ગૌપ્રેમીના બેસણામાં ગૌમાતાનું રુદન

    ૦૯-મે-૨૦૧૯
 
 
કેશોદના આંબાવાડીમાં રહેતા ઉકાભાઈ કોટડિયા વર્ષોથી ગાયની સેવા કરતા હતા. તેમને ઘેર વર્ષોથી એક રખડતી ભટકતી ગાય અચૂકપણે આવી ચઢતી. ઉકાભાઈ તેમને રોટલા-રોટલી ખવડાવતા. તાજેતરમાં ઉકાભાઈનું મૃત્યુ થયું. સામાજિક રીતિરિવાજો મુજબ તેમને ઘેર રોજ બેસણું રાખવામાં આવતું હતું. આ બેસણામાં એ ગાય અચૂકપણે રોજ આવી જ જતી. ઉકાભાઈના પુત્રો પાસે બધા ખરખરો કરવા આવે એ વખતે આ ગાય પણ મૂંગા મોંઢે આંખમાંથી આંસુ સાર્યા કરતી હતી. ક્યારેક તેમના ફોટોને જોઈ તેની સામે ઊભી રહે, તેમના ફોટા પાસે બેસી રહે. તો ક્યારેક બાજુમાં જગ્યા ન હોય તો થોડે દૂર ગાદલા પર બેસી જાય. જાણે ઘરનું જ સભ્ય મોઢે આવનાર પાસે બેસે એ જ રીતે ત્યાં બેસે. ઉકાભાઈના પુત્ર ગિરીશભાઈએ કહ્યું, ‘મારા પિતા આ ગાયને રોજ રોટલી આપતા અને ખૂબ લાડકોડથી રાખતા. પિતાની વિદાયથી અમને દુ:ખ થયું એટલું જ દુ:ખ આ ગાય અમારી નજર સમક્ષ વ્યક્ત કરી રહી છે. માનવી પ્રત્યે મૂંગા પશુની સંવેદના કેટલી તીવ્ર હોઈ શકે એનો આ બોલતો પુરાવો છે.’