સત્યભામા : સત્યમ, શિવમ, સુન્દરમના ત્રિવેણીસંગમ સમાન ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |
 
 
 
કૃષ્ણના જીવનમાં આઠનું મૂલ્ય હંમેશાં રહ્યું છે. કૃષ્ણનાં અષ્ટદર્શન હોય કે જગમંગલ કાજે આઠે દિશાઓનું પરિભ્રમણ હોય. દેવકીનું આ આઠમું સંતાન આઠ હજાર વર્ષ પછી પણ સંભવામિ યુગે યુગેની સંકલ્પના સિદ્ધ કરે છે. એમને પટરાણીઓ પણ આઠ હતી. આ પટરાણીઓમાં બટમોગરા જેવી બટકબોલી સત્યભામાનું એક આગવું અને અલાયદું સ્થાન હતું.
 
સત્યાભામાના વિવાહની કથા સુંદર અને રોચક છે. સત્રાજીત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્યદેવ તેના સ્વામી છતાં પણ પરમ મિત્ર થઈને રહ્યા હતા. સૂર્યે પ્રસન્ન થઈને તેને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો. એક વખત એ મણિને ગળામાં બાંધી સૂર્યની પેઠે પ્રકાશતો સત્રાજીત દ્વારકામાં આવ્યો. તેના તેજથી જેઓનાં નેત્રો અંજાઈ ગયાં એવા લોકોએ દૂરથી તેને જોઈ સૂર્યદેવની શંકાથી ચોપાટ રમતા શ્રીકૃષ્ણની સામે જઈને કહ્યું કે હે નારાયણ ! પોતાનાં કિરણોના સમૂહથી મનુષ્યોની આંખોનું તેજ હરી લેતા તીવ્ર કિરણોવાળા સૂર્યદેવ તમારું દર્શન કરવાને માટે આવે છે. આ પ્રમાણે અજાણ્યા માણસોનું બોલવું સાંભળી ભગવાને હસીને કહ્યું કે આ સૂર્યદેવ નથી પણ મણિથી પ્રકાશી રહેલો સત્રાજીત છે. પછી સત્રાજીતે પોતાના ઘરમાં રહેલ દેવમંદિરમાં બ્રાહ્મણોની પાસે તે મણિનું પ્રતિષ્ઠાવિધિથી સ્થાપન કરાવ્યું. એક વખત ભગવાને યાદવોના રાજા ઉગ્રસેનને માટે સત્રાજીતની પાસે એ મણિની માંગણી કરી હતી, પણ ધનના લાલચુ સત્રાજીતે ભગવાનની માંગણીભંગના પરિણામનો વિચાર નહીં કરતા તે મણિ આપ્યો ન હતો. સત્રાજીતનો ભાઈ પ્રસેન એક દિવસ એ અતિ કાંતિવાળા મણિને ગળે બાંધી, ઘોડા ઉપર બેસીને વનમાં મૃગયા માટે નીકળ્યો. ત્યાં તેને એક કેસરી સિંહે તેના ઘોડા સહિત મારી નાખ્યો. મણિ ખેંચી લઈને સિંહ પર્વતમાં ગયો. ત્યાં રીંછના રાજા જાંબવાને મણિ લઈ લેવાની ઇચ્છાથી તે સિંહને પણ મારી નાખ્યો. જાંબવાને એ મણિ લઈને પોતાની ગુફામાં તેના બાળકના માટે રમકડાં જેમ રમવા રાખ્યો. પોતાના ભાઈ પ્રસેનને ન જોતાં ભાઈ સત્રાજીત પરિતાપ પામવા લાગ્યો અને કહ્યું કે કંઠમાં મણિ પહેરીને મારો ભાઈ વનમાં ગયો હતો, તેને ઘણું કરીને કૃષ્ણએ જ મારી નાખ્યો હશે. આ સાંભળી લોકો એ વાત કાનોકાન એક બીજાને કહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ ભગવાન આ વાત સાંભળીને પોતાને પ્રાપ્ત થયેલી અપકીર્તિ ટાળવા સારુ ગામના લોકોની સાથે પ્રસેનની શોધ કરવા લાગ્યા.
 
વનમાં સૌએ પ્રસેનને અને તેના ઘોડાને સિંહ દ્વારા મારી નાખેલા જોયા. આગળ ચાલતાં સર્વ લોકોએ જાંબવાન દ્વારા મારી નખાયેલ તે કેસરીને પણ પર્વત ઉપર જોયો. પછી ગાઢ અંધારાવાળી રીંછના રાજાની ભયંકર ગુફા જોવામાં આવતાં બીજા લોકોને બહાર બેસાડીને શ્રીકૃષ્ણ તેમાં એકલા જ ગયા. ગુફામાં બાળકને રમકડાની જેમ સ્યમંતક મણિ સાથે રમતો જોઈ તેને લેવાના વિચારથી ભગવાન બાળકની પાસે ઊભા રહ્યા. કોઈ દિવસ નહીં જોયેલા એ અજાણ્યા પુરુષને જોઈ બાળકની ઉપમાતાએ બીકથી ચીસ નાખી. એ સાંભળી ક્રોધ પામેલા મહાબળવાન જાંબવાન દોડી આવ્યા. શ્રીકૃષ્ણના પ્રભાવને નહીં જાણતા ક્રોધી જાંબવાનને શ્રીકૃષ્ણએ ૨૮ દિવસ સુધી ભયાનક યુદ્ધ કરી હરાવ્યો. તેથી જાંબવાન અત્યંત વિસ્મય પામીને બોલ્યો -
 
સર્વ પ્રાણીઓના પ્રાણરૂપ, ઇંદ્રિય, હૃદય તથા દેહના બળરૂપ, પુરાણપુરુષ, સર્વના પ્રભુ અને સર્વને વશ કરનારા આપને હું વિષ્ણુ જાણું છું. જગતને સર્જનારાં સર્વે તત્ત્વોના પણ આપ સર્જક છો, અને જગતને વશ કરનારાઓને પણ વશ કરનારા કાળરૂપ સર્વ જીવોના શુદ્ધ અંતર્યામી આત્મા પણ આપ જ છો.
 
આ પ્રમાણે રીંછના રાજાને જ્ઞાન થતાં શ્રીકૃષ્ણ ભગવાને પરમ કૃપાથી પોતાનો સુખકારી હાથ તે ભક્તના શરીર પર ફેરવીને પ્રેમપૂર્વક ગંભીર વાણીથી કહ્યું કે હે રીંછના રાજા ! અમે આ મણિને શોધતા શોધતા આ ગુફાના દ્વાર આગળ આવ્યા હતા અને આ મણિથી મારા ઉપરનો ખોટો અભિશાપ ટાળવા સારુ હું અંદર આવેલો છું. આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી જાંબવાને ભગવાનના સત્કાર સારુ પ્રીતિથી પોતાની દીકરી જાંબવતીનું સ્યમંતક મણિની સાથે ભગવાનને દાન દીધું. પાછા આવેલા ભગવાનને સ્ત્રી સહિત તથા ગળામાં મણિ સહિત જોઈને સર્વને મોટો આનંદ થયો. પછી ભગવાને ઉગ્રસેન રાજાની સમક્ષ સભામાં સત્રાજીતને બોલાવી મણિ મળવાની સર્વે વાત કહીને તેને મણિ આપી દીધો. મણિ લઈને બહુ જ લજાએલો અને પોતાના પાપથી પસ્તાતો સત્રાજીત નીચું મોઢું કરીને ત્યાંથી પોતાને ઘેર ગયો. બળિયા સાથે વિરોધ થવાને લીધે વ્યાકુળ થયેલો સત્રાજીત પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે હું મારો અપરાધ શી રીતે ટાળું? ભગવાન શી રીતે પ્રસન્ન થાય ? હું સ્ત્રીઓમાં રત્નરૂપ મારી દીકરી સત્યભામા તથા મણિ બન્ને ભગવાનને આપીશ. આ ઉપાય સારો છે. સત્રાજીતે આ પ્રમાણે મનમાં નિશ્ર્ચય કરી, સામેથી જઈને પોતાની ક્ધયા સત્યભામા ભગવાનને આપી અને મણિ પણ આપ્યો. શીલ, રૂપ, ઉદારતા અને ગુણવાળાં તે સત્યભામાને ભગવાન પરણ્યા. આ પ્રમાણે સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી બન્યાં.
 
શ્રીકૃષ્ણની આઠે પટરાણીઓ તેમને રીઝવવાનો કોઈ મોકો હાથમાંથી જવા ન દેતી. સત્યભામા પણ પતિને પ્રિય થવા ગમે તે કરવા તૈયાર રહેતી. દ્રૌપદી-સત્યભામા સંવાદમાં તેની આ આતુરતા સુપેરે દેખાઈ આવે છે. એક વાર ભગવાન શ્રીકૃષ્ણ પત્ની સત્યભામા સાથે પાંડવોને મળવા ગયા. ત્યારે સત્યભામાએ જોયું કે પાંચ પતિઓની પત્ની હોવા છતાં પણ દ્રૌપદી કેવી રીતે પાંચેય પતિઓ સાથે એકસરખો વ્યવહાર કરી પ્રેમપૂર્વક ધ્યાન રાખી રહ્યાં છે. શ્રીકૃષ્ણને અત્યંત પ્રેમ કરનાર સત્યભામાએ આ બધું જોઈને દ્રૌપદીને ખુશહાલ દામ્પત્યજીવન જીવવાનાં રહસ્યો પૂછ્યાં હતા.
 
એકવાર પ્રાગજ્યોતિષપુરના દૈત્યરાજ ભૌમાસુરના અત્યાચારથી દેવતાગણ ત્રાસી ગયો હતો. ત્યારે સ્વર્ગલોકના રાજા દેવરાજ ઇન્દ્રએ કૃષ્ણને જણાવ્યું કે ભૌમાસુરે પૃથ્વીના અનેક રાજાઓ અને સામાન્ય લોકોની સુંદર પુત્રીઓનું હરણ કરી પોતાની ગુલામ બનાવીને રાખી છે. આ વાત સાંભળી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે ત્યાં પહોંચ્યા અને ભૌમાસુરનો સંહાર કર્યો. આ રાક્ષસને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હતો. તેથી કૃષ્ણે સત્યભામાની મદદથી તેનો વધ કર્યો.
 
એકવાર જ્યારે નારદ મુનિ શ્રીકૃષ્ણને મળવા આવ્યા ત્યારે તેમણે શ્રીકૃષ્ણને તેમની સાથે લઈને આવેલા પારિજાતનાં ફૂલો ભેટ કર્યાં. શ્રીકૃષ્ણએ આ ફૂલ તેમની સાથે બેઠેલી પત્ની રુક્મિણીને આપ્યાં હતાં. આ વાતની ખબર શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાને થઈ ત્યારે તેઓ કૃષ્ણ પર ખૂબ ગુસ્સે થયાં હતાં. તેમણે કૃષ્ણને કહ્યું કે મારે પણ સ્વર્ગથી આવેલા પારિજાતનાં ફૂલ જોઈએ છે. શ્રીકૃષ્ણે ઘણું સમજાવ્યા પછી પણ તેમણે આ જીદ છોડી નહીં. પછીથી શ્રીકૃષ્ણએ ઇન્દ્ર પર વિજય મેળવીને પારિજાતના વૃક્ષને જીતી લીધું. શ્રીકૃષ્ણએ સ્વર્ગથી લાવેલા આ પારિજાતના વૃક્ષને સત્યભામાની વાટિકામાં વાવ્યું પણ સત્યભામાને પાઠ ભણાવવા માટે તેમણે એ એવી રીતે વાવ્યું કે પારિજાતનાં વૃક્ષ પર જે ફૂલો આવે એ રુક્મિણીની વાટિકામાં ખરે.
 
શ્રીકૃષ્ણના રાધાજી પ્રત્યેના અવિચળ પ્રેમ માટે રુક્મિણીની માફક સત્યભામાને પણ ઈર્ષા થયેલી. એકવાર જમ્યા પછી સત્યભામાએ સોનાના વરખવાળું પાનબીડું શ્રીકૃષ્ણને આપ્યું. સોનાના વરખવાળું પાનબીડું સસ્નેહ સત્યભામા પાસેથી લઈ, મુખમાં મૂકી શ્રીકૃષ્ણે વામકુક્ષી માટે જરા લંબાવ્યું. શ્રીકૃષ્ણે અર્ધમિલિત ચક્ષુએ પાનના રસનો એકાદ ઘૂંટડો ગળામાં ઉતાર્યો કે તરત જ - રાધા ! હા રાધા ! એવા સુમધુર શબ્દો શ્યામકુંવરના મુખમાંથી સરી પડ્યા. સૌ રાણીઓ ઈર્ષાવશ ભગવાન સામે જોવા લાગી. અને સૌ પટરાણીઓ સામે શ્રીકૃષ્ણને કહ્યું, "નાથ! આપ તો કમળાપતિ કહેવાઓ છો, એ સુંદર કમળાને યાદ કરો તો ક્ષમ્ય છે, પણ બાલ્યાવસ્થાની સાવ નાની ઉંમરે આપ વૃંદાવનમાં એ ગામડિયણ ગોપીઓ સાથે રાસ રમ્યા ! રાસ-સંચાલિકા, રસરાજ્ઞી રાધા સાથે પ્રેમ બંધાણો. પણ એ વાતને આજે એંસી એંસી વરસ વીતી ગયાં છતાં એ રસરાજ્ઞી રાધાને વીસર્યા નહીં. કહો તો ખરા કે આ રાજેશ્ર્વરી રાધા તે કઈ વાડીનો મૂળો છે કે જ્યારે ને ત્યારે બસ તેને જ સંભારી અમને અષ્ટ પટરાણીઓને છોભીલાં પાડો છો?
 
બટકબોલાં સત્યભામાની અવળ વાણીની વક્રતા જોઈ, નટખટ નટવરે માયા આદરી. શ્રીકૃષ્ણે પોતાનું પેટ પકડી ઊંહકારા કરવા માંડ્યા. પીડાના ઉપાય તરીકે કહ્યું કે રાણીઓ! આ રોગ ગમે તેટલા ઉપચારો કરશો તો પણ નહીં મટે. જો મારું માનો તો, કોઈ પણ સુંદરી પોતાના ચરણની રજ મારી છાતીએ ચોળવા આપે તો મારું દર્દ શમે.
 
શ્રીકૃષ્ણના આ શબ્દો સાંભળી રાણીઓ મનોમન સમસમી રહી. રુક્મિણી બોલ્યાં : ભગવન્, તમે શું કહી રહ્યા છો ? પત્નીના ચરણની રજ પતિને આપવાથી નરકગામી થવાય, માટે એ તો કેમ બને ?
 
પછીની વાત તો પ્રચલિત છે કે રાધાજીએ હજાર નરક મળે તો પણ શ્રીકૃષ્ણની પીડા દૂર કરવા ઉદ્ધવજીને પોતાના પગની ચરણરજ આપી અને ભગવાનનું દર્દ દૂર થયું. શ્રીકૃષ્ણએ પટરાણીઓને કહ્યું કે જોયું સુંદરીઓ ! તમને સૌને નરકગામી થવાની બીક લાગી, પણ મારા ખાતર રાધાજીએ નરકને તુચ્છ ગણ્યું.
 
અષ્ટ પટરાણીઓ પણ શ્રીરાધાજીનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પરનો અપાર અને અગાધ પ્રેમ જોઈ રસસાગરમાં ડૂબી નતમસ્તક બની !