માદ્રી : સપત્નીની સહાયથી માતૃત્વ અને પતિને મળેલા સાપથી મૃત્યુ પ્રાપ્ત કરનારી

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
મહાભારતમાં ત્રિકાળજ્ઞાની ગણાતા સહદેવ અને વરણાગી ગણાતા નકુલની માતા એટલે માદ્રી. કુરુવંશના સામ્રાજ્ય હસ્તિનાપુરની પૂર્વોત્તર સીમાએ આવેલા વિશાળ સામ્રાજ્ય મદ્ર દેશના સમ્રાટ શલ્યની બહેન એટલે માદ્રી. આજના પંજાબ, હરિયાણા રાજ્યોથી લઈને ભારતની પૂર્વોત્તર દિશામાં આવેલી હિન્દુકુશ પર્વતમાળા સુધી આ મદ્ર સામ્રાજ્ય વિસ્તરેલું હતું. સમ્રાટ શલ્ય અત્યંત પરાક્રમી મહારથી હતા, તો માદ્રી પણ સર્વગુણસંપન્ન રાજકુમારી હતી.
 
પાંડુ અત્યંત પરાક્રમી સમ્રાટ હતા. હસ્તિનાપુરનું સિંહાસન સંભાળ્યા પછી તેમણે સિંધુ, કાશી, અંગ, ત્રિગર્ત, કલીંગ, મગધ વગેરે રાજ્યોને જીતીને હસ્તિનાપુર સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. આવા પ્રતાપી સમ્રાટ સાથે પોતાની પુત્રી કે બહેનને પરણાવવા વિશ્ર્વભરના રાજાઓની મહેચ્છા રહેતી, પરંતુ મદ્ર સામ્રાજ્યના સમ્રાટ શલ્યની મહેચ્છા વિધાતાએ પૂર્ણ કરી અને શલ્યની બહેન માદ્રીનાં લગ્ન હસ્તિનાપુર નરેશ પાંડુ સાથે થયાં. પરંતુ પાંડુને મળેલો એક શાપ માદ્રી માટે મૃત્યુનું કારણ બન્યો.
 
વાત એમ બની હતી કે એક વાર સમ્રાટ પાંડુ શિકારે ગયા હતા. ઘનઘોર વનમાં કામક્રીડામાં મગ્ન બનેલી હરણ બેલડી ઉપર પાંડુએ બાણ ચલાવ્યું, પરંતુ મરણાસન્ન બનેલી હરણબેલડીના મોઢેથી મનુષ્યનો ધ્વનિ નીકળતાં કુતૂહલવશ પાંડુ ત્યાં પહોંચીને જુએ છે તો ત્યાં હરણ બેલડી નહીં, પણ હરણના રૂપમાં ક્ધિદમ મુનિ અને તેમનાં પત્ની કામક્રીડામાં મગ્ન હતાં, જે બંને પાંડુના બાણથી વિંધાઈ ગયાં હતાં. હરણ સમજીને શિકાર કર્યો હોવાથી પાંડુને આ હત્યાથી વિશેષ દુ:ખ ન થયું કે પાપની લાગણી પણ ન જન્મી. તેના અહંકારથી વ્યથિત થઈને ક્ધિદમ મુનિએ પાંડુને શાપ આપ્યો કે જે ક્ષણે તે તેની પત્ની સાથે કામક્રીડામાં મગ્ન થશે તે જ ક્ષણે તેનું મૃત્યુ થશે. એટલું જ નહીં, તેની સાથે રતિક્રીડામાં જોડાયેલી તેની પત્નીનું પણ મૃત્યુ થશે.
 
અત્યંત બળવાન પાંડુ રાજા આ શાપથી વ્યથિત થયા, પરંતુ તેમને એક વાતનો આનંદ હતો કે આ શાપ હોવા છતાં તેમની બંને પત્નીઓએ માતૃત્વ ધારણ કર્યું હતું.
 
કુંતીને પાંચ મંત્રો મળ્યા હતાં. જેમાંથી બે મંત્રો તેણે માદ્રીને આપ્યા હતા. બે અશ્ર્વિની કુમારોની મંત્રો દ્વારા કરેલી આરાધનાથી માદ્રી સહદેવ નકુલની માતા બની. બે પત્નીઓ અને પાંચ પુત્રોનો પરિવાર ધરાવતા પાંડુએ ક્ધિદમ મુનિના શાપને કારણે વર્ષો સુધી પોતાના ઉપર સંયમ રાખ્યો હતો. જેના પરિણામે તે અને તેમની પત્ની આનંદથી જીવી રહ્યાં હતા, પરંતુ કાળક્રમે શાપથી ત્રસ્ત પાંડુએ રાજ્યસત્તા ત્યજીને વાનપ્રસ્થી બનવાનો નિર્ણય કર્યો.
 
વાનપ્રસ્થ બનેલા પાંડુ હવે વનમાં જ નિવાસ કરવા લાગ્યા. તેમની સાથે કુંતી, માદ્રી તથા પાંચે પાંડવો પણ વનમાં રહ્યા. હવે શાપની પ્રબળ અસરને પરિણામે એકવાર તેઓ અત્યંત કામાતુર બન્યા. યોગાનુયોગ કુંતી અને પાંચ પાંડવો તે સમયે અન્ય સ્થળે વનવિહાર કરી રહ્યાં હતાં. આમ, પાંડુ અને માદ્રી બંને એકલાં હોવાથી પાંડુ જેવા કામક્રીડામાં રત થાય છે એ જ ક્ષણે દાનાવળ ફાટી નીકળે છે અને તેમાં પાંડુનું મૃત્યુ થાય છે. વનભ્રમણ કરી રહેલાં કુંતીએ એકાએક ધુમાડાના ગોટેગોટા જોતાં કશુંક અજુગતું બન્યું હોવાનો અંદેશો થાય છે. તે દોડીને તેમની કુટિર ઉપર પહોંચે છે, ત્યારે તેની શંકા સત્ય ઠરી હોય છે. માદ્રી સાથે કામક્રીડામાં રત થયેલા પાંડુના મૃત્યુ સાથે મહર્ષિ ક્ધિદમના શાપનો પૂર્વાર્ધ સત્ય ઠરે છે.
 
વનમાં જ પાંડુના અગ્નિસંસ્કાર થતા હોય છે ત્યારે ભડભડ થઈ રહેલી ચિતામાં કૂદીને માદ્રી પણ પોતાના જીવનનો અંત આણે છે. આમ, મહર્ષિ ક્ધિદમના શાપનો ઉત્તરાર્ધ પણ સિદ્ધ થાય છે. આમ, પતિસુખથી વંચિત એવી માદ્રી સપત્ની કુંતીની સહાયતાથી માતૃત્વ ધારણ કરે છે અને પતિને મળેલા શાપનો ભોગ બનીને મૃત્યુ ધારણ કરે છે.