કોરોનાથી બચવા, ઇમ્યુનિટિ વધારવા સરકારી મંત્રાલયે આ ટિપ્સ આપી છે
કોરોના વાયરસની મહામારી (Covid-19 Pandemic)ને ધ્યાનમાં રાખી આયુષ મંત્રાલયે (Ministry of AYUSH) એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇમ્યુનિટિ વધારવા માટે ગરમ પાણીની સાથે રોજ યોગા કરવાની વાત આયુષ મંત્રાલયે કરી છે આ ઉપરાંત રોજ હળદરવાળું દૂધ પીવાની વાત, અશ્વગંધા અને ગિલોયનું સેવન કરવાની વાત પણ કરવામાં આવી છે. આ ઉપાય કરવાથી કોરોના સામે લડવામાં મદદ મળી શકે છે.
આજે દુનિયા આખી કોરોના મહામારી સામે લડી રહી છે. ભારતમાં હાલ તો રોજ વિશ્વના દેશો કરતા વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે. આપણા માટે સારી વાત એ છે કે ભારતમાં લોકો કોરોનામાંથી સાજા પણ ખૂબ ઝડપથી અને મોટી સંખ્યામાં થઈ રહ્યા છે. આ સંદર્ભે આપણો રીકવરી રેટ ખૂબ સારો છે. જોકે સરકાર કહી રહી છે કે કોરોનાનો ખતરો ટળ્યો નથી, હજી કોરોનાની કોઇ વેક્સિન પણ આવી નથી માટે આપણે સૌએ સાવચેતી રાખવાની જરૂર છે. આથી જ કોરોના વાયરસની મહામારી (Covid-19 Pandemic) ને ધ્યાનમાં રાખી આયુષ મંત્રાલયે (Ministry of AYUSH) એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને આયુષ મંત્રી શ્રીપદ રશો નાઈકએ મંગળવારે કોરોનાથી બચવા એક નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેમાં જણાવાયું છે કે યોગ્ય ઉપચારથી કોરોના પર કન્ટ્રોલ લાવી શકાય છે માટે આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ (immunity) વધારવાની જરૂર છે. તો આવો જાણીએ કોરોનાથી બચવા આ માર્ગદર્શિકામાં કયાં-કયાં સૂચનો કરવામાં આવ્યા છે?
કોરોના સામે લડવા આટલું કરો…
# આયુષ મંત્રાલયે આ માર્ગદર્શિકામાં કહ્યું છે કે દિવસભર ગરમ પાણી પીવો અને ગરમ અને તાજો બનાવેલો ખોરાક જ આહારમાં લો.
# દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ યોગનો અભ્યાસ કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, આ ખૂબ મહત્વનું છે.
# જમવાનું બનાવો ત્યારે તેમાં હળદર, જીરૂં અને કોથમિર જેવા અન્ય મસાલાનો ઉપયોગ કરો.
# રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ માર્ગદર્શિકામાં રોજ એક ચમચી ચવનપ્રાસ ખાવાની સલાહ આપવામાં આવી છે.
# જે ડાયાબિટીસના રોગી છે તેમણે પણ સુગર વગરનો ચવનપ્રાસ ખાવો જોઇએ
# દિવસમાં એક અથવા બે વાર હર્બલ ચા પીવી જોઇએ. તુલસી, તજ, કાળામરી, સૂંઠા અને કિસમિસનો ઉકાળો પણ લઈ શકાય.
# ૧૫૦ મિલીલીટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાંખી રોજ પીવાની સલાહ આપવામાં આવી છે
# સવારે અને સાંજે બન્ને સમયે નાકમાં તેલ અથવા નાળિયેરના તેલના અથવા ધીના ટીપા નાંખો.
આયુષ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના જાણીતા ડોકટરોએ આ ઉપાયો જણાવ્યા છે. આ ઉપાય કોરોનાની દવા નથી પણ હા આટલું કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ જરૂર વધે છે, જેનાથી તે કોરોના વાઈરસ સામે લડી શકે છે. જો સુકી ઉધરસ આવતી હોય તો દિવસમાં એકવાર ફૂદીનાના તાજા પાન અથવા અજમાની સ્ટીમ (વરાળ) લેવાની સલાહ પણ આપવામાં આવી છે. ગળુ ખરાબ હોય તો દિવસમાં બે-ત્રણવાર મધ સાથે લવિંગ લેવાની સલાહ પણ આપવામાં આવી છે.
જો કે આ બધા ઉપાય છે તે કરવાથી ફાયદો થાય છે પણ વધારે કંઇ આ સંદર્ભે લક્ષણ દેખાય તો ડોકટરની સલાહ લેવાની વાત પણ કહેવામાં આવી છે.