શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર, કમ્બોડિયા આ નાના બૌદ્ધ બહુલ દેશોમાં કોરોનાના ઓછા કેસ અને મૃત્યુ આંક સાવ નહીંવત્ કેવી રીતે છે?

    ૧૨-મે-૨૦૨૦   
કુલ દૃશ્યો |

corona virus_1   
 
 

આ બૌદ્ધ બહુલ દેશોમાં કોરોના કાબૂમાં!

 
 
 શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર, કમ્બોડિયા આ નાના બૌદ્ધ બહુલ દેશોમાં કોરોનાના ઓછા કેસ અને મૃત્યુ આંક સાવ નહીંવત્ કેવી રીતે છે? ત્યાં પણ ભારતની જેમ જ જમાતી કે ખ્રિસ્તી શ્રદ્ધાળુઓની સમસ્યા નડી હતી. તેમણે કોરોના પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું?
ન્યૂઝીલેન્ડનું મૉડલ જુઓ. જર્મનીનું મૉડલ જુઓ…મોગલ અને અંગ્રેજી શાસન અને તે પછી શિક્ષણ પદ્ધતિના કારણે ભારતીય સેક્યુલર મિડિયાની દૃષ્ટિ પશ્ચિમી અને ગોરા લોકો જ્યાં વસતા હોય ત્યાંથી બહાર જતી જ નથી. અને એટલે જ એક પણ મિડિયામાં એ ચર્ચા નથી કે ભારતના પડોશી અને બૌદ્ધ બહુલ દેશો શ્રીલંકા, ભૂતાન, મ્યાનમાર અને થોડા દૂરના દેશ કમ્બોડિયામાં કોરોના પર નિયંત્રણ કેવી રીતે મેળવાયું છે?
 
આ લખાય છે ત્યારે પાંચ મેએ શ્રીલંકામાં કોરોનાના ૭૫૫ કેસ અને મૃત્યુ આંક માત્ર નવ છે. ભૂતાનમાં સાત કેસ અને મૃત્યુ આંક શૂન્ય છે. મ્યાનમારમાં કોરોનાના ૧૬૧ કેસ અને મૃત્યુ આંક માત્ર છ છે. કમ્બોડિયામાં ૧૨૨ કેસ અને શૂન્ય મૃત્યુ આંક છે. તો સ્વાભાવિક જ પ્રશ્ન થવો જોઈએ કે જેમની સરહદ ચીનને અડે છે અથવા ભારતને અડે છે તે દેશોમાં મૃત્યુ આંક આટલો ઓછો કેમ અને કોરોના પર કેવી રીતે નિયંત્રણ મેળવ્યું? આ પ્રશ્ન હજુ સુધી એક પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતને થયો નથી.
 

તેમનું મૉડલ શા માટે જોવું જોઈએ? 

 
એક પ્રશ્ન એ પણ થઈ શકે કે આ દેશો તો ટચૂકડા છે. તેમનું મૉડલ શા માટે જોવું જોઈએ? તેમની ભારત સાથે સરખામણી કઈ રીતે થઈ શકે? શ્રીલંકાની વસતિ ૨.૨૧ કરોડ છે. શ્રીલંકાનું ક્ષેત્રફળ ૬૫,૬૧૦ ચોરસ કિમી છે. ભૂતાનની વસતિ માત્ર ૭.૫૪ લાખ છે. તેનું ક્ષેત્રફળ ૩૮,૩૯૪ ચોરસ કિમી છે. મ્યાનમારનું ક્ષેત્રફળ ૬,૭૬,૫૭૫ ચોરસ કિમી છે. તેની વસતિ ૫.૩૭ કરોડ છે. કમ્બોડિયાની વસતિ ૧.૬૨ કરોડ અને ક્ષેત્રફળ ૧,૮૧,૦૩૫ ચોરસ કિમી છે.
 
એટલે ભારતની સીધે સીધી સરખામણી તો ન થઈ શકે પરંતુ ભારતનાં રાજ્યોની તો થઈ શકે ને. જો મ્યાનમારની સરખામણી વસતિની દૃષ્ટિએ કરવા જઈએ તો ભારતના આંધ્ર પ્રદેશ રાજ્ય સાથે થઈ શકે. આંધ્ર પ્રદેશમાં ૪.૯ કરોડ વસતિ છે. આંધ્ર પ્રદેશમાં ૧૭૧૭ કેસ અને મૃત્યુ આંક ૩૬ છે. આની સામે મ્યાનમારમાં ૧૬૧ જ કેસ અને મૃત્યુ આંક માત્ર છ જ છે. કોઈ વળી દલીલ કરશે કે પરંતુ આંધ્ર પ્રદેશ ભારતના રાજ્યનો એક ભાગ છે. એટલે ભારતનાં અલગ-અલગ રાજ્યોમાંથી જે જમાતી ગયા તે આંધ્રમાં પણ ગયા હોય. તેમના કારણે ચેપ ફેલાયો હોય.
 
એક્ઝેક્ટલી. જમાતીઓ ભારતમાં તો કોરોનાના બહોળા પ્રસારક (સુપર સ્પ્રેડર) બન્યા જ છે પરંતુ આ બૌદ્ધ બહુલ દેશોમાં પણ તેમણે કોરોના ફેલાવ્યો. તો તેમણે કઈ રીતે તેને ટેકલ કર્યો?
 
કોરોનાની સ્થિતિમાં આ દેશો વિશે માનવ અધિકાર સંસ્થાના રિપૉર્ટ જુઓ એટલે ખબર પડી જાય કે આ દેશોએ રોગ ફેલાવાનું કારણ બરાબર પકડી લીધું છે અને તે દુઃખતી નસ દબાવી છે તેથી જ માનવ અધિકાર સંસ્થાઓ ઓય બાપા કહીને બૂમો પાડે છે.
 

અત્યારે તમારે ભારતના કોઈ પણ રાજ્યમાં જવું હોય તો જઈ શકો? 

 
માનવ અધિકાર સંસ્થાઓ આ દેશો વિશે એક વાત કૉમન કહે છે કે આ દેશોમાં લોકશાહી ઘટી રહી છે, માનવ અધિકારો પર તરાપ મરાઈ રહી છે, લોકોના અધિકારો પર નિયંત્રણ મૂકાઈ રહ્યું છે, સરકાર, પોલીસ, સેના અને અધિકારીઓની સત્તા વધી રહી છે. એક વાત સમજવા જેવી છે કે કોરોના જેવી સ્થિતિ હોય તો લોકોના અધિકારો પર નિયંત્રણ આવે કે ન આવે? દા.ત. અત્યારે તમારે ભારતના કોઈ પણ રાજ્યમાં જવું હોય તો જઈ શકો? બંધારણ મુજબ તો આ અધિકાર છે. પણ કોરોના મુજબ આ જોખમી છે. તેથી આ અધિકાર પર તરાપ આવવાની જ. આ જ રીતે અત્યારે તમે કોરોના વિશે ખોટી માહિતી ફેલાવો તો સરકાર તરત જ તમારી ધરપકડ કરવાની છે. તેનો અર્થ એ નથી કે માનવ અધિકાર સંસ્થા એમ કહે કે તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ વાગી.
 

શ્રીલંકામાં પ્રશ્ન એ પણ છે કે... 



શ્રીલંકામાં કોરોનાથી મૃત્યુ પામેલા મુસ્લિમોના મૃતદેહોને સળગાવીને અંતિમ સંસ્કાર કરાય છે. આના વિશે પણ માનવ અધિકાર સંસ્થાઓને વાંધો છે. આજે વિશ્વમાં જ્યાં જ્યાં મૃતદેહને દફનાવાય છે ત્યાં જગ્યાની કમીના અહેવાલો છે. વળી અમદાવાદ, મુંબઈમાં કેટલાક એવા બનાવો પણ બન્યા છે કે કબ્રસ્તાનની આસપાસના સ્થાનિકોએ અથવા જે તે કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ કોરોનાથી મૃત્યુ પામેલાને દફનાવવાનો વિરોધ કર્યો હોય કારણકે તેનાથી ચેપ પ્રસરવાનો ભય રહેલો છે. પરંતુ અગ્નિદાહથી આવો ભય રહેતો નથી. વળી, શ્રીલંકામાં પ્રશ્ન એ પણ છે કે ત્યાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું છે. એટલે સરકારે આ નિર્ણય લીધો.
 
ભારતમાં તબલીગી જમાતીઓએ દિલ્લીમાં જેમ કાર્યક્રમ કર્યો તેમ શ્રીલંકાના જાફનામાં એક ફિલાડેલ્ફિયા મિશનરી ચર્ચે માર્ચમાં કાર્યક્રમ કર્યો હતો. તેમાં પૉલ સત્કુરુનાજાહ નામના પેસ્ટરે કોરોના સામે લડવા આ સભા બોલાવી હતી તેમ કહેવાયું હતું અને તેમાં હાજર રહેલા લોકોને તેઓ ભેટ્યા અને ચુમ્યા હતા. તેમનો પછી કોરોના પૉઝિટિવ કેસ આવ્યો અને તેઓ સ્વિત્ઝર્લેન્ડ ભાગી ગયા. પરંતુ શ્રીલંકાએ સમયસર પગલાં લઈ લીધાં. તેમાં ભાગ લેનાર તમામ ૨૪૦ લોકોને એકાંતવાસમાં (ક્વૉરન્ટાઇન) મોકલી દીધા. તેમાંથી સાત પૉઝિટિવ આવ્યા હતા.
 
શ્રીલંકાના જે લોકોએ કોરોના વિશે માહિતી છુપાવી કે જાહેર કાર્યક્રમો કર્યા તેમની વિરુદ્ધ પણ કડક પગલાં લેવાયાં; જેમ કે ડમ્બુલાના મેયરે સાઇકલની રેસ યોજી તો તેમની પણ ધરપકડ કરાઈ. ૨૭ માર્ચ સુધીમાં કર્ફ્યૂનું ઉલ્લંઘન કરવા માટે ૪,૦૦૦ની ધરપકડ કરાઈ. જે વિસ્તારોમાં ઇટાલીથી ૮૦૦ જણાએ મુલાકાત લીધી હતી તે વિસ્તારોમાં ૧૮ માર્ચે કર્ફ્યૂ લાદી દેવાયો હતો.
શ્રીલંકામાં લોકો ભયના માર્યા ખરીદી કરવા ઉમટી પડતાં, કેસની સંખ્યા ૧૦૨ થઈ તે દિવસે ૨૬ માર્ચથી જીવનજરૂરી ચીજવસ્તુઓની હૉમ ડિલિવરી શરૂ કરી દેવાઈ. ૭ એપ્રિલે સેનાએ વૉઇસ ઑફ અમેરિકાની ઑફિસ હતી તે બિલ્ડિંગને આઈસોલેશન હૉસ્પિટલમાં ફેરવી નાખી જ્યાં રોબોટ દવા, પીણાં અને ભોજન સામગ્રી પહોંચાડતા હતા.
 
આ ઉપરાંત શ્રીલંકા નૌકા દળના સંશોધન વિભાગે મેડી મેટ નામનું ઉપકરણ બનાવી નાખ્યું જે ટેસ્ટિંગ અને સારવાર દરમિયાન દર્દીથી અંતર જાળવવામાં હૉસ્પિટલ સ્ટાફને ઉપયોગી થતું હતું.
 

૨૨ માર્ચે દેશની સરહદો સીલ કરી દેવાઈ... 

 
ભૂતાનમાં ૬ માર્ચે અમેરિકાથી આવેલા પુરુષનો પહેલો કેસ આવ્યો કે તરત જ વિદેશી પર્યટકોના પ્રવેશ પર બે સપ્તાહનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. આ વિસ્તારોની શાળાઓ પણ બંદ કરી દેવાઈ. ૨૨ માર્ચે દેશની સરહદો સીલ કરી દેવાઈ. ૨૪ માર્ચે પાન, સોપારી અને ફળ, શાકભાજી, માંસ વગેરેની આયાત પર પણ પ્રતિબંધ મૂકી દીધો. (આપણે ત્યાં પાન-માવાની દુકાન ખોલાવવા કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા નિવેદન કરે છે!)
 
૩૧ માર્ચે ભૂતાનના વડા પ્રધાને એકાંતવાસ (ક્વૉરન્ટાઇન)નો સમય ૧૪ દિવસથી વધારી ૨૧ દિવસ કરવા જાહેરાત કરી. ‘હૂ’ મુજબ, આ સમયગાળો ૧૪ દિવસનો હોય તે ઈચ્છિત છે, પણ પોતાની પરિસ્થિતિ પ્રમાણે પણ નિર્ણય લેવો જરૂરી હોય છે. ભૂતાનને ભારતે પણ જીવનરક્ષક મેડિકલ દવાઓ મોકલાવી પડોશી ધર્મ નિભાવ્યો હતો જેના માટે તેણે ભારતનો આભાર પણ માન્યો હતો.
 

તેમના પ્રત્યે તેમને કોઈ સંવેદના હોતી નથી... 

 

મ્યાનમાર સામે પણ સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકાર નિષ્ણાતે પ્રશ્નો ઉઠાવ્યા છે. એ પણ બતાવે છે કે કોરોના સામે લડત કરતાં આ સમયે (ખોટા) માનવ અધિકારોની આ લોકોને વધુ ચિંતા છે. યાંઘી લી નામના આ નિષ્ણાતનું કહેવું છે કે મ્યાનમાર લઘુમતી પર અત્યાચાર આચરે છે. એક વાત સમજી લો કે જ્યારે આ માનવ અધિકારવાદીઓ લઘુમતી પર અત્યાચારની વાત કરે ત્યારે તેમને માટે માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય જ હોય છે. જે દેશમાં હિન્દુ, પારસી, શીખ, યહુદી, જૈન, બૌદ્ધ વગેરે લઘુમતીમાં હોય અને તેના પર અત્યાચાર થાય તેમના પ્રત્યે તેમને કોઈ સંવેદના હોતી નથી.
 

ત્યારે સેક્યુલરો ઉકળી ઊઠે છે અને મુસ્લિમો પણ બચાવમાં આવી જાય છે  

 
હકીકતે મલયેશિયાની મસ્જિદમાં ૧૬,૦૦૦ તબલીગી જમાતીઓ માર્ચ મહિનામાં ચાર દિવસના કાર્યક્રમ માટે ભેગા થયા તે અગ્નિ એશિયા (દક્ષિણ-પૂર્વ)ના છ દેશોમાં કોરોના ફેલાવવાનું નિમિત્ત બન્યા હતા. (ભારતમાં જમાતીઓનું નામ લેવામાં આવે ત્યારે સેક્યુલરો ઉકળી ઊઠે છે અને મુસ્લિમો પણ બચાવમાં આવી જાય છે કે ધર્મનું નામ ખરાબ ન કરો, પરંતુ આ કટ્ટર મુસ્લિમોએ ભારતમાં જ નહીં, પાકિસ્તાન, મલયેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર વગેરે અનેક દેશોમાં કોરોના ફેલાવવાનું જાણતા-અજાણતાં કામ કર્યું છે પરંતુ દેશ બહારની વાત ભારતના સેક્યુલર મિડિયામાં આવતી જ નથી.) તેમાંથી ૬૦૦ લોકો પૉઝિટિવ આવ્યા હતા. આનો ગુણાકાર કેટલો થાય, વિચાર કરો! શરૂઆતમાં ચીન પછી જ્યાં સૌથી વધુ કોરોના ફેલાયો હતો તે દક્ષિણ કોરિયામાં શિન્ચેઓન્જી ચર્ચ ઑફ જિસસ નામના ગુપ્ત સંપ્રદાય દ્વારા ફેલાયો હતો. ચર્ચના હજારો અનુયાયીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકો પૉઝિટિવ આવ્યા હતા. સિંગાપોરમાં બે મોટા ક્લસ્ટર ચર્ચો સાથે જોડાયેલા હતા.
 
મલયેશિયામાં મ્યાનમારમાંથી ગયેલા સેંકડો રોહિંગ્યા મુસ્લિમો હતા! આપણે ત્યાં દિલ્લીની મરકઝમાં રોહિંગ્યા મુસ્લિમોએ પણ ભાગ લીધો હતો અને પછી અલગ-અલગ રાજ્યોમાં પહોંચી ગયેલા!
 
એટલે મ્યાનમાર હોય કે ભારત, શ્રીલંકા હોય કે અન્ય કોઈ દેશ આવા બહોળા પ્રસારક સામે પગલાં લે એટલે જાણે સમગ્ર લઘુમતી સમુદાયને લક્ષ્ય બનાવતા હોય તેવી બૂમરાણ તેમના એનજીઓ, મિડિયા અને માનવ અધિકાર સંસ્થાઓના નેટવર્કના કારણે ચાલુ થઈ જાય.
 

અને કદાચ એટલે જ કોરોના પર કાબૂ છે. 

 
કમ્બોડિયામાં આવું જ થયું. મલયેશિયાના જમાતીઓના કાર્યક્રમમાં ભાગ લઈ આવેલા ૨૩ લોકો કોરોના પૉઝિટિવ આવ્યા. કમ્બોડિયામાં ખ્મેર (Khmer) મુસ્લિમોની સમસ્યા છે. ત્યાં અફવા ફેલાવવા માટે પત્રકારોની ધરપકડ થઈ રહી છે. (આવું મ્યાનમાર અને ફિલિપાઇન્સમાં પણ થયું છે.) તેથી પત્રકારોનો એક વર્ગ બૂમરાણ મચાવી રહ્યો છે. (આવો વર્ગ પાછો સોનિયા ગાંધીને હિન્દુ સાધુઓની હત્યા અંગે પ્રશ્નો પૂછવા માટે અર્નબ ગોસ્વામી પર હુમલો થાય, તેની સામે ત્રણસો એફઆઈઆર થાય, બાર કલાક પૂછપરછ થાય, ત્યારે ચૂપ રહેતો હોય છે.) કમ્બોડિયામાં શાસન-પ્રશાસન કોરોનાગ્રસ્ત લોકોની માહિતી જાહેર કરતું હતું જેથી લોકોને જાણ થાય અને પ્રસાર અટકે. આની સામે પણ માનવ અધિકારવાળાઓએ વાંધો ઉઠાવ્યો. ત્યાંના આરોગ્ય મંત્રાલયે ૧૭ માર્ચે જણાવ્યું કે મલયેશિયામાં જમાતીઓના કાર્યક્રમમાં ભાગ લઈને આવેલા ૧૧ ખ્મેર મુસ્લિમો પૉઝિટિવ આવ્યા. આમાં શું ખોટું કહ્યું? પરંતુ તેની સામે માનવ અધિકારવાળાઓને વાંધો છે.
 
પરંતુ કમ્બોડિયા-મ્યાનમાર-શ્રીલંકા આ લોકોની કોઈ પરવા નથી કરતા અને કદાચ એટલે જ કોરોના પર કાબૂ છે.