એક ધનાઢ્ય શેઠની પુત્રીને ગરીબની પુત્રી જોડે બહેનપણાં હતાં. દરરોજ બેઉ મળે અને સુખદુ:ખની વાતો કરે. ગરીબની પુત્રી પોતાની ગરીબાઈ જણાવે. અને અમીરની પુત્રી એની. અમીર પાસે એક પારસમણી હતો. એક દિવસ તેની પુત્રીને થયું કે પોતાની બહેનપણીની ગરીબી દરૂ કરવી જોઈએ, તેને મદદ કરવી જોઈએ. પોતાના પિતા પાસેના પારસમણી દ્વારા તેને સોનું આપવાનો વિચાર કરી એક દિવસ ધનાઢ્યની પુત્રીએ કહ્યું કે, ‘મારે ત્યાં પારસમણી છે, માટે તું લોઢું લેતી આવે તો સોનું કરી આપું.’
પેલી ગરીબની પુત્રીએ લોઢું આણી પોતાની બહેનપણીને આપ્યું. આખી રાત પારસમણિ જોડે તે લોઢું મૂક્યું પણ તે સુવર્ણ થયું નહીં. આથી ધનાઢ્યની પુત્રી રડવા લાગી, એટલે તેના બાપે પૂછ્યું : ‘તું શા માટે રડે છે ? તને શું દુ:ખ છે ?’ પુત્રી બોલી : ‘આપણા પિયા પાણીમાં ગયા. આપણો પારસમણિ એક કોડીનો પણ રહ્યો નથી.’
શેઠે પૂછ્યું : ‘શાથી ?’ પુત્રી બોલી : ‘મારી સખીને માટે સોનું બનાવવા હું મણિ લઈ ગઈ હતી, પણ તેનાથી સોનું બન્યું નહીં.’ શેઠે લોઢું જોયું તે કાટવાળું હતું. લુહાર પાસે કાટ ઉતરાવ્યો અને ફરીથી તેનો પારસમણિ સાથે સ્પર્શ કર્યો કે તત્કાળ તેનું સોનું થયું ! પુત્રી રાજી થઈ. તેની સખી આનંદમાં આવી ગઈ અને તે તથા તેનું કુટુંબ સુખી થયું.
આ પ્રમાણે મનુષ્યના હૃદયમાંથી જ્યાં સુધી પાપપી કાટ જાય નહીં, ત્યા સુધી ઈશ્ર્વરરૂપી મણિ તેને શુદ્ધ કરી શકતો નથી.