દશરથ રાજા - અયોધ્યાનગરીનાં રાજા શ્રી રામના પિતા

    ૧૨-નવેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

dasharath_1  H
 

રાજા દશરથ અમાપ બળ, બુદ્ધિ અને સમૃદ્ધિને કારણે તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હતા. તે પ્રજાની સુખાકારીનું હંમેશાં ધ્યાન રાખતા.

ત્રેતાયુગમાં એટલે કે નવ હજાર વર્ષો પૂર્વે ગંગા નદીની ઉત્તર દિશામાં વહેતી સરયૂ નદીના કિનારે કૌશલ નામનું વિશાળ રાજ્ય હતું. તે ધન-ધાન્યથી ભરપૂર, સુખી અને સમૃદ્ધ હતું. અયોધ્યા તેની રાજધાની હતી, ત્યાં રાજા દશરથ રાજ્ય કરતા હતા. સૂર્ય ભગવાનના વંશજ અને દશરથના પૂર્વજ મનુએ અયોધ્યાનગરી વસાવી હતી. મનુનો વંશ ઈક્ષ્વાકુ વંશ, સૂર્યવંશ અને રઘુવંશના નામથી ઓળખાતો હતો. આ વંશમાં મનુ, સગર, રઘુ, દિલીપ અને અજ જેવા પ્રતાપી રાજાઓ થઈ ગયા હતા.
 
દશરથ રાજા વિદ્વાન, નીતિવાન, બુદ્ધિમાન અને શૌર્યવાન હતા. તે એકલે હાથે દસ હજાર મહારથીઓને હરાવી શકતા, તેથી તેમને ‘અતિરથી’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એમની પાસે ધનના દેવતા કુબેર જેટલી સંપત્તિ હતી.
 
એમનાં અમાપ બળ, બુદ્ધિ અને સમૃદ્ધિને કારણે તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ હતા. તે પ્રજાની સુખાકારીનું હંમેશાં ધ્યાન રાખતા, તેથી અયોધ્યાની પ્રજા એમને ખૂબ ચાહતી હતી. દશરથના રાજ્યમાં એક પણ નાગરિક દુઃખી કે નિર્ધન નહોતો.
ધૃષ્ટ, જયંત, વિજય, સુરાષ્ટ, રાષ્ટવર્ધન, અકોપ, ધર્મપાલ અને સુમંત્ર એ આઠ બુદ્ધિશાળી મંત્રીઓ દશરથ રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરતા હતા. સુમંત્ર અર્થશાસ્ત્રના વિદ્વાન હતા.
 
સુયજ્ઞ, જાબાલિ, કશ્યપ, ગૌતમ, માર્કણ્ડેય અને કાત્યાયન જેવા ઋષિઓ પણ રાજાના મંત્રીમંડળમાં સામેલ હતા. આ બધા મંત્રીઓ શત્રુપક્ષના રાજાઓની રોજેરોજની હિલચાલો ઉપર સતત નજર રાખતા હતા. આ બધા મંત્રીઓની કાબેલિયત, વિદ્વત્તા અને ન્યાયપરાયણતાને લીધે દશરથ રાજા સુખ, સંપત્તિ અને ઐશ્ર્વર્ય ભોગવી રહ્યા હતા.
 
મહર્ષિ વસિષ્ઠ અને વામદેવ દશરથ રાજાના મુખ્ય રાજપુરોહિતો હતા.
 
દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. તેમના રાજમહેલમાં અપાર સુખ અને સમૃદ્ધિ હોવા છતાં રાજાને પોતાનું જીવન સૂનું સૂનું લાગતું હતું. તેમને એ વાત સતત કોરી ખાતી હતી કે એમના પછી એમનો વંશવેલો આગળ શી રીતે ચાલશે ? વારસદારના અભાવે અયોધ્યાનું રાજ્ય કોણ સંભાળશે ? આ ચિંતાને લીધે દશરથ રાજા નિરાંતે સૂઈ પણ શકતા ન હતા. સંતાન ન હોવાથી રાજા તેમજ એમની ત્રણેય રાણીઓ ઉદાસ રહેતાં હતાં. છેવટે મહર્ષિ વસિષ્ઠની સલાહથી તેમણે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. મંત્રી સુમંત્રે સલાહ આપી કે ઋષ્યશૃંગ નામે ઋષિ છે જેમના હસ્તે યજ્ઞ થશે તો ચોક્કસ ઇચ્છિત ફળ મળશે. આથી સોમવંશી રોમપાદ રાજા કે જે દશરથના મિત્ર હતા, તેમને મળીને તેમની પુત્રી શાંતા અને જમાઈ ઋષ્યશૃંગને દશરથ પોતાને ત્યાં તેડી લાવ્યા.
 
વસંત ઋતુના એક મંગલ દિવસે શુભ મુર્તમાં પુત્રકામેષ્ટિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. સરયૂ નદીના ઉત્તર કિનારે યજ્ઞશાળા બનાવવામાં આવી. એમાં દેશ-વિદેશના રાજાઓ અને અનેક ઋષિમુનિઓ પધાર્યા.
 
પ્રથમ અશ્ર્વમેધ યજ્ઞ કરીને એક અશ્ર્વને છૂટો મૂકવામાં આવ્યો. અશ્ર્વ એક વર્ષ બાદ અયોધ્યામાં પરત આવ્યો. ત્યાર બાદ પુત્રકામેષ્ટિ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો. દશરથ રાજાએ વેદમંત્રોના મંગલ ધ્વનિ સાથે અગ્નિકુંડમાં આહુતિઓ આપી. એમણે યજ્ઞમાં છેલ્લી આહુતિ આપી ત્યારે યજ્ઞજ્વાળાઓની વચ્ચેથી સાક્ષાત્ અગ્નિદેવતા પ્રગટ થયા. તે આચાર્ય ઋષ્યશૃંગના હાથોમાં ખીરથી ભરેલું સુવર્ણપાત્ર મૂકીને અંતર્ધાન થઈ ગયા. એ પાત્ર દશરથને આપતાં ઋષ્યશૃંગે કહ્યું, ‘આ યજ્ઞનો પ્રસાદ છે, તેનું સેવન કરવાથી તમારી રાણીઓને પુત્રો થશે.’
 
રાજાએ એ પાત્ર કૌશલ્યાને આપતાં કહ્યું, ‘તમે ત્રણેય રાણીઓ યજ્ઞનો આ પ્રસાદ ગ્રહણ કરી લો.’
કૌશલ્યાએ અડધી ખીર લીધી અને બાકીની અડધી ખીર સુમિત્રાને આપી. સુમિત્રાએ એમાંથી અડધી ખીર પોતાની પાસે રાખીને બાકીની ખીર કૈકેયીને આપી. કૈકેયીએ તેમાંથી અડધી ખીર લઈને અડધી ખીર સુમિત્રાને પાછી આપી. સુમિત્રાએ એ ખીરનો પણ પ્રસાદ લીધો.
 
યજ્ઞમાં પધારેલા રાજા-મહારાજાઓ, ઋષિમુનિઓ અને આચાર્ય ઋષ્યશૃંગને સાદર વિદાય આપીને રાજા દશરથે રાજકાજમાં ધ્યાન પરોવ્યું.
 
છ ઋતુઓ પસાર થયા પછી ચૈત્ર માસના શુક્લ પક્ષમાં નોમને દિવસે કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. આપણે આ દિવસને આજે પણ ‘રામનવમી’ તરીકે ઊજવીએ છીએ. રાણી સુમિત્રાએ બે વખત ખીરનો પ્રસાદ લીધો હતો તેથી તેણે બે પુત્રોને જન્મ આપ્યો ઃ લક્ષ્મણ અને શત્રુઘ્ન. કૈકેયીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ભરત રાખવામાં આવ્યું. રાજા દશરથે રંગેચંગે પુત્રજન્મનો ઉત્સવ ઊજવ્યો. ખુશી અને વધામણીના અવાજોથી આખો રાજમહેલ ગાજી ઊઠ્યો.
 
રાક્ષસો એ દિવસોમાં દેવતાઓ અને મનુષ્યોને ખૂબ રંજાડી રહ્યા હતા, તેથી દેવોએ રાક્ષસોનો ત્રાસ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હતી. એટલે ભગવાન વિષ્ણુએ જ દશરથના પુત્ર રામરૂપે જન્મ લીધો હતો. કૌશલ્યાએ ખીરનો પ્રસાદ સૌથી વધુ પ્રમાણમાં લીધો હોવાથી તેના પુત્ર રામમાં ભગવાન વિષ્ણુનો વધુમાં વધુ અંશ ઊતર્યો હતો.
 
દશરથને ત્યાં ચાર પુત્રોનો જન્મ થતાં સ્વર્ગમાં પણ પુષ્કળ આનંદ છવાઈ ગયો. દેવોએ અયોધ્યા પર પુષ્પવૃષ્ટિ કરી અને સ્વર્ગની અપ્સરાઓએ નૃત્ય કરીને પોતાનો આનંદ પ્રગટ કર્યો. અયોધ્યાની પ્રજાના આનંદની તો કોઈ સીમા જ નહોતી.
આ ચારેય રાજકુમારો ખૂબ તેજસ્વી અને સુંદર હતા. એમને એકબીજા પ્રત્યે અપાર હેત હતું. રામ અને લક્ષ્મણ સદાય સાથે જ રહેતા હતા, જ્યારે શત્રુઘ્ન અને ભરતની જોડી સારી જામતી હતી.
 
એક વખત વિશ્ર્વામિત્ર અસૂરોના સંહાર માટે શ્રીરામ અને લક્ષ્મણને લેવા આવ્યા ત્યારે અણગમો દર્શાવ્યો હતો, પણ મહર્ષિ વસિષ્ઠે તેમને સમજાવતા દશરથે બંને પુત્રોને વિશ્ર્વામિત્રનાં યજ્ઞની રક્ષા માટે મોકલ્યા હતા.
 
થોડા સમય પછી મિથિલાથી જનકનો દૂત ત્યાં આવ્યો. એણે દશરથને પત્ર આપીને જણાવ્યું& કે વિશ્ર્વામિત્રની સાથે આવેલા આપના બંને રાજકુમારો મિથિલામાં સકુશળ છે. હાલમાં વિદેહરાજ જનકની રાજકુમારી સીતાના સ્વયંવરમાં ભગવાન શિવના ‘સુનાબ’ ધનુષ્યને ઊંચકીને તેની પણછ ચડાવવાની શરત રાખવામાં આવી હતી, રામે એ ધનુષ્યનો ભંગ કર્યો, તેથી સીતાએ એમને વરમાળા આરોપી છે. હવે ત્યાં વિવાહનો સમારંભ થઈ રહ્યો છે, તેથી હું આપને તેડવા આવ્યો છું.
 
આનંદથી છલકતા રાજા દશરથ વસિષ્ઠ પુરોહિત, ત્રણેય રાણીઓ અને મંત્રીઓ સહિત મિથિલા જવા નીકા. નગરના દ્વારે જનકરાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જનકરાજાનો ભાઈ કુશધ્વજ સાંકાશ્યા નગરીમાંથી તેની બે દીકરીઓ માંડવી અને શ્રુતકીર્તિની સાથે મિથિલા આવ્યો હતો.
 
રામનાં સીતાની સાથે, લક્ષ્મણનાં જનકની બીજી પુત્રી ઊર્મિલાની સાથે તથા ભરતનાં માંડવી સાથે અને શત્રુઘ્નનાં શ્રુતકીર્તિની સાથે લગ્ન કરવામાં આવ્યાં. કુલગુરુ વસિષ્ઠ અને શતાનંદે વેદમંત્રો સહિત વિધિવત્ વિવાહ કરાવ્યો. પોતાના ચારે પુત્ર અને પુત્રવધૂઓને લઈને દશરથ મિથિલાથી નીકા. રસ્તામાં તેમને ભગવાન પરશુરામ મા હતા. ત્યાંથી આગળ વધીને તેઓ અયોધ્યા આવ્યા.
 
રાજા દશરથ હવે વૃદ્ધ થયા હતા. તેથી એમણે અયોધ્યાના યુવરાજપદે રામનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો. તેમણે મંત્રીઓની સાથે મસલત કરીને એમના મિત્રરાજાઓને યુવરાજના રાજ્યાભિષેક માટેનાં નિમંત્રણો મોકલી આપ્યાં. ઉતાવળમાં કેકયનરેશને અને મિથિલાનરેશને આમંત્રણ મોકલવાનું ભુલાઈ ગયું.
 
દશરથ રાજાએ રામને પોતાના મહેલમાં બોલાવીને કહ્યું, ‘બેટા ! હું હવે વૃદ્ધ થઈ ગયો છું. કોઈ પણ ક્ષણે મારી આંખો મીંચાઈ શકે છે. આજે તું અને સીતા સંયમવ્રતનું પાલન કરજો. આવતી કાલે ગુરુપુષ્ય યોગના શુભ મુર્તમાં યુવરાજપદે તારો રાજ્યાભિષેક થશે.’ ત્યાંથી રામ માતા કૌશલ્યા પાસે આવ્યા અને પોતાના રાજ્યાભિષેકની વાત જણાવી. કૌશલ્યાએ રામને આશીર્વાદ આપીને તરત જ દાનદક્ષિણા જેવાં પુણ્યકાર્ય આદર્યાં. પછી રામે લક્ષ્મણ અને સીતાને પણ આનંદના આ સમાચાર આપ્યા. ધીમે ધીમે આખા નગરમાં રામના રાજ્યાભિષેકના સમાચાર ફેલાઈ ગયા. નગરમાં ચોતરફ આનંદના મહાન ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું.
 
મંથરા નામની દાસીની ચઢવણીથી માત્ર કૈકેયીને વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થઈ અને તે ક્રોધથી બળી ગઈ. કૈકેયી સૌથી નાની રાણી હતી, તેમજ રૂપરૂપનો અંબાર હતી. તેથી દશરથની વિશેષ માનીતી હતી. સાંજે જ્યારે દશરથ એના મહેલે ગયા, ત્યારે રોજની જેમ એ સામી લેવા આવી નહીં. રાજાએ દાસીને પૂું કે, ‘તારી સ્વામિની કેમ દેખાતી નથી? દાસીએ કહ્યું કે એ ક્રોધિત થઈને બેઠાં છે; કેમ રિસાયાં છે તેની ખબર નથી. આથી દશરથ, જ્યાં કૈકેયી હતી ત્યાં ગયા અને જુએ છે તો એ મલિન વસ્ત્ર ધારણ કરીને ભોંય પર પડી રહી છે. દશરથે એને કહ્યું કે, ‘‘આજે તેં આ શું કરવા માંડ્યું છે ? તને કોઈએ કોઈ કટુવચન કહ્યાં છે ? કૈકેયીએ કહ્યું કે ઇન્દ્ર અને શંબરાસુરના યુદ્ધ વખતે તમે ઇન્દ્રની સહાયતા માટે ગયા હતા. હું તમારી સાથે હતી અને મેં તમારા પ્રાણ બચાવ્યા હતા. ત્યારે તમે મને બે વરદાન માંગવાનું કહ્યું હતું. એ બે વરદાન મને અત્યારે જોઈએ છે. પહેલું ભરતનો રાજ્યાભિષેક અને બીજું રામને માટે ચૌદ વર્ષનો વનવાસ. વધુમાં કૈકેયીએ ઉમેર્યું કે આમાં ઢીલ કરશો તે નહીં ચાલે. તમે એ વરદાન નહીં આપો તો હું પ્રાણત્યાગ કરીશ.’’
 
કૈકેયીનાં આવાં કઠોર વેણ સાંભળીને દશરથને શોકની પરાકાષ્ઠાનો અનુભવ થયો. એમણે ઘણી રીતે કૈકેયીને સમજાવવા પ્રયત્ન કર્યો પણ એણે કશું સાંભું જ નહીં.
 
એ આખી રાત શોક અને દુઃખમાં વીતી અને પ્રાતઃકાળ થયો. સવારે દશરથ રાજાએ રામને પોતાની પાસે બોલાવ્યા. રામ આવ્યા, પણ ખેદમાં ડૂબેલા દશરથ રાજા કશું બોલી શક્યા નહીં. કૈકેયીએ પોતાનાં બે વરદાન વિશે જણાવીને રામને કહ્યું કે, ‘તારે ચૌદ વર્ષ વનવાસ જવું પડશે. રામ ‘જેવી આજ્ઞા’ કહીને કૌશલ્યાના મહેલે ગયા અને વનમાં જવાની રજા માગી. ત્યાર પછી રામે ખૂબ સમજાવ્યા છતાં સીતા અને લક્ષ્મણ તેમને અનુસર્યાં.
 
પછી રામ, સીતા અને લક્ષ્મણ કૈકેયીના મહેલમાં આવ્યાં અને વનવાસ જવા માટે આજ્ઞા માગી. આજ્ઞા મળતાં તેઓ દશરથને અને અન્ય માતાઓને વંદન કરીને સુમંત્રે તૈયાર કરેલા રથમાં બેસીને વનમાં જવા નીકાં.
 
દશરથાદિને રથ દેખાતો બંધ થતાં દશરથ પાછા આવી કૌશલ્યાના મહેલમાં જઈને પારાવાર દુઃખમાં ડૂબી ગયા. કૌશલ્યા-સુમિત્રાને સ્વામીની અત્યંત શોકસંતપ્ત અવસ્થા જોઈને પારાવાર ગ્લાનિ થઈ. છતાં સુમિત્રાએ તેમને આશ્ર્વસ્ત કરવા પ્રયત્નો કર્યા, પરંતુ દશરથનું દર્દ કેમે કર્યું ઘટતું નહોતું. તેઓ વારંવાર હે રામ ! હે લક્ષ્મણ ! હે સીતા ! એમ પોકારો કરીને ધ્રૂસકેધ્રૂસકે રુદન કરતા હતા. આવી અવસ્થામાં તે છ દિવસો સુધી પડ્યા રહ્યા.
 
બીજી તરફ રામ-લક્ષ્મણ-સીતાને ગંગાના પેલે પાર પહોંચાડીને સુમંત્ર છઠ્ઠે દિવસે અયોધ્યામાં પરત આવ્યો અને સીધો જ રાજમહેલમાં ગયો. કૌશલ્યાના મહેલમાં જ્યાં દશરથ શોકસાગરમાં ડૂબેલા હતા, ત્યાં પહોંચ્યો. એણે રાજાને વંદન કર્યાં. એને જોઈને દશરથ રાજાને પાછું દુઃખ ઊભરાઈ આવ્યું. દશરથ મોટે મોટેથી સૌને ઉદ્દેશીને કહેવા લાગ્યા, ‘મને ગમે તેમ કરીને રામની પાસે લઈ જાઓ. સુમંત્રે અયોધ્યામાંથી ગંગાતટ સુધીની રામની યાત્રાનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો, એ સાંભળતાં સાંભળતાં દશરથની આંખો ઊભરાવા લાગી. કૌશલ્યાએ દશરથને કહ્યું કે ‘હવે શોક કરવાનો શો અર્થ ? રામને વનમાં મોકલતી વખતે થોડોક વિચાર કર્યો હોત, તો આ સ્થિતિ જ ન આવત !’ ત્યારે રાજા દશરથે કહ્યું કે ભાવિને કોઈ જ બદલી શકતું નથી. જે થનાર હોય, તે થઈને જ રહે છે. ત્યાર બાદ દશરથે પોતે તરુણાવસ્થામાં હતા ત્યારે તેમના હાથે અજાણતાં થયેલી શ્રવણની હત્યાનો અને તેનાં વૃદ્ધ, અંધ માતા-પિતાએ આપેલ શાપ - ‘તું પણ અમારી જેમ પુત્રવિયોગને કારણે મૃત્યુ પામીશ !’નો વિગતવાર વૃત્તાંત કહ્યો.
 
આ વાત ત્યાં ઉપસ્થિત સૌ પ્રથમવાર સાંભળી રહ્યાં હતાં. આથી સૌ શ્રોતાઓ સ્તબ્ધ થઈ ગયાં. દશરથને એ પૂર્વવૃત્તાંત કહેતી વખતે અપાર ગ્લાનિ થઈ, તે મૂર્છિત થઈ ગયા. આમ દુઃખ અને સંતપ્ત સ્થિતિમાં આખો દિવસ વીતી ગયો. એ જ દિવસે મધ્યરાત્રિએ પુત્રવિયોગના દુઃખને લીધે દશરથે ‘ઓ રામ, ઓ રામ !’ એમ ઉચ્ચારતાં ઉચ્ચારતાં પ્રાણત્યાગ કર્યો.
દશરથના આકસ્મિક નિધનથી સૌને માથે બમણું દુઃખ આવી પડ્યું. રામનો વિયોગ અને દશરથનો કાયમી વિયોગ ! બધા કૈકેયી પર ફિટકાર વરસાવી તેની ઘોર નિંદા કરવા લાગ્યા અને આ અનર્થનો દોષ કૈકેયીને આપવા લાગ્યા. વસિષ્ઠ તરત જ દોડી આવ્યા. કૌશલ્યા રાજા પાછળ સતી થવા તત્પર થયાં હતાં, તેમને વાર્યાં, પછી મોટા પાત્રમાં તેલ ભરાવીને રાજા દશરથના અચેતન દેહને એમાં મુકાવ્યો. પાંચ મંત્રીઓને તાબડતોબ ભરતના મોસાળમાં તેને લઈ આવવા દોડાવ્યા. ભરત અયોધ્યા આવી પહોંચતાં તેના હાથે વસિષ્ઠે દશરથની ઉત્તરક્રિયા કરાવી. દશરથના આત્માએ સંસારથી અલિપ્ત થઈ ઊર્ધ્વગમન કર્યું.