પાગલો પાગલખાનામાં જ નથી હોતા

    ૦૧-મે-૨૦૧૯
 
 
એક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. તેની ગફલતને કારણે વ્હીલના છ બોલ્ટ બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે ? આજુબાજુ ક્યાંય ગેરેજ દેખાતું નહોતું. થોડે છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. તેની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાંકડાની પાછળ લટકતા મેન્ટલ હોસ્પિટલના પાટિયા પર પડી. એટલે તેણે એ માણસને પૂછવાનું માંડી વાળ્યું.
 
તે પાછો ફરતો હતો એટલે પેલા માણસે પૂછ્યું, ‘હું તમને મદદ કરી શકું ?’
 
કાર-ચાલકે પોતાની તકલીફ જણાવી એટલે પેલાએ સુઝાવ આપ્યો, ‘પાછળના વ્હીલના ત્રણ બોલ્ટ આગળના વ્હીલમાં નાખી દો. અહીંથી બે કિલોમીટરના અંતરે એક ગેરેજ છે. ત્યાંથી તમને જોઈતા બોલ્ટ મળી રહેશે.’ આ સાંભળી કારચાલક આશ્ર્ચર્યમાં પડી ગયો. પાગલખાનાના પાટિયા સામે જોતાં તેણે કહ્યું, ‘તમે પાગલ જણાઓ છો.’
 
‘હું પાગલ જ છું.’ પાગલે ચોખવટ કરી, ‘પણ મૂર્ખ નથી.’
 
પાગલ માણસો આપણે ધારીએ છીએ એટલા બધા પાગલ ક્યારેય નથી હોતા. તેમના પાગલપણમાંય ડહાપણ હોય છે. વન્સ અપોન એ ટાઇમ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. કોઈ એક સવારે તેમણે આખાય ભારતવર્ષમાં ઇમરજન્સી-કટોકટી દાખલ કરી દીધી. પ્રજામાં સોપો પડી ગયો. લોકો રાતોરાત ડાહ્યા થઈ ગયા. તે એટલે સુધી કે પાગલો પણ સમજી ગયા કે જાહેરમાં શું બોલાય અને શું ના બોલાય... પાગલો પર ડહાપણનો હુમલો આવી ગયો એમ કહી શકાય. કહે છે કે આ ગાળામાં એક પાગલ ઇન્દિરાજીના મકાન બહાર ઊભો ઊભો બરાડતો હતો : ‘માત્ર એક જ વ્યક્તિને લીધે દેશ પીડા ભોગવી રહ્યો છે.’ વડાપ્રધાનના એક અધિકારીએ તરત જ એ પાગલને પકડીને પોલીસને હવાલે કરી દીધો. તેને પોલીસચોકીએ લઈ જવામાં આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરે પાગલના ગાલ પર એક જોરદાર થપ્પડ જમાવી દેતાં તેને પૂછ્યું, ‘બદમાશ, તું કહેવા શું માંગે છે ? એક જ વ્યક્તિને કારણે આખો દેશ પીડાઈ રહ્યો છે એમ બોલવા પાછળ તારા મગજમાં કોનું નામ છે?’ પાગલે રડતાં રડતાં જવાબ દીધો, ‘હિટલર’. જવાબ સાંભળીને પોલીસ હસી પડ્યો. તેને છોડી મૂક્યો. પોલીસ ચોકીમાંથી જતાં જતાં એ પાગલે ઇન્સ્પેક્ટર સામે આંખ મીંચકારી પ્રશ્ર્ન કર્યો : ‘સાચું બોલજો સાહેબ, તમારા મનમાં કોનું નામ હતું ?’
 
આમ તો આખુંય વિશ્ર્વ પાગલોથી ભરેલું છે. તેમને પાગલખાનામાં શોધવાની જ‚ર નથી એવું જર્મન કવિ ગેટે કહ્યું છે. કદાચ એટલે જ પાગલખાનામાંથી છૂટ્યા બાદ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોએ ઉદ્ગાર કાઢ્યા હતા કે નાના પાગલખાનામાંથી હું મોટા પાગલખાનામાં આવી ગયો છું.
 
હું ધ ન્યૂ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે કસરતના પિરિયડ માટે અમારે દિલ્હી દરવાજા બહારના ખુલ્લા મેદાનમાં જવું પડતું. આ મેદાનની પાછળ ગાંડાની હોસ્પિટલ હતી. વચ્ચે તારની વાડ. કેટલીક વાર એવું બનતું કે મેન્ટલ હોસ્પિટલની બહાર ફરતા પાગલો સામે અમે બધા વિદ્યાર્થીઓ કૌતુકથી જોતા ને અમારી રમતગમતની પ્રવૃત્તિઓને પાગલો એટલા જ કુતૂહલથી નિહાળતા. ગમ્મત ખાતર ક્યારેક અમે તેમના પર કાંકરીચાળો કરતા. સામે એ અમને ‘ગાંડા...ગાંડા...’ કહી પથ્થરો મારતા. એ વખતે કશું સમજાતું નહોતું. આજે થાય છે કે ગાંડપણ અને ડહાપણ વચ્ચે માત્ર તારની વાડ જેટલું જ અંતર છે.
 
દુનિયાના ડાહ્યા, શાણા ને પાંચમા પુછાનાર માણસો પણ ચોવીસે કલાક ડાહ્યા નથી હોતા એ વાતની આપણને ગાંધીજી, ટોલ્સ્ટોય, આઇન્સ્ટાઈન, ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો અને પિકાસો જેવા ‘જીનિયસ’ મહાનુભાવોના જીવનના તમામ પ્રસંગો ચકાસવાથી ખાતરી થઈ જશે.
 
મહાન ફિલસૂફ નિત્શે, વાન ગો, વાર્તાકાર મોપાંસા, વ્યંગકાર જોનાથન સ્વિફ્ટ ને જર્મન સાહિત્યકાર સ્ટીફન ઝવાઈંગ - આ બધા એક સમયમાં જીનિયસ હતા, પણ પછી તે પાગલ જાહેર થયા ને કેટલાક તો એ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા. ડાયોજિનસ, એરિસ્ટોટલ, પ્લેટો ને સોક્રેટિસ પણ પાગલ હતા. પરંતુ તે પોતાના ભ્રમોનું પૃથક્કરણ કરી શક્યા એટલે તે ફિલસૂફ કહેવાયા. (પોતે પાગલ છે એ જાણે તે ફિલસૂફ) રુડયાર્ડ કિપ્લિંગના મતે કોઈક ને કોઈક બિંદુએ દરેક માણસ પાગલ જ હોય છે.
 
એવી એક અનુભવવાણી છે કે જીવનમાં આવતા અકસ્માતોમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢવા માટે આપણામાં કેટલીક વાર થોડુંક ગાંડપણ જરૂરી બને છે. કેટલીક વાર આપણને લોકો ગાંડા ના ગણે એ માટેય આપણે અનિવાર્યપણે પાગલ થઈ જવું પડે છે. જે માણસ પ્રસંગોપાત્ત ગાંડો થઈ શકતો નથી. તે ડાહ્યો નથી. એવું ટોમસ ફ્યૂલટે બિનકેફ હાલતમાં લખ્યું છે, ને સંદતર ડાહ્યા હોવું એ બેવકૂફી છે એવું એક રશિયન કહેવતમાં કહેવાયું છે. માણસને ડાહ્યો બનાવવા કરતાં પાગલ બનાવવા તરફ અનેક વિદ્વાનોનો ઝોક છે.
 
બાલ્ટાસાર ગ્રેસિયન સલાહ આપે છે કે ડાહ્યા રહેવા કરતાં જગત સાથે ગાંડા થઈ જવું વધારે સારું છે. આ વાક્ય લખતાં જ ખલિલ જિબ્રાનની એક ટચૂકડી કથા યાદ આવી ગઈ, જેમાં એક નગરના કૂવાનું પાણી પીનાર માણસ પાગલ થઈ જાય છે. નગરના બધા જ લોકો આ કૂવાનું પાણી પી જાય છે માત્ર એક રાજા જ તેમાંથી બાકાત રહે છે. તમામ નગરજનો ભેગા થઈને - રાજા ગાંડો... રાજા ગાંડો - ના પોકારો પાડે છે ને રાજા દોડીને એ કૂવાનું પાણી પી લે છે, એટલે બધા હર્ષની ચિચિયારીઓ પાડે છે.. જોયું ! રાજા કેવો ડાહ્યો થઈ ગયો !
 
ગાંડપણ અને ડહાપણ વચ્ચે જે તફાવત છે તે જોવા અને અનુભવવા જેટલો જ છે. માણસનો હોદ્દો મોટો તેમ તેનામાં પાગલપણાની માત્રા વધારે એવું મનોવૈજ્ઞાનિકો કહે છે. મોટા માણસોને વધુ પાગલ થવું પોષાતું હોય છે. સરમુખત્યારોમાં પાગલપણાના અંશ પ્રમાણમાં વધારે હોય છે. એની તો ઇતિહાસે એક શાખ પૂરી છે. આનો તાજો દાખલો આપવો હોય તો અખાતી યુદ્ધના પ્રણેતા એવા સદ્દામ હુસેનનો આપી શકાય. તે સ્ક્રીઝફેનિક છે એવું નિદાન કરનાર ડૉક્ટરની સદ્દામે હત્યા કરી નાખી હતી. આ કારણે મનોવિજ્ઞાનીઓ સદ્દામથી સલામત અંતરે રહેવાનું પસંદ કરે છે.
 
નીરો પણ મહમ્મદ તઘલખ, હિટલર અને સદ્દામ જેવો આપખુદ, ક્રૂર અને તરંગી હતો. એમ કહેવાય છે કે જ્યોર રોમ ભડકે બળતું હતું. ત્યારે તે ફિડલ વગાડતો હતો. (કેટલાંક એમ પણ કહે છે કે નીરો ફિડલ વગાડતો હતો એટલે જ રોમ ભડકે બળી ગયું.)
 
કહેવાય છે કે પૂરેપૂરા ડાહ્યા માણસો કરતાં સંપૂર્ણ પાગલ જીવનમાં વધુ સુખી હોય છે. પાગલને દુ:ખ શું એની જાણ જ નથી હોતી અને દુ:ખની ખબર ના હોય એના જેવો સુખી માણસ વિશ્ર્વમાં બીજો કોણ હોઈ શકે ! પાગલ માણસને અન્ય માણસો ચક્રમ લાગતા હોય છે અને પોતાને તે જગતનો ડાહ્યો માણસ ગણતો હોય છે. બે પાગલોની એક વાત છે. એક પાગલે માત્ર લંગોટી પહેરી હતી ને બીજો સાવ જન્મદિન-પોશાકમાં હતો. લંગોટીવાળો પાગલ પેલા દિશાઓનાં વસ્ત્ર પહેરેલા પાગલ પર ખિજાઈ જતાં બોલ્યો, સાલા નિર્લજ્જ, આ રીતે જાહેરમાં નાગો ફરતાં શરમાતો નથી ? લે આ મારી લંગોટી અબઘડી પહેરી લે અને તેણે પોતાની લંગોટી પેલા નગ્ન પાગલને આપી દીધી.
 
ખૂબીની વાત એ છે કે ડાહ્યો માણસ આપણી પાડોશમાં વર્ષો સુધી રહેતો હોય તો તેની આપણને ભાગ્યે જ ખબર પડે છે, પણ જો કોઈ ગાંડો માણસ આપણા લત્તામાં રહેતો હોય અથવા તો આપણા વિસ્તારમાં રહેતો હોય અથવા તો આપણા વિસ્તારમાં રહેતો ડાહ્યો માણસ એકાએક પાગલ થઈ જાય તો એ વિસ્તારનું નાનું બાળક પણ તેને ઓળખતું હોય છે...
 
અને એ પણ ખરું છે કે કોઈ માણસને ડાહ્યો ઠરાવવા કરતાં પાગલ ઠરાવવાનું કામ વધુ કઠિન છે. વી.પી. સિંહ ભારતના વડા પ્રધાનપદના છેલ્લા ચરણમાં હતા તે ગાળામાં ઓમપ્રકાશ સક્સેના નામના એક ધારાશાસ્ત્રીએ કોર્ટમાં એવો દાવો માંડેલો કે વડાપ્રધાન વી.પી. સિંહ પાગલ થઈ ગયા છે. મહમ્મદ તઘલખને જે લાભ નહોતો મળ્યો એ લાભ વી.પી.ને મળ્યો. મહમ્મદ તઘલખને પાગલ ઠરાવવામાં એ સમયના કોઈએ જાહેરમાં પ્રયાસ કર્યો નહોતો. વી.પી.ના મગજની ગંભીરતાથી તપાસ કરાવવા સક્સેનાએ કોર્ટને વિનંતી કરી હતી. ન્યાયાધીશે વકીલને જણાવ્યું કે વી.પી.ને સત્તાવાર પાગલ ઠેરવવા માટેના પુરાવા રજૂ કરો. વડાપ્રધાન પર ગાંડપણનો હુમલો આવ્યાનો કોઈ દસ્તાવેજી પુરાવો તમારી પાસે હોય તો કોર્ટને બતાવો. દલીલમાં વકીલે જણાવ્યું કે માત્ર હું જ નહીં વડાપ્રધાનનાં પત્ની સીતાદેવી પણ માને છે કે તેઓ પાગલ છે. ૧૯૫૨ની સાલમાં આ સ્ત્રીએ પોતે જ અલ્હાબાદની કોર્ટમાં કેસ કર્યો હતો કે તેમનો વર પાગલ થઈ ગયો છે. (આમ તો દરેક સ્ત્રીનો તેના પતિ માટેનો આ સ્થાયી અને પ્રમાણિક મત હોય છે.) પણ પછી પુરાવાના અભાવે વડાપ્રધાન થતાં થતાં બચી ગયા.
 
આ હિસાબે કોઈ પણ માણસ પાગલ હોય એ પૂરતું નથી. તે સર્ટિફાઈડ પાગલ હોવો જોઈએ. આ સગવડ પાગલોને જ હોય છે - તેમને સર્ટિફિકેટ મળે છે. સ્નાતકોને ડિગ્રી મળે છે એ રીતે તેમનેય પાગલ હોવાનું સર્ટિફિકેટ મળે છે. પણ ડાહ્યાને ડાહ્યા હોવાનું સર્ટિફિકેટ મળતું નથી અને મળે તો તે વેલિડ નથી ગણાતું. જો કે વી.પી.ના કિસ્સામાં ધારાશાસ્ત્રી સક્સેના એવું પ્રમાણપત્ર રજૂ કરી શક્યા હોત કે વી.પી. સિંહ કવિ છે. ને ઉમેરો કરી શક્યો હોત કે સાહેબ, શેક્સપિયર જેવો શેક્સપિયર પણ કહી ગયો છે કે પાગલ, પ્રેમી ને પોએટ - ત્રણે એક જ માળાના મણકા છે. એક જ બ્લડ ગ્રુપના ગણાય. માત્ર પાગલપણાની ડિગ્રીમાં જ સહેજસાજ ફરક છે. બોલો, આનાથી વધુ મોટા પુરાવાની શી જરૂર છે !
 
ડાહ્યા માણસો માટે કોઈ સ્પેશ્યલ કાનૂન નથી પણ પાગલો માટે ઇન્ડિયન લ્યૂનસી એક્ટ (ભારતીય પાગલપન ધારો) છે. કાયદાથી કોઈને ડાહ્યો ઠેરવી શકાતો નથી. પણ ગાંડો ઠેરવી શકાય છે - જો કે આવું પ્રમાણપત્ર પાછા કાયદેસર ડાહ્યા માણસો જ આપતા હોય છે એ પાછી ગમ્મતની વાત છે. સેમ્યુઅલ બેકેટે તેના અતિ લોકપ્રિય નાટક - વેઇટિંગ ફોર ગોદો -માં લખ્યું છે કે આપણે પાગલ જન્મ્યા છીએ, કેટલાક તેવા જ રહે છે પણ આમાં મુશ્કેલી એટલી જ છે કે આપણે બધા સર્ટિફિકેટ વગરના પાગલ છીએ.
 
(સ્વ. વિનોદભાઈ ભટ્ટે લખેલા ઉત્તમ હાસ્યલેખોમાંનો એક લેખ એમના પુસ્તકમાંથી સાભાર)