કસ્તૂરબા સત્યના પ્રયોગોના તાપમાં ખીલેલ કમળ

    ૦૯-ઓક્ટોબર-૨૦૧૯

 
 
ગાંધી સાર્ધ શતાબ્દી પર્વ નિમિત્તે આ વર્ષે સમગ્ર વિશ્ર્વ ગાંધીજીના વ્યક્તિત્વ તથા કૃતિત્વના પ્રત્યેક પાસાને પ્રેમપૂર્વક સ્મરી રહ્યું છે. અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા ગાંધીજીની લાર્જર ધેન લાઇફ છબીથી અંજાયેલ વિશ્ર્વ, અને આપણે ભારતીયો પણ, લગભગ વીસરી જ ગયા છીએ કે આ વર્ષ ગાંધીજીનાં પત્ની કસ્તૂરબાનું પણ સાર્ધ શતાબ્દી વર્ષ છે. ગાંધીજીની પ્રતિભા તો નિશ્ર્ચિતપણે અસામાન્ય હતી જ, પણ તેમની તે પ્રતિભાથી અંજાયેલી આપણી આંખ ગાંધીજીના જીવનના આધારસ્તંભસમી કસ્તૂરબા જેવી વીરલ સ્ત્રીને જોઈ ન શકે તે યોગ્ય નથી. ગાંધીજી-કસ્તૂરબા સાર્ધ શતાબ્દી પ્રસંગે પતિના સત્યના પ્રયોગોના આકરા તાપમાં ખીલેલ કમળ પત્ની કસ્તૂરબાની શબ્દ વંદના પ્રસ્તુત છે.
 

 
 
૧૯૪૪માં આગાખાન પેલેસ ખાતેની નજરકેદ દરમિયાન કસ્તૂરબા મૃત્યુ પામ્યાં તે વખતે ગાંધીજીએ તેમને આપેલ અંજલિ હતી, ‘શી સ્ટૂડ અબાવ મી... સામાન્ય અર્થમાં ભલે તે નિરક્ષર હતાં, પરંતુ મારી દૃષ્ટિએ તેઓ આદર્શ શિક્ષિત મનુષ્ય હતાં... તેઓ સાચા અર્થમાં વૈષ્ણવ હતાં.’ પત્નીને આવી ઉત્તમ અંજલિ આપનાર મહાત્મા ગાંધીના શબ્દો માત્ર પત્નીપ્રેમથી પ્રેરિત ન હતા. પતિ, પુત્રો, પરિવાર તેમજ સઘળા રાષ્ટ્ર કાજે કસ્તૂરબાએ આજીવન કરેલ તપ, ત્યાગ, સેવા અને સમર્પણનો સરપાવ હતા આ શબ્દો. ગાંધીજીના આ શબ્દોમાં ક્યાંય અતિશયોક્તિ ન હતી. ભારતની કાવ્યકોકિલા સરોજિની નાયડુએ કસ્તૂરબાને અંજલિ આપતાં ‘ભારતીય નારીજીવનના આદર્શ’ તરીકે નવાજ્યાં હતાં. તો વળી વર્ષો બાદ પોતાની દાદીનું જીવનચરિત્ર લખતા તેમના પૌત્ર અરુણ ગાંધીએ તેમના વિશે લખ્યું, ‘મારી દાદીની જીવનકથા ફક્ત એટલી જ કે જ્યારે મોહનદાસ સત્યના પ્રયોગો કરતા હતા ત્યારે બા તે પ્રયોગોનો તાપ જીરવતાં હતાં, તેઓ પતિના પ્રયોગોને જીવતા હતા. કસ્તૂરબાનું સઘળું જીવન ગાંધીજીની સત્યની શોધની સૂક્ષ્મતમ પ્રક્રિયાના પ્રત્યક્ષ અનુભવમાં વીત્યું.’ સત્યના પ્રયોગોના તાપમાં ઊઘડેલ કસ્તૂરબા નામક કમળ એક મહાન તપસ્વિનીની જીવનસાધનાનું દ્યોતક છે.
 

 
 
પોરબંદર ગામના સમૃદ્ધ કાપડિયા પરિવારમાં જન્મેલી દીકરી કસ્તૂર (૧૮૬૯-૧૯૪૮) લાડકી હતી. બે ભાઈઓની એકમાત્ર બહેન હોઈ તેના ઠાઠમાં કોઈ કમી નહોતી. તેમ છતાં તે જમાનાના રિવાજ પ્રમાણે તેનાં માતા-પિતાએ તેને નિશાળે નહોતી મોકલી. પરમ વૈષ્ણવ એવાં કસ્તૂરનાં માતા-પિતા દીકરીના જીવનનું એકમાત્ર ધ્યેય એટલે લગ્ન એવું માનતાં હતાં. એટલે દીકરી ૧૩ વર્ષની થતાં તેનાં લગ્ન પોરબંદર ગામના પ્રતિષ્ઠિત કબા ગાંધીના પુત્ર મોનિયા (મોહનચંદ) સાથે વર્ષ ૧૮૮૩માં થયાં. બાલિકાવધૂ કસ્તૂરે ગાંધી પરિવારની ડેલીમાં કંકુપગલાં કર્યાં. આવા સમૃદ્ધ પરિવારમાં પુત્રવધૂના સુખનો પાર નહીં હોય એવું માનનાર કન્યાના માવતરને ક્યાં ખબર હતી કે પોતાની દીકરી કસ્તૂરનાં લગ્ન તેના માટે બે દસકા જેટલો આકરો અને એકલવાયો જવાબદારીભર્યો સમય લઈને આવવાનાં હતાં ! કિશોર પતિ મોનિયો પત્નીને પોતાની માલિકીની જાગીર માનતો. તેના પર દાદાગીરી કરવી અને હુકમ ચલાવવો તેને માટે જાણે વટનો વિષય હતો. પણ નાનકડી કસ્તૂર પણ ક્યાં ઓછી હતી ? તે નાનપણથી પોતાના મન પ્રમાણે વર્તવા ટેવાયેલી હતી. પતિ તેને કોઈપણ ફરજ પાડે તે તેને પરવડતું નહીં. આમ ખાટા-મીઠા ઝઘડા વચ્ચે વર્ષ ૧૮૮૮માં તેમના લગ્નસંસારમાં જ્યેષ્ઠ પુત્ર હરિલાલનું આગમન થયું. જેને કસ્તૂરે એકલા હાથે ઉછેરવાનો હતો, કારણ કે પુત્રના જન્મની સાથે મોનિયો વિલાયત જઈ બેરિસ્ટરનું શિક્ષણ લેવા વિદાય થયો. નિરક્ષર કસ્તૂર અને વિદેશમાં શિક્ષણ પામી રહેલ પતિ વચ્ચે પત્રાચારનો એકમાત્ર સેતુ મોહનચંદનો મિત્ર શેખ મહેતાબ હતો. પિતા વિહોણા હરિલાલનાં પ્રારંભિક વર્ષોને લીધે હરિલાલનું જીવન કેવું અસ્ત-વ્યસ્ત બની ગયું તેની ચર્ચા ઘણા બધા વિદ્વાનોએ ઊંડાણપૂર્વક કરેલી છે. ‘ગાંધી વર્સીસ ગાંધી’ સિનેમા પિતા-પુત્રની આ જોડીના સંબંધો સમજવાનો પ્રયત્ન હતો.
 

 
 
બેરિસ્ટર મોહનચંદ કરમચંદ ગાંધીના દક્ષિણ આફ્રિકાના સપરિવાર વસવાટ દરમિયાન તેમના તથા તેમની પત્ની કસ્તૂરના વ્યક્તિત્વમાં જે આમૂલ પરિવર્તન થયું તેનાં કારણો તથા પરિણામોનું પણ વિશ્ર્વસ્તરે દસ્તાવેજીકરણ થઈ ચૂક્યું છે. દક્ષિણ આફ્રિકાની ટ્રેનમાં રંગભેદની નીતિના શિકાર બનેલ મોહનચંદ માટે પોતાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન ભારતીયો તથા અન્ય અશ્ર્વેતોને ન્યાય અપાવવો તે જ જાણે જીવનનો ધ્યેય બની ગયેલો. ક્રમશ: અશ્ર્વેત લોકોના નાયક બનતા જતા પતિને પગલે પત્નીના વિચારો પણ બદલાઈ રહ્યા હતા. પરંતુ વિલાયતમાં ભણેલ પતિ કસ્તૂરને જાતમહેનત તથા અસ્પૃશ્યતાનિવારણનો પાઠ ભણાવવાના આશય સાથે જાજ‚ સાફ કરવાની ફરજ પાડેલ એ તો કેમ ચલાવી લેવાય ? કસ્તૂરને મન એ કામ અશક્ય હતું. પતિ પોતે ભલે જાજ‚ સાફ કરે, પરંતુ પત્નીને તેની ફરજ ન પાડી શકે તેવું સ્વાભિમાની કસ્તૂર માનતી હતી. અને તેનું સ્વાભિમાન જીદની કક્ષાએ પહોંચ્યું ત્યારે પતિએ તેને ઘરથી બહાર પણ કાઢી મૂકી હતી. પરંતુ વતનથી ઘણે દૂર આવી વસેલ નિરક્ષર કસ્તૂર ક્યારેય પોતાની જાતને બિચારી-બાપડી માનવા તૈયાર નહોતી. તેનો પ્રતિકાર ચાલુ રહેલો. તેના અસહકાર અને અહિંસક વિરોધ તેમજ અબોલાનાં શસ્ત્રોએ ગાંધી જેવા લોકનાયકને વિશ્ર્વને અચંબો પમાડે તેવા અહિંસા, અસહકાર તથા સત્યાગ્રહ જેવાં શસ્ત્રોની ભેટ આપેલી, તે વાત ગાંધીજી પોતાની આત્મકથામાં સ્વીકારે છે.
 

 
 
ગાંધીજી તથા કસ્તૂરબાના સહજીવન તથા અરસ-પરસના વિકાસની ભાગીદારીની વાત અગણિત પુસ્તકોમાં ચર્ચાઈ ચૂકી છે. અહીં તો એટલું જ નોંધવાનું કે, બાપુના પારસસ્પર્શે કસ્તૂરબા કંચન બન્યાં તે વાત સાચી તો ખરી, પરંતુ તે ફક્ત સ્પર્શમાત્રનો કમાલ નહોતો. બા દરેક પગલે બાપુના વિચારો તથા આગ્રહોના તાર્કિક સ્વીકાર સાથે બધું અપનાવતાં ગયેલાં. તેમણે ક્યારેય ફક્ત પતિના આગ્રહને વશ થઈને કોઈ સિદ્ધાંત સ્વીકાર્યો નહોતો. ચાર પુત્રોનાં માતા-પિતા બન્યા બાદ વર્ષ ૧૯૦૬માં જ્યારે બાપુએ બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યારે તે વ્રતનો સ્વીકાર કસ્તૂરબાએ પતિની ઇચ્છાને વશ થઈને કર્યો નહોતો. તેઓ પોતે બ્રહ્મચર્યમાં માનતાં થયાં હતાં. અને તેમની સંપૂર્ણ સંમતિ સાથે બાપુ આ વ્રત લઈ શક્યા હતા. ભારતથી દક્ષિણ આફ્રિકા ગયેલ બેરિસ્ટર મિ. મોહનચંદ કરમચંદ ગાંધી અને કસ્તૂર ગાંધી ત્યાંથી જનનાયક ગાંધીજી અને જગજનની કસ્તૂરબા બનીને સ્વદેશ પાછાં ફરેલાં.
 
ભારત પાછાં ફર્યા બાદ સ્વતંત્રતા આંદોલનને સમર્પિત બા-બાપુનાં જીવનનાં શેષ વર્ષોમાં સંપૂર્ણ વૈચારિક ઐક્ય હતું. ક્યાંય કોઈ અસંમતિ કે વિવાદને અવકાશ નહોતો. અને તોય ઇતિહાસકાર વિજય લાલ નોંધે છે તેમ તે વર્ષો દરમિયાન વિશ્ર્વભરમાં કોઈ એક વ્યક્તિ બાપુને ટોકી શકે તેમ હોય તો તે કસ્તૂરબા જ હતાં. જરૂર પડે તેઓ પતિથી ભિન્ન પોતાનું મંતવ્ય જણાવતાં ક્યારેય અચકાતાં નહીં. આટલા બધા ઐક્ય છતાં કસ્તૂરબાએ ક્યારેય નોટબૂક ન વાપરવાની પોતાની ટેક જાળવી રાખી. આ વાતનો સંદર્ભ જણાવતાં ઇતિહાસકાર અપર્ણા બાસુ પોતાના પુસ્તક ‘કસ્તૂરબા : એ લાઇફ’માં જણાવે છે કે, નાનપણમાં નિશાળે નહીં ગયેલાં કસ્તૂરબાના અક્ષર નાના બાળક જેવા હતા. ગાંધીજી તેમને અક્ષર સુધારવા લાઇનવાળા કાગળ પર લખવાનો આગ્રહ રાખતા. એકવાર બા એક લાઇનવાળી નોટબૂક લઈને તેમાં શ્રુતલેખન કરવા બેસી રહ્યાં હતાં ત્યારે બાપુએ તેમને ટોક્યાં. ‘અક્ષર સારા થાય પછી નોટમાં લખજો.’ પતિના આ શબ્દો બાને આકરા લાગ્યા. ત્યારબાદ બાએ આજીવન નોટબૂક ન વાપરી. આ હતો બાનો સ્વમાની ટેકીલો સ્વભાવ.
 


 
 
સ્વતંત્રતા-સેનાની તરીકે કસ્તૂરબાનો ફાળો નાનોસૂનો નહોતો. તેઓ ગાંધીજીની પડખે રહી તેમને દરેક વાતમાં સાથ આપનાર સમર્થક તો હતાં જ પરંતુ તે સાથે ગાંધીજીની અવેજીમાં સ્વતંત્રતા સેનાનીઓનું નેતૃત્વ પૂરું પાડનાર તથા મંચ પરથી ભાષણ કરનાર પણ હતાં. દેશ ખાતર જેલમાં જવું તેમના માટે આમ ઘટના હતી. વળી પુત્ર હરિદાસના સંદર્ભે એક પિતા તરીકેની ગાંધીજીની નિષ્ફળતાનાં તેઓ સાક્ષી રહ્યાં. પુત્રના જીવનના બેહાલ જોઈને કસ્તૂરબાનું હૃદય કકળતું. મીરાબેન સ્લેડ, વલ્લભભાઈ પટેલ, સુશીલા નૈયર, સરોજિની નાયડુ તથા સઘળા વિશ્ર્વ માટે વાત્સલ્યમૂર્તિ કસ્તૂરબાએ પુત્રનો વિયોગ અને તેની બેહાલી કઈ રીતે સહ્યાં હશે ! પુત્રના આવા હાલ કરનાર મહાત્માનાં તેઓ પત્ની હતાં. લોકોને સોહામણું લાગતું મહાત્માની પત્નીનું પદ સાચવવું કેટલું આકરું હતું તે તો કસ્તૂરબાનું હૃદય જ જાણતું હતું. ગિરિરાજકિશોર નામક હિન્દી નવલકથાકારે કસ્તૂરબાના જીવન પર આધારિત નવલકથામાં હરિદાસની માતા કસ્તૂરબાની વાત હૃદયદ્રાવક રીતે વર્ણવી છે.
 
પતિ ગાંધીજીની હાજરીમાં દિલ્હીના આગાખાન પેલેસમાં બ્રિટિશ હકૂમતની નજરકેદમાં અંતિમ શ્ર્વાસ લેનાર કસ્તૂરબાના મૃત્યુએ રાષ્ટ્રપિતા ગાંધીને હચમચાવી મૂકેલા. પુત્રવત્ મહાદેવભાઈ દેસાઈની વિદાય સાથે ગાંધીજી એકલા પડી ગયા હતા, પરંતુ હવે બાની વિદાયે તેમને શૂન્યતાથી ભરી દીધા. કસ્તૂર તેમની પત્ની માત્ર નહોતાં. બાપુના મતે તેઓ તેમના આજીવન વફાદાર સાથી, સેવક, પત્ની તેમજ માતા પણ હતાં.
 
આવાં કસ્તૂરબાને તેમની સાર્ધ શતાબ્દી નિમિત્તે ભાવાંજલિ.
 
- ડૉ. રંજના હરીશ