ગ્લોબલ વોર્મિંગ : સમસ્યા અને સમાધાન

    ૧૧-મે-૨૦૧૯

ગ્લોબલ વોર્મિંગનો ઇતિહાસ
આજે સમગ્ર વિશ્ર્વ ગ્લોબલ વોર્મિંગની અસરોની આફતોમાં ફસાયેલું છે. જેની પ્રતીતિ આજે વિશ્ર્વ કરી રહ્યું છે. પછી તે ભૂકંપ હોય કે સુનામી હોય કે ઋતુચક્રમાં થયેલું પરિવર્તન હોય. ઔદ્યોગિકીકરણ પછીના યુગમાં ભારત સહિત પૂરા વિશ્ર્વએ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ અનુભવ્યું છે. પૃથ્વી પર સતત વધતા જતા તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં માઠાં ફળ ચાખ્યા પછી હવે આપણે રહી રહીને પર્યાવરણની જાળવણી માટે ચિંતિત થયાં છીએ. ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ખુદ ગરમી પકડી રહ્યો છે અને એના કારણે આ દિશામાં ખાસ્સી જાગૃતિ આવી છે.
 
છેલ્લાં બસ્સો વર્ષથી પશ્ર્ચિમમાં થઈ રહેલા ઔદ્યોગિકીકરણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ છોડવાની માત્રા વધી રહી છે. આ એક એવો ગેસ છે જે લગભગ બસ્સોથી અઢીસો વર્ષ સુધી સક્રિય રહી શકે છે.
 
પર્યાવરણ વિશેનું યુ.એન.નું પ્રથમ સંમેલન ૧૯૭૨માં સ્ટોકહોમમાં મળ્યું હતું. જ્યાં એ નક્કી થયું કે કોઈ પણ દેશ એવી પ્રવૃત્તિ નહીં કરે, જેનાથી પડોશી દેશમાં પ્રદૂષણ ફેલાય. ૧૯૪૮ના એક સંશોધન દ્વારા ખબર પડી કે, પૃથ્વીની આસપાસ રહેલા ઓઝોનના આવરણમાં પ્રદૂષણને લીધે ગાબડું પડ્યું છે. ઓઝોનનું આવરણ એક એવું સુરક્ષા કવચ છે, જે આપણને સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. આ તથ્ય જાણ્યા પછી અનેક દેશોમાં પર્યાવરણની સ્વચ્છતા વિશે સભાનતા આવી. ૧૯૮૭માં મોન્ટ્રિયલ શહેરમાં એક સંમેલન યોજાયું જેમાં પર્યાવરણની જાળવણી દરેક દેશની જવાબદારી છે એવી સમજૂતી થઈ. કાર્બન અને બીજા ઝેરી ગેસના નિષ્કાસન પર નિયંત્રણ મૂકવા પર ભાર મુકાયો. આ સમજૂતી મોન્ટ્રિલ પ્રોટોકોલના નામે જાણીતી છે. ૧૯૯૨માં યુ.એન.ની દેખરેખ નીચે રીઓ-દ-જનેરોમાં અર્થ સમિટનું આયોજન થયું. અહીં લેવામાં આવેલા નિર્ણયો રીઓ પ્રિન્સિપાલ અથવા એજન્ડા-૨૧ના નામે ઓળખાય છે. ગ્લોબલ વોર્મિંગ સામે લડતની યોજના અહીં ઘડવામાં આવી. ભારતે એમાં સક્રિય ભૂમિકા ભજવી અને વિકાસશીલ દેશો તરફથી ભારપૂર્વક રજૂઆત થઈ કે જે પણ પગલાં લેવાય તે બાધારૂપ ન થવાં જોઈએ.
 
મોન્ટ્રિયલના અધિવેશન પછી ક્યોટો પરિષદનું આયોજન થયું. ૧૯૯૭નો ક્યોટો પ્રોટોકોલ પ્રદૂષણ સામેની લડતનું એક સીમાચિહ્ન છે. આ પ્રોટોકોલના નિર્ણય પ્રમાણે ૨૦૦૫થી ૨૦૧૨ સુધીમાં દરેક વિકસિત દેશ ૧૯૯૦ના ધોરણને માપદંડ ગણી કાર્બનના નિષ્કાસનમાં પાંચ ટકાનો કાપ મૂકવાનો છે.
 
ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના ઉકેલ માટે પ્રતિનિધિઓ કોપનહેગન ખાતે ૭ ડિસેમ્બર, ૨૦૦૯થી એકત્રિત થયા હતા.
 
ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ૭મી ડિસેમ્બર, ૧૨ દિવસ માટેની સંયુક્ત રાષ્ટ્રની જલવાયુ પરિવર્તન શિખર બેઠકનો પ્રારંભ થયો હતો. આ શિખર બેઠકમાં ૧૯૨ દેશોના પ્રતિનિધિઓ, પર્યાવરણ નિષ્ણાતોએ ભાગ લીધો. ૧૫,૦૦૦ જેટલા પ્રતિનિધિઓની હાજરીમાં શિખર બેઠકનો પ્રારંભ એક શોર્ટ ફિલ્મથી કરવામાં આવ્યો હતો. આજના નેતાઓ જો પર્યાવરણને બચાવવાના નક્કર પ્રયાસો નહિ કરે તો ભવિષ્યમાં બાળકોને કેવી ભયાવહ સ્થિતિનો સામનો કરવો પડશે તેનો આછો અણસાર ફિલ્મમાં દર્શાવ્યો હતો.
 
આમ જોવા જાવ તો કોપનહેગનની ક્લાયમેન્ટ કોન્ફરન્સનો મૂળ હેતુ માનવસર્જિત પ્રદૂષણને કારણે પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા વધારાથી ગ્લોબલ વોર્મિંગથી માનવજાત માટે સંકટ પેદા થયું છે, એ મુસીબતનો સહિયારો સામનો કરવાની દિશામાં મહત્ત્વનાં પગલાં ઉઠાવવાનો છે. એ પછી પણ વૈશ્ર્વિક સ્તરે અનેક પ્રયત્નો થયાં છે અને ૨૦૫૦ સુધી કાર્બન ઉત્સર્જનને ૫૦% ઓછો કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
 

 
ગ્લોબલ વોર્મિંગ એટલે શું ? તે થવાનાં કારણો
 
ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારું ઉષ્ણતાનું મુખ્ય કારણ ગ્રીનહાઉસ ઈફેક્ટ છે. ગ્રીનહાઉસ ઈફેક્ટ એટલે કે સૂર્યનાં કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ.
 
- આપણે ઔદ્યોગિકીકરણ અને વિકાસના નામે કારખાનાં, કાર, વિમાન વગેરેમાં બેફામ બનીને કોલસો, ખનિજતેલ અને પેટ્રોલ- ડીઝલ-કેરોસીન વાપર્યાં તેથી પાર વિનાનો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઠલવાયો છે.
 
- ધરતી પર સિમેન્ટનાં જંગલો ઊભાં કર્યાં છે જે સૂર્યનાં કિરણોને સૌથી વધુ ગરમી સાથે પાછાં ફેંકે છે અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ તેને અવકાશમાં પાછી જવા દેતો નથી. એ ગરમી વાતાવરણમાં જ ઘુમરાતી રહે છે.
 
- આ સ્થિતિ કાર્બન ડાયોક્સાઇડની મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ વગેરે વાયુઓના કારણે સર્જાય છે. તેમાં મુખ્ય ભૂમિકા કાર્બન ડાયોક્સાઇડની છે.
 
- વાતાવરણમાં ગરમીને કેદ કરી રાખનાર બીજો ખેપાની વાયુ મિથેન છે. તે મોટે પાયે પશુપાલન, ડાંગરની ખેતી, રાસાયણિક પ્રક્રિયા માટે વસ્તુઓને સડાવવાની પ્રવૃત્તિ અને ઔદ્યોગિકીકરણથી વાતાવરણમાં ઠલવાતો રહ્યો છે. આ વાયુ કાર્બન ડાયોક્સાઇડને કેદ કરે છે, એટલે ઓછો હોવા છતાં વધારે અસર કરે છે.
 
- આ વાયુને વનસ્પતિ શોષીને પ્રાણવાયુ પાછો વાતાવરણમાં છોડે તેવી કુદરતની ગોઠવણી હતી, પરંતુ આપણે જંગલોનું મોટે પાયે નિકંદન કાઢીને આ વાયુના પ્રમાણને નિયંત્રિત રાખનાર સૌથી મોટા અને અસરકારક કુદરતી મશીનનો નાશ કર્યો છે.
 
- આ બધાને સરવાળે વાતાવરણમાં એટલા વાયુઓ ઠલવાયા છે કે સૂર્યના પ્રકાશ સાથે વરસતી ગરમી વાતાવરણમાં જ કેદ થઈને સમગ્ર પૃથ્વીને રીતસર શેકી રહી છે.
 
- નાઇટ્રસ ઓક્સાઇડ ખાતરોના બેફામ ઉપયોગથી અને જૈવિક બળતણ બાળવાથી હવામાં ઠલવાય છે.
 
ગ્લોબલ વોર્મિંગની વૈશ્ર્વિક અસરો
 
- છેલ્લાં ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્ણતામાનમાં ૧૦૦ ટકાનો વધારો નોંધાયો છે. તેથી માત્ર આપણે ગરમી સહન કરવી પડે તેવું નથી. તેના કારણે સમગ્ર પૃથ્વીની સિસ્ટમમાં દર વર્ષે ભારે ગરબડ થઈ રહી છે.
 
- ૧૯૯૮થી સતત દર વર્ષે સરેરાશ ઉષ્ણતામાન વધતું રહ્યું છે અને ૨૦૦૫નું વર્ષ સદીઓમાં સૌથી ગરમ વર્ષ સાબિત થયું હતું.
 
- ગરમીના કારણે ઉ.ધ્રુવની હિમાચ્છાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવનાં હિમાચ્છાદિત મેદાનો ઓગળી રહ્યાં છે, તેથી ધ્રુવપ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે.
 
- બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઈ રહ્યો છે. તેથી મહાસાગરના આંતરિક પ્રવાહો બદલાઈ રહ્યા છે અને જળચર સૃષ્ટિ નાશ પામી રહી છે. બરફ ઓગળવાથી મહાસાગરોમાં પાણીની સપાટી વધતી જાય છે. છેલ્લાં સો વર્ષમાં મહાસાગરોની સપાટી ૯ ઇંચ જેટલી વધી છે. તે આગામી બે-ત્રણ દાયકામાં છ ફૂટ વધી જવાની શક્યતાઓ છે. તેથી કિનારાનાં અનેક શહેરોની ધરતી ડૂબી જશે.
 
- ઉનાળાઓ વધુ ને વધુ ગરમ થતા જશે એટલે ઉષ્ણતામાન ઊંચું બનતું જશે. નાગરિકો જે ગરમીથી ટેવાયા ન હોય તેવી ભયાનક ગરમી પડવાથી હજારોની સંખ્યામાં મૃત્યુ પામશે.
 
- શિયાળો, ઉનાળો અને ચોમાસું અસ્થિર તથા ઘાતક બની જતાં દરેક ઋતુના પાક નિષ્ફળ જશે અને અનાજની કારમી અછતથી વિશ્ર્વવ્યાપી ભૂખમરો ફરી વળશે. ધ્રુવપ્રદેશોની ઠંડી ઘટવાથી અને હવાની તથા મહાસાગરોની ગરમી વધવાથી ચોમાસાનાં વાદળોને આખા વિશ્ર્વમાં ફેરવનાર વ્યાપારી પવનો વધુ ઘૂમરી ખાતા થઈ જશે અને વિનાશક વાવાઝોડાં સેંકડોની સંખ્યામાં ફૂંકાશે.
 
- વધતી ગરમીના પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધશે, પરિણામે મેલેરિયા, ડેન્ગ્યૂ, ફ્લૂ જેવા ચેપી રોગોના વાઈરસ વગેરે અનેકગણા વધુ પ્રમાણમાં જન્મશે અને ફેલાશે.
 
- વિજ્ઞાનીઓએ ધાર્યું હતું તેના કરતાં અનેકગણી વધુ ઝડપથી હવામાન અને ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું હોવાથી ઉપરોક્ત બધી જ ધારણાઓ કરતાં વધુ કારમાં પરિણામો આગામી દશ કે પંદર વર્ષમાં પણ આવી શકે.
ગ્લોબલ વોર્મિંગ ભારતને કેવું અને કેટલું નુકસાન કરી શકે ?
 
વર્તમાન અસરો
 
- સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં અસાધારણ ગરમી અથવા અસાધારણ વરસાદ જોવા મળ્યો છે.
 
- ગરમી અને કાર્બન ડાયોક્સાઇડના ઊંચા પ્રમાણની માનવ આરોગ્ય અને પાકની ઉત્પાદકતા પર માઠી અસર.
 
- સમગ્ર ભારતમાં વરસાદની પેટર્નમાં ફેરફાર અનુભવાઈ રહ્યો છે અને ‘આઈલા ફીઆન’ જેવાં વાવાઝોડાં વધુ વિનાશક બની રહ્યાં છે.
 
- બંગાળના અખાતમાં સમુદ્રની સપાટી વાર્ષિક ૩.૧૪ મિલીમીટરના દરે વધી રહી છે, જે ૨ મિલીમીટરની વૈશ્ર્વિક સરેરાશ કરતાં ઘણી વધુ છે.
 
- પુષ્કરનું પ્રાચીન સરોવર સુકાઈ જવાની ઘટના ભારત માટે આવનારા ખતરાની નિશાની છે.
 
- ગંગોત્રી હિમખંડ ચિંતાજનક ઝડપે પીગળી રહ્યો છે અને હિમાલયની હિમનદીઓ પીગળવાની શરૂઆત થઈ ગઈ છે.
 
ભાવિ અસરો
 
- પૃથ્વીનું તાપમાન સતત વધતાં ૨૦૫૦ સુધીમાં ચોમાસાની પેટર્ન સાવ બદલાઈ જશે અને મોટો વિનાશ નોતરશે.
 
- હિમાલયમાં આવેલા હિમખંડો સદીના અંત સુધીમાં અદૃશ્ય થઈ જશે, જેને લીધે પહેલાં પૂર અને પછી ભયાનક દુષ્કાળ જોવા મળશે.
 
- આગામી ૩૦ વર્ષમાં ભારતનાં ૫૦ ટકા જંગલો સાફ થઈ જશે અને તેની સાથે જૈવવૈવિધ્ય પર વિનાશક અસરો જોવા મળશે.
 
- પૃથ્વીના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થાય તો ઘઉંના ઉત્પાદનમાં ૧૪ ટકા અને ચોખાના ઉત્પાદનમાં ૧૫.૧ ટકાનો ઘટાડો થશે.
 
- પૃથ્વીના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થાય તો વનસૃષ્ટિમાંથી ૧૫ થી ૨૦ ટકા પ્રજાતિઓનું અસ્તિત્વ ભૂંસાઈ જશે.
 
- વાઈરસને કારણે થતા નવા રોગ ફૂટી નીકળશે અને તેનો ફેલાવો તેમ જ તીવ્રતા માનવજાત માટે વિનાશક પુરવાર થશે.
 
સમાજ પર અસરો
 
લોકો બેઘર બનશે : ગ્લોબલ વોર્મિંગને પરિણામે હિમશિલાઓ ઓગળી રહી છે, જેના પરિણામે સમુદ્રની સપાટી ઊંચી આવી છે જેથી સમુદ્રકિનારાના પ્રદેશો પાણીમાં ડૂબી જશે. દરિયાની સપાટી પર આવેલાં અગત્યનાં શહેરો અને વિસ્તારો જેવાં કે વેનીસ, લંડન, મુંબઈ, માલદીવ જેવા ટાપુઓ ડૂબી જશે, પરિણામે લોકો બેઘર બનશે.
 
પાણીની તંગી : સમુદ્રની સપાટીમાં વધારો થતાં કિનારાના પ્રદેશોમાં સમુદ્રનાં પાણી ફરી વળે છે. આ ઉપરાંત ભૂર્ગભમાં પાણી દાખલ થવાથી ભૂગર્ભજળ અને જમીન બંને ખારાં થશે, જેથી પીવાના પાણીમાં ઘટાડો થશે. હાલમાં એક અંદાજ મુજબ ૧૦૦થી ૩૦૦ કરોડ લોકો પાણીની તંગી અનુભવે છે.
 
ભૂખમરો : ગ્લોબલ વોર્મિંગના પરિણામે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેના લીધે વરસાદમાં અનિયમિતતા વધી છે અને ભવિષ્યમાં આ અનિયમિતતામાં વધારો થશે, જેની સીધી અસર ખેતીલાયક જમીન અને ખેતીના પાક પર થશે, ખેતીના પાકો નિષ્ફળ જવાથી આશરે ૩ કરોડ લોકો ભૂખમરો વેઠે છે.
 
રોગચાળો : ક્લોરોફ્લોરો કાર્બન જેવા વાયુના કારણે ઓઝોન સ્તર પાતળું પડતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર પડતાં કરોડો લોકોને ચામડીના કેન્સર તથા આંખના રોગો થવાની સંભાવના વધે છે. ઔદ્યોગિક પાણીનો યોગ્ય નિકાલ ન થતાં માખી મચ્છરનું પ્રમાણ વધ્યું છે, તેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગનું પ્રમાણ વધે છે. તેમજ ડ્રેનેજને કારણે તેમાંથી થતા ધીમા ચૂવાકને કારણે કોઈવાર પીવાના પાણીમાં સૂક્ષ્મ જીવાણુયુક્ત પાણી ભળતાં પીવાનું પાણી દૂષિત થતું જોવા મળે છે. આવાં બધાં કારણોને લીધે ઝાડા-ઊલટીથી મૃત્યુ થાય છે.
 
સંસ્કૃતિનો નાશ : હિમશિલા પીગળવાથી સમુદ્રની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. આની માઠી અસર સમુદ્રકિનારાના જનજીવન ઉપર પડે છે હાલમાં વિશ્ર્વની લગભગ અડધી વસ્તી સમુદ્રના કિનારાના પ્રદેશોમાં વસે છે. સમુદ્રની સપાટીમાં વધારો થતાં કિનારાના પ્રદેશોમાં સમુદ્રનું પાણી ફરી વળશે, જેના લીધે સમુદ્રના કિનારાની સંસ્કૃતિનો નાશ થશે.
 

 
ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લેવાના વૈશ્ર્વિક પ્રયત્નો
 
- ઇન્ડોનેશિયાના સારાગોવા શહેરના લોકોએ અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ-ડીઝલ પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
 
- ફ્રાન્સના પેરિસ શહેરના લોકોએ સાયકલ દ્વારા મોટા પાયા પર અવરજવર શરૂ કરી છે.
 
- સ્વીડનના મિનિસ્ટ્રી ઓફ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના મંત્રીએ ૨૦૨૦ સુધીમાં સ્વીડનમાં ખનીજતેલનો વપરાશ શૂન્ય કરવાનું આયોજન કર્યું છે.
 
- વર્ષ ૨૦૦૪નું શાંતિનું નોબેલ પારિતોષિક વિજેતા કેનિયાના વાંગારી મથાઇએ ૧૯૭૭થી કેનિયામાં ‘ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ’ અભિયાન છેડ્યું છે. તેમણે ૩ કરોડ વૃક્ષો ઉછેરવાનું કામ કર્યું છે અને વર્ષ ૨૦૧૦ના અંત સુધીમાં તો ૧ અબજ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કર્યો છે.
 
- ભારતમાં મેઘા પાટકર, અરુંધતી રોય, સુનીતા નારાયણ, મધુસરિન જેવી મહિલાઓ કાર્બન કટક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપી રહી છે.
 
 
ગ્લોબલ વોર્મિંગથી બચવા આપણા પ્રયત્નો
 
- શક્ય તેટલાં કામ પગે ચાલીને કરીએ. ટૂંકા અંતરે જવા સાયકલનો વપરાશ કરીએ. લાંબા અંતરની મુસાફરી માટે સામૂહિક પરિવહનનો ઉપયોગ કરીએ.
 
- કાગળનો ઉપયોગ ઘટાડીએ. વપરાયેલા કાગળને રિસાયક્લીંગ કરી ફરી ઉપયોગ કરીએ.
 
- એક બાજુ કોરો કે અર્ધા લખેલા કાગળને કાળજીપૂર્વક જુદા કરી રફકામમાં ઉપયોગમાં લઈએ. પત્રવ્યવહારમાં આવેલા કવરને જ‚રી રીપેરીંગ કરી નવું કવર બનાવી પુન:વપરાશમાં લઈએ.
 
- ઘરમાં વીજળીનો બચાવ કરીએ.
 
- ભોજન ગરમ કરવા, પાણી ગરમ કરવા સૂર્યશક્તિનો ઉપયોગ કરીએ.
 
- તહેવારો, ધાર્મિક દિવસો કે શુભપ્રસંગોએ વીજળીનો બેફામ ઉપયોગ થતો રોકીએ.
- ફટાકડા ફોડવા ઉપર સંયમ રાખીએ. મોબાઈલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક ગેમ્સનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ.
- વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીએ. - પ્રતિમાઓનું જળાશયોમાં વિસર્જન ન કરીએ. પ્લાસ્ટિકનો વપરાશ અટકાવીએ.
- વરસાદી પાણીને વહી જતું અટકાવવું, ખેતતલાવડી, ગામતલાવડી, ભૂગર્ભ ટાંકા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરીએ.
ઉપસંહાર
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આપણે અત:થી ઇતિ: સુધી જોઈ. ગ્લોબલ વોર્મિંગ શા માટે ઊભું થયું છે તેની વૈશ્ર્વિક અસરો, ભારત પર અસરો, સમગ્ર માનવજાત માટે ખતરો અને તેને નાથવાના વ્યક્તિગત, સામૂહિક કયા પ્રયત્નો કરી શકાય તે પણ આપણે જોયું. આ બધાના આધાર પર એક નિષ્કર્ષ એ નીકળે છે કે સમસ્યા બહુ વિકરાળ છે પણ તેને ડામવી અશક્ય નથી. એકેએક માનવી જો થોડી ચીવટ રાખી, ગંભીરતાથી આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નશીલ થાય તો આમાંથી ચોક્કસ બહાર નીકળી શકાય છે. આપણે સૌ બીજા કરે તેની રાહ જોવાના બદલે આપણો જીવન-વ્યવહાર, જીવનશૈલી એવાં કરીએ કે આ સમસ્યા પણ ઉકેલાય અને અન્યને પણ પ્રેરણા મળે તો એક ઉદાહરણ‚પ કામ થશે. પહેલાં માનવી પ્રકૃતિને આધીન હતો, એને મન પ્રકૃતિનું માન હતું. પ્રકૃતિને માનવી પોતાનું પાલન-પોષણ અને જીવનચાલક દેવી તરીકે પૂજતો તે ભાવના ફરી આપણે આપણા હૃદયમાં સ્થાપીએ. પ્રકૃતિની જાળવણી સાથે ફરીવાર ઋગ્વેદની એ ઋચાઓ ગાઈએ કે ‘આકાશ અને પૃથ્વી અમને આશીર્વાદ આપો, વાતાવરણ અમારા માટે બક્ષિસ‚પ હો, સ્વર્ગમાં રહેતા વિજયી એવા ઈશ્ર્વરની અમારા પર કૃપા હો.’ આ પ્રાર્થના સાથે પ્રકૃતિને જાળવવાનો સંકલ્પ કરીએ એ જ આ સમસ્યાનું ખરું નિરાકરણ બની રહેશે.