-ઓગસ્ટ-૨૦૧૮   


વાર્તા :
 
એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહે. તેની પત્નીનું નામ ગુણવંતી હતું. પતિ-પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. તેથી તેમની પુત્રી સગુણા પણ બચપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી. ઉંમર લાયક થવા પછી સગુણાએ મનગમતો ભરથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું. પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલાં જ સગુણા મૃત્યુ પામી.
 
મૃત્યુ પામેલી સગુણા બીજા જન્મે એક કોળીના ઘેરે જન્મી કોળીનું નામ જાદવ હતું. તેની પત્નીનું નામ કાશી હતું. ગરીબ હોવા છતાં કોળી દંપતિ જાતિના માર્ગે ચાલનારા હતા. ગરીબના ઘેર રૂપ રૂપનો અંબાર જેવી કન્યાનો જન્મ થતાં સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ. જાદવ અને કાશીએ પુત્રીનું નામ કમળા રાખ્યું. પૂર્વ જન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી.
 
કમળા તો યુવાન થઈ. જાદવ કાશી રાત દિવસ કમળાના હાથ પીળા કરવાની ચિંતા કરવા લાગ્યા.
એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ અને તેથી તે તેમની પાસે ગઈ અને કહ્યું કે બહેનો, મારે પણગાય તુલસીની પૂજા કરવી છે. ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તારો વરણ જુદો છે છોડી. તારો પડછાયો તુલસીમાં ઉપર પડે તો માજી વનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં.
 
પેલી કોળી કન્યા કાલાવાલા કરતી કહેવા લાગી, હે બહેનો, હું તમારી જેમ જે રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરું, તમે જેમ કહો તેમ, કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાઉં પણ મારી બહેનો, મને વ્રતની વિધિ બતાવો. ગાયમાં અને તુલસીમાં તો સૌના સરખાં જ મા છે. એમના મનમાં તો કોઈ ઊંચ નચી નથી ને કોઈ નીચ નથી માટે આપ મને માર ઉપર દયા કરીને પણ વ્રતની વિધિ બતાવો. હુંય ગાયમાં અને તુલસીમાંના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે માં તો દયાની દેવી છે આમ બોલતાં બોલતાં કોળી કન્યા રડી પડી. છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળું હતી. તેને આ કોળી કન્યા ઉપર દયા આવી અને તેણે ગાય અને તુલસીમાના વ્રતની વિધિ બતાવી.
 
કોળી કન્યાનો આનંદથી નાચતી અને કૂદતી પોતાને ઘેર ગઈ છે. બીજા જ દિવસથી તેણે ગાય તુલસીના વ્રત લીધાં. જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું. તેમ તેમ એનું તેજ વધતું ગયું.
 
આ જોઈને કોળીના સગાં-વહાલાને ડર લાગવા માંડ્યો. આ તો રાંકને ઘેર રતન પાક્યાં. આપણાંથી કેમ જતન થાશે. આટલી બધી સમજું અને દેવના ચક્કર જેવી કન્યા કોળીની નાતમાં ક્યાંથી ? આમ અંદરો અંદર વાતો કરે છે કોઈ તેને હેરાન કરતું નથી. પછી તો બધા ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝુંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમા રહે અને ખુશીથી ભગવાનનું ભજન કર.
 
કોળી કન્યા તો તળાવની પાળે રહેવા લાગી. સ્વચ્છ અને સાદા કપડાં પહેરે છે. ગાયમાં અને તુલસીમાં પૂજા કરે છે. તુલસી ક્યારે દિવો કરે છે અને એક વખત સાદુ જમીને એક ગાયમાં અને તુલસીમાંના વ્રત પૂરા થવા આવ્યા છે ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી.
 
મોટા ભાગના રાજકુંવર ફરતો ફરતો ત્યાં આવ્યો. કોળીકન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવર પોતાની ઓળખાણ આપી. અને કોળી કન્યાને કહ્યું કે, મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે. માટે તું મારી સાથે લગ્ન કર, અને તને સુખી કર સાથે તુ પણ સુખી થા એવી મારી ભાવના છે. કોળી કન્યાએ કહ્યું એ કેમ બનશે ? તમે તો રાજાના કુંવર અને હું કોળીની કન્યા લગ્ન કેમ થાય ?
 
પણ આ તો રાજાનો કુંવર ! લીધી હઠ મૂકે નહીં ! કોણ સમજાવે ? એણે તો કહ્યું. તું મને ગમે છે. માટે પરણું તો તને જ. હા કહે ના કહે. આમ કુંવરે હઠ પકડી ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાયમાંની મરજી એમ મનમાં સમજી પોતાની માને વાત કરી. સમજાવી, મનાવી લીધા.
રાજકુંવર રાજીના રેડ થતો પોતાના ગામ આવ્યો.
 
ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનને સાક્ષી રાખી ગાય, તુલસીના આશીર્વાદ લઈને લગ્નના ચાર ફેરા કર્યા છે. પછી પોતાને ગામ ગયા. લગ્નની વાતને છુપાવી રાખી. આ તો રાજાના કુંવર કહેવાય. તેથી કોઈ પૂછતું નથી. એમ ઘણા વરસો સુખ ચેનમાં પસાર થયા.
 
રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાળે બેસી વાતો કરતા હતો ત્યાં તેમની નજર ગામની કન્યાઓને ગાય તુલસીમાંના વ્રત કરતાં જોઈ અને (કોળી કન્યા) રાણીને પોતાના આગળના દિવસો સાંભર્યા કે, ગાયમાંના અને તુલસીમાંના એક વખત વ્રત કર્યા હતા. મન માનતો (પતિ) રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ. લાવ ફરીથી વ્રત લઉં અને માતાજી કાંઈક મહેર કરશે.
 
આમ વિચારી પેલી કન્યા પાસે ગઈ છે અને બોલી હે બહેનો મારે પણ ગાય તુલસીના વ્રત કરવા છે માટે વિધિ કહો પેલી કન્યાઓએ હોંશથી વિધિ કહી. રાણીજી શ્રાવણ માસ આવે એટલે આ વ્રત લેવા.
 
પાંચ દોરાની સેર લઈને પછી તેને પીળો રંગ રંગીને પછી એને ત્રીસ ગાંઠો વાળએ ગાંઠો વાળેલા દોરાને ગળામાં પહેરીએ હાલતાં ચાલતાં બધા કામ કરતા ગાયમાં તુલસીમાંના નામનું મનમાં રટણ રાખવું. આડોશ પાડોશમાં કોઈને બોલાવી વાર્તા કરવાની કોઈ સાંભળવા વાળું ન હોય તો પીપળાના પાનને કહેવાની સૂરજ નારાયણની સાખે કહેવાની,તુલસીમાના ક્યારે કહેવાની.
 
લીલા લુગડાં પહેરવા નહીં. લીલા શાકભાજી ખાવાના નહીં, લીલા ઝાડના લીલા પાન તોડવા નહીં. અબીલ, ગુલાલ, ફળ, ફૂલ અને ધૂપ લઈને ગાયમાં તુલસીમાની પૂજા કરવી. દિવો કરવો, પછી પ્રસાદ ધરાવવો, સૌને વહેંચવો આવી રીતે ગાય તુલસીમાંનું વ્રત કરવા.
 
કોળી રાણી તો આનંદમાં આવી ગઈ. શ્રાવણ મહિનો આવ્યો છે. આખા નગરમાં વ્રત લેવાય છે. ગરીબ-ગુરબાને દાન દેવાય છે. રાજાએ પણ અન્ન દીધા, વસ્ત્રદાન દીધા.
 
આખા મહેલમાં ગાયમાં તુલસીમાનાં વ્રત લેવાય છે. વિધિ મુજબ પૂજા થાય છે. દાન-દક્ષિણા દેવાય પછી તો કોળી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી, રાણીને વ્રત ફળ્યાં.
 
માતાજીએ સારા દિવસો દેખાડ્યા છે. આખા મહેલમાં આનંદ છવાયો છે. રાણીના પિયરમાં વધામણી મોકલવા તપાસ થઈ છે, તપાસ કરતાં કોળી રાણી નીચ જાતિની છે તેમ બધાને ખબર પડી ગઈ.
 
રાજના સગાંઓને અદેખાઈ આવી અને બોલી નવી રાણીનું વરણ અલગ છે. તેને સોનાની રાખડી ન હોય, પણ કુટુંબની પરંપરા સાચવવા ગામની ધૂળ, હનુમાનની માળો લાવો, લોખંડની ખીલી લીધી, કાળા ઉનનો દોરો લીધો, પછી રાખડી બાંધી છે. બરાબર રાણીને સાત માસ થયા ખોળો ભરવાનો અવસર આવ્યો. અદેખી જૂની રાણીઓ કહેવા લાગી કે કોળીની દીકરીને ખોળો ભરવાનો કેવો હોય ? લીલું નાળિયેર આપ્યું છે. કંકુ છાંટીને ચાર ચોખા આપી ખોળો ભર્યો. પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણીને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરાં થતાં કુંવરનો જન્મ થયો. રાજાએ કહેલું કે કુંવરી જન્મે તો ફૂલનો ગજરો મોકલવાનો અને કુંવરનો જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલવાની. રાજા સભામાં બેઠા છે. ત્યાં કુંવરના જન્મની વધામણીની માળા આવે છે.
 
રાજાના આનંદનો પાર ન રહ્યો, પણ કોળી રાણીને પુત્ર અવતર્યો છે. જાણીને અદેખી રાણીઓને અદેખાઈ આવે છે. સમય થતાં કુંવરને લઈને કોળી રાણી મહેલે આવ્યા છે કોળી રાણીએ તો આવીને પહેલાં તુલસીના ક્યારે કુંવરને નમાડ્યા છે. ગાયને પગે લગાડ્યા. આ બાજુ અદેખી રાણીઓએ લાગ જોઈને કુંવરને ગુમ કરાવ્યો. આખા નગરમાં ખબર પડી કે કુંવર ગુમ થયા. કોળી રાણીના દુઃખનો પાર ના રહ્યો.
 
આ બાજુ એક સુથારની દીકરી ગાય તુલસીની પૂજા કરવા આવે છે. તેણે આ છોકરાને જોયો.. એણે તરત જ તેને ઘેર પાછા ફરી પોતાની માને કહે મા…મા…! ગાયમાં તુલસીમાએ ભાઈ આપ્યો. ભાઈ લાવી, ભાઈ મેળવવા મેં ગાય તુલસીના વ્રત કર્યા અને ગાય તુલસીએ મને ભાઈ આપ્યો. આમ કોળી રાણીનો કુંવર સુથારને ત્યાં મોટો થવા લાગ્યો. સુથારે પોતાના કામમાં કુંવરને જોડી દીધો. કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસે હોંશિયાર થવા લાગ્યો. એક દિવસ કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો. તળાવને કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયો. કુંવર ઘોડાને કહે છે ઘોડા ઘોડા પાણી પીવો. બાજુના કિનારે રાજાની દાસીઓ પાણી ભરતી હતી. તેમણે આ છોકરાની વાત સાંભળીને નવાઈ લાગી. છોકરાને કહે, કે એરે ગાંડાભાઈ ! લાકડાના ઘોડા તે કાંઈ પાણી પીતાં હશે ? કોળી રાણીના કુંવરે કહ્યું, કે અદેખારાણીઓએ રાજાને ભૂ’પીવરાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂપીતા કરી દીધા. તો લાકડાના ઘોડા ભૂ ન પીવે ?
 
દાસીઓને વાતમાં ભેદ લાગ્યો. તેમણે મહેલે આવી કોળી રાણી અને રાજાને વાત કરી. પછી તો રાજાએ સુથારને બોલાવ્યો. સુથાર કહે, મારી દીકરી એ છોકરાને લાવી હતી. રાજા કહે તો દીકરીને બોલાવો. સુથારની દીકરી આવી. દીકરી કહે, ગાયમાં તુલસીમાએ મને ભાઈ આપ્યો. રાજા બધી વાત સમજી ગયા. કુંવર અને કોળી રાણી ભેટી પડ્યાં.
 
સુથાર ને તેની વહુને એને સુથારની દીકરીને રાજ મહેલમાં જ પોતાની સાથે રાખ્યા અને પછી રાજાએ કુંવરને રાજ ગાદીનું વારસ બનાવ્યો. ગાદીએ બેસાડ્યો. કુંવર તો રાજ માલિક થયો બધે આનંદ મંગળ વરતાઈ ગયા. કોળી રાણીને ગાય મા તુલસીમાના વ્રત ફળ્યાં. અદેખી રાણીઓનાં મોઢાં કાળા થયા. જય ગાયમાં, જય તુલસીમાં જેવા સૌને ફળ્યાં તેવા અમને ફળજો.