રુક્મિણી : વિદર્ભ દેશના રાજા ભીસમકની દીકરી - કૃષ્ણના ધર્મપત્ની

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
જેઠ સુદ અગિયારસની તિથિ એટલે રુક્મિણી વિવાહ... વિદર્ભની રાજકુમારી દેવી રુક્મિણીના વિવાહ સાથે જોડાયેલી કથા ખરેખર રોચક છે. કૃષ્ણ ભલે રાધાને પ્રેમ કરતા હોય પરંતુ પતિ તો તે રુક્મિણીના જ કહેવાયા. રુક્મિણીહરણનું તાત્પર્ય એ ફલિત કરવાનું છે કે ’મહાલક્ષ્મી નારાયણને મળે, શિશુપાળ જેવા દુરાચારીને નહીં. શુકદેવજી રુક્મિણી લગ્નની જે કથા કહે છે તેનો ટૂંકસાર આ પ્રમાણે છે.
 
વિદર્ભ દેશના રાજા ભીષ્મકને પાંચ પુત્રો અને એક ક્ધયા હતી. રાજાના મોટા પુત્રનું નામ ‘રુક્મિ’ અને ક્ધયાનું નામ ‘રુક્મિણી’ હતું. રુક્મિણીનાં માતાનું નામ શુદ્ધમતિ હતું. રુક્મિણી સાક્ષાત્ મહાલક્ષ્મીનો અવતાર હતાં. રુક્મિણી પાસે જે લોકો આવતાં જતાં હતાં તેઓ કૃષ્ણની પ્રશંસા કરતા હતા. એટલે રુક્મિણી કૃષ્ણને મનોમન ચાહવા લાગ્યાં.’ રુક્મિણી ઉંમરલાયક થયાં. તેમની ઇચ્છા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની હતી પણ તેમનો મોટો ભાઈ રુક્મિ પોતાની બહેનને શિશુપાળ જેવા દુરાચારી રાજા સાથે પરણાવવા માગતો હતો. રુક્મિણીને જ્યારે ખબર પડે છે કે જરાસંધ પણ શિશુપાલ સાથે તેનું લગ્ન કરાવવા તે માટે પિતા ભીષ્મક પર દબાણ કરી રહ્યો છે અને તેના પિતાએ પણ એ વાત કબૂલ કરી છે ત્યારે તેનું મગજ ફરી જાય છે. એ વિચાર કરે છે કે સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર આ લોકો મારું બલિદાન આપી રહ્યા છે તો શું હું બલિદાનનું બકરું છું? કોઈ પણ સંજોગોમાં ‘હું મારું બલિદાન આપવા નહીં દઉં.’ રુક્મિણીએ વિરોધ કર્યો. ’હું પરણીશ તો શ્રીકૃષ્ણ સાથે જ તેવા દૃઢ નિશ્ર્ચય સાથે ખૂબ વિચાર કર્યો અને બાદ શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને દ્વારિકા મોકલ્યો. સાથે પેલો પત્ર પણ આપ્યો. જગતના ઇતિહાસમાં આ પહેલો જ પ્રેમપત્ર હશે અને એ પણ કેટલી ગરિમાથી સુંદર રીતે લખાયેલો..! તેમાં જણાવ્યું હતું કે ‘હું આપની સાથે જ વિવાહ કરવા માગું છું. લગ્નના દિવસે આપ આવી જશો. હું પાર્વતીજીનાં દર્શન કરવા મંદિરે જઈશ ત્યારે મને રથમાં બેસાડીને દ્વારકા લઈ જશો.’ બ્રાહ્મણ સુદેવે દ્વારિકા પહોંચી શ્રીકૃષ્ણને હાથોહાથ ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચીને શ્રીકૃષ્ણ તૈયાર થઈ ગયા. સારથિ દારુકે રથ તૈયાર કર્યો. બ્રાહ્મણ સુદેવને સાથે લઈ લગ્નના દિવસે શ્રીકૃષ્ણ રુક્મિણીના નગરમાં પહોંચ્યા. બ્રાહ્મણે રુક્મિણી પાસે જઈ કહ્યું, ‘બેટા, દ્વારિકાનાથને લઈને આવ્યો છું.’
 
શિશુપાલ અને અન્ય રાજાઓ સભામાં આવી ગયા હતા. દેવી રુક્મિણી સહેલીઓની સાથે પાર્વતીજીની પૂજા કરવા મંદિરમાં ગયાં. પૂજા કર્યા પછી એ મંદિર બહાર નીકળ્યા. શ્રીકૃષ્ણનો રથ તૈયાર જ ઊભો હતો. રુક્મિણીને લઈ રથ દ્વારિકા તરફ જવા લાગ્યો. શિશુપાળ અને બીજા રાજાઓએ શ્રીકૃષ્ણને રોકી તેમની સાથે યુદ્ધ કર્યું. પણ તે હારી થાકીને વીલા મોંએ પાછા ફર્યા. રુક્મિણીનો ભાઈ રુક્મિ પણ શ્રીકૃષ્ણની સામે પડયો પણ શ્રીકૃષ્ણે તેને પણ હરાવ્યો અને બંદી બનાવ્યો. આ સમયે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવજી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે રુક્મિને છોડાવ્યો. શ્રીકૃષ્ણ, રુક્મિણી અને બળદેવજી દ્વારિકા પહોંચ્યા. ત્યારબાદ દ્વારિકામાં ધામધૂમથી શ્રીકૃષ્ણ-રુક્મિણીનાં લગ્ન થયા. શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાં રુક્મિણીજી મોખરે હતાં.
 
રુક્મિણીનું ચરિત્ર ખૂબ ઉદાત્ત હતું. તેમનામાં વિચારશીલતા અને દૃઢ નિર્ણયશક્તિ હતાં. તેમણે સ્વસ્થ ચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવનસાથીની પસંદગી કરી. તેમનામાં તે માટેની મક્કમતા, નીડરતા અને હિંમત પણ હતી. શ્રીકૃષ્ણને લખેલી ચિઠ્ઠીમાં તેમનું ગુણિયલ ચરિત્ર ઊપસીને સામે આવે છે. શ્રીકૃષ્ણ અને રુક્મિણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અદ્ભુત છે ! તેનામાં સતીત્વ, શીલ, સંયમ, પવિત્રતા, દૃઢ આત્મવિશ્ર્વાસ, પ્રભુશ્રદ્ધા અને એકનિષ્ઠતાનું તેજ છે. કામાંધ બનેલા રાજવીઓ રુક્મિણીના ચારિત્રના તેજથી બેભાન બની ગયા હતા. નારીસામર્થ્યને બળ આપવા માટે આજે જ્યારે દુનિયામાં અવાજ ઊઠયો છે, ત્યારે રુક્મિણીનું ચરિત્ર ઉદાહરણરુપ બને છે. રુક્મિણી વિવાહ એ જીવ સાથે શિવનું મિલન છે. રુક્મિણીએ શ્રીકૃષ્ણને લખેલ પત્રમાં ‘ભુવનસુંદર’ એવું સંબોધન કર્યું છે. જેનામાં ઐશ્ર્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ સઘળું છે એવા ભગવાનનું શરણું સ્વીકારવામાં પણ મર્મ છે. રુક્મિણીએ નિશ્ર્ચય કર્યો કે ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, પરંતુ વરીશ તો શ્રીકૃષ્ણને. શિવ પાસે જવા માટે જીવનો આવો દૃઢ સંકલ્પ હોવો જોઈએ. પુરાણમાં રુક્મિણી વિશે એક આ પણ કથા છે કે જાલંધર નામનો દૈત્ય દેવોને ખૂબ જ પરેશાન કરતો હતો. સૌ દેવો સાથે મળીને નારાયણ પાસે ગયા. નારાયણે આ દૈત્ય શા માટે મરતો નથી તેની તપાસ કરાવી તો જાલંધર દૈત્યની પત્ની વૃંદા ખૂબ જ પતિપરાયણ તથા પવિત્ર હતી માટે તેના તપથી જાલંધરનું બળ વધ્યું હતું. નારાયણે કપટ કરીને વૃંદાના પતિવ્રતાવ્રતનો ભંગ કરાવ્યો, આથી ખિન્ન થઈને વૃંદાએ ભગવાનને શાપ આપ્યો, તમે શાલિગ્રામ બની જાઓ. નારાયણે પણ વૃંદાને શાપ આપ્યો તું વૃંદા બની જા. તુલસીના છોડ વૃંદમાં ઊગતા હોવાથી તેને વૃંદા કહેવામાં આવે છે.
 
દ્વાપરયુગમાં નારાયણ કૃષ્ણ‚પે અવતર્યા અને વૃંદા રુક્મિણી ‚પે પ્રગટ થયાં. શ્રીકૃષ્ણે રુક્મિણીનું હરણ કરીને પટરાણી બનાવી. શ્રીકૃષ્ણનાં પત્ની રુક્મિણી હતાં પરંતુ રાધા કૃષ્ણના રોમ રોમમાં હતાં. એકવાર રુક્મિણીએ ભોજન પછી કૃષ્ણને દૂધ આપ્યું. દૂધ ગરમ હતું. પણ કૃષ્ણને દૂધ અતિ પ્રિય હોવાથી તે ઝડપથી પીવા ગયા ને દૂધ છલકાયું. કૃષ્ણ દાઝી ગયા. એ પીડાથી બોલી ઊઠ્યા, હે રાધે ! તેના પતિના મોઢાથી રાધાનું નામ સાંભળીને, રુક્મિણીએ કહ્યું, હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ હંમેશાં રાધાનું નામ તમારા મોંમાંથી બહાર આવે છે. રાધામાં એવું તે શું છે કે, તમે મારું નામ કદી લેતા નથી ? શ્રીકૃષ્ણ આ પ્રશ્ર્ન સાંભળીને આછા સ્મિત સાથે એટલું જ બોલ્યા તમે રાધાને મળ્યાં છો? એ પછી રુક્મિણીથી રહેવાયું નહી. અને એ રાધાને મળવા રાધાના મહેલે પહોંચ્યા. રાધાજી પાસે પહોંચીને રુક્મિણી જુએ છે કે તેઓ અત્યંત સુંદર અને તેજસ્વી હતા. રુક્મિણી તરત રાધાજીના પગમાં પડી જાય છે. એ જ સમયે રુક્મિણીનું ધ્યાન તેના શરીર પર પડેલાં છાલાં પર જાય છે ને એ રાધાજીને કારણ પૂછે છે. રાધાજી કહે છે કે ગઈકાલે તમે કાન્હાને ગરમ દૂધ પીવા આપેલું અને કાનજી દાઝી ગયા હતા. હું તો એમના હૃદયમાં વાસ કરું છું. એટલે મને પણ છાલાં પડે જ ને ! કૃષ્ણ-રાધાનું આવું તાદાત્મ્ય અને નિ:સ્વાર્થ એકત્વ જોઈને રુક્મિણી નતમસ્તક બન્યાં.